Wednesday, February 14, 2018

‘જો’ અને ‘તો’ : નિરર્થકતાનો ઑચ્છવ

જેને વાંચતાં-લખતાં જ નહીં, જોતાં-સાંભળતાં પણ આવડતું હોય એવી ભારતવર્ષની પ્રજા હવે જાણી ચૂકી હશે કે જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...

આશ્ચર્ય હોય તો ફક્ત એટલું કે ‘જો’ અને ‘તો’નો આ જૂનો અને જાણીતો સિલસિલો કેમ ત્યાંથી શરૂ થઈને ત્યાં જ અટકી જાય છે? કલ્પનાના પતંગ ચગાવવા હોય તો આકાશ મોકળું છે.
***

જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...

...તો ડિસેમ્બર, 1950માં તેમના મૃત્યુ પછી પંડિત નહેરુ ભારતના બીજા વડાપ્રધાન થાત અને તેમનો શાસનકાળ 1947-1964ને બદલે 1950-1964 થયો હોત—અને સંઘ-જનસંઘ-ભાજપ ઇત્યાદિના નેતાઓ કહેતા હોત, ‘જો સરદાર પટેલ દસેક વર્ષ વધુ જીવ્યા હોત તો...’

...તો સરદારે મહારાજા હરિસિંઘને કહ્યું હોત કે ભારત સાથે જોડાઈ જવું હોય તો ભારત સાથે જોડાવ ને પાકિસ્તાનમાં જવું હોય તો ત્યાં જાવ, પણ જે કરવું હોય તે વેળાસર કરો. સવાલ એ છે કે જો મહારાજા હરિસિંઘે વેળાસર કાશ્મીરને ભારત સાથે જોડી દીધું હોત તો તે બીજાં અનેક રજવાડાંની જેમ ભારતનો હિસ્સો બની જાત. ત્યાર પછી પાકિસ્તાની સૈન્ય છૂપા કે પ્રગટ વેશે કાશ્મીર પર હુમલો કર્યો હોત તો ભારતને કાશ્મીરનું રક્ષણ કરવાનો સત્તાવાર અધિકાર મળી જાત. ભારતના સૈન્યે તેને સરહદ પર જ પડકાર્યું હોત અને કાશ્મીરમાં ઘુસવા ન દીધું હોત.

...તો પણ અત્યારની કાશ્મીરસમસ્યા રહી હોત. કારણ કે અત્યારે જોવા મળતી કાશ્મીર સમસ્યાનાં મૂળ આઝાદીના વખતમાં છે એ સાચું, પણ તેને નવેસરથી અને ઉગ્ર સ્વરૂપ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝીયાના શાસનકાળમાં મળ્યું. એ વખતે રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું. તેની સામે અમેરિકાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કટ્ટરપંથીઓને હથિયાર આપ્યાં. આ શસ્ત્રોનો ઉપયોગ કાશ્મીરને નવેસરથી સળગાવવા માટે અને તેમાં પાકિસ્તાનતરફી કટ્ટરવાદ ફેલાવવા માટે પણ કરવામાં આવ્યો.
એટલે મૂળ ‘જો’ અને ‘તો’ પરના નવા ચણાયેલા માળ છેઃ જો રશિયાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય ન મોકલ્યું હોત તો....જો અમેરિકાએ પાકિસ્તાનને મદદ ન કરી હોત તો...જો ઝુલ્ફીકારઅલી ભુટ્ટોને ઉખેડીને જનરલ ઝિયા પાકિસ્તાનના સરમુખત્યાર ન બન્યા હોત તો…

***

રાષ્ટ્રવાદના નામે આંગળીચીંધામણાં અને ઢાંકપિછોડા કરવાનો જ મામલો હોય તો સાત દાયકાની સીમા શા માટે રાખવી? આપણી સંસ્કૃતિ તો હજારો વર્ષ જૂની છે.

જો સિંધુ સંસ્કૃતિનું પતન થયું ન હોત તો…
જો ગુપ્ત સામ્રાજ્યનો અસ્ત જ ન થયો હોત તો…

આ બધો વધારે દૂરનો ઈતિહાસ લાગે છે? ઠીક છે. જરા વધુ નજીક આવીએ.

જો ઇ.સ. 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની સામે બાબર હારી ગયો હોત તો...
...તો ભારતમાં મોગલ વંશનું શાસન સ્થપાયું ન હોત.
...તો બાબર ભારતમાં ન હોત. એટલે તેના પૌત્ર અકબરનો પૌત્ર જહાંગીર પણ ગાદીએ ન બેઠો હોત.
...તો જહાંગીરના દરબારમાં અંગ્રેજ એલચી ટૉમસ રો હાજર ન થયો હોત અને જહાંગીરે તેને વેપારની પરવાનગી આપવાનો સવાલ પણ ઉભો ન થાત.
...તો અંગ્રેજોએ ભારતમાં વેપારના બહાને પગપેસારો ન કર્યો હોત.
...તો 1857નો સંગ્રામ થયો ન હોત અને એ થયો જ ન હોત, એટલે નિષ્ફળ પણ ન જાત.
...તો મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ પર સત્યાગ્રહ કરતા ત્યાં જ રોકાઈ પડ્યા હોત અને આજીવન આફ્રિકન નેશનલ કૉંગ્રેસના માર્ગદર્શક બની રહ્યા હોત.
...તો વલ્લભભાઈ બૅરિસ્ટર સુખેથી બૅરિસ્ટરી કરતા હોત અને સમૃદ્ધિમાં જીવન વીતાવ્યું હોત.
...તો કાશ્મીરની કોઈ સમસ્યા જ ન રહી હોત. કારણ કે રાજકીય એકમ તરીકે ભારતનું અસ્તિત્વ જ ન હોત. ભારત પાંચસો-સાતસો રજવાડાંમાં વહેંચાયેલું હોત અને એ..ય તે સંસ્કૃતિના પ્રેમીઓ ઘીદૂધની નદીઓના કિનારે મોજ કરતા હોત.

માટે, કાશ્મીર સમસ્યા માટે ખરેખર જો કોઈ જવાબદાર હોય તો એ ઇબ્રાહિમ લોદી છે.
***

આગળ જણાવેલી ‘જો’ અને ‘તો’ની દલીલો હાસ્યાસ્પદ- શેખચલ્લીના તરંગો જેવી લાગી? તેના વિશે ‘આવું તે કંઈ હોતું હશે?’ અથવા ‘એનું અત્યારે શું છે?’ એવી લાગણી થઈ? તેમાં કૉમન સૅન્સનો અભાવ લાગ્યો?
જવાબ ‘હા’ હોય, તો જણાવવાનું કે એ જ તેનો આશય હતો.

જે આ દલીલોમાંથી ઐતિહાસિક ખાંચાખૂંચી શોધવા બેસે અને તેની સામે ગંભીરતાથી પોતાની ‘જો’ અને ‘તો’ની થિયરીઓ રજૂ કરવા બેસે, તેમને પૂરી સહાનુભૂતિ સાથે જણાવવાનું કે તમે આખું કોળું શાકમાં જવા દઈ રહ્યા છો.

ઈતિહાસનો સૌથી સારો ઉપયોગ તેમાંથી સાચો બોધપાઠ લઈને કરી શકાય છે. ઈતિહાસની તોડેલીમરોડેલી હકીકતો કે અર્ધસત્યો કે પા-સત્યો વર્તમાનમાં તાણીને, તેના જોરે સ્વાર્થ સાધવાની કોશિશ થાય, ત્યારે એ પણ આ લેખમાં રજૂ કરેલી ‘જો’ અને ‘તો’ની દલીલો જેટલું જ અપ્રસ્તુત લાગવું જોઈએ. એ મુદ્દે જો કોઈ ચર્ચા હોઈ શકે તો તેની હાસ્યાસ્પદતાની અથવા તેની પાછળ રહેલા બદઈરાદાઓની જ હોય.

આવા ‘જો’ અને ‘તો’ દેશના વડાપ્રધાનના મોઢેથી નીકળે અને દેશની સંસદમાં ઉચ્ચારાય, ત્યારે સંબંધિત પાત્રોનું જ નહીં, આપણી, ભારતના નાગરિકોની સામાન્ય બુદ્ધિનું પણ અપમાન થતું લાગે છે. કૉંગ્રેસ લાંબો સમય સત્તામાં રહ્યો હોવાને કારણે તેને આવા ‘જો’ અને ‘તો’ નું શરણું લેવું પડ્યું નથી, પરંતુ દાયકાઓથી ચાલતાં આવાં અનેક અર્ધસત્યોને-જૂઠાણાંને રોકવામાં અને કચરાટોપલી ભેગા કરવામાં કૉંગ્રેસની નિષ્ફળતા પણ ઓછી ખેદજનક-શરમજનક નથી. આપણને રવાડે ચડાવવા એ નેતાઓનો ધંધો છે, પણ રવાડે ચડવું કે નહીં, તે આપણી પુખ્તતાનો અને સમજનો સવાલ છે.

4 comments:

  1. ખરેખર સરસ "જો" અને "તો" ની વ્યાખ્યા.

    ReplyDelete
  2. આપણને રવાડે ચડાવવા એ નેતાઓનો ધંધો છે, પણ રવાડે ચડવું કે નહીં, તે આપણી પુખ્તતાનો અને સમજનો સવાલ છે. અદ્ભુત લેખ!

    ReplyDelete
  3. હજી આમાં એક મુદ્દો ઉમેરી શકાય: જો ભારતના પહેલા વડાપ્રધાન તરીકે ચાલુ કાર્યકાળે સરદાર પટેલનું અવસાન થયું હોત તો વડાપ્રધાનપદની ખુરશી પામવાની લાલચે નેહરુએ એમનું ખૂન કરાવ્યું હોવાની કૉન્સ્પિરસી થિયરીઓ વહેતી થઈ હોત.

    ReplyDelete
  4. Anonymous5:51:00 PM

    સાહેબ,તમે બરાબર તપતા લોઢાં પર ‘હથોડી’ મારી છે!
    પ્રસંગોપાત આવા ચાબખા લગાવતા રહો છો તેથી જનતા જનાર્દન ને તો ખબર પડે કે આ નઘરોળ અને રીઢા રાજકારણીઓ પોતાની ગાડી ‘હાંકે’ રાખે છે. આ વાત દેશના દરેક રાજકીય પક્ષોના રાજકારણીઓને લાગુ પડે છે.કોઈ પણ પક્ષ દેશની મૂળ પાયાની સળગતી સમસ્યાઓ વિષે કશું જયારે જાહેરમાં બોલે છે ત્યારે તેઓ એકબીજા પર આક્ષેપબાજીઓની ભરમાર કરતા હોય છે અને ‘જો અને તો’ની દલીલો કરતા હોય છે. અને તે સિવાય રોજબરોજ સમાચાર માધ્યમોમાં કાંઈજ આવતું હોય તેમ લાગતું જ નથી.
    પોતાને દુધે ધોયેલા અને ડાહીમાના આ તકવાદી દીકરાઓની આ જમાતને જ્યાં સુધી લોકો સરખો પાઠ નહિ ભણાવે ત્યાં સુધી આ લોકો સમજવાના નથી. હવે જોવાનું રહ્યું કે લોકોમાં પણ કેટલું પાણી છે ? વારંવાર વાંચવામાં આવે છે છે ‘લોકો બધું સમજી ગયા છે’ પણ એવું કાઈજ દેખાતું નથી, હા વિરોધકરવાને બહાને બેચાર દિવસો સુધી ‘મોટે ઉપાડે’ જાહેર માલમિલકતોને નુકસાન, ,રસ્તા પરના વાહનોને સળગાવી,બીજા અનેક ને ઈજાઓ પહોચાડીને વિખરાઈ જાય છે તેને શું સમજવાનું ? આ કાઈ ‘લોકો સમજી ગયા ગયા છે’ ની વ્યાખ્યામાં આ આવે? આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે કે આવા વિરોધો અને દેખાવોમાં આવતા લોકો મોટે ભાગે ‘બેકાર’ અને કામ ધંધા વિનાના હોયછે, જેવી સાંજ પડે
    આ બધા ઘરભેગા થઇ જાય છે! ‘ખાંટસવાદીયા’ અને ‘ભાંગફોડીયા’ લોકોના સમુહને કોઈ રીતે સાંખી લેવા જોઈએ નહિ અને જાહેર સમાચાર પત્રો કે બીજા \
    ‘મીડિયા’ એ તેને લોકલાગણીના દેખાવોનું નામ આપવાનું બંધ કરી દેવું જોઈએ.
    પત્રકારો આ વિષે મૌન સેવે તે પણ નાગરિક ફરજ ચુકી ગણાય.
    છેલ્લે જે વિષય પર આપે છણાવટભરી રીતે ‘જો અને તો’ ની વાત કરી છે તેમાં
    ઘણું તથ્ય છે, પણ આ ‘સંસ્કાર’ કહો કે ‘ટેવ’ લગભગ દરેક લોકો પોતપોતાના અધિકારમાં ગણી સમયે સમયે અજમાવતા રહેતા હોય છે, કોઈજ બાકાત નથી.
    અનેક વિભીન્નતાઓનો જબ્બરદસ્ત દેશની જબ્બરજસ્ત સમસ્યાઓ આ સાત દસકામાં ઉમેરાતી ગઈ છે અને લોકો\ પારાવાર મુશ્કેલીઓ અને કૌભાંડો નો સામનો કરી ધીરે ધીરે આગળ પણ વધ્યા છે. તેમને ખબર છે કે કોઈજ ‘દેવદૂત’ નીચે નથી ઉતારવાનો કે જે બધી મુશ્કેલીઓ દૂર કરે!

    .

    ReplyDelete