Thursday, January 18, 2018

મતભેદઃ પ્રાથમિકતાના સવાલ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પછીના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશોએ જાહેર રજૂઆત ન કરી હોત તોપણ, જે કંઈ ચાલી રહ્યું છે તે ઠીક નથી એવું ઘણા લોકોને લાગે છે. બીજા ઘણાને એવું પણ લાગે છે કે ‘આવું--આટલું સારું તો ક્યારેય ન હતું.’

આવા આત્યંતિક મતભેદ લોકશાહીમાં રહેવાના. સાવ પાયાની બાબતોમાં સામસામા છેડાની માન્યતા ધરાવતા સમૂહો એક ન થાય, એ સમજી શકાય. તેમાંથી ‘આટલું સારું ક્યારેય ન હતું’ વાળો વર્ગ મહદ્ અંશે ‘સમરસ’ જોવા મળે છે. સરકારની પ્રશંસામાં કે બચાવમાં અને તેના ટીકાકારો પર તૂટી પડવામાં તે તરત એકરૂપ થઈ જાય છે. સરકાર પ્રત્યે ટીકાભાવ ધરાવતા બિનરાજકીય સમુદાયનું એવું નથી. એવા સમુદાયને ‘સિવિલ સોસાયટી’ અથવા ‘નાગરિક સમાજ’ કહી શકાય. (આવાં લેબલ બહુ લપટાં પડી ગયાં છે. અહીં તેનો ઢીલો નહીં, સાચો અર્થ ગણવો.) આવા, જાગ્રત નાગરિક સમુદાયમાં કોઈ રાજકીય પક્ષની કેડર કે વ્યક્તિ-સંસ્થા-પરિવારના વફાદારો-ભક્તો જેવી ‘એકત્વ’ની કે ‘શિસ્ત’ની લાગણી ન જ હોઈ શકે. કેમ કે, સ્વતંત્રપણે વિચારી શકવાની ક્ષમતા તેમને આ સમુદાયનો હિસ્સો બનાવે છે.

પરંતુ એ વિચારક્ષમતા ઘણી વાર નાગરિક સમુદાયને સર્વમાન્ય અનિષ્ટો સામે એક અને અસરકારક બનાવવાને બદલે, તેમને નાના ટુકડામાં વહેંચીને બિનઅસરકારક બનાવી દે છે. કોમવાદવિરોધી, જ્ઞાતિવાદવિરોધી, સામાજિક ન્યાયમાં માનનારા, ઉદારમતવાદી, સંવેદનશીલ, માનવતાવાદી, આંખે પાટા બાંધેલી રાજકીય વફાદારીથી મુક્ત... આવાં લક્ષણો ઓછાવત્તા અંશે ધરાવતા અથવા તેમને ઇચ્છનીય ગણતા લોકો, એક સૂત્રમાં કેમ પરોવાઈ શકતા નથી? અને વહેંચાયેલા રહેવાને કારણે થતા પારાવાર નુકસાનને તે કેમ જોઈ શકતા નથી? રાજકીય પક્ષો જેમ પોતાના સ્વાર્થ ખાતર ‘કૉમન મિનિમમ પ્રોગ્રામ’ ઘડી શકે છે, તેમ નાગરિક સમાજના વિવિધ ઘટકો કેમ એવું કરી શકતા નથી? શું વ્યક્તિગત સ્વાર્થના અભાવનો સાત્ત્વિક જણાતો અહમ્ તેમને પોતાની ભૂમિકા છોડીને ‘કૉમન મિનિમમ’ની--વ્યાપક હિતની ભૂમિકાએ આવતાં અટકાવે છે? આવા સવાલ થયા કરે છે.

સમજ ખાતર એક એવા અનૌપચારિક જૂથનો દાખલો લઈએ, જે હકીકતમાં કોઈ સંગઠન કે સત્તાવાર જૂથ પણ નથી. એ લોકો કોમવાદવિરોધી, જ્ઞાતિવાદવિરોધી... એ બધાં આગળ જણાવેલાં મૂળભૂત મૂલ્યોની બાબતમાં સરખા વિચાર ધરાવે છે અથવા વિરોધી વિચાર ધરાવતા નથી. એટલે કે, શ્રીકૃષ્ણની કથામાં આવતા અસુરવધનાં ઉદાહરણ ટાંકીને રાજકીય હેતુથી થયેલાં એન્કાઉન્ટર વાજબી ન ઠરાવી શકાય, એટલી પ્રાથમિક સમજ તેમનામાં છે, ગાયની રક્ષાના નામે માણસની હત્યા ન થાય અને તેમાં કોઈ ‘જો’ અને ‘તો’ ન હોઈ શકે, એટલી સાદી માનવતા તેમનામાં છે, કોઈ પણ પ્રકારની સંદેહાસ્પદ હિલચાલ ન ધરાવતી યુવતીની રાજ્યસ્તરે જાસૂસી થાય અને તેના માટે એન્ટિટેરરિસ્ટ સ્ક્વૉડનો ઉપયોગ થાય તે સત્તાનો ગંભીર અને ગુનાઈત દુરુપયોગ છે, એટલી સાદી વિવેકબુદ્ધિ તેમનામાં છે, આઘાત-પ્રત્યાઘાતના નામે કોમી હિંસાને સમજાવી શકાય તો પણ તેને વાજબી ન ઠરાવી શકાય એટલી ન્યાયબુદ્ધિ તેમનામાં છે... આ કેટલાક એવા નમૂનારૂપ પાયાના મુદ્દા છે, જે બાબતે મતભેદ હોય તો તેમાં બાંધછોડ અશક્ય છે. તેમાં પરસ્પરના રસ્તા ફંટાવા જ રહ્યા.

આપણો સવાલ એવા લોકોનો છે, જે આવી મૂળભૂત બાબતોમાં એકમત છે. છતાં, સાહિત્ય પરિષદ-સાહિત્ય અકાદમીના મામલે તેમના વિચાર જુદા કે વિરોધી છે, સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ આ રીતે લોકો સમક્ષ આવવું જોઈએ કે નહીં એ અંગે તેમની વચ્ચે મતભેદ છે, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ઉત્તમ આયોજન છે કે નકામું એ બાબતે તેમના અભિપ્રાય અલગ છે, પક્ષીઓ ઘવાય છે એટલા માટે પતંગ ચગાવવી જોઈએ કે નહીં એ બાબતે તેમની વચ્ચે સંમતિ નથી, ‘છેલ્લો દિવસ’ મજાનું પિક્ચર હતું કે સભ્યતાની હદ વટાવી ગયેલું એ વિશે તે એકમત નથી, આધાર કાર્ડનો ડેટા સલામત છે કે નહીં, એ વિશે તે જુદા અભિપ્રાય ધરાવે છે, ફેસબુક પર કોઈના મૃત્યુના સમાચારને ‘લાઇક’ કરાય કે નહીં, એ વિશે તેમનાં આગવાં મંતવ્ય છે, હાર્દિક પટેલની સેક્સ સીડી વિશે લખવાથી શિષ્ટતાનો ભંગ થાય કે નહીં એ વિશે તેમની વચ્ચે એકમત નથી, ‘નિર્ભયા’નું નામ જાહેર થવું જોઈએ કે નહીં, આરુષિ હત્યાકેસનાં તલવારદંપતીને સજા થવી જોઈએ કે નહીં, અરે, કેજરીવાલ પર અગાઉ મૂકેલી શ્રદ્ધા રાખવી જોઈએ કે પાછી ખેંચી લેવી જોઈએ એવા ઘણા મુદ્દા વિશે તેમની વચ્ચે મતભેદ હોઈ શકે...

રસ્તા પર જેમ ‘અકસ્માત-સંભવિત ક્ષેત્ર’નાં પાટિયાં હોય છે, તેમ જાહેર જીવનના કેટલાક મુદ્દાને ‘મતભેદ-સંભવિત ક્ષેત્ર’ તરીકે રજૂ કરવાનો આ પ્રયાસ છે. પણ તેની પાછળનો આશય એક જ સવાલ ઊભો કરવાનો છેઃ શું આ બધા મતભેદ એટલા બધા મોટા અને મહત્ત્વના છે કે જેના આવેશમાં- જેના ધક્કાથી દોરવાઈને અત્યંત મહત્ત્વના અનેક મુદ્દે આપણી સંમતિ આપણે ભુલાવી દઈએ? પાયાનાં-મૂળભૂત મૂલ્યોની બાબતોમાં સંમતિ જેવી મૂડીને એમ સહેજમાં ખોઈ નાખીએ?

જે લોકો કોમવાદ-જ્ઞાતિવાદ- ધર્મના નામે ધિક્કાર જેવા મુદ્દાના વિરોધમાં, સામાજિક ન્યાય માટે સાથે હોય અને તેમની સાથે નાની અસંમતિઓ કેમ ન હોય? અને એવી અસંમતિઓને કેમ જીરવી ન શકાય? આપણે જો અમુક મૂલ્યોમાં માનવાનો અને તેના માટે સંઘર્ષનો દાવો કરતા હોઈએ તો, ગૌણ બાબતોમાં અસંમતિઓને સ્વીકારવાનું જરૂરી બની જાય છે, પરંતુ એવું નથી થતું, એટલે સ્વાર્થી રાજનેતાઓ વખત આવ્યે પહેલી તકે હાથ મિલાવી લે છે, ત્યારે નાગરિક સમાજના ઘણા લોકો નાના મતભેદોને હૈયે ચાંપીને, તેમને અપ્રમાણસરનું મહત્ત્વ આપતા રહે છે.

સ્વૈચ્છિક સંસ્થાઓના ક્ષેત્રનો જ દાખલો લઈએ તો સમાજના વંચિત-પીડિત-દલિત સમુદાય માટે કામ કરનારી કેટકેટલી સંસ્થાઓ ગુજરાતમાં છે અને તેમાંની ઘણી ખરેખર કામ પણ કરતી હશે. છતાં, આ સંસ્થાઓ આમ ભલે પોતપોતાના મુદ્દે કેન્દ્રિત હોય, પરંતુ વ્યાપક સ્તરે સામાજિક ન્યાય માટે લડતી સંસ્થાઓ તરીકે એક શક્તિ-એક અવાજ કેમ પેદા કરી શકી નથી?

એને પ્રબુદ્ધ કહો તો પ્રબુદ્ધ ને સાદો કહો તો સાદો, પણ સ્વાર્થનો સવાલ છે. નાગરિક સમાજના લોકો પોતાનો આવો સ્વાર્થ નહીં સમજે તો વધી વધીને તે પોતાનું અંગત રજવાડું ઊભું કરી શકશે, પણ જે હેતુ માટે કામ કરવાનો તેમનો દાવો છે અથવા જે સમાજ જોવાનું સ્વપ્ન તે વ્યક્ત કરે છે, તે કદી એકલપંડે સાકાર નહીં થાય. અને આવું નહીં થાય તેની જવાબદારીનો મોટો હિસ્સો ફાસીવાદી, કોમવાદી, ભ્રષ્ટ કે તકવાદી પરિબળો જેટલો જ નાગરિક સમાજના માથે પણ આવશે.

1 comment: