Thursday, November 02, 2017

ગાંધીહત્યાની વિચારસરણી અને સરદાર

કેટલાક સમાચાર એટલા બધા જૂના હોય છે કે તે એકદમ નવા અને ‘બ્રેકિંગ’ લાગે. ગુંચવાડો થયો?  તો આ રહ્યો નમૂનો--ઉમાશંકર જોશીના તંત્રીપદે પ્રગટ થતા માસિક ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી, 1951ના અંકમાંથીઃ

‘હિંદુ મહાસભાનું અધિવેશન.
પૂનામાં ભરાયેલું આ અધિવેશન અને તેની સાથે મળેલી નિરાશ્રિતોની પરિષદ દેશમાં અત્યારે કેવાં બેજવાબદાર તત્ત્વો સળવળી રહ્યાં છે તેનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રપિતાના હત્યારાની જય પોકારાય અને છબીઓ વેચાય એ તો આપણા દેશમાં જ બની શકે. અધિવેશનની ઘૃણાજનક કાર્યવાહીમાંથી કોઈ સુખદ સમાચાર આવ્યા હોય તો તે એ કે સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી દેવામાં આવ્યોઃ સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આનાથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?
અધિવેશન ઉપર દિલ્હીથી રાજપ્રમુખનો સંદેશો ગયો હતો! રાબેતા મુજબ કચેરીએ રાજપ્રમુખને પૂછ્યા પણ વગર સંદેશો મોકલી દીધો હતો એમ પાછળથી ખુલાસો કરવામાં આવ્યો છે. કચેરી પાસે આ બાબત જવાબ માગી પગલાં લેવાવાં જોઈએ.’

ઉમાશંકરની નાનકડી નોંધ એકથી વધુ કારણોસર ઘણી મહત્ત્વની છેઃ

૧) અભૂતપૂર્વ કોમી હિંસાનો દૌર તાજો હતો ત્યારે પણ, ગાંધીહત્યારાનો મહિમા ઉમાશંકર જોશીને અકળાવતો હતો. રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રવાદના નામે ચાલતો ગમે તેટલી દલીલોનો ખડકલો ગાંધીહત્યાને 1950ના કપરા કાળમાં વાજબી ઠરાવી શકતો ન હોય, તો ત્યાર પછીના સામાન્ય કહેવાય એવા કાળમાં ગાંધીહત્યાને ‘ગાંધીવધ’ (ધર્મકાર્ય) કેવી રીતે કહી શકાય?  અને ગોડસેની વિચારધારાને યોગ્ય ઠરાવતા સંદેશાઓનું હવે નવા ઉત્સાહથી આદાનપ્રદાન થતું હોય, તેને શું કહેવું? કેવળ કરુણતા? કે ધીક્કારકેન્દ્રી વિચારધારા માટે ચાલુ રહેલું-નવેસરથી ઘટ્ટ બનેલું ચિંતાજનક વાતાવરણ?

૨) ગાંધીહત્યાની નૈતિક જવાબદારી ગૃહ મંત્રી તરીકે સરદારની કહેવાય કે નહીં, એવો બિનજરૂરી અને (સરદારને) અન્યાયી વિવાદ એ વખતે જાગ્યો હતો. સરદારના કેટલાક વિરોધીઓનો એક આરોપ એવો પણ હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે તે પૂરતા કડક નથી. મૌલાના આઝાદથી માંડીને કેટલાક  વર્તમાન અભ્યાસીઓ દ્વારા પણ એવાં આંગળીચીંધામણાં થતાં રહ્યાં છે. ત્યારે ભાગલા સમયનાં હિંદુ અંતિમવાદી પરિબળો સરદારને ‘પોતાના માણસ’ તરીકે જોતાં ન હતાં, તેનો સ્પષ્ટ ખ્યાલ ‘સંસ્કૃતિ’ની નોંધમાંથી આવે છે.

છેલ્લા ઘણા સમયથી જમણેરી અંતિમવાદી પરિબળો સરદારને એવી રીતે ગજવે ઘાલીને ફરે છે, જાણે સરદાર તેમની વિચારધારાના મશાલચી હોય. ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે ગાંધીહત્યાને ધર્મ્ય ગણતી વિચારધારાને 1950માં સરદાર જરાય આદરણીય લાગ્યા ન હતા. એટલે તેમના મૃત્યુ અંગે શોકઠરાવ પસાર કરવા જેટલા સાધારણ વિવેકમાંથી પણ એ લોકો ગયા. જમણેરી અંતિમવાદી રાજકારણની ઝેરી સંકુચિતતાનો ગાંધીહત્યા પછીના ક્રમે મૂકી શકાય એવો આ નમૂનો. પછીનાં વર્ષોમાં કોંગ્રેસે સરદારની વ્યવસ્થિત ઉપેક્ષા કરી, એટલે જમણેરીઓ દ્વારા તેમનું ‘અપહરણ’ શક્ય બન્યું.

૩) કમનસીબી એ વાતની થઈ કે વિરોધીઓ જે આરોપ મૂકીને સરદારની ટીકા કરતા હતા, એ જ આરોપસર જમણેરીઓને સરદાર માટે આકર્ષણ પેદા થયું. એ દૃષ્ટિએ જોતાં, તેમણે સરદારના ટીકાકારોની (ખોટી) ટીકાને સાચી પાડી અને સરદાર પ્રત્યે આદરના નામે તેમના અપમાનમાં સામેલ થયા. કહેવા પૂરતી તો સરદારની વાત ‘દેશની એકતા અને અખંડિતતાના ઘડવૈયા’ તરીકે કરવાની, પણ એ આદરને સહેજ ખોતરતાં સરદારને મુસ્લિમવિરોધી ગણવાની આ કહેવાતા સરદારપ્રેમીઓની માનસિકતા અચૂક છતી થઈ આવે.

ગાંધીહત્યા પછી સંઘ પરિવાર પર પ્રતિબંધ મૂકનાર અને પ્રતિબંધ ઉઠાવતી વખતે ચોક્કસ શરતો મૂકનાર સરદાર સંઘ પરિવાર વિશે એવું વિચારતા હતા કે તેમણે દેશની સેવા કરવી હોય તો (એ સમયની) કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સરેરાશ હિંદુઓ નિર્બળ છે અને વખત આવ્યે સ્વરક્ષા કે સ્વજનોની રક્ષા પણ કરી શકતા નથી, એનો તેમને અફસોસ હતો. ગાંધીજી પણ એવું જ માનતા હતા અને સમયાંતરે તેમણે એકથી વધુ વાર કહ્યું હતું કે અહિંસક પ્રતિકાર કરીને ખપી જવું એ શ્રેષ્ઠ રસ્તો છે, પણ એ ન ફાવે તો કાયરની માફક ભાગી છૂટવાને બદલે સામે લડવું. સરદારની બોલવાની રીત આકરી હતી. તેમની એકંદર કામગીરી, વલણ અને તેમના સમયને ધ્યાનમાં લીધા વિના તેમનાં કેટલાંક વિધાન રજૂ કરવામાં આવે તો તે કોમવાદી લાગી શકે. પરંતુ તેમની સમગ્ર કારકિર્દી અને કામગીરીને તપાસ્યા પછી તેમની પર કોમવાદી કે ‘મુસ્લિમવિરોધી’નું લેબલ લગાડી શકાય નહીં.

૪) ઉમાશંકર જોશીની નોંધમાં છેલ્લે રાષ્ટ્રપ્રમુખ (રાષ્ટ્રપતિ)ની કચેરી વિશે પણ નુક્તચીની કરવામાં આવી હતી. તેનું હાર્દ એ હતું કે ગાંધીહત્યા માટે કારણભૂત વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનને ઉચ્ચ સત્તાસ્થાન કે બંધારણીય હોદ્દેદારો તરફથી ઔપચારિક શુભેચ્છા પાઠવવાનું યોગ્ય નથી. એ તેમને માન્યતા કે પ્રોત્સાહન આપ્યા બરાબર ગણાય.

ગાંધીહત્યાની વાત નીકળે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમાં સીધી રીતે સંડોવાયેલો નથી અને ગોડસેને સંઘ સાથે કશો સંબંધ ન હતો, એવી ટેકનિકલ દલીલ આગળ કરવામાં આવે છે. તેની ટેકનિકલ સચ્ચાઈ સ્વીકાર્યા પછી પણ દાયકાઓ સુધી સંઘ પરિવારે ગાંધીહત્યાને ધર્મ્ય કાર્ય તરીકે તરીકે ખપાવ્યા કરી, એ સચ્ચાઈ મટી જતી નથી. સર્વોદયી અગ્રણી હસમુખભાઈ પટેલે હમણાં આલેખેલાં સંભારણાં પ્રમાણે, કટોકટી વખતે જેલવાસ દરમિયાન સંઘ પરિવારના સભ્યો સાથીકેદીઓને  ગોડસે કેટલો રાષ્ટ્રવાદી હતો અને ગાંધીહત્યા કેવી રીતે યોગ્ય હતી, તે સમજાવવા ભરપૂર મહેનત કરતા હતા. ગાંધીહત્યાથી સરદારને ભારે આઘાત પામનાર સરદારને ગાંધીહત્યાનું તાર્કિક સમર્થન કરનારાઓ વિશે શું કહેવાનું હોત, એ કલ્પવું અઘરું નથી.

છેક 1920ના દાયકાથી સરદારને ગાંધીજી વિશે એવું લાગતું હતું કે તેમણે આપણને જે આપવાનું હતું તે આપી દીધું છે અને હવે આપણે તેનો યથાશક્તિ અમલ કરવો જોઈએ. અમલ ન થાય તો સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે એ રસ્તે ચાલવાની આપણી શક્તિ નથી. ગાંધીના નામે ચાલતા દંભની સરદારને સખત ચીડ હતી. તો પોતાના નામે ચાલતા દંભ અને દેખાડાબાજી, મુસ્લિમવિરોધ અને કોમવાદથી સરદારને કેટલી ચીડ ચડતી હોત, એ પણ ધારી શકાય છે. પરંતુ મહાનુભાવોના નામે ચરી ખાનારા માટે તેમની ગેરહાજરી સૌથી મોટી સુવિધા બની રહે છે--પછી તે મહાનુભાવ સરદાર હોય કે ગાંધી, આંબેડકર હોય કે નહેરુ.. 

3 comments:

  1. "મહાનુભાવોના નામે ચરી ખાનારા માટે તેમની ગેરહાજરી સૌથી મોટી સુવિધા બની રહે છે--પછી તે મહાનુભાવ સરદાર હોય કે ગાંધી, આંબેડકર હોય કે નહેરુ." આ વાક્ય વાંચ્યા પછી અહીં કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી લાગતી. હા, એમના ઉદ્દગારોની તોડ મરોડ માટે પણ આ પરિસ્થિતિ ખુબ જ સાનુકૂળ બની રહેવા છે.

    ReplyDelete
  2. રુગ્ણ સમાજને અરીસો ધરવા બદલ આપનો ઋણી રહીશજ - ગાંધીજીના ખૂન પછી જમણેરી અંતિમવાદી અને ફાસીવાદી પરિબળો આજ-દિન સુધી એવા ફાંફા છે કે "સમાજ સ્વીકારે કે ગોડસે 'મહાન' હતો" ... ના...ગોડસે ખૂની હતો અને ભારતનો પ્રથમ terrorist હતો.
    કોંગ્રેસના માટીપગાઓ નહેરુના નિધન પછીના વહેંતિયાઓએ ગાંધી-ટોપી અને ખાદી પહેરી ને સરદાર થી માંડીને બંધારણમાં જે સંસ્થાઓને સ્વાયત્ત રાખવી જરૂરી સમજી હતી એ બધાનું સત્યાનાશ વાળ્યું
    1992માં બાબરી-મસ્જિદ ના ધ્વંશ વિષે ઊંડાણથી અભ્યાસ કરીએ તો લાગે કે જેટલા જવાબદાર અડવાણી, ઉમા ભરતી, મુરલી મનોહર જોશી અને જમણેરી અંતિમવાદી ટોળાશાહી માનસિકતા હતી...એટલાજ, અથવા તો એથી વધુ જવાબદાર "ધોતિયા અંદરની ચડ્ડી" પી. વી. નરસિમ્હરાવ અને એમની સરકાર પણ હતીજ। મારા અંગત મત અનુસાર, સર્વોચ્ચ અદાલત પણ પાણીમાં બેસી ગયેલી અને ફકત કોર્ટ ઉઠતા સુધીની કૈંક ના કહી શકાય તેવી સજા ફરમાવેલી।..એક સરસ ગુજરાતી વાર્તા છે "મુકુન્દરાય" નામની।..મોટાભાગે શ્રી દ્વિરેફ - રા. વિ. પાઠકે લખેલી।...એમાં છેલ્લે 'નખ્ખોદ' માગે છે - એ વાર્તાના નાયક...એમાં વિશાદ છે. એવી રીતે "વિનિપાત" નામની વાર્તામાં શ્રી ધૂમકેતુ આપણા ગુજરાતના શિલ્પી ડભોઇ ના "હીરા સલાટ" ની વાત કરે છે અને ગુજરાતી ભાષાની સેવા કરનાર વિદેશી શ્રી જેમ્સ ફોર્બ્સની વાત કરે છે. છેલ્લું વાક્ય છે..."પડે છે ત્યારે સઘળું પડે છે"...એવું જ છે। .અત્યારે.સઘળું પડી રહ્યું છે...જાણે અંદરથી ઉધઈ દ્વારા કોરી ખાવામાં આવેલ સમાજ અને વ્યવસ્થા પડી રહ્યા છે અને આપણા દુર્ભાગ્ય છે કે "ગોડસે ની પૂજા થાય અને મંદિર બનાવવાની વાતો" છડેચોક કરાય - આપણો સમાજ રુગ્ણ છે અને જો પોતાને સંભાળશે નહિ તો ખુબજ માઠા પરિણામો આવશે એવું જણાય છે.

    ReplyDelete
  3. people indulge in half truths and misinformation about Sardar for various reasons. We Patels from Charotar own him, while Sardar himself mentioned that that he never belonged to the caste and he was an all India man.
    For clear understanding of his life and work people should read biographies of Vallabhbhai Patel by authors like Rajmohan Gandhi, B. Krishna and Narhari Parikh and others.
    Thanks for clarifying many issues and misunderstanding related about him.

    ReplyDelete