Wednesday, July 27, 2016

ઉના અત્યાચાર : વધુ બે લેખ

સામાજિક ભેદભાવ, રાજકીય રોકડી
(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, ૨૨-૭-૧૬ )

નવનિર્માણ આંદોલન હોય કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, એવાં બધાં આંદોલનોમાં એક સામાન્ય તત્ત્વ જોવા મળે છે : આંદોલનની શરૂઆત લોકહિતના નક્કર મુદ્દે, લોકોના વાસ્તવિક અસંતોષથી થાય છે, મોટી સંખ્યામાં સામાન્ય લોકો વ્યાપક બેદિલીના અને હતાશાના ભાગરૂપે તેમાં જોડાય છે. પરંતુ જેમ જેમ આંદોલનને લોકોનો ટેકો મળતો જાય અને તેનું જોર વધતું જાય, તેમ રાજકીય પક્ષોના ખેલાડીઓનો તેમાં રસ વધવા માંડે છે. પોતાની મેળે, પોતાની કામગીરીના બળે કશું પણ નક્કર કરી શકવા અને લોકોની સામેલગીરી સિદ્ધ કરી શકવા અસમર્થ રાજકીય પક્ષો, આ પ્રકારના આંદોલનથી પેદા થયેલી શક્તિ પર સવાર થઇ જવા કોશિશ કરે છે અને મોટે ભાગે તેમાં સફળ પણ થાય છે. પરિણામે, થોડા સમય પછી આંદોલનની ધરી ખસી જાય છે, સત્તાધીશો તરીકે વાજબી રીતે જ ટીકાનું કેન્દ્ર બનેલા મુખ્ય મંત્રી મુખ્ય વિલન તરીકે ચિતરાય છે અને સલુકાઇથી આંદોલન મુખ્ય મંત્રી હટાવોનું સ્વરૂપ ધારણ કરી લે છે.

ગુજરાતમાં પહેલાં પાટીદાર અનામત આંદોલન અને હવે દલિત અત્યાચારવિરોધી આંદોલનમાં સીધેસીધું ભલે એવું કહેવાયું ન હોય, પણ આંદોલનના મૂળ મુદ્દાની સાથોસાથ ગુજરાતનાં મુખ્ય મંત્રીનો વિરોધ અને તેમને હટાવવાનો સૂર ધ્યાનથી સાંભળનાર કોઇને પણ સંભળાય એવાં છે. અગાઉ દિલ્હીમાં અને પછી રાષ્ટ્રિય સ્તરે થયેલા આંદોલનમાં અન્ના હજારે અને કેજરીવાલે શરૂઆત ભ્રષ્ટાચારવિરોધથી કરી હતી, પરંતુ તેનું પરિણામ ઠંડકથી જોતાં શું દેખાય છે? એ વખતે કેજરીવાલના કાર્યક્ષેત્ર દિલ્હીનાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિત મુખ્ય વિલન ચિતરાયાં હતાં અને કેજરીવાલ સત્તા પર આવે તો શીલા દીક્ષિતને જેલના સળિયા ગણવા પડે, એવું ઘણાને લાગ્યું હતું. પરંતુ અત્યારે કેજરીવાલ મુખ્ય મંત્રી છે, ભ્રષ્ટાચારનો મુદ્દો તેનો પ્રભાવ ગુમાવી બેઠો છે અને શીલા દીક્ષિત જેલના સળિયા ગણે છે? ના, શીલા દીક્ષિત ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં મુખ્ય મંત્રીપદનાં ઉમેદવાર છે. રાષ્ટ્રિય સ્તરે કાળાં નાણાં અને યુપીએના ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવનાર નરેન્દ્ર મોદી અને તેમના પક્ષે પણ શું કર્યું? લોકોના અસંતોષને પોતાની તરફેણમાં વાળ્યો, સત્તાપલટો સિદ્ધ કર્યો, પોતે સત્તા મેળવી અને કાળાં નાણાં? ખબરદાર, એ વિશે વાત કરવી, એ સરકારની ટીકા કરવા બરાબર ગણાશે.


બોધ મેળવવા માટે જરૂર કરતા વધારે ઉદાહરણો છે. તેમાંથી ગુજરાતના દલિતોએ અને સામાજિક ન્યાયમાં માનતા સૌ કોઇએ એટલો ધડો લેવો જોઇએ કે ઊના અત્યાચારવિરોધી આંદોલન આનંદીબહેન પટેલ હટાવો આંદોલન બની ન જાય. મુખ્ય મંત્રીઓ આવે ને જાય. તેનો કશો હરખશોક ન હોય. પણ સત્તાપલટાથી લોકોનો માંડ જાગેલો વાજબી અસંતોષ ઠરી જાય છે અને જે મુદ્દે અસંતોષ જાગ્યો હતો, તે સામાજિક ભેદભાવ ઠેરનો ઠેર રહી જાય છે. કારણ કે સામાજિક ન્યાયના મુદ્દે એકેય રાજકીય પક્ષને વખાણવા જેવો નથી. ઊના અત્યાચારની ચિનગારી ફક્ત એક કેસ પૂરતી ન રહેતાં, તે સામાજિક ભેદભાવવિરોધી જાગૃતિ આણનારી બની રહે અને તેનાથી કમ સે કમ જ્ઞાતિઆધારિત વ્યવસાયોની જંજીરમાંથી દલિતો આઝાદ થાય, તો એ આંદોલનની મોટી ઉપલબ્ધિ ગણાશે.

પાટીદાર આંદોલન અને દલિત અજંપો
(તંંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, ૨૩-૭-૧૬)

સરખામણી અસ્થાને હોવા છતાં બન્ને પરિબળોએ ગુજરાતના રાજકીય-સામાજિક જીવનમાં જે તરંગો પેદા કર્યા છે એ જોતાં, બન્ને વચ્ચે સરખામણી થવી લાજમી છે. કંઇ નહીં તો તેમની વચ્ચેના વિરોધાભાસ અંકે કરવા માટે પણ એ જરૂરી છે.

સૌથી પહેલો મુદ્દો સામાજિક-આર્થિક-રાજકીય પરિસ્થિતિનો. પાટીદાર આંદોલનનું એક સૂત્ર હતું,‘અમને અનામત આપો અથવા બધી અનામત દૂર કરો.બહોળા પાટીદાર સમુદાયમાંથી નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને થયેલો અન્યાયબોધ અથવા પોતાની નબળી સ્થિતિ વિશેનો તેમનો રોષ વાજબી હોય, તો પણ એ રોષ બીજા કોઇ પણ સામાજિક સમુદાયનો હોઇ શકતો હતો. જન્મે પાટીદાર હોવાને કારણે તેમની સાથે અન્યાય થયો હોવાનો કોઇ સવાલ ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો, પાટીદારોને જે અન્યાયબોધ લાગતો હતો, તે આર્થિક હતો. દલિતોનો અન્યાયબોધ સંપૂર્ણપણે સામાજિક અને ભેદભાવકેન્દ્રી છે. સદીઓથી ચાલુ રહેલા અને સમય બદલાવા છતાં બદલાયેલા સ્વરૂપે (અને ઘણી જગ્યાએ તો જૂના સ્વરૂપે) ચાલુ રહેલા ભેદભાવ-આભડછેટ અને તેમાંથી પેદા થતા અત્યાચાર વિશે દલિતો બેદિલી અનુભવે છે. તેમના માટે સૌથી પહેલો સવાલ માણસ તરીકેની ગરીમા અને ભારતના નાગરિક તરીકેના મૂળભૂત અધિકાર મેળવવાનો છે. પાટીદારોમાં બધા એકસરખા સમૃદ્ધ નથી હોતાએવી દલીલથી પાટીદાર અનામતની માગણી કરનારા અનામતના બળે બે પાંદડે થયેલા નાનકડા દલિત વર્ગને આગળ ધરીને, ‘હવે ક્યાં સુધી આ લોકોને અનામત આપવાની?’ એવી દલીલ કરી શકે છે અને એમાં તેમને કશો વિરોધાભાસ  લાગતો નથી.

પાટીદાર આંદોલનમાં પહેલેથી હાર્દિક પટેલની નેતાગીરી અને તેની પાછળ આખા સમાજનો આર્થિક સહિતનો મજબૂત ટેકો દેખાયાં છે. શરૂઆતના તબક્કે તો સરકાર પણ જાણે આંદોલન માટે સુવિધાઓ કરી આપતી હોય એવી મુદ્રામાં નજરે પડી હતી. ત્યાર પછી તોડફોડ અને પોલીસદમનનો દૌર ચાલ્યો. પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ સરકાર સાથે હંમેશાં હુંકારની ભાષામાં વાત કરતા અને સરકાર ઇંચ નમે, તો તેને વેંત નમાવવાની અને વેંત નમે તો હાથ નમાવવાની રીત અપનાવતા દેખાયા. પાટીદાર આંદોલનના કેન્દ્રીય સંચાલનની સરખામણીમાં દલિત અસંતોષની અભિવ્યક્તિ વ્યાપક હોવા છતાં, તેનું આયોજન કોઇ એક ઠેકાણેથી થતું હોય, એવું હજુ સુધી લાગ્યું નથી. રાજ્યવ્યાપી દલિત અસંતોષમાં વ્યક્તિગત નિરાશા અને તેને વ્યક્ત કરવા માટેના- તેને લોકો સુધી પહોંચાડવાના અનુકૂળ સંજોગોથી માંડીને રાજકીય દોરીસંચાર સુધીનાં અનેકવિધ પરિબળોનો સરવાળો ધારી શકાય છે. પરંતુ કોઇ એક દલિત સંગઠન કે દલિત નેતા તેના આગેવાન તરીકે હજુ સુધી તો ઉભર્યા નથી. ટીવી પરની ચર્ચાઓમાં દલિત કાર્યકરો અને અભ્યાસીઓ પરિસ્થિતિ વિશે વાત કરતા દેખાય છે, પણ તેમાંથી કોઇ આંદોલનના પ્રવક્તા નથી.

ઊનામાં જે થયું તે ખોટું છે, પણ તોડફોડના મુદ્દે પાટીદાર આંદોલનની ટીકા કરનારા અત્યારે દલિતો દ્વારા થતી તોડફોડને કેમ વધાવે છે?’ આવો સવાલ પણ રાબેતા મુજબ ચર્ચામાં છે. આવું પૂછનારાએ એટલું સમજવાનું રહે છે કે ઊનામાં જે થયું છે તેની ટીકા વાટકીવ્યવહારના ધોરણે કરવાની ન હોય અને એની ટીકા કરીને એ કોઇની પર કશો ઉપકાર કરતા નથી. કોઇ પણ સંવેદનશીલ નાગરિકને તેનાથી ખેદ થવો જોઇએ. રહી વાત હિંસા અને તોડફોડની. તો કોઇ પણ સમુદાય દ્વારા થતી આ પ્રકારની તોડફોડને કોઇ પણ સંજોગોમાં વાજબી ઠરાવી ન શકાય કે તેને ક્રાંતિની અભિવ્યક્તિ ગણાવી ન શકાય. પ્રજાકીય એટલે કે પોતાની મિલકતોને નુકસાન પહોંચાડીને અસંતોષ વ્યક્ત કરવો એ ઉશ્કેરાટભરી મૂર્ખામી છે. એવી રીતે ગમે તેટલો સાચો ફરિયાદી પણ અંશતઃ આરોપીના કઠેડામાં આવે છે. તેનાથી જે હેતુ માટે દેખાવ યોજાય છે તેને ફાયદો નહીં, નુકસાન જ પહોંચે છે. 

1 comment:

  1. Your narrative suggest to understand the real issue of Dalit in the society, which is linked to economy from one end, and from another angle of politics it is linked with 'identity politics' which is play game with fire by all political parties (UPA, NDA, etc.etc. etc.). Even after 66 years of Independence, out of non-resolved issues, neither citizen, nor government, and its machineries consider violation of Constitutional Rights, damage(s) to Tax-Payers, Treasury. Hope in near future and our future generation would experience and fight for protecting Constitutional Guarantee, Tax Money, Treasury blended with sovereignity of pluralistic country.

    ReplyDelete