Wednesday, May 25, 2016

સૂરજ રે, જલાતે રહેના...

ક્રિકેટમૅચના સ્કોર કે શૅરબજારના સૅન્સેક્સ જેવા આંકડાની ચિંતા કરનારા લોકોનું ગયું સપ્તાહ એક જુદા પ્રકારના આંકડાની ચર્ચા કરવામાં વીત્યું.વાત તો ડિગ્રીની જ હતી, પણ એ ડિગ્રી વડાપ્રધાનની નહીં, થર્મોમીટરની હતી. બન્ને મામલા ગરમાગરમ હતા અને બન્ને પ્રકારની ડિગ્રીની ખરાઇ ચર્ચાસ્પદ રહી. છતાં, એકાદ સપ્તાહ પૂરતો થર્મોમીટરની ડિગ્રીનો આતંક લોકોનાં મનમાં અને સ્માર્ટફોનના સ્ક્રીન પર છવાયેલો રહ્યો.

વડાપ્રધાને દેખાડેલું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન ગરમીના દિવસોમાં વ્યાપક સ્તરે સાકાર થયુ-- ભલે વાંકદેખા મીડિયાએ તેની નોંધ લેવા જેટલી મૌલિકતા ન દેખાડી હોય. અગાઉની સરકારોના વખતમાં ઘણા લોકો છાપામાં ગરમીના આંકડા વાંચીને પશ્ચાદ્‌વર્તી (ગુજરાતીમાં કહીએ તો, રેટ્રોસ્પેક્ટિવ) અસરથી ગરમીના હાયકારા કરતા હતા. જોયું? છાપામાં લખ્યું છે કે કાલે ૪૪ ડિગ્રી હતી, ને કાલે જ હું ભરબપોરે બહાર ફરતો હતો. આ વાંચ્યા પછી લાગે છે કે ૪૪ ડિગ્રીમાં રખડવા બદલ પટકાઉં નહીં તો સારું. ખરેખર, આ ગરમીનો --એટલે કે તેના સમાચારનો-- બહુ ત્રાસ છે.

આ વખતે નવી સરકારની ડિજિટલ ઇન્ડિયાસ્કીમ એટલી અસરકારક રીતે અમલી બની કે ગરમીના આંકડા વાંચીને હાયવોય કરવા માટે લોકોએ જૂનવાણી યુગનાં છાપાં પર આધાર રાખવાનું છોડી દીઘું અને સૌ ડિજિટલ યુગમાં દાખલ થયા. ગયા સપ્તાહે ગરમીનું બૂમરાણ મચાવનારા મોટા ભાગના લોકો સ્માર્ટફોનધારક હતા. ફોનના સ્ક્રીન પર ૪૯-૫૦ ડિગ્રીના આંકડા જોઇને તેમને બેચેની લાગવા માંડી, માથું ચકરાવા લાગ્યું. તેનો નીવેડો છાશ પીવાથી કે માથે ભીનાં પાણીનાં પોતાં મૂકવાથી આવે એમ ન હતો. સ્ક્રીન થકી માથે ચઢેલી ગરમીનું મારણ એક જ હતું : ગરમીનો આંકડો દેખાડતા સ્ક્રીનની તસવીર (સ્ક્રીનશૉટ) સોશ્યલ મિડીયા પર મૂકીને રાહતનો શ્વાસ લેવો. ફેસબુક-વૉટ્‌સેપ પર ગરમીનું સ્ટેટસ વેળાસર અપડેટ નહીં કરીએ તો સભ્ય સમાજમાંથી બહાર ફેંકાઇ જઇશુંએવી ચિંતાથી ઘણા લોકો તપારો-બફારો-દઝારો અનુભવવા લાગ્યા. એ પણ ગરમીની જ અસર ન કહેવાય?

ફિલ્મોના પ્રતાપે મોટા ભાગના લોકોને પોલીસની થર્ડ ડિગ્રીનો ખ્યાલ હોય છે, પણ સૂરજની થર્ડ ડિગ્રી કેવી હોય તેનો અનુભવ આ ઉનાળે પાકા પાયે થયો. ઉપરવાળા માટે કહેવાય છે કે એની લાકડીમાં અવાજ નથી હોતો. સૂરજની લાકડીપણ એવી જ હતી. તેનો ત્રાસવાદ દેખીતી રીતે પુરવાર કરવાનું અઘરું હતું, પણ તેના આતંકના પરચા એસી ઑફિસથી માંડીને ખુલ્લી સડક સુધી જોવા મળ્યા. એસી ઑફિસમાં કામ કરતા લોકો લોકો લાંબો સમય ઑફિસમાં બેસવા લાગ્યા અને સાહેબોના મનમાં પોતાની નિષ્ઠાનો ભ્રમ પેદા કરવા લાગ્યા. સાહેબોને રહેતે રહેતે સમજાયું કે આ ભાઇ (કે બહેન) વેળાસર ઑફિસે આવી જાય છે ને સમય પૂરો થયા પછી પણ થોડી વાર રહીને નીકળે છે, એ માટે પોતાનો નહીં, સૂર્યનો આતંક જવાબદાર છે.

સૂર્યનો ત્રાસવાદકે સૂર્યનો આતંકજેવા શબ્દપ્રયોગો આમ તો વાજબી નથી. મેઘાણીની બહારવટિયા પરંપરાના પ્રેમીઓ તેને સૂરજનું બહારવટુંકહી શકે. કારણ કે મૂળભૂત ગુનેગાર સૂરજ નથી. સૂરજ તો જે છે, તે જ છે. પણ માણસોની આડેધડ, અવિચારી વિકાસદોડને લીધે, પર્યાવરણના સત્યાનાશને લીધે સૂરજ એવો આકરો લાગે છે, જાણે માણસજાત સામે બહારવટે ચડ્યો હોય.

આવી ગરમીથી બચવા કે તેને અટકાવવા શું કરવું જોઇએ, એ અંગે વિવિધ લોકોનાં સૂચન લેવાયાં હોત તો?

પાટીદાર આંદોલન સમિતિ
અમે માનીએ છીએ કે હાર્દિક પટેલને મુક્ત કરવામાં આવશે અને અમારી અનામત સહિતની તમામ માગણી સંતોષવામાં આવશે, તો તાપમાનનો પારો ૪૮ની આસપાસથી સીધો ૩૮ની આસપાસ આવી જશે. કારણ કે, ૧૦ ડિગ્રી ગરમી તો અમારા આંદોલનની જ હશે. એક વાર સરકાર અમારી શરતો સ્વીકારી લે તો પછી અમે એવી માગણી પણ કરવાના છીએ કે ગુજરાતમાં ઠંડકની પણ અનામત પ્રમાણે વહેંચણી કરવામાં આવે. વ્યવહારમાં આવું કેવી રીતે થાય એની અમને ખબર નથી, એ અમારો વિષય નથી ને એ જાણવાની અમને પરવા પણ નથી. એ કામ સરકારનું છે ને સરકાર એનો અમલ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જય સરદાર.

આનંદીબહેન પટેલ
લોકો ભલે એવી અફવા ફેલાવ કે હું હસીશ તો આપોઆપ તાપમાન નીચું આવી જશે. આ અને મારા વિશેની બીજી તમામ અફવાઓનું હું ભારપૂર્વક ખંડન કરું છું. આટલી કાળઝાળ ગરમીમાં મારી પ્રજા શેકાતી હોય ત્યારે બહેન જાય છેએવી અફવા ફેલાવવા બદલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવાનો વિચાર મને આવ્યો હતો. પણ પછી થયું કે આવી ગરમીમાં બીજી કોઇ સુવિધા તો છે નહીં ને ઇન્ટરનેટ પણ નહીં હોય, તો લોકો કરશે શું? અને એમનો રોષ કદાચ મારી પર ઠલવાય. આ સ્પષ્ટતાનો અર્થ કોઇએ એવો ન કાઢવો કે ગરમી ઓછી થયા પછી મારી જવાની શક્યતાઓ છે.

ઍન્કાઉન્ટર કરનાર જાંબાઝઅફસરો
ત્રાસવાદ નાબૂદ કરવા માટે અમે કોઇ પણ હદે જવા ઉત્સુક હોઇએ છીએ. માથે સાહેબોનું છત્ર હોવું જોઇએ અને અમને જાંબાઝ-વીર-બહાદુર ગણનાર ભક્તમંડળ હોવું જોઇએ, બસ. સૂર્ય આતંક મચાવતો હોય અને તેના ઍન્કાઉન્ટરથી અમારા સાહેબોને કંઇક ફાયદો થવાનો હોય, તો એનું પણ ઍન્કાઉન્ટર કરી નાખવું જોઇએ, એવું અમારું આગ્રહપૂર્વકનું સૂચન છે. એક વાર ઍન્કાઉન્ટર કરી નાખ્યા પછી આપણે કાયમની જેમ જાહેર કરી દેવાનું કે આ સૂર્ય વાસ્તવમાં પાકિસ્તાને મોકલેલો ત્રાસવાદી હતો, જે ભારતના વડાપ્રધાનને બદનામ કરવા માટે સૂર્યનું માયાવી સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. (અમને જાંબાઝને જાન પર ખેલનારાતરીકે પૂજી શકતી પ્રજાને ત્રાસવાદી માયાવી સ્વરૂપ ધારણ કરીને સૂર્ય બની શકે, એવું સ્વીકારવામાં તકલીફ ન પડવી જોઇએ.) અમે સૂરજનું ઍન્કાઉન્ટર કરી નાખીએ એટલે દુષ્ટ સૅક્યુલરિસ્ટો રાબેતા મુજબ કકળાટ કરશે, પણ એમની અમને પરવા નથી. અમારી બિરદાવલીઓ ગાનારાના મુખેથી ઝરતી અમારી પરાક્રમગાથા અમને દેશહિતનાં આવાં કાર્યો કરવા માટે પ્રેરે છે અને પ્રેરતી રહેશે.

ગુજરાત કૉંગ્રેસ
અમે રાહુલજીને ગુજરાતમાં બોલાવીને ઠેરઠેર તેમની સભાઓ યોજવા માગીએ છીએ. રાહુલજી દેશનું ભવિષ્ય છે. રાહુલજી ભારતની આવતી કાલ છે. રાહુલજી યુવા નેતૃત્વની સક્ષમ મિસાલ છે...અને અમારો અનુભવ છે કે રાહુલજી જ્યાં જાય ત્યાં બધું ટાઢુંબોળ થઇ જાય છે. તો પછી તેમની આ પ્રતિભાનો લાભ ગુજરાતને શા માટે ન અપાવવો?

No comments:

Post a Comment