Tuesday, May 12, 2015

સ્માર્ટ સિટી : નાગરિકી અપેક્ષા

વડાપ્રધાને ભારતમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી, ત્યારથી ‘સ્માર્ટ સિટી’/smart city નવેસરથી ચર્ચામાં છે. ખૂબીની વાત એ છે કે જેની પર હજારો કરોડ રૂપિયાના દાવ લાગવાના છે અને જેનું જોરશોરથી, આક્રમક માર્કેટિંગ થવાનું છે એ ‘સ્માર્ટ સિટી’ એટલે ખરેખર શું, એની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી. ભાષણબાજ નેતાઓને તો જાણે સમજ્યા કે આવા મોહક શબ્દોથી આગળ જવાની જરૂર ન પડે, પણ જેમનો આ વર્ષોના અભ્યાસનો વિષય છે એવા લોકો સુદ્ધાં ‘સ્માર્ટ સિટી’ના ખ્યાલને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વાહનવ્યવહાર, પર્યાવરણ, રોજગારી, રહેઠાણ, આરોગ્ય, ઊર્જાબચત, ઇ-ગવર્નન્સ, ઇન્ટરનેટ કનેક્શન જેવી સુવિધાઓના માપદંડથી વૈશ્વિક સ્તરે ‘સ્માર્ટ સિટી’ની વ્યાખ્યા બાંધવાના પ્રયાસ થાય છે અને તેમાં કયાં સિટી કેટલાં ‘સ્માર્ટ’ છે, તેના ગુણાંક અપાય છે. આમસ્ટરડામ, સિંગાપોર જેવા જૂજ અપવાદોને બાદ કરતાં ન્યૂયોર્ક સહિતનાં બીજાં શહેરો પણ એ ગુણાંકમાં ઘણાં પાછળ છે, ત્યારે આપણા વડાપ્રધાને ૧૦૦ સ્માર્ટ સિટીની જાહેરાત કરી પાડી છે.

કેટલાક અભ્યાસીઓ માને છે કે એવી કોઇ ચોક્કસ અવસ્થા નથી, જ્યાં પહોંચ્યા પછી સિટી ‘સ્માર્ટ’ થઇ ગયું કહેવાય. તેમના મતે સિટીનું ‘સ્માર્ટ’ બનવું એક પ્રક્રિયા છે. ગયા સપ્તાહે ‘સેપ્ટ’/CEPT (અમદાવાદ)ના ‘સેન્ટર ફોર અર્બન ઇક્વિટી’ / CUE દ્વારા યોજાયેલા ‘સ્માર્ટ સિટી’ વિશેના એક સેમિનારમાં લીડ્‌ઝ યુનિવર્સિટીનાં ડૉ.અયોના દત્તા/Dr.Ayona Duttaએ કહ્યું કે કહેવાતાં ‘સ્માર્ટ’ સિટી ખરેખર તો ‘અનસ્માર્ટ’ બને એવી શક્યતા વધારે હોય છે. કારણ કે  તેમાં કોરી, આંકડાકીય કે અલ્ગોરિધમીક (કમ્પ્યુટરના પ્રોગ્રામ જેવી) માહિતીના આધારે શહેરને સમજવાનો પ્રયાસ થાય છે. ઉદાહરણ તરીકે તેમણે કહ્યું, ધારો કે (કહેવાતા) સ્માર્ટ સિટીમાં બળાત્કારના બનાવો વધી પડે, તો કયા વિસ્તારમાં, કયા સમયે બળાત્કાર વઘુ થાય છે અથવા એની સંભાવના રહે છે, એવી માહિતી મેળવી શકાય. તેના આધારે પગલાં લઇને ‘સ્માર્ટ’ બન્યાનો સંતોષ લઇ શકાય, પણ એવા અનેક પ્રશ્નોની સામાજિક આંટીધૂંટી સમજવામાં- ઉકેલવામાં નકરો ડેટા કામ લાગતો નથી. જેમની શ્રદ્ધેયતા અને સફળતા વિશે પૂરી ખાતરી નથી એવી ટેક્‌નોલોજી પર વઘુ પડતો મદાર બાંધવામાં પણ ભયસ્થાનો છે. ‘સ્માર્ટ’ બનવાની ઝડપમાં આંધળુકિયાં કરવા જેવાં નથી.  જાહેર સ્થળે સ્માર્ટ નેટવર્ક દ્વારા એકઠી કરાતી માહિતીનો દુરુપયોગ એક એવો ગંભીર મુદ્દો છે, જેના વિશે પૂરતી સભાનતા પણ નથી.

એક અભ્યાસીએ કહ્યું તેમ, શહેરને ‘સ્માર્ટ’ બનાવવાની કે ‘સ્માર્ટ સિટી’ની જુદી કેટેગરી પાડવાની કશી જરૂર નથી. નાગરિકો માટે શહેર કેવળ ‘સારું’ હોય એટલું પૂરતું છે. ભારત જેવા દેશમાં શહેરી વિસ્તારોમાં પાણી, વીજળી, મકાન જેવી મૂળભૂત જીવનજરૂરી સુવિધાઓના વાંધા હોય છે. ત્યારે ‘સ્માર્ટ સિટી’નાં ગુલાબી સપનાંને કારણે, ખર્ચનો મોટો હિસ્સો બિનજરૂરી અથવા ઓછી પ્રાથમિકતા ધરાવતી ચીજો પાછળ ખર્ચાઇ જવાની શંકા રહે છે. સરકારના ગુલાબી ચિત્રમાં બંધબેસતા ન હોય એવા વંચિત વર્ગને ‘સ્માર્ટ સિટી’માં હાંસિયામાં પણ સ્થાન મળશે કે કેમ, એ સવાલનો સીધો અને સંતોષકારક જવાબ મળતો નથી.  સ્માર્ટ સિટીની રંગીન કલ્પનાઓ રજૂ કરતી વખતે સરકાર સામાજિક અસમાનતાને લક્ષમાં લેતી નથી, એવું પણ ડૉ.આયોના દત્તાએ ‘સ્માર્ટ સિટી વિશેના ભ્રમ’ની વાત કરતાં કહ્યું.

‘સ્માર્ટ સિટી’ માટે સરકારે કરેલી રૂપિયાની ફાળવણી બીજા ખર્ચના --અરે, વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોના ઉજવણીખર્ચના-- પ્રમાણમાં ચણામમરા બરાબર છે. તેમાં પડતી મસમોટી ઘટ માટે સરકારનો એવો ખ્યાલ છે કે ખાનગી કંપનીઓ આકર્ષાઇને મૂડીરોકાણ કરશે અથવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપથી એવા પ્રોજેક્ટ પાર પડશે.  સરકારી આયોજનોમાં ‘પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ’ (પીપીપી) જેવા રૂપાળા શબ્દપ્રયોગો ઘણા વપરાય છે, પણ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં સરકારને જેટલો રસ ઝાકઝમાળમાં અને વટ પાડવામાં હોય છે, એટલો રસ પાયાનાં કામ કરવામાં નથી હોતો. (સૌથી મોટું ઉદાહરણ : નર્મદા યોજનાનું રાજકારણ વિ. કેનાલોનું બાકી રહેલું કામ) માટે, કાગળ પરનો આશાવાદ વ્યવહારમાં ફેરવવાનું અશક્યની હદે અઘરું બને છે.

ભારતની સામાજિક વિષમતા સમજીને, તેની કરચલીઓ શક્ય એટલી ઓછી કરવા માટે સ્માર્ટનેસ કરતાં વધારે જરૂર સંવેદનશીલતાની અને સાચી દાનતની પડવાની છે. આ બન્ને ગુણો પહેલાં શહેરમાં નહીં, વહીવટકર્તાઓ અને નાગરિકોમાં હોવા જોઇએ. એ લોકોમાં નહીં હોય તો કૂવા-હવાડા ન્યાયે ‘સિટી’માં પણ ક્યાંથી આવશે?

અપેક્ષાઓની યાદી

‘સ્માર્ટ સિટી’ અથવા એના નામે જે કંઇ બનવાનું હોય તેના નામે કમિટીઓ રચાશે, નિષ્ણાતો મળશે, પ્રવાસો થશે અને કંઇક નીતિઓ ઘડાશે. પરંતુ ગુજરાતના, ભારતના નાગરિક તરીકે, ‘સ્માર્ટ સિટી’ અંગે કેવી અપેક્ષા રાખી શકાય? આ અપેક્ષાઓ ‘આદર્શ’ નહીં, પણ વ્યવહારમાં અમલી બનાવી શકાય એવી છે. (તેમાં બીજા ઘણા ઉમેરા કરી શકાય. વાત ‘સ્માર્ટ સિટી’ની હોવાથી આ સૂચન શહેરો પૂરતાં મર્યાદિત છે.)

  • સ્માર્ટ સિટીમાં ગટરસફાઇનું કામ માણસો દ્વારા નહીં, સંપૂર્ણપણે મશીન દ્વારા થવું જોઇએ. સ્માર્ટ સિટીનું વહીવટી તંત્ર સફાઇના કોન્ટ્રાક્ટ આપીને, આ બાબતે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી શકે નહીં. આવું અમાનવીય કામ સફાઇ કર્મચારી પાસેથી કરાવનાર સામે કડક પગલાં લેવાવાં જોઇએ. એ માટે ગટરમાં ઉતરેલો કર્મચારી મૃત્યુ પામે ત્યાં સુધી રાહ જોવાની જરૂર ન હોય. 
  • શહેરમાં ઇષ્ટદેવને યાદ કર્યા વિના રસ્તા પર ચાલી શકાય અને રસ્તો ઓળંગી શકાય એવી વ્યવસ્થા હોવી જોઇએ. આ માટે સરકાર વ્યવસ્થા ઊભી કરે પછી નાગરિકોએ તેનો ચુસ્તીપૂર્વક અમલ કરવો પડે. 
  • શહેરની સડકો પર સાયકલચાલકો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જોઇએ. પેટ્રોલ-ડીઝલ-સીએનજીથી ચાલતાં વાહનોની સરખામણીમાં સાયકલચાલકોને શક્ય હોય ત્યાં અલગ રસ્તો આપવો અને એ શક્ય ન હોય ત્યાં પૂરતી સલામતી પૂરી પાડવી જોઇએ.  
  • શહેરમાં દર કિલોમીટરે ઓછામાં ઓછું એક જાહેર શૌચાલય સંકુલ હોવું જોઇએ. આ બધાં સંકુલોમાં પાણીની વ્યવસ્થા હોવી જોઇએ.  
  • સામાન્ય અને મઘ્યમ વર્ગને પોસાય એવાં ઘર શહેરથી દૂર જ શા માટે હોય? અને શહેરમાં કેમ ન મળી શકે? એક બેડરૂમનાં ઘર સરકાર બનાવે અથવા સરકાર રીઅલ એસ્ટેટના બજારને આ કામ માટે પ્રેરણા-પ્રોત્સાહન આપે. જેમને રોકાણ માટે ઘર ખરીદવાં છે, એ ભલે શહેરથી દૂરનાં ઘર ખરીદે. 
  • ટ્રાફિકસિગ્નલ પર એક સમયે મુકાયેલાં અને હવે બંધ થઇ ગયેલાં ટાઇમર ફરી ચાલુ થવાં જોઇએ. તેમનો ચુસ્તીથી અમલ થવો જોઇએ. ટ્રાફિકના ગુના માટે હકારાત્મક છતાં કડક સજા થવી જોઇએ. જેમ કે, સિગ્નલ તોડવા જેવા ગુના માટે પકડાયેલા માણસને વાહન બાજુ પર મૂકાવીને અડધો કલાક માટે એ જ પોઇન્ટ પર ઊભો રાખવો. સાથે પોલીસ તો હોય જ, પણ એ ભાઇ કે બહેનને ખ્યાલ આવે કે આ રીતે ફરજ અદા કરનારની હાલત કેવી થાય.
  • ચોમાસા વખતે શહેરમાં ભરાતા પાણીની સમસ્યાનો ઇજનેરી કૌશલ્ય વડે કાયમી નિકાલ કરવો જોઇએ. એના માટે તોડફોડ કરવાની થાય તો એક વાર એ પણ કરવી પડે. (આમ પણ, ‘આ કામ આપની સુવિધા વધારવા માટેનું છે’નાં પાટિયાંની નવાઇ હોતી નથી.)
  • દર ચોમાસે શહેરના રસ્તાનું રીસરફેસિંગ કરવાને બદલે, થોડી વધારે મહેનત લઇને, એક વારનો વધારે ખર્ચ કરીને, ટકાઉ રસ્તા બનાવવા જોઇએ. રસ્તાની એક બાજુ ટ્રાફિક અને બીજી બાજુ નવા રસ્તાનું કામ ચલાવી શકાય. આ રીતે બનેલા રસ્તાની જાળવણી અને ગુણવત્તાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નક્કી થવી જોઇએ. વર્ષેવર્ષે ડામરના થર કરવાને બદલે, આ વિકલ્પ અનેક ગણો વધારે ‘સ્માર્ટ’ નથી? 
  • ઝૂંપડામાં રહેતા લોકોને કૉર્પોરેશન દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડાવી જોઇએ. ત્યાં કેબલ કનેક્શન હોય, પણ પાણીનું કનેક્શન ન હોય એવું શા માટે? ઝૂંપડાં ગેરકાયદે હોય એટલે આવી સુવિધા આપવામાં ખચકાટ થતો હોય, તો તેમની સમસ્યાનો કાયદાકીય ઢબે અને માનવીય ધોરણે ઉકેલ લાવવો પડે. શહેરના તમામ નાગરિકોને તમામ મૂળભૂત સુવિધાઓ આપવી એ કોઇ પણ શહેરની કે ગામની પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. 
  • કોર્પોરેટ હોસ્પિટલોને સસ્તા ભાવે જમીન અને બીજી રાહતો આપવાને બદલે, એટલી રકમ સરકારી હોસ્પિટલના આઘુનિકીકરણ અને તેમને (ફીની રીતે નહીં, પણ સેવાની રીતે) ‘પ્રોફેશનલ’ બનાવવામાં વાપરવામાં આવે. 
  • શહેરમાં જાહેર પરિવહન સુવિધાને શક્ય એટલી સસ્તી અને એકબીજા સાથે જોડેલી રાખવામાં આવે. અમદાવાદની વાત કરીએ તો, એએમટીએસ- બીઆરટીએસના રૂટનું યોગ્ય સંકલન કરવામાં આવે. એએમટીએસ સેવા સાથે ‘ઓરમાન’ વ્યવહાર રાખવાને બદલે, તેને અગાઉ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે. સાંકડા રસ્તા પર ધરાર ઘર-દુકાનો તોડીને બીઆરટીએસના કૉરિડોર બનાવવાને બદલે, ત્યાં નાની બસો ચલાવી શકાય. જાહેર પરિવહન વ્યવસ્થા એવી હોય કે લોકો પોતાનું વાહન વાપરવાને બદલે તેમાં જવાનું પસંદ કરે. 
  • અમદાવાદમાં બીઆરટીએસ-એએમટીએસ ચાલતી હોય ત્યારે મહામોંઘી મેટ્રો રેલ આણવાનો નિર્ણય એકેય રીતે સ્માર્ટ નથી. ‘મેટ્રો’ના ખર્ચામાં આગળ જણાવેલા ઘણાખરા સુધારા પાર પાડી શકાય. 
  • મ્યુનિસિપલ શાળાઓને આઘુનિક બનાવવી અને તેના શિક્ષકો તૈયાર કરવા માટે ખાસ અભ્યાસક્રમ ચલાવવા.
  • શહેરનો કચરો સીમમાં ડુંગરસ્વરૂપે ખડકવાને બદલે, તેના નિકાલની અસરકારક વ્યવસ્થા ગોઠવવી.. 
આ અને આવા બીજા સુધારા થાય તો પછી સિટી માટે ‘સ્માર્ટ’ જેવાં લટકણિયાંની જરૂર નહીં પડે. આખરે, સિટી ‘સ્માર્ટ’ લાગે એના કરતાં લોકોને પોતીકું લાગે, એ વધારે મહત્ત્વનું નથી?


1 comment:

  1. Anonymous7:15:00 AM

    આટલું થાય તો રામરાજ્ય આવ્યું જ સમજો, ઉર્વીશભાઈ. આભાર
    --ભરત ભટ્ટ , સિડની

    ReplyDelete