Monday, March 23, 2015

આલ્બર્ટ આઇન્સ્ટાઇન- ગગનવિહારી મહેતા : એક વિશિષ્ટ મેળાપ

ગુજરાતીમાં હાસ્યલેખક, અંગ્રેજીમાં લેખક-પત્રકાર-વ્યંગકાર,  ભારતભરમાં રાજપુરૂષ, ઉદ્યોગપતિ અને જાહેર જીવનના અગ્રણી, અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતા/ Gaganvihari Mehta અને આઇન્સ્ટાઇન/ Einstein વચ્ચેની એક કલાકની મુલાકાતમાં શું બન્યું? 
ન્યૂયોર્કમાં ઇન્ડિયા ટુરિસ્ટ ઑફિસના આરંભે પ્રવચન આપતા
રાજદૂત ગગનવિહારી મહેતા/
GaganVihari Mehta (ફેબ્રુઆરી, ૧૯૫૩)

મહાન અને પ્રસિદ્ધ- એમ બન્ને વિજ્ઞાનીઓની નાતમાં મોખરાનું સ્થાન ધરાવતા આઇન્સ્ટાઇનની વિદાયને આવતા મહિને સાઠ વર્ષ પૂરાં થશે. (મૃત્યુતારીખઃ ૧૮ એપ્રિલ, ૧૯૫૫).   સાપેક્ષવાદની તેમની બે મહાન  થિયરીમાંથી E=MC2 નું વિખ્યાત સમીકરણ અને સમયની-લંબાઇની સાપેક્ષતા સિદ્ધ કરનાર ‘સ્પેશ્યલ થિયરી ઑફ રિલેટીવીટી’ને ૧૧૦ વર્ષ અને ગુરૂત્વાકર્ષણની પાયાની સમજ આપનાર ‘જનરલ થિયરી ઑફ રિલેટીવીટી’ને ૧૦૦ વર્ષ થયાં. છતાં, એ થિયરીની નક્કરતા અને આઇન્સ્ટાઇનની મહત્તામાંથી કાંકરી પણ ખરી નથી. તેમના જેવા વિજ્ઞાની અને એક ગુજરાતી અગ્રણી વચ્ચે મુલાકાત થઇ હોય, એ કલ્પના જ રોમાંચ પેદા કરનારી છે.

ગુજરાતી સાહિત્યમાં ‘અવળીગંગા’ અને ‘આકાશનાં પુષ્પો’ જેવા હાસ્યલેખસંગ્રહોથી જાણીતા ગગનવિહારી મહેતા આઇન્સ્ટાઇનને અલબત્ત હાસ્યલેખક તરીકે કે ગુજરાતી તરીકે મળ્યા ન હતા. એ અમેરિકામાં ભારતના રાજદૂતની રૂએ, તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુનું નિમંત્રણ લઇને આઇન્સ્ટાઇનના ઘરે ગયા હતા. સાથે તેમનાં પુત્રી અપર્ણા (લગ્ન પછી, અપર્ણા બાસુ) પણ હતાં. એ પ્રસંગ વિશે અપર્ણાબહેને તેમના પિતાના ચરિત્ર ‘જી.એલ.મહેતા : અ મેની સ્પ્લેન્ડર્ડ મેન’ (૨૦૦૧)માં પંદર-વીસ લીટીની નોંધ કરી છે. તેમણે લખ્યું છે કે જતાં પહેલાં હું (અપર્ણા) નર્વસ હતી- મને ખચકાટ થતો હતો. એ વિશે બાપુએ આઇન્સ્ટાઇનને કહ્યું, એટલે એમણે મને પૂછ્‌યું, ‘તું ગાંધીને મળી છું?’ મેં હા પાડી, એટલે આઇન્સ્ટાઇને કહ્યું, ‘તો પછી ચિંતા શાની? એ તો મારા કરતાં બહુ વધારે મહાન માણસ હતા.’

ગાંધીજીના મૃત્યુ પછી આઇન્સ્ટાઇને આપેલી પ્રખ્યાત અંજલિ   ભવ્ય હોવા છતાં અતિ વપરાશને કારણે ચવાઇ ગઇ છે, પણ ગગનવિહારી મહેતા સાથેની મુલાકાતમાં આઇન્સ્ટાઇને ગાંધીજી વિશે ઘણી વાતો કરી હતી. મહેતાએ નોંઘ્યું છે તેમ, એક કલાકના વાર્તાલાપમાં  લગભગ અડધો સમય આઇન્સ્ટાઇન ગાંધીજી વિશે બોલ્યા હતા. ૪ એપ્રિલ, ૧૯૫૩ના દિવસે થયેલી તેમની મુલાકાતનો મુખ્ય હેતુ આઇન્સ્ટાઇનને ભારતમાં યોજાનારી સાયન્સ કૉંગ્રેસનું આમંત્રણ આપવાનો હતો. મહેતા પિતા-પુત્રી પહોંચ્યાં ત્યારે તેેમને આવકારવા માટે આઇન્સ્ટાઇન અને તેમનાં (બીજાં પત્નીનાં આગલા લગ્નથી થયેેલાં) પુત્રી સીડી પર ઊભાં હતાં. તેેમનું આંતરબાહ્ય વર્ણન આપતાં ગગનવિહારી મહેતાએ લખ્યું છે : ‘ઉંમરને લીધે સહેજ વળેલ છતાં એ સશક્ત લાગતા. એમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો, કપાળમાં કરચલીઓ પડી હતી, વાળ વીખરાયેલા હતા, વિચારશીલ અને મમતાભરી આંખો હતી, એમની સારીયે પ્રતિમા પ્રેમાળ હતી. બુદ્ધિના તેજ સાથે અંતરની મીઠાશ પણ સ્ફુરી આવતી. આંજી નાખે એવી એમની પ્રતિભા કરતાં એમની સહૃદયતા, સરળતા અને પ્રેમાળતાની મારા પર એ ક્ષણે તો વધારે છાપ પડી.’

ભારત આવવાના નિમંત્રણ માટે તો તેમણે ઉંમરને કારણે અશક્તિ દર્શાવી, પણ ભારત અને ગાંધી-નહેરુ માટે આદરભાવ વ્યક્ત કર્યો. વાતવાતમાં તેમણે કહ્યું, ‘નહેરુ મહાન નેતા છે, પણ ગાંધીજીની વાત જુદી. એને નહેરુ ન પહોંચે.’ આઇન્સ્ટાઇન બર્લિનમાં હતા ત્યારે રવીન્દ્રનાથ ટાગોરને પણ મળ્યા હતા. તેમની અને ટાગોરની તસવીર બહુ જાણીતી છે. ભારતીય ફિલસૂફીની વાત નીકળતાં ગગનવિહારી મહેતાએ ડૉ.રાધાકૃષ્ણન્‌નું નામ લીઘું, પણ જેમનો સાપેક્ષવાદ ભાગ્યે જ કોઇ સમજી શકે એવા આઇન્સ્ટાઇને કહ્યું, ‘હિંદુ ફિલસૂફી હું સમજી શકતો નથી.’ (પ્રચલિત કિસ્સા પ્રમાણે, આઇન્સ્ટાઇનને ઇન્કમટેક્સની આંટીધૂંટી થિયરી ઑફ રિલેટીવિટી કરતાં પણ અઘરી લાગતી હતી.)

મહેતા પિતા-પુત્રી આઇન્સ્ટાઇનના રૂમમાં દાખલ થયાં ત્યારે તેમના ટેબલ પર કોઇ પુસ્તકની હસ્તપ્રત પડી હતી. આઇન્સ્ટાઇને એ દેખાડીને કહ્યું, ‘આ ગાંધી પરનું પુસ્તક છે. તેમાં ગાંધીના મંતવ્યો અને વિચાર વિશે સમીક્ષા કરવામાં આવી છે. મને એની પ્રસ્તાવના લખવા કહ્યું છે.’ પછી રમૂજના ચમકારા સાથે કહ્યું, ‘એનો લેખક અમેરિકાનો એક લશ્કરી અમલદાર છે--એમ તો કેટલાક અમેેરિકનો વિચારશીલ પણ હોય છે.’

આઇન્સ્ટાઇન ગાંધી વિશે કેટલું વિગતવાર જાણતા હશે-- ખાસ કરીને ઉત્તરાવસ્થાના, પારાવાર હતાશા અનુભવતા ગાંધી વિશે--એ નક્કી કરવું અઘરું છે. કારણ કે ગગનવિહારી મહેતાને તેમણે કહ્યું હતું, ‘હિંદુસ્તાન જેવા દેશમાં જ ગાંધી થઇ શકે અને ત્યાંની જનતા જ એમનો સંદેશો સમજી શકે--તેમને સાથ આપી શકે.’

બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અણુબૉમ્બના ઉપયોગે ખળભળાટ મચાવ્યો હતો. સામુહિક સંહારનું આટલું મોટું શસ્ત્ર અગાઉ કદી પ્રયોજાયું ન હતું. તેના સર્જનના મૂળમાં ઉર્જા અને દળનો અભિન્ન સંબંધ દર્શાવતું આઇન્સ્ટાઇનનું E=MC2 સૂત્ર હતું. વિશ્વયુદ્ધ વખતે જર્મની અણુબૉમ્બ બનાવશે એવું લાગતાં, ખુદ આઇન્સ્ટાઇને અમેરિકાના તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખીને અણુબૉમ્બ બનાવવા જણાવ્યું હતું. પરંતુ તેનાં પરિણામની ભયંકરતા જોયા પછી આઇન્સ્ટાઇન હચમચી ગયા અને તેના પ્રખર તથા એકંદરે યુદ્ધના પ્રખર વિરોધી બન્યા.

વૈજ્ઞાનિક શોધના દુરુપયોગ કે સદુપયોગ માટે વિજ્ઞાનીને જવાબદાર ન લેખી શકાય, એવી એક દલીલ ત્યારે ચાલતી હતી. ગગનવિહારી મહેતાએ દિલ્હી રેડિયો પર થયેલી ચર્ચામાં એક અંગ્રેજ વિજ્ઞાની પાસેથી તે સાંભળી હતી. પરંતુ આઇન્સ્ટાઇન એવા બચાવમાં માનતા ન હતા. તેમણે કહ્યું કે ‘વિજ્ઞાનીઓ પણ નાગરિકો છે અને તેમની નૈતિક જવાબદારી હોય છે.’ સામાન્ય રીતે શક્તિશાળી દેશોને એવું હોય છે કે આપણે બૉમ્બ નહીં બનાવીએ, તો હરીફ દેશ બનાવી દેશે. મહેતાએ આ માનસિકતાની વાત મૂકી ત્યારે આઇન્સ્ટાઇને તેમને કહ્યું, ‘તમારા ગાંધીની દૃષ્ટિ એવી ન હતી.’

ગગનવિહારી મહેતાએ તેમને ‘મહાપુરુષ’ ગણાવ્યા, ત્યારે આઇન્સ્ટાઇને ‘મૃદુ સ્વરે, ધીમેથી વાંધો ઉઠાવ્યો’. મહેતાએ કહ્યું, ‘મહાપુરુષ કદી પોતાને મહાન લેખતા નથી. એટલે જ એ ખરેખર મહાન હોય છે. અમારા ગાંધી કોઇ દિવસ પોતે અસાધારણ છે એમ કહેતા નહીં--માનતા પણ નહીં. એ તો ઘણી વાર કહેતા કે, ‘‘હું બીજા માણસો જેવો સીધોસાદો માનવી છું. હું જે કરું છું અને કરી શક્યો છું એ બીજું કોઇ પણ કરી શકે.’’ એથી જ બીજાને કંઇ પણ કરવાનું કહેતાં પહેલાં એ પોતે એનું આચરણ કરતા.’

આ સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું,‘મહેરબાની કરીને ગાંધી સાથે મારી સરખામણી ન કરો. ગાંધીએ માનવજાત માટે કેટલું બઘું કર્યું છે. મેં શું કર્યું છે? એ ખરું છે કે મેં વિજ્ઞાનના ક્ષેત્રમાં થોડા નિયમ શોઘ્યા છે, પણ એવું કામ તો બીજા ઘણા વિજ્ઞાનીઓએ કર્યું છે. એમાં કંઇ અસાધારણ નથી.’ ગગનવિહારી મહેતાએ નોંઘ્યું છે, ‘આ વાક્યમાં લેશમાત્ર પણ આડંબરી વિનય નહોતો. નહોતો એમાં અંશમાત્ર ઢોંગ. હતી એક ઉત્કૃષ્ટ વ્યક્તિના જીવનની વિશુદ્ધ નમ્રતા, જ્ઞાનપરાયણ જીવનની પરાકાષ્ઠાએ પહોંચેલા આત્માની અનન્ય સરળતા.’

આઇન્સ્ટાઇન સાથે ગગનવિહારી મહેતા-અપર્ણા મહેતાની મુલાકાતની કોઇ તસવીર મળી શકી નથી. આ મુલાકાત વિશે પહેલી વાર મહેતાએ અમેરિકાના ‘સેટરડે રીવ્યુ’ના એપ્રિલ ૧૪, ૧૯૫૬ના અંકમાં લખ્યું. આઇન્સ્ટાઇનની પહેલી પુણ્યતિથિ હોવાથી એ અંકના મુખપૃષ્ઠ પર આઇન્સ્ટાઇનનું બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હતું અને તેની નીચે લખ્યું હતું, ‘આલ્બર્ટ આઇન્સ્ટાઇન : ટુ રેમીનીસન્સીસ બાય જી.મહેતા એન્ડ અપ્ટન સિન્ક્લેર.’ (સિન્ક્લેર નોબેલ પારિતોષકથી સન્માનિત અમેરિકન લેખક હતા).
Saturday Review /‘સેટરડે રીવ્યુ’નું મુખપૃષ્ઠ
અને ગગનવિહારી મહેતા/GL Mehtaના લેખનો ઉપાડ
ત્યાર પછી મે, ૧૯૬૮માં  ‘આઇન્સ્ટાઇન : વિજ્ઞાનનો સાધુ’ શીર્ષક હેઠળ પરિચય ગગનવિહારી મહેતાએ લખેલી પરિચય પુસ્તિકા પ્રકાશિત થઇ. તેના અડધા ભાગમાં ‘સેટરડે રીવ્યુ’માં પ્રગટ થયેલા તેમના લેખનો અનુવાદ હતો અને બાકીના હિસ્સામાં આઇન્સ્ટાઇનના જીવન વિશેની વિગતો. આ લેખ માટે આ બન્ને સંદર્ભો ઉપયોગમાં લેવામાં આવ્યા છે. લેખનો વિષય આઇન્સ્ટાઇન-મહેતા મુલાકાત હોવાથી, ગગનવિહારી મહેતાના પ્રતાપી વ્યક્તિત્વ અને પ્રદાન વિશેની વાત ફરી ક્યારેક.

No comments:

Post a Comment