Monday, March 16, 2015

સ્ત્રીજાગૃતિ અને શિક્ષણથી માંડીને સમાજસુધારાની અનેક પ્રવૃત્તિઓમાં પાયાનું કામ કરનાર શારદાબહેન મહેતા

dr.sumant mehta- sharada mehta / ડો.સુમંત મહેતા- શારદા મહેતા

dr.sumant mehta- sharada mehta / ડો.સુમંત મહેતા- શારદા મહેતા
જેમના માટે ગુજરાતમાં જાહેર પ્રવૃત્તિ અને રાજકીય જીવનનો ઇતિહાસ ગાંધીજીના આગમનથી શરૂ થતો હોય, તેમણે ઇન્દુલાલ યાજ્ઞિક અને શંકરલાલ બેન્કર જેવાં પાત્રો ઉપરાંત ડૉ.સુમંત મહેતા અને શારદાબહેન મહેતાનો પરિચય મેળવવો રહ્યો. ગ્રેજ્યુએટ થનાર પહેલી બે ગુજરાતી યુવતીઓમાંના એક શારદાબહેન (બીજાં તેમનાં મોટાં બહેન વિદ્યાગૌરી)નું જીવન અને ૧૯૩૮માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા ‘જીવન સંભારણાં’ સો વર્ષ પહેલાંના ગુજરાતી સમાજનો નોંધપાત્ર દસ્તાવેજ છે. (તેની બીજી આવૃત્તિ ૧૯૮૩માં પ્રગટ થઇ હતી). ગાંધીજી ભારત પાછા ફર્યા તે પહેલાં ગુજરાતમાં થયેલા સમાજસુધારાના પ્રયાસોમાં  શારદાબહેન-ડૉ.સુમંતભાઇ અને વિદ્યાગૌરી-રમણલાલ નીલકંઠ (‘ભદ્રંભદ્ર’ ખ્યાત) આ બન્ને દંપતિ અને તેમનાં પરિવારોની કામગીરી ગૌરવપ્રદ હતી.

યુવતીઓને ભણાવવાનો રિવાજ ન હતો - અને કહેવાતા ઊચ્ચ કુળના લોકો પોતાની દીકરીઓને શાળાએ ન મોકલવામાં ગૌરવ અનુભવતા હતા- ત્યારે શારદાબહેન મહેતા અને સુલોચનાબહેને મળીને કેટલાક બીજા અગ્રણીઓના સહકારથી અમદાવાદમાં ‘વનિતાવિશ્રામ’ નામે મહિલા વિદ્યાલય સ્થાપ્યું. એ વખતે શારદાબહેનનાં સંતાનો નાનાં. પતિ ડૉ.સુંમત મહેતા વડોદરા રાજ્યની વૈભવી નોકરી છોડીને સેવાર્થે અમદાવાદ આવીને, લાલ દરવાજા પાસે ભાડાના ઘરમાં વસ્યા હતા. એટલે જીવનશૈલીમાં પણ બદલાયેલી. આ બધા પડકારોનો સામનો શારદાબહેને સફળતાપૂર્વક કર્યો.

અમદાવાદ પછી સુરતમાં પણ મહિલા વિદ્યાલય શરૂ થયું. તેની અસરો વિશે શારદાબહેને ‘જીવન સંભારણાં’માં નોંઘ્યું છે,‘મહિલા વિદ્યાલયની શરૂઆતથી ગુજરાતના સ્ત્રીજીવનમાં નવા અંકુર ફુટ્યા. સ્ત્રીઓમાં જાગૃતિ આવી. સ્ત્રી ઉન્નતિને માટે વિદ્યાલયમાં ભગિનીસમાજની પણ સ્થાપના થઇ. તેમાં વક્તૃત્વકળા, ગરબા વગેરેની વ્યવસ્થા રાખવામાં આવી. તેને લઇને કન્યાઓની માતાઓ સાથે સીધો સંબંધ સ્થપાયો અને નીચેથી ઊંચે જુએ નહીં એવી સ્ત્રીઓ છૂટથી હરતીફરતી થઇ. સભાઓ અને ભાષણોમાં સ્ત્રીઓની સંખ્યા વધી.’ (ફિલ્મોના અભ્યાસી ગણાતા એક હિંદીભાષી લેખકે થોડાં વર્ષ પહેલાં ગુજરાત વિદ્યાપીઠના સાદરા કેન્દ્ર આયોજિત એક સેમિનારમાં બિનધાસ્ત એવું ગબડાવ્યું હતું કે ફિલ્મોના શોને કારણે મહિલાઓ ઘરની બહાર નીકળતી થઇ અને તેમનામાં જાગૃતિ આવી.)

ભગિનીસમાજનો આશય ‘સરકારી શિક્ષણ કરતાં જુદું, સમાજની પરિસ્થિતિને અનુકૂળ, માઘ્યમિક શિક્ષણ’ આપવાનો હતો. શિક્ષણ ત્યારે ધંધો બન્યું ન હતું. ઘણા શિક્ષિત લોકો ભાવનાથી પ્રેરાઇને, સ્કૂલના પગાર કરતાં ઓછી રકમથી, શિક્ષણ આપવા જતા હતા. ખુદ શારદાબહેન પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે ગાડીભાડા પેટે મહિને રૂ.૨૦ સિવાય બીજું કંઇ લેતા નહીં. તેમના આ વિદ્યાલયની ખ્યાતિ અને તેનું અમદાવાદમાં હોવું- એ કારણે ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સરોજિની નાયડુ, પંડિત માલવીય, સયાજીરાવનાં પુત્રી (ગાયત્રીદેવીનાં માતા) ઇંદિરારાજે, ચીમનલાલ સેતલવાડ, ભૂલાભાઇ દેસાઇ, લલ્લુભાઇ શામળદાસ મહેતા જેવા અગ્રણીઓ સંસ્થાની મુલાકાત લઇ ગયા. આ સંસ્થાનો સ્વતંત્ર અભ્યાસક્રમ ઘડવામાં ઇંદુલાલ યાજ્ઞિક અને કેશવલાલ દેસાઇ મદદરૂપ થયા.

આ સંસ્થામાંથી પાસ થયેલી વિદ્યાર્થીનીઓને આગળ ભણવા માટે શું કરવું? કૉલેજ માટે મોટું ભંડોળ જોઇએ અને આર્થિક મુશ્કેલીનો પાર નહીં. પરંતુ કેટલાંક સંગઠનો અને અગ્રણીઓના ટેકાથી અમદાવાદમાં અને વડોદરાનાં મહારાણીની મદદથી વડોદરામાં મહિલા કૉલેજ શરૂ થઇ શકી. (કન્યાકેળવણીની જાહેરખબરો પાછળ લાખો રૂપિયા ખર્ચીને સાર્થકતા અનુભવતી રાજ્ય સરકાર અને તેમનાં પ્રચારતંત્રો આવા પ્રયાસોથી સુખપૂર્વક અજાણ હોય છે.)

ભારત પાછા ફર્યા પછી ગાંધીજીએ ફીજીમાં ગીરમીટીયા (પાંચ વર્ષનો ગુલામીખત જેવો એગ્રીમેન્ટ-‘ગીરમીટ’ - કરીને ગયેલા મજૂરો) નો પ્રશ્ન ઉપાડ્યો. અમદાવાદના પ્રેમાભાઇ હૉલમાં એ મુદ્દે જાહેર સભા થઇ ત્યારે શારદાબહેને પહેલી વાર જાહેરમાં - અને એ પણ, કહેવાતા ‘સ્ત્રીલક્ષી’ નહીં, પણ રાષ્ટ્રિય મહત્ત્વના મુદ્દે પ્રવચન કર્યું. તેમણે લખ્યું છે,‘ગાંધીજીએ આ વસ્તુ પ્રથમથી જ મને બરોબર સમજાવી હતી. વિષય પણ આવેશ ઉપજાવે તેવો હતો. એટલે મારા મનમાં આ વાતની ખૂબ અસર થઇ. ભાષણ કરતી વખતે મારી આંખમાંથી લગભગ આંસુ પડ્યાં હતાં...’

ગાંધીજી સાથે શારદાબહેનને લગભગ કૌટુંબિક કહેવાય એવો સંબંધ થયો. ડૉ.સુમંત મહેતા સેવાર્થે બહાર ફરતા હોય અને શારદાબહેન તેમના બહોળા પરિવાર સાથે એકલાં રહેતાં. એટલે ગાંધીજી તેમને કહેતા, ‘હું અને આશ્રમ નજીક જ છીએ. જ્યારે જરૂર પડ્યે ત્યારે બારણાં ખુલ્લાં જ છે. કોઇ વાતે મૂંઝાશો નહીં.’ ૧૯૧૭માં ગોધરામાં ભરાયેલી અને ઐતિહાસિક બની રહેલી રાજકીય પરિષદમાં શારદાબહેન મહેતાને સંસારસુધારા પરિષદનું પ્રમુખસ્થાન આપવામાં આવ્યું. તેમના મનમાં અવઢવ હતી, પણ ગાંધીજીના આગ્રહ અને પતિ ડૉ.સુમંત મહેતાના હકારાત્મક અભિપ્રાય પછી તેમણે એ પદ સ્વીકાર્યું.

શારદાબહેનનના યુગ પછી છેક હજુ સુધી ઘણી વાર એવું જોવામાં આવે છે કે સંસ્થાઓના હોદ્દે બેઠેલી મહિલાઓ કારકિર્દીની બાબતમાં ઉત્સાહી, પણ સમાજસુધારા કે બીજી વૈચારિક બાબતો પ્રત્યે ઉદાસીન હોય. શારદાબહેન કેવળ હોદ્દામાં કે મોભામાં રાચનારાં ન હતાં. ધર્મના નામે ચાલતા પાખંડ, દેખાડા અને રૂપિયાના ઘુમાડાથી તે અકળાતાં હતાં. ઘણા નાગરો કે બ્રાહ્મણો કે ક્ષત્રિયો કે બીજા સમાજના લોકો હજુ પોતાની સંકુચિત જ્ઞાતિઓળખમાંથી બહાર આવી શકતા નથી. અને પોતાની જ્ઞાતિનું અભિમાન લેવાની એકેય તક ચૂકતા નથી, જ્યારે શારદાબહેને લખ્યું છે, ‘(મુંબઇની) મુસાફરી પછી તરત જ અમને સહુને સુરતના નાગરોએ આમંત્રણ આપ્યું. માત્ર નાગરોનો મેળાવડો હતો. અમે તેમાં ગયાં હતાં. ત્યાર પછી કોમી ભાવનાને ઉત્તેજન ન આપવાને ખાતર અમે એવા કોમી સમારંભમાં ભાગ લેતાં નથી. આજના જમાનામાં જે તે કામ કોમી દૃષ્ટિએ નહિ, પણ સાર્વજનિક દૃષ્ટિએ થવું જોઇએ. કોમી ભિન્નતા તોડવાનો એ જ એક માર્ગ છે.’ શારદાબહેને જે ‘આજના જમાના’ની વાત કરી, તે વર્ષ ૧૯૩૮નો હતો. વર્ષ ૨૦૧૫માં સોશ્યલ મીડિયાના ‘આજના જમાના’માં પણ કેટલા લોકો આવા મિથ્યાભિમાન અને સંકુચિતતામાંથી નીકળી શક્યા છે?

જાહેર જીવનના અનેક મોરચે સક્રિય શારદાબહેન ૧૯૩૮-૨૯માં નવા યુનિવર્સિટી એક્ટ પછી સેનેટની ચૂંટણીમાં ઉમેદવાર બન્યાં.  ચૂંટણીનો આ તેમને પહેલો અનુભવ હતો. એ જીતી તો ગયાં, પણ ત્યાર પછીની વાસ્તવિકતા તેમના જ શબ્દોમાં : ‘સાચી સેવા કરવાની ઇચ્છાથી નહિ, પણ માનમરતબો મેળવવા તથા પોતાનાં હિતો સાચવવા માટે જ મોટે ભાગે આવાં મંડળોમાં જોડાય છે. લઘુમતીમાં રહેલા નિઃસ્વાર્થી સભ્યો ભાગ્યે જ પોતાના અવાજને અમલમાં મુકાવી શકે છે. અનેક વાર મેં ખર્ચ ઘટાડવાને, અભ્યાસક્રમ સુધારવાને, પરીક્ષાપદ્ધતિ અને સમય બદલવાને, સ્ત્રીઓને માટે છાત્રાલયો કરવાને, ગૃહવિજ્ઞાન દાખલ કરવાને અને પરીક્ષાઓમાં પ્રામાણિકતા સાચવવાને માટેના ઠરાવો લાવીને કાંઇ કાંઇ ફાંફાં માર્યાં, પણ તે ઘણે ભાગે ફાંફાં જ રહ્યાં.’

‘યુનિવર્સિટીઓની પેટાસમિતિઓમાં લાગતાંવળગતાંનું હિત જોવાતું હોય છે. પુસ્તકો, બાંધકામ, પરીક્ષકો નીમવા વગેરેમાં સગાં અને મિત્રો કેવી રીતે ફાવે એની ઉપર નજર હોય છે. વિદ્યાર્થીઆલમનું કલ્યાણ કે ઘડતર કોઇના લક્ષમાં જ નથી હોતું. બ્રિટિશ સલ્તનતને મજબૂત કરવા માટે અંગ્રેજી કેળવણીના પાયા રચાયા હતા. રાષ્ટ્રીય ભાવના જાગ્રત થયા પછી પણ તેમાં ફેરફાર થયો નથી. અંદરની બાજી જાણ્યાથી આખી પ્રથાની નિષ્ફળતાનો મને પૂરેપૂરો ખ્યાલ આવ્યો. અનેક પ્રકારની ખટપટો, દગલબાજી, દુષ્ટતા અને નીચતા ચારે બાજુ જોવામાં આવી.’

શારદાબહેનને ૧૯૨૯-૩૦ની આસપાસ થયેલો આ અનુભવ એટલો સાંપ્રત અને પ્રસ્તુત લાગે, જાણે અત્યારનો કોઇ ધોરણસરના સેનેટ સભ્યે એ લખ્યો હોય. યોગાનુયોગે તેમના પુત્ર રમેશભાઇ સિત્તેરના દાયકામાં વિદ્યાનગરની સરદાર વલ્લભભાઇ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ નીમાયા. શારદાબહેનના છેલ્લા દિવસ પણ વિદ્યાનગરમાં પુત્રના ઘરે વીત્યા. નવેમ્બર ૧૩, ૧૯૭૦ના રોજ ૮૮ વર્ષે પૂરી સ્વસ્થતાથી જમવા બેઠેલાં શારદાબહેન એ જ અવસ્થામાં ઢળી પડ્યાં. ૨૬ જૂન, ૧૮૮૨થી શરૂ થયેલી તેમની ઘટનાપ્રચૂર અને એ સમયની જૂજ મહિલાઓને નસીબ થાય એવી જીવનયાત્રાનો અંત આવ્યો અને રહી ગયાં ‘જીવન સંભારણાં.’

2 comments:

  1. Anonymous10:36:00 PM

    Very much inspiring information, and relevant for clonning method in new culture of market-economy, a great challenge.

    I have seen a clonning activity in Juhapura-Sarkhej by Prof. (Mrs.) Chand Bibi, who has established a Gulshane Mehr School, after retiring from School of Languages, College of Sciences, University of Gujarat.

    School campus and activities are very inspiring. School is also providing teaching facilities for Urdu Learning, a Diploma from Central Government.

    Urvishbhai, thanks for writing on contribution in Education, especially by women.

    Jabir

    ReplyDelete
  2. ઉર્વીશભાઈ તમારો ખુબ ખુબ આભાર. મને તમારા બ્લોગ વિશે હજી હમણાજ ખબર પડી. સમાચારપત્રો થી તો મને એલર્જી થયી ગયી છે. ગુણવંત શાહ થોડા દાર્શનિક બાજુ વાળી ગયા છે અને વધ્યા કન્તીભટ્ટ જે compressed zip drive જેવા લેખ થયી ગયા છે. અમારી જેવા ૧૯૮૭ પછી જન્મેલા ને તો આવા કોઈ લોકો વિષે ખાસ જ્ઞાન જ નથી. તમારા જેવા લોકો જે એક પાનું લખવા માટે જબરદસ્ત સંશોધન (કે પછી તમારી કુટુંબની intellectual based સંસ્કૃતિ જ. એનો ગુજરાતી શબ્દ નો આવડ્યો.) જેવી મહેનત અને એ પણ ફાસ્ટફૂડ કરતા પણ ફાસ્ટ સમાચારો ના જમાના માં ખરેખર તો ઉપકાર થી ઓછી નથી.
    Difference between Reporter and journalist shows in your writings.

    ReplyDelete