Friday, March 13, 2015

કેટલીક રાજકીય રોજનીશી

બધાને લાગતું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ભવ્ય વિજય તથા બન્ને જગ્યાએ કોગ્રેસના ભવ્ય પરાજય પછી રાજકીય ગતિવિધિ થાળે પડીને ઠરી જશે. કારણ કે જે થયું એનાથી વધારે આત્યંતિક હવે કશું થઇ શકે એમ નથી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં જે કંઇ બન્યું એ જોતાં, રાજકારણ ઠરવાને બદલે ઉકળવા લાગ્યું છે. કાશ્મીરમાં ભાજપની સ્થિતિ ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઇ છે, તો દેશભરમાં ‘આપ’ના કાર્યકરો માટે વિવાહને બદલે વરસીનું વાતાવરણ સર્જાયું. જમીન સંપાદન વિધેયકના મુદ્દે સંસદમાં સરકારને મુશ્કેલીમાં મુકવાની મજબૂત તક હતી, ત્યારે રાહુલ ગાંધી વેકેશન પર ઉતરી ગયા , તો ‘આપ’માં આંતરિક વિખવાદ વખતે અરવિંદ કેજરીવાલ સિક લીવ પર જતા રહ્યા. આ બધાના મનમાં શું ચાલતું હશે? એમની કાલ્પનિક રોજનીશીના કેટલાક અંશ.
***
રાહુલ ગાંધીની ડાયરી 

હું કોણ છું? ક્યાં છું? ક્યારથી છું? જે છું તે કેમ છું? જે નથી તે કેમ નથી? જે નથી તે છું, એવું કેમ લાગે છે? જે છું તે છું જ નહીં, એવું પણ કેમ લાગે છે? આ બધા ગહન સવાલો છે. મારે કોઇ વ્યવસ્થિત માણસને પૂછવા પડશે. દિગ્વિજયસિંઘ? ના...ના... મમ્મી? નો વે... જોકે, આટલું લખ્યા પછી મને લાગે છે કે આ સવાલને વ્યક્તિગત ધોરણે લેવાને બદલે તેને વ્યાપક ફિલોસોફિકલ ઢબે લેવામાં જ દેશનું, પક્ષનું અને ખાસ તો મારું કલ્યાણ છે.

મંગળ ગ્રહની ભૂતકાળમાં નષ્ટ થયેલી જીવસૃષ્ટિ પણ હવે જાણી ચૂકી હશે કે હું વેકેશન પર છું. વેકેશન પર હોવું ગુનો છે? કોંગ્રેસી હોવું ગુનો છે? રાહુલ ગાંધી હોવું ગુનો છે? સૉરી, હું જરા વહી ગયો. પણ એક વાર આવા જ વહેણમાં મેં કોઇને આ સવાલ પૂછી નાખ્યા ત્યારે મને જવાબ મળ્યો હતો, ‘ના, બિલકુલ નહીં. પણ આ બધા પછી દેશના વડાપ્રધાન બનવાનાં સ્વપ્નાં સેવવાં એ ગુનો છે.’ હું પ્રામાણિક છું. અરવિંદ કેજરીવાલ ભલે માને કે આખા જગતમેં તે એક જ પ્રામાણિક છે. હું ખોટું નહીં બોલું. મેં ઇન્ડિયન પીનલ કોડ વાંચ્યો નથી. છતાં મારામાં એટલી (કેટલાક લોકોના મતે, એટલી જ) કૉમન સેન્સ તો (બચી) છે કે વડાપ્રધાન બનવાનાં સ્વપ્નાં જોવાં એ ગુનો નથી, એટલું હું સમજી શકું. હું કંઇ નાનો કીકલો નથી કે આટલુંય ન સમજું. (જે આ વાંચતા હોય, તેમને વિનંતી કે આ અગત્યની માહિતી મારાં મમ્મીને અને તેમના સલાહકારને ખાસ પહોંચાડે.)

તો, હું એમ કહેતો હતો કે હું વેકેશન પર છું અને એની મને શરમ નથી. ભાજપના સ્યુડો-હિંદુત્વની સામે હું નવું સૂત્ર આપવાનો છું, ‘ગર્વસે કહો, હમ વેકેશન પર હૈં.’ મને ખબર છે કે આ સાંભળીને કૉંગ્રેસના જૂના જોગીઓ હસશે. કોઇ તો કહેશે પણ ખરું કે ‘બાબા, આપણે વેકેશન પર શું ઉતરતા હતા? લોકોએ જ આપણને વેકેશન પર ઉતારી દીધા છે. હવે આપણામાંથી ઘણાને ‘વેકેશન’ના નહીં, ‘વૉકેશન’ના પ્રશ્નો થયા છે.’ પરંતુ તમે જાણો છો કે હું કઠણ અને દૃઢનિશ્ચયી માણસ છું. હું આવી ટીકાઓથી ડરવાનો નથી. મેં એક વાર નક્કી કર્યું હતું કે કોંગ્રેસનો કાયાકલ્પ કરીને જ હું જંપીશ. તો જુઓ, એ ઘ્યેયના અડધે રસ્તે તો હું સફળતાપૂર્વક પહોંચી ગયો છું. ફિનિક્સ પક્ષીની વાર્તા જાણતા સૌને ખબર હશે કે નવા અવતાર માટે એક વાર રાખવામાં ફેરવાવું જરૂરી હોય છે. મારે ઘ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે આ રાખ કોઇ પોતાના શરીરે ચોળીને, કોઇ સંઘમાં જોડાઇ ન જાય કે નવો સંઘ ઊભો ન કરી નાખે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

મૈં તો બહુત છોટ્ટા આદમી હું. મેરી ઔકાત હી ક્યા હૈ. (ખાસ નોંધઃ ‘આપ’ની કારોબારીએ ૧૧ વિરુદ્ધ ૮ મતથી ઠરાવ કરીને નક્કી કર્યું છે કે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે કરેલી પક્ષની સેવાઓની કદરરૂપે, અરવિંદ કેજરીવાલે અંગત સુવેનિયર તરીકે આ બન્ને સંવાદો પર પોતાનો હક જતો કરવો અને તેના તમામ અધિકાર યાદવ-ભૂષણને એનાયત કરવા. અરવિંદકા ભૂષણ-યાદવસે હો ભાઇચારા, યહી પૈગામ હમારા..)

મારા શુભેચ્છકોએ કહ્યું કે ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ.’ એટલે હું સમજી ગયો. તરત નેચરોપથીમાં પહોંચી ગયો. ત્યાં રોજ મારા માથ પર ‘શિરોધારા’ તરીકે ઓળખાતી પ્રક્રિયા થાય છે, જેમાં મારા માથા પર તેલની ધાર કરવામાં આવે છે. હું ચૂપચાપ, બોલ્યા વિના, રોજ તેલ પણ જોઉં છું ને તેલની ધાર પણ. લોકો કહે છે કે હું ભાગી ગયો. દિલ્હીમાં પહેલી વાર રાજીનામું આપ્યું ત્યારે પણ લોકો આમ જ કહેતા હતા. એટલે મને એ કોઠે પડી ગયું છે.

લોકો કહે છે કે હું મોઢામાં મગ ભરીને બેઠો છું. યોગેન્દ્ર અને પ્રશાંત વિશે કંઇ કહેતો નથી. હું શું બોલું? હું સત્તાને સાધના તરીકે જોઉં છું અને વિપશ્યનાની સાધના કરું છું. વિપશ્યનામાં બોલવાની અમસ્તી પણ મનાઇ હોય છે. તેમાં માણસ આત્મચિંતન કરે છે. ઘણા વખત સુધી મેં દિલ્હીનું મુખ્ય પ્રધાનપદું છોડવા વિશે મૌન રહીને ચિંતન કર્યું. પણ એ મુદ્દો જતો રહ્યા પછી મને ચિંતા થઇ કે હું કયા મુદ્દે આત્મચિંતન કરીશ? પણ હવે યોગેન્દ્ર અને પ્રશાંતનો કિસ્સો બન્યા પછી મારામાં રહેલો સાધકનો આત્મા જાગી ઉઠ્યો છે. તે આત્મચિંતન કરવા તત્પર છે, પણ એક વાર બઘું ઠરે તો ખરું.

દરમિયાન, યોગેન્દ્ર અને પ્રશાંતને પણ હું સલાહ આપું છું કે તે પણ અહીં આવીને તેલ અને તેલની ધાર જોઇ જાય અને ત્યાર પછી જ આગળનું પગલું ભરે. વડાપ્રધાનને વાત કરીને ડિસ્કાઉન્ટનું હું કરાવી દઇશ અને એ બન્નેને કહીશ કે તેમને હાંકી કાઢવાનું પગલું પણ જરા ડિસ્કાઉન્ટ સાથે લે અને મનમાં કડવાશ ન રાખે. રાજકારણમાં આવું બઘું તો ચાલ્યા કરે.

વડાપ્રધાન મોદીની ડાયરી

આ ડાયરી હું સાદાં વસ્ત્રો પહેરીને લખી રહ્યો છું. એ વસ્ત્રો પર મારું તો ઠીક, કંપનીનું નામ પણ લખ્યું નથી. હું સાદગીપ્રિય માણસ છું. મને સાદગી બહુ ગમે છે. સાદગીને બે શીંગડાં હોય છે. તેના વડે વિરોધ કરનારને અડફેટે લઇ શકાય છે ને ઘાયલ પણ કરી શકાય છે. સાદગીને ચાર આંચળ હોય છે. તેને દોહવી હોય એટલી દોહી શકાય છે અને તે પાટું મારતી નથી. સાદગી એક પાળવા જેવું પ્રાણી છે. દરેક રાજનેતાએ તે પાળવું જોઇએ.

ગાંધીજીની રાજકીય સમજ ઓછી. એટલે તેમણે સાદગી રાખી ખરી, પણ પાળવા માટે બકરીને પસંદ કરી. મને ગાંધીજી બહુ ગમે છે. કારણ કે એ કદી વડાપ્રધાન બન્યા નહીં. એટલે મારી ને એમની (હું ન ઇચ્છું ત્યાં સુધી) કદી સરખામણી થઇ શકતી નથી. નેહરુ સાથે મારી સરખામણી થાય એ મને બહુ ગમે છે. નેહરુને કાશ્મીર બહુ ગમતું હતું. મને પણ કાશ્મીર બહુ ગમે છે. એટલે જ, પીડીપી સાથે કાશ્મીરમાં સરકાર બનાવી. પણ... 

1 comment:

  1. ખુબ જ સુંદર... આ ડાયરી જાણે વાસ્તવિક હોય તેવું જ જણાય... બસ સામાન્ય વ્યક્તિની ની વાત પણ આ ડાયરીની નોંધ માં આવે... આપણે તો બસ એટલું જ કાફી છે....

    ReplyDelete