Friday, February 06, 2015

સુનતા ભી દીવાના?

ભારતનું તંત્ર અત્યારે બે પાટે ચાલી રહ્યું છે. એક પાટો નીતિનિર્ધારણ સ્તરનો છે, જેમાં એનડીએની નવી સરકાર પોતાના પગ મજબૂત કરીને, નીતિવિષયક બાબતોમાં આગળ વધવા પ્રયાસ કરી રહી છે. બીજો પાટો છે હવાઇ નિવેદનો અને બેશરમી- નફ્‌ફટાઇ- ધૂર્તતા- સંકુચિતતાનો. વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના પ્રધાનો બીજા પાટે ચાલતા નથી. પરંતુ આ પાટે ચાલનારાને રોકતા પણ નથી. દૂરથી જોનારને હંમેશાં એવું લાગ્યા કરે કે હવામાં ગોળીબારો કરનારા બીજા પાટાના મુસાફરોના મનમાં ‘આપણી સરકાર’ હોવાની હૈયાધારણ છે- અને સરકાર એ હૈયાધારણને તોડવાની કોશિશ કરતી નથી.

બીજા પાટે ચાલનારાનો પ્રલાપ સામાન્ય રીતે ગંભીરતાથી લેવાનો ન હોય. ઉલટું, તેમની ટીકા કરવાથી પણ તેમનો પ્રચાર થાય અને તેમનો હેતુ સિદ્ધ થાય. પરંતુ છેલ્લા થોડા મહિનામાં થતાં આવાં આડેધડ નિવેદનોની વાત જુદી છે. તે સમતુલા ગુમાવી બેઠેલા નેતાઓનો પ્રલાપ નહીં, ‘ઉપરના’ આશીર્વાદ ધરાવતાં ‘ટ્રાયલ બલૂન’ હોય એવી શંકા પડ્યા વિના રહેતી નથી. સીધા આશીર્વાદ ન હોય તો પણ, ઉપરથી ઠપકો નહીં મળે એવી ખાતરીનો રણકો એ નિવેદનોમાં જોવા મળે છે. ટ્‌વીટરથી માંડીને આકાશવાણી સુધીનાં માઘ્યમોથી બોલતા વડાપ્રધાન, ‘ગુજરાત મૉડેલ’ પ્રમાણે, આવું કંઇ થાય ત્યારે ચૂપકીદી ધારણ કરી લે છે. ‘આવું નહીં ચાલે’ અથવા ‘આવું નહીં ચલાવી લેવાય’ એવો સીધો કે આડકતરો સંદેશો તેમના તરફથી મળતો હોય એવું લાગતું નથી. ક્યારેક એમને વાંધો પડે તો પણ તેનું કારણ નૈતિક નથી હોતું. વાંધો એટલા પૂરતો જ હોય છે કે ‘આ લોકો મારો ખેલ બગાડી રહ્યાં છે.’

‘અમારું’ બંધારણ

પ્રજાસત્તાક દિને એક તરફ અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનની ‘આત્મીયતા’ અને ‘કેમિસ્ટ્રી’નો એવો જયજયકાર ચાલ્યો કે બીજું બઘું ગૌણ બની જાય. એ વખતે એક આડચર્ચા ભારત સરકારની જાહેરખબરની ચાલી. જાહેરખબરમાં મુકાયેલા બંધારણના આમુખમાંથી  ‘સેક્યુલર’ અને ‘સોશ્યલિસ્ટ’ એ બે શબ્દો ગાયબ હતા. આ બન્ને શબ્દો ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન ભારતના બંધારણમાં ઉમેર્યા હતા. જાહેરખબરમાં છપાયેલું આમુખ દેખીતી રીતે જ ત્યાર પહેલાંનું હશે.

સામાન્ય સંજોગોમાં આ વાત ગફલત તરીકે ખપી ગઇ હોત. પરંતુ ભાજપની દાનત જોતાં એ ‘ફ્રોઇડીઅન સ્લિપ’ હોવાની- એટલે કે, હૈયે હોય એવું ભૂલથી હોઠે આવી જાય એવી- શંકા જાય. શિવ સેનાના એક નેતાએ ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવીને તેના બંધારણમાંથી આ બન્ને શબ્દોને કાયમ માટે કાઢી નાખવાનું સૂચવ્યું. એટલે જાહેર ખબર આપનાર માહિતી-પ્રસારણ ખાતાના મંત્રી રવિશંકર પ્રસાદે પણ ચર્ચામાં ઝુકાવ્યું અને કહ્યું કે ‘અમે દેશ સમક્ષ અસલ બંધારણ રજૂ કર્યું છે.’ બંધારણમાં આ બન્ને શબ્દો કેવા સંજોગોમાં ઉમેરાયા તેનો ઇતિહાસ આપતાં પ્રસાદે કહ્યું કે ‘આ શબ્દો ન હતા, ત્યારે દેશ સેક્યુલર ન હતો?’ અગાઉ કોંગ્રેસ સરકારે પણ ડૉ.આંબેડકરની જન્મજયંતિની જાહેરખબરમાં આ જ આમુખ મૂક્યું હોવાનું પ્રસાદે કહ્યું.

આ વિવાદ ભાજપની કાર્યપદ્ધતિનો તથા લોકોની લાગણીને કેવી રીતે ચગડોળે ચડાવવામાં આવે છે, તેનો નાનો છતાં ઉત્તમ નમૂનો છે. સૌથી પહેલાં તો, રવિશંકર પ્રસાદે એ સ્પષ્ટ કરવું જોઇએ કે જાહેરખબરમાં જૂનું આમુખ ઇરાદાપૂર્વક છપાયું હતું કે ભૂલથી? જો ભૂલથી છપાયું હોય તો માફી માગવી જોઇએ અને ઇરાદાપૂર્વક છપાયું હોય તો, માહિતી-પ્રસારણ ખાતાના મંત્રી તરીકે રવિશંકર પ્રસાદ સામે પગલાં લેવાવાં જોઇએ. કારણ કે, બંધારણમાં ‘જૂનું કે નવું’ જેવા વિકલ્પ નથી હોતા. બંધારણ એક જ હોય છે : વર્તમાન. તેની સામે વાંધા હોય કે અણગમો હોય તો પણ, ‘અમને અત્યારનું નથી ગમતું, એટલે અમે તો અમને ગમતા, જૂના બંધારણનું આમુખ છાપીશું’ એવું વલણ ન ચાલે. તેમાં બંધારણનું ચોખ્ખું અપમાન થાય. પરંતુ રવિશંકર પ્રસાદે તો લાજવાને બદલે ગાજવાની રાષ્ટ્રિય શૈલીમાં કહ્યું, ‘આ બન્ને શબ્દો અંગે દેશમાં વિવાદ હોય, તો ભલે એ વિશે ચર્ચા થતી. એમાં ખોટું શું છે?’

કેન્દ્રીય મંત્રી ઉઠીને આવો સવાલ પૂછે અને તેમના વડા પ્રધાનને કશું કહેવાનું ન હોય, ત્યારે ચિંતા થવી જોઇએ. બાકી, બંધારણના આમુખમાંથી ‘સેક્યુલર’ અને ‘સોશ્યલિસ્ટ’ એ બન્ને શબ્દો નીકળી જાય તો કશું ખાટુંમોળું થઇ જવાનું નથી. ભારતીય અર્થમાં ‘સેક્યુલરિઝમ’ (સર્વધર્મસમભાવ) અને ધાર્મિક સ્વાતંત્ર્ય આપતી ઘણી જોગવાઇઓ બંધારણમાં છે. કટોકટી જેવા લોકશાહી માટે કલંક જેવા ગાળામાં ઇંદિરા ગાંધીએ ધૂસાડેલા આ બન્ને શબ્દો આમુખમાંથી કાઢી નાખવાથી બંધારણની ગરીમા ઘટવાની નથી.

પરંતુ સવાલ એ નથી. સવાલ આપખુદ વલણ અને દાનતની ચોરીનો છે. બન્ને શબ્દો અંગે ચર્ચા અને વિવાદ થાય, પછી વાજબી કાર્યવાહી હાથ ધરીને તેમને આમુખમાંથી રદ કરવામાં ન આવે, ત્યાં સુધી તો એ બન્ને શબ્દો ધરાવતું આમુખ છાપવું પડે કે નહીં? અને સરકાર જાણી જોઇને એવું આમુખ ન છાપે -ઉલટું, આવી બેજવાબદાર વૃત્તિને સિદ્ધાંતચર્ચાનું સ્વરૂપ આપવા પ્રયાસ કરે, ત્યારે તેમની અને તેમને નહીં ટોકનારા તેમના વડાની દાનત વિશે શંકા થવી સ્વાભાવિક છે.

પ્રજાસત્તાક દિવસનો બીજો વિવાદ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ ઘ્વજને સલામી ન આપી એ વિશેનો છે. ટ્‌વીટર-ફેસબુક પર વડાપ્રધાનની ભક્તિમાં અને કોંગ્રેસદ્વેષ-મુસ્લિમદ્વેષમાં રાચીને પોતાની જાતને સવાયા રાષ્ટ્રવાદી ગણનારા પેઇડ-અનપેઇડ પાયદળની આખી ફોજ ઊભી થઇ છે. જાણીતી કહેણીમાં સહેજ ફેરફાર કરીને કહી શકાય કે, સચ્ચાઇ હજુ કંઇ સમજે-વિચારે, ત્યાં સુધી આ પાયદળનાં જૂઠાણાં દુનિયાભરમાં ધૂમી વળે છે. એક તરફ ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, પણ તેની સાથે સામાન્ય સમજણ કે કોઠાસૂઝનું પ્રમાણ ભયંકર હદે નીચું ઊતરી ગયું હોય એમ લાગે છે. ‘ભણેલા’ કહેવાતા લોકો આંખે પાટા બાંધીને જે રીતે જૂઠાણાં ગટગટાવી જાય છે, તે રાજકારણની ગંદકી કરતાં પણ વધારે પીડાદાયક છે.

પ્રજાસત્તાક દિનની પરેડ વખતે એવું એક પડીકું તરતું મૂકાયું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ રાષ્ટ્રઘ્વજનું અપમાન કર્યું. આરોપ એ હતો કે વડાપ્રધાન સલામી આપી રહ્યા હતા ત્યારે અન્સારી હાથ નીચે રાખીને ઊભા હતા.

આમ કરવા પાછળનું સંભવિત કારણ? એ મુસ્લિમ છે, બસ.

સંઘ પરિવાર અને તેની અન્ય સંસ્થાઓ દ્વારા હાથ ધરાતી ઝેરીલી પ્રચારઝુંબેશો વિશે થોડોઘણો ખ્યાલ હોય, તેમના આવાં પડીકાંની નવાઇ ન લાગે. આ પડીકું વહેતું મૂકનારને એ વાતની પણખાતરી હોય કે સાત-સાત વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહેલા અન્સારીને પણ, કેવળ મુસ્લિમ હોવાને કારણે, દેશદ્રોહી કે રાષ્ટ્રઘ્વજનું અપમાન કરનાર તરીકે સોશ્યલ નેટવર્કની શૂળીએ ચડાવી શકાશે. એટલું જ નહીં, ત્યાં એવા હોંશીલા ‘રાષ્ટ્રવાદીઓ’ મળી આવશે, જેમને માટે અન્સારી મુસ્લિમ છે, એ સિવાયની બધી વિગતો ગૌણ બની જશે.

સારું છે કે કેટલાંક પ્રસાર માધ્યમોએ તસદી લીધી અને જણાવ્યું કે નિયમ પ્રમાણે, મુખ્ય હોદ્દેદારો (વડાપ્રધાન-રાષ્ટ્રપતિ)એ તથા ગણવેશધારી લોકોએ સલામી આપવાની હોય. બાકીના બિનફૌજીઓએ હાથ નીચે રાખીને અદબપૂર્વક ઊભા રહેવાનું હોય. ઉપરાષ્ટ્રપતિ એ જ પ્રમાણે વર્ત્યા હતા, પણ ઝેર જ ફેલાવવું હોય ત્યાં આ બધી પંચાતમાં કોણ ઉતરે? સવાલ એ થાય કે ઉપરાષ્ટ્રપતિ જેવાએ પણ મુસ્લિમ હોવાને કારણે દેશભક્તિ સાબીત કરવાની થાય - અને એ વિશે વાચાળ વડાપ્રધાનને કશું જ કહેવાનું ન હોય?

અદ્ધરતાલ આદર

હવામાંથી ઝેર ફેલાવી શકાય, તેમ હવામાંથી અહોભાવ પણ પ્રસરાવી શકાય છે. કિરણ બેદી આ વાતનું જાણીતું ઉદાહરણ છે. પહેલાં મહિલા આઇપીએસ તરીકે કિરણ બેદીનો ભારતમાં હદ બહારનો જયજયકાર થયો. પાઠ્યપુસ્તકમાં તેમના પાઠ આવી ગયા. પ્રેરણાભૂખ્યા અને વીરપૂજા માટે તલસતા દેશમાં આવાં ચરિત્રોનો બહુ ખપ હોય છે. તેમની એક સારી બાબત ઉપર બીજી દસ કાલ્પનિક સિદ્ધિઓનો ઢોળ ક્યારે ચડી જાય અને વ્યક્તિ પોતે ‘હોઉં તો હોઉં પણ ખરી’ના મૂડમાં આવી જાય, એ કહેવાય નહીં. કિરણ બેદી દિલ્હી ટ્રાફિક વિભાગમાં હતાં ત્યારે કોઇની શેહમાં ન આવવા અંગે એવી દંતકથાઓ વહેતી થઇ કે તેમનું લાડકું ઉપનામ ‘ક્રેન’ બેદી પડી ગયું. તેમની ટૂંકામાં ટૂંકી ઓળખમાં એ વાત અચૂક આવતી હતી કે ‘તેમણે વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ગાડી રસ્તા પરથી ટો કરાવી લીધી હતી.’ પરંતુ ગયા અઠવાડિયે એનડી ટીવી હિંદીના રવીશકુમારને (માંડ માંડ) આપેલા ઇન્ટરવ્યુમાં  સતત અસુખ અને અસલામતી અનુભવતાં કિરણ બેદી બોલી ગયાં કે ‘ઇંદિરા ગાંધીની ગાડી મેં ઉપડાવી ન હતી- નિર્મલસિંઘે ઉઠાવી હતી, જે એસીપી તરીકે નિવૃત્ત થયા.’ સાવ અણધાર્યું રહસ્યોદ્‌ઘાટન થતાં રવીશકુમારે વઘુ પૂછપરછ કરી, ત્યારે કિરણ બેદીના મોઢેથી જ સાંભળવા મળ્યું કે એ કાર ઇંદિરા ગાંધીની વ્યક્તિગત ન હતી, પણ વડાપ્રધાનની કચેરીની અનેક કારમાંની એક હતી. કિરણ બેદીની કોઇ કમાલ હોય તો એટલી જ હતી કે તેમણે નિર્મલસિંઘ સામે કશાં પગલાં ન લીધાં.

વગર સોશ્યલ નેટવર્કે, આટલા વર્ષથી ચાલતી એક અફવાનો અંત આવ્યો, પણ હવે એવી અફવાઓ રોજિંદા ધોરણે અને ઘણી વાર સત્તાવાર ઢબે ઉત્પાદિત કરવામાં આવે છે. તેની ખરાઇ કે પ્રતિકારની મહેનતને બદલે તેમનો આંખ મીંચીને સ્વીકાર કરવો એ સહેલો રસ્તો છે, પણ સલાહભરેલો છે? એ આપણે નાગરિકોએ વિચારવાનું છે.  

1 comment:

  1. Anonymous12:04:00 AM

    2 sabdo kadhya to kadhya pan tame ena per lekh lakhi nakhyo yar. pan atlu to saru ke 2 sabdo umerya nai "Vibrat" and "Medo".haha haju bau badhi vastuo ne aa loko bhega thaine mari nakhse ..ane bhanela facebook twitter thu thu bi karse.

    ReplyDelete