Wednesday, January 28, 2015

એક લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટનો ઇન્ટરવ્યુ

ભારતવર્ષમાં લાગણીદુભાવની ઉજ્જળ અને મજબૂત પરંપરા છે.  મૃત્યુની જેમ લાગણીદુભાવ પણ ક્યાં, ક્યારે, કેમ, કોને પોતાના સકંજામાં લેશે એ જાણવું અઘરું છે. લાગણીદુભાવથી નિર્દોષ લોકોનાં મોત થઇ શકે છે, પણ નિર્દોષ લોકોનાં મોતથી લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટોની લાગણી ભાગ્યે જ દુભાતી હોય છે. જેમ કે, પેગંબર અને ઇસ્લામનાં પ્રતીક તથા ધાર્મિક નામો રાખીને ત્રાસવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે. પરંતુ એ ત્રાસવાદીઓએ ‘પેગંબરનું (કે ઇસ્લામનું) અપમાન કર્યું’ એવો વાંધો પાડીને, તેમની સામે ભાગ્યે જ મોરચા નીકળે છે કે દેખાવ થાય છે. હિંદુ ધર્મના નામે ગોરખધંધા કે ગુંડાગીરી ચલાવનારા સામે સંઘ પરિવાર સહિતના હિંદુત્વના ઠેકેદારોને ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. પરંતુ ફિલ્મ, પુસ્તક, ચિત્ર, વિધાન અને ક્યારેક તો મૌન સુદ્ધાંથી - ટૂંકમાં, વાસ્તવિક કરુણતાઓ અને વાસ્તવિક સમસ્યાઓ સિવાય દરેક અથવા કોઇ પણ બાબતથી - લોકોની લાગણી દુભાઇ શકે છે.

- પણ લાગણી એટલે શું? એ કેવી રીતે દુભાય? અને એ દુભાય ત્યારે એક્ઝેક્ટલી શું થાય? આ સવાલોની થિયરીમાં પડવાને બદલે, પ્રેક્ટિકલ જવાબ જાણવા માટે એક લાગણીદુભાવાના સ્પેશિયાલિસ્ટની કાલ્પનિક મુલાકાત. આ સંવાદ પૂરતા તેમને ટૂંકમાં સ્પેશ્યલિસ્ટ- સ્પે.- તરીકે ઓળખીશું.

સ : હલો, કેમ છો?

સ્પે : પહેલાં તો તમે મારી રાષ્ટ્રવાદી લાગણીનો અને માતૃભાષા પ્રત્યેની મમતાનો આદર કરતાં શીખો અને ‘હાય-હેલો’ની અંગ્રેજગીરી છોડો. નમસ્તે બોલતાં નથી આવડતું?

સ : (સહેજ બચાવની મુદ્રામાં) આવડે તો છે, પણ...‘હલો’ કહ્યું એમાં કયો દેશદ્રોહ કે માતૃભાષાદ્રોહ થઇ ગયો?

સ્પે : એ તમારા જેવા લાગણીબુટ્ઠા એટલે કે બૌદ્ધિકોને કદી નહીં સમજાય- ‘નમસ્તે’માં આર્યાવર્તની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ને સાંસ્કૃતિક પરંપરાનો ભવ્ય વારસો સમાયેલો છે.

સઃ ફક્ત ‘નમસ્તે’માં જ?

સ્પે : (ડોળા કકડાવે છે) એક વાત સમજી લો. મારી લાગણી દુભાય ત્યારે સવાલ નહીં કરવાના. નહીંતર જોવા જેવી થશે.

સ : પણ સવાલ કરવા એ અસલી ભારતીય પરંપરા છે. ભગવદ્‌ગીતા સહિતના હિંદુઓના ઘણા ધર્મગ્રંથો સવાલ અને જવાબ તરીકે છે.

સ્પે : એટલે? અમારા એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે હિંદુ ધર્મમાં શું છે એ તમારી પાસેથી શીખવું પડે?

સ : ના, પણ અમારા એવા ખરાબ દિવસ આવી ગયા છે કે ધર્મ શું છે ને તેનું માન શું છે, એ તમારા જેવાઓ પાસેથી સાંભળવું પડે.

સ્પે : (વધારે ડોળા કકડાવે છે. બાંયો ચડાવે છે.)

સ : બહુ ડોળા ન કાઢતા. ભવિષ્યમાં વડાપ્રધાન થઇ જશો...તમે એટલું તો કહો કે મારી વાત સાચી છે કે ખોટી?

સ્પે : તમારી વાત સાચી છે કે ખોટી, એ મુદ્દો જ નથી. તમે બૌદ્ધિકો ઊર્ફે સેક્યુલરો ઊર્ફે હિંદુવિરોધીઓ ઊર્ફે દેશદ્રોહીઓ બહુ બોલ્યા. હવે અમે બોલીશું ને તમે સાંભળશો...

સ : આવો તો અમિતાભનો એક ડાયલોગ હતો...

સ્પે : હવે અમારો છે.

સ : ડાયલોગ કે અમિતાભ?

સ્પે : બન્ને. કરમુક્તિઓ ને જાહેરખબરો એમ ને એમ થોડી મળે છે?

સ : એ તમે ને અમિતાભ જાણો, હું તો મારા સવાલની વાત કરતો હતો.

સ્પે : અને મેં તમને એમ કહ્યું કે તમારે બૌદ્ધિકોએ સવાલ નહીં કરવાના. બસ. તમે સવાલ કરશો તો અમારી લાગણી દુભાશે. પછી જે કંઇ થાય એની નૈતિક જવાબદારી અમારી નહીં.

સ : (હાસ્ય સાથે) ઓહો...

સ્પે : કેમ? એમાં હસવા જેવું શું છે? અમારી વાત પર અમથા અમથા હસશો તો પણ અમારી લાગણી દુભાશે...ને પછી કંઇ થાય તો પણ નૈતિક જવાબદારી...

સ : હું એટલે જ હસ્યો- કે તમે ‘નૈતિક જવાબદારી’- ટૂંકમાં ‘નૈતિકતા’- જેવા શબ્દો પણ સાંભળ્યા છે ને તેની વાત કરી શકો છો.

સ્પે : આમ કહીને તમે મારું જ નહીં, અમારા આખા સંપ્રદાયનું અપમાન કર્યું છે. (પાસે પડેલી લાકડી ઉપાડે છે)

સ : શાંતિ રાખો, શાંતિ...મેં કયા સંપ્રદાયનું અપમાન કરી નાખ્યું? ને વાતે વાતે ઉશ્કેરાવાનું- લાકડીઓ લેવાનું કયા સંપ્રદાયમાં લખ્યું છે? હિંદુ-ઇસ્લામ-ખ્રિસ્તી-શીખ-જૈન આ બધા વિશે ઠીક ઠીક ખબર છે ને એમાં તો ક્યાંય આવું આવતું નથી.

સ્પે : અમારો ધર્મ આમાંથી એકેય નથી અથવા બધા જ છે, પણ અમારો સંપ્રદાય આખો જુદો છે.

સ : એટલે?

સ્પે : અમારા નવા સંપ્રદાયનું નામ છે ‘લાગણીદુભાવ પંથ’. તમે બૌદ્ધિકો સર્વધર્મસમભાવના ઉપદેશ ઝૂડીને અમારી ટીકા કરો છો, પણ અમારો પંથ તમારા બધા કરતાં વધારે- (જરા ખચકાઇને) સેક્યુલર- છે. કોઇ પણ ધર્મના દુભાયેલી લાગણીવાળા માણસને અમારા સંપ્રદાયમાં સ્થાન મળી શકે છે.

સ : તમારી ઑફિસ- આઇ મીન, ધર્મસ્થાન ક્યાં છે?

સ્પે : કહ્યું તો ખરું. અમે સેક્યુલર છીએ. અમે કશું ઊભું કરવામાં રસ નથી. અમે ફક્ત ધાકધમકી અને તોડફોડમાં જ માનીએ છીએ.

સ : તમારા સંપ્રદાયનું કોઇ સૂત્ર? કોઇ ઘ્યેયમંત્ર?

સ્પે : આઇ એમ બીકોઝ આઇ એમ ઑફેન્ડેડ- હું દુભાયેલો છું એટલે જ હું છું. મારું વજૂદ જ મારા દુભાયેલા રહેવામાં છે.

સ : તમારા સંપ્રદાયના લોકો કેવી બાબતમાં દુભાઇ શકે?

સ્પે : એ યાદી તો બહુ લાંબી છે. હમણાં તો અમારે ઓવરટાઇમ કરવો પડે છે. તો પણ પહોંચી શકતા નથી.

સ : (મુગ્ધતાનો દેખાવ કરીને) તમને દુભાવાની પ્રેરણા શી રીતે મળે?

સ્પે : (પોરસાઇને) ગુડ ક્વેશ્ચન. અમારી પ્રેરણાના ઘણા સ્રોત છે : પોલિટિશ્યનો, ધર્મગુરુઓ, પોલિટિશ્યનોના કહ્યાગરા પોલીસ, પોતાની ફિલ્મ હિટ કરવા ઇચ્છતા ફિલ્મનિર્માતાઓ કે ચોપડી બેસ્ટસેલર બનાવવા માગતા લેખકો-પ્રકાશકો, રાતોરાત પ્રસિદ્ધિ મેળવીને સેલિબ્રિટી બનવા માગતા લોકો- અમારો સંપ્રદાય ધર્મના કે વ્યવસાયના ભેદભાવમાં માનતો નથી.

સ : તમારા વિશે સમાજમાં અનેક ગેરસમજો ફેલાયેલી છે. લોકો તમારા સંપ્રદાયને અનિષ્ટ ગણે છે...

સ્પે : એ લોકો સમજતા નથી કે એમનામાં રહેલી અનિષ્ટ લાગણીઓ અને એમની તરફથી મળતા મૂક ટેકાના જોરે જ અમારો સંપ્રદાય ચાલે છે. (ખભા ઊલાળીને) સો, વી ડોન્ટ માઇન્ડ, વી ડોન્ટ કેર.

સ : અરે, તમે અંગ્રેજીમાં બોલ્યા? પણ રાષ્ટ્રવાદી લાગણી અને માતૃભાષાની મમતા...?

(સ્પેશ્યલિસ્ટ ડોળા કાઢે છે અને ઇન્ટરવ્યુ સમાપ્ત થાય છે.)

2 comments:

  1. Brilliant...but as I said and I am not sure whether you would get my comment or not, BHENS Agal BHAGWAT jevi dasha thay chhe..they don't even read ever anything at all.

    ReplyDelete
  2. Anonymous11:59:00 PM

    Wonderful imaginary QA session. Since it touches the evils(hurt feelings) of all the religion I expect very few comments.Otherwise the onslaught of followers(any one religion) would be continuing using the filthiest language for a long long time

    ReplyDelete