Monday, January 19, 2015

ગાંધી-સરદાર ‘વાયબ્રન્ટ’ સંવાદ

વાયબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગર જવું કે નહીં, એ મુદ્દે ગાંધીજી અને સરદાર વચ્ચે ઘણી ચર્ચા થઇ. સરદાર પટેલે બહુ વાર્યા, અગાઉના અનુભવ યાદ કરાવ્યા, પણ ગાંધીજી માનતા ન હતા.
ગાંધીજી : આ વખતે તો મારે જવું જ પડે. વાયબ્રન્ટ ગુજરાતની પહેલાં મારા સ્વદેશાગમનની શતાબ્દિ પણ ગાંધીનગરમાં ભાવથી ઉજવાય છે.

સરદાર : ભાવથી? અરે બાપુ, મહામોંઘા ભાવથી. કરોડોના ખર્ચે...પણ આ વખતે વાયબ્રન્ટમાં એમઓયુ થવાના નથી.

ગાંધીજી : એમઓયુ એટલે?

સરદાર : પ્રજાના ખર્ચે આંકડાની આતશબાજી કરીને પ્રજાને આંજવાનો ખેલ

ગાંધીજી : તો પછી મારે ને એમઓયુને શી લેવાદેવા?

સરદાર : વાયબ્રન્ટ પૂરું થઇ ગયા પછી તમારે તો શું, કોઇને એમઓયુ સાથે લેવાદેવા હોતી નથી. વાયબ્રન્ટમાં પણ તમે એનઆરઆઇ નથી કે સરકારી સાહેબો તેમની સાહેબી ભૂલીને તમારી સરભરા કરે... મારું કહ્યું માનો. અત્યારે ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટરો અને તેમના પ્રિય અફસરો (કે પછી અફસરો અને તેમના પ્રિય કોન્ટ્રાક્ટરો) સિવાય કોઇએ કશું કાંતી લેવાનું નથી.

ગાંધીજી : કાંતવાનું તમે ઠીક યાદ કરાવ્યું...એવું હોય તો આપણે કોઇને ચરખા-તકલીના પ્રચારપ્રસાર માટે કહી જોઇએ. કોઇ કોન્ટ્રાક્ટરને, કોઇ અફસરને...

સરદાર : ખાલી કહી દેવાથી ન ચાલે બાપુ. તમારી છાપ જોઇએ.

ગાંધીજી : તો શું વાંધો છે? એ કહેશે ત્યાં હું મારી છાપ આપી દઇશ. પછી? બીજા બધા મારું નામ વટાવી ખાતા હોય તો મને એ વાપરવામાં શો વાંધો?

સરદાર : બાપુ, બાપુ, તમે સમજતા નથી. તમારી છાપ એટલે તમારા અંગુઠાની છાપ કે સહી નહીં...(આંગળી અને અંગુઠાથી રૂપિયાની નિશાની કરીને) ગાંધીછાપ... નોટો.

ગાંધીજી : પણ સરકાર પાસે ધનની ક્યાં કમી છે?

સરદાર : (બનાવટી રોષ સાથે) ધનની કમી ન હોય એટલે શું એ તમારા તરંગતુક્કા માટે ઉડાડી મારવાનું?... (સહેજ ધીમા અવાજે) એ તો એમના પોતાના તરંગતુક્કા પર ઉડાડવા માટે છે.

ગાંધીજી : (હાસ્ય સાથે) તમારી ટીખળ કરવાની ટેવ ન ગઇ, સરદાર.

(મહાદેવ દેસાઇ દાખલ થાય છે.)

સરદાર : (મહાદેવ દેસાઇ તરફ જોઇને) ડોસા ગાંધીનગર જવાની વાત કરે છે. તું એમને જરા સમજાવ, મહાદેવ. ત્યાં કોઇ એમને પગ નહીં મૂકવા દે.

ગાંધીજી : તમે વઘુ પડતા આકરા થાવ છો. આખું નગર મારા નામનું છે. એમાં મને પગ શા માટે ન મૂકવા દે?

સરદાર : એટલા માટે કે એ નગરમાં તમારું નામ કેવળ નામનું જ છે.  ત્યાં તમારા પૂતળાને આવકાર મળી શકે, પણ જીવતા ગાંધીને નહીં. તમે તો ‘લૉ એન્ડ ઑર્ડર પ્રોબ્લેમ’ ગણાવ.

ગાંધીજી : પણ મેં નક્કી કર્યું છે. હું સત્યાગ્રહ કે બીજી કોઇ ચળવળ નહીં કરું. સાક્ષીભાવે બઘું જોઇશ.

સરદાર : હું તમને ચેતવું છે, એટલે એમ ન માનતા કે ગાંધીનગરવાળા તમારાથી બીએ છે. એ તો કોઇનાથી બીતા નથી... ભગવાનથી પણ નહીં.

ગાંધીજી : કઇ બાબતમાં?

સરદાર : એ બધા ચોપડા અત્યારે ક્યાં ખોલાવો છો?

ગાંધીજી : સારું ત્યારે, બીતા નથી તો આજુબાજુ બંદૂકવાળાની ફોજ કેમ રાખે છે?

સરદાર : લોકોનાં ટોળાં એમની પર પ્રેમ વરસાવીને એમને ક્યાંક ગુંગળાવી ન નાખે એટલે...(મહાદેવ દેસાઇ તરફ જોઇને) : જોયું? અત્યારથી લક્ષણો ઝળકાવવા લાગ્યા ને?

ગાંધીજી (ખડખડાટ હસીને) : પણ એ તો કહો કે મને આવકાર કેમ નહીં મળે? મારા માટે બિચારા આટલો બધો ખર્ચો કરે છે ને...

સરદાર : તમારા માટે નહીં, તમારા નામે...ગુજરાતની સમૃદ્ધિના વાવટા ખોડવા તેમણે આટલો ધુમાડો કર્યો હોય ને તમારા જેવા સરેઆમ પોતડી પહેરીને આવી પડે, તો એમની આબરૂ શું રહે?

ગાંધીજી : મારી પોતડી એ તો દરિદ્રનારાયણનું, ભારતના સામાન્ય માણસનું પ્રતીક છે.

સરદાર : એ હું ભૂલ્યો નથી ને એમની યાદ રાખવાની દાનત નથી. તમે ભલે પોતડીથી ન શરમાવ, પણ એમને શરમ જેવું કંઇ હોય કે નહીં? આરોપીઓ અને ગુનેગારોને મંત્રીમંડળમાં રાખતાં શરમ ન આવે, હળહળતું જૂઠું બોલતાં શરમ ન આવે, દેશના નામે પોતાનો જયજયકાર કરતાં શરમ ન આવે, એનો અર્થ એવો થોડો કે શરમ સાવ આવતી જ બંધ થઇ જાય?

(ગાંધીજી વિચારમુદ્રામાં માથું ખંજવાળીને મહાદેવભાઇ સામે જુએ છે)

સરદાર : પોતડી જોઇને બહારથી આવેલા લોકો શું વિચારે? કે હજુ ગુજરાતમાં ગરીબી હશે? લોકોને પહેરવાનાં કપડાં નહીં મળતાં હોય? વડાપ્રધાન હોર્ડિંગે હોર્ડિંગે જુદાં કપડાંમાં દેખાતા હોય ને તમે પોતડી પહેરો, એ તો વડાપ્રધાનને નીચાજોણું કરાવવાનો કારસો કહેવાય. આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતને બદનામ કરવાની સાઝિશ...આવી કેટલીક સાઝિશો સામે તો આ વખતે સરકારે અસરકારક રીતે કામ લીઘું છે.

ગાંધીજી : જેમ કે?

સરદાર : તમારા મહાત્મામંદિરની આજુબાજુનાં ઝૂંપડાં મહેમાનોને દેખાય નહીં એવી રીતે ઢાંકી દીધાં છે. આવતી વખતે તો મને લાગે છે કે તમારાં પોતડીધારી પૂતળાં પણ ચારે બાજુથી કમર સુધી ઢાંકી દેવાય તો નવાઇ નહીં. જે દેશના વડાપ્રધાન આટલા વરણાગી હોય તેનો રાષ્ટ્રપિતા પોતડીધારી હોય તે શોભે? હોય એનો વાંધો નહીં, પણ એવો દેખાય એ તો ધોળા ધરમે પણ ન ચલાવી લેવાય.

ગાંધીજી : તમે તો મને ગુંચવ્યો. હું કોઇને નીચા પાડવા નહીં, વાસ્તવિકતા જાણવા માટે જ જવાનું વિચારતો હતો.

સરદાર : તમારે ધરાર જવું જ હોય તો તમારા માટે એક સરસ જગ્યા મારા ઘ્યાનમાં છે. ગાંધીનગરમાં નથી, પણ છે ભારતમાં જ- એકદમ તમારા માટેની. ત્યાં તમારે પૂતળાની જેમ ઊભા પણ નહીં રહેવું પડે.

ગાંધીજી : કહો. જલદી કહો. મારે જવું જ છે.

સરદાર : સાંભળ્યું છે કે ભારતમાં ગોડસેનાં મંદિર બનવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં ગોડસેની પ્રતિમા કે ફોટો તો હશે જ. ખોટ હશે તમારી. તમે ત્યાં જઇને ગોડસેની પ્રતિમાની સામે જમીન પર સુઇ જાવ. શક્ય હોય તો છાતી પર ઓઢેલા ઉપરણા પર ટમેટાંનો થોડો રસો લગાડી દો, તો કામ થઇ જાય...તમારે વાસ્તવિકતા સાથે કશી બાંધછોડ ન કરવી પડે. એ રીતે તમારો સત્યનો આગ્રહ જળવાઇ રહે ને સ્મારકની શોભામાં અભિવૃદ્ધિ થાય.

ગાંધીજી : બસ, બસ, વધારે કંઇ કહેવાની જરૂર નથી. મારો કાંતવાનો સમય થઇ ગયો...
(14-1-15)

1 comment:

  1. मने लागे छे आखा भारतमां हवे गांधीजीना पुतळा के प्रतीमा उपर कपडुं के कापड ढांकी देवुं जोइए. प्रगत्ती थई छे ए बधाने खबर पडवी जोईए....

    ReplyDelete