Friday, December 26, 2014

ટાઢા પહોરના ચિંતન-ટુકડા

શાસ્ત્રોમાં કહ્યું છે કે ચિંતા કરાવે તે ચિંતક. શબ્દકોશમાં આવું નથી કહ્યું. પણ શબ્દકોશના આધારે ચિંતન ન થાય. નિબંધ ન લખાય. લોકો પર પ્રભાવ ન પડાય. મહાકવિ અખાએ કહ્યું છે ને, ‘શબ્દકોશને શું વળગે ભૂર, કૉલમમાં જે જીતે તે શૂર.’

ચિંતનલેખની એક અનિવાર્ય શરત એ છે કે બે ફકરા વચ્ચે કશો સંબંધ ન હોવો જોઇએ. બન્ને એકબીજાથી સ્વતંત્ર હોવા જોઇએ. સ્વતંત્રતા કેવડો મોટો ગુણ છે, તે જાણવા માટે વાચકો પર ગુણ ભરીને અવતરણો ઠાલવી શકાય છે. ઘણા લોકો મને પણ મહાપુરૂષ માને છે અને પૂરી નમ્રતા સાથે મારે તેમનો આ આક્ષેપ સ્વીકારવો પડે છે. હું માનું છું કે સ્વતંત્રતા - ખાસ કરીને, બે ફકરા વચ્ચેની સ્વતંત્રતા- બહુ દુર્લભ ચીજ છે. મેઘાણીએ ગાયું છે ને, ‘તુજ નામમાં, ઓ સ્વતંત્રતા...’

સામાન્ય માણસ કરી કરીને શાની ચિંતા કરે? છોકરાંનાં એડમિશનની...બાપાની દવાની...પોતાની નોકરીની...મકાનની લોનની...પેટ્રોલના ભાવની...નોકરીમાં પગારવધારાની...પણ ચિંતકને આ ન શોભે. સમષ્ટિ સાથે એકરૂપતા ધરાવતો ચિંતક તો એની ચિંતા કરે કે વર્ષોથી જેની મુલાકાત લીધી નથી એવા મારા વતનની સીમમાં, બાળપણમાં જેના ટેટા પાડતા હતા એ વડ હજુ છે? જો નથી તો તેનું શું થયું હશે? મારા હાથનોે સ્પર્શ પામેલા વડનાં ડાળખાં કોઇ ગરીબ પરિવારના બે ટંકના રોટલાનું આંધણ બન્યાં હશે? ફક્ત માણસ-માણસ વચ્ચે જ નહીં, માણસ અને વૃક્ષો વચ્ચે પણ કેવા લેણદેણના સંબંધો હોય છે?

‘પ્રકૃતિને આપણે જાળવી શકતા નથી, એટલે પ્રકૃતિ આપણને જાળવતી નથી’ એવું લખ્યા પછી થાય છે, ‘વાહ, આવું સુંદર અવતરણ. જો ગાંધી કે ચર્ચિલે આવું કહ્યું હોત તો લોકોએ તેની ટાંકાટાંક કરી મૂકી હોત. ચિંતકો બઘું કલ્પનામાંથી નીપજાવે એવું નથી. આ અવતરણ ચિંતકનો સ્વાનુભવ છે. ચિંતકોની અનુભવસૃષ્ટિ વિશાળ હોય છે. તેમાં પ્રકૃતિ કહેતાં કુદરતથી માંડીને પ્રકૃતિ નામધારી મહિલા સુધીની સૃષ્ટિ સમાવિષ્ટ હોઇ શકે છે. ચિંતકે કોઇ પ્રકૃતિને કરેલા પ્રસ્તાવના જવાબમાં તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હોય, ત્યારે ચિંતક ‘રુદ્રતામાં રમ્યતા’ વિશે લખી શકે છે.

પ્રકૃતિના કિસ્સા પરથી કોઇ એમ ન વિચારે કે શાસ્ત્રો અને ફિલસૂફીનું ડહાપણ ડહોળનાર એક મહિલા સમક્ષ અભદ્ર પ્રસ્તાવ મૂકે તે શોભાસ્પદ છે? આખી વાતમાં આચાર અને વિચારની વિસંગતતાનો કોઇ પ્રશ્ન જ નથી. વિચારોના આચાર(અથાણું) કરતાં આચારના વિચારો કરવાની પ્રક્રિયા વર્તમાન ચિંતકધર્મને વઘુ અનુરૂપ છે.

***

નાનપણમાં પાડોશમાં રહેતા અને મોટા અવાજે દાતણ કરતા એક કાકા પાસેથી કહેવત સાંભળતી હતી : કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી. અક્ષરજ્ઞાનના અભાવે એ કાકા લલિત નિબંધો-ચિંતનલેખોના રસ્મોરિવાજથી પરિચિત ન હતા. એટલે એમણે સીમ ભણી તાણતાં શિયાળો જ જોયાં હતાં, માણસો નહીં.

છાપાં-સામયિકોનાં કટારો ને લેખોમાં સીમભણી તાણતા માણસોનાં શબ્દદેહે દર્શન કરી શકાય છે. વાત સાલ્વાડોર ડાલીની હોય કે સરદાર પટેલની, પણ એમાં ગામની સીમ અચૂક આવી જાય- જાણે એ ચિંતક ઓછા ને તલાટી વધારે હોય. સીમના અસીમ ઉલ્લેખો વાંચીને ‘ખુલ જા સીમ સીમ’ વાળો અલીબાબા પણ યાદ આવી જાય. પણ ચિંતનલેખમાં ‘અરેબિયન’ને બદલે ‘ફરેબિયન’ નાઇટ્‌સની કથાઓ વધારે હોય છે.

દરેક ગામને કે ખેતરને સીમ હોય છે, પણ ચિંતકો-નિંબધકારોનાં ગામ-ખેતરની સીમની વાત ન્યારી છે. સ્વર્ગલોક શી અલૌકિક એવી સીમમાં માણેલાં સુખોની પૂરી યાદી લેખકો ન આપે એ સમજી શકાય એમ છે, પણ કહી શકાય-છાપી શકાય એવી એક પણ બાબત તે ચૂકતા નથી. એ વાતો સત્ય હોય કે કાલ્પનિક, પણ તેનો હેતુ બહુ શુદ્ધ હોય છે : વાચકોને પલાળવા, શહેરીકરણમાં ‘ક્યાંક, કશુંક’ ખોવાયું છે એ યાદ કરાવવું અને ખાસ તો, પોતાની સંવેદનશીલતાની ધાક બેસાડી દેવી.

સામાન્ય લોકોને દસ-બાર વર્ષની ઉંંમરે આંબા પરથી પાડેલી કેરીઓ યાદ આવે છે, પણ કેરીઓ પાડવાની એ ક્રિયા સાથે અલૌકિક અનુભૂતિ સાંકળવાનું આવડતું નથી. તેમનામાં અને નિબંધકારોમાં એ જ ફરક છે. નિબંધકારો ‘રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ’થી રાજી કે દુઃખી થઇ શકે છે. ત્રીસ વર્ષ પહેલાં પાડેલા આંબલીના કાતરાની ખટાશને યાદ કરતાં તેમના દાંત અત્યારે પણ ખટાઇ જાય છે. આંબા પરથી કેરીઓ પાડવામાં ફ્રેન્ચ ક્રાંતિ અને સ્વતંત્રતા-સમાનતા-બંધુતાના સિદ્ધાંતોનાં, સખીઓ સાથે સાતોડિયું રમવાની વાતમાં સ્ત્રીસમાનતાનાં અને સગડી પર મૂકેલા મકાઇના ડોડા માટે ‘તાપમાં શેકાવાથી તે મધુર બને છે’ એવી ફિલસૂફીનાં પ્રદર્શનથી અહોભાવિત થનારા જ ચિંતનનો સાચો આનંદ માણી શકે છે. બાકીના લોકોએ મહાન ચિંતનલેખોને બદલે ક્ષુલ્લક, નગણ્ય, તુચ્છ, વાસ્તવલક્ષી વાતોથી ચલાવી લેવું પડે છે.

***

સીમની જેમ શહેરીકરણ પણ નિબંધ-ચિંતનનો પ્રિય વિષય છે. જેમ કે, ‘મેકડોનલ્ડ’માં હવે બાજરીના રોટલાના બેઝ પર પીત્ઝા શરુ થવાના છે. શહેરીકરણથી ત્રસ્ત અને એકલતાથી ગ્રસ્ત આધુનિક સંસ્કૃતિમાં આ દિવસ અચૂક આવશે, એવું મને લાગતું હતું.

રોટલાની શાન ‘મેકડોનલ્ડ’વાળા શું જાણે? અમારા ગામના શંભુ મહારાજના હાથના રોટલા ખાધા હોય તો ‘મેકડોનાલ્ડ’ના રસોઇયા સન્યાસ લઇને શંભુ મહારાજના ચેલા બની જાય. શંભુ મહારાજનો રોટલો એટલે જાણે બે પરિમાણમાં તૈયાર થયેલી પૃથ્વી! રોટલો ગરમ હોય ત્યારે તો ફુલીને એવો દડો થાય કે બેઝબોલ રમવામાં વાપરી શકાય. બેઝબોલનો બોલ બનાવતી એક અમેરિકન કંપનીએ રોટલાના પેટન્ટ માટે અરજી કરી હતી, પણ તે નામંજૂર થઇ. કારણ કે તેના પેટન્ટ શંભુ મહારાજ પાસે નહીં, પણ મેકડોનલ્ડ પાસે છે. ‘મેકડોનલ્ડ’ વાળા કેવા રોટલા બનાવે છે, એ તો ખબર નથી. (કોઇ વાચક-વાચિકા ઇચ્છે તો તેમની સાથે હું ‘મેકડોનલ્ડ’માં આવવા તૈયાર છું. મારા વાચકો માટે હું કંઇ પણ કરી શકું છું.)

બીજા વિશ્વયુદ્ધના સમયે હિટલરનાં વિમાનો બ્રિટનની શેરીઓને ધમરોળી રહ્યાં હતાં ત્યારે અસ્વસ્થ ચર્ચિલ સ્વસ્થ ચિત્તપ્રકૃત્તિ કેળવવા માટે રોટલો અને છાશ ખાતા હોવાનું તેમના એક સહાયકે નોંઘ્યુંં હતું. એ નોંધ ધરાવતી ડાયરી પાછળથી અંગ્રેજોએ ગુમ કરી દીધી, પરંતુ આપત્તિકાળમાં ભારતીય ભોજનનો આશરો લેવો પડ્યો, એની દાઝમાં ચર્ચિલ આજીવન ભારતને ગાળો દેતા રહ્યા. હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે આ ઘટના અંગે વધુ તપાસ કરી હતી. તપાસનું મુખ્ય પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડમાં રહેવાનાં ઠેકાણાં શોધવામાં મને જરાય તકલીફ ન પડી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ યજમાન...

No comments:

Post a Comment