Tuesday, December 16, 2014

‘નેતાજી’ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ : રહસ્યનું રાજકારણ

સુભાષચંદ્ર બોઝ વિશેની કેટલીક ગુપ્ત ફાઇલો પરથી પડદો ઊંચકવાનો ઇન્કાર કરીને એનડીએ સરકારે વઘુ એક બાબતમાં શીર્ષાસન કર્યું છે, એટલું જ નહીં, નેતાજીના મૃત્યુના રહસ્ય પર વઘુ એક પડ પણ ચડાવ્યું છે

ભારતની આઝાદીની લડાઇમાં સુભાષચંદ્ર બોઝનું સ્થાન વિશિષ્ટ અને ઇતિહાસના પ્રવાહમાં વમળો પેદા કરનારનું રહ્યું છે. અભ્યાસમાં તેજસ્વી અને મિજાજમાં તેજ, જુવાનવયથી લશ્કરી ગણવેશ પહેરવશ પ્રત્યે ખેંચાણ ધરાવનારા અને સાવ જુવાન વયે કોંગ્રેસપ્રમુખના અભિનંદન-સરઘસમાં લશ્કરી ગણવેશમાં ફરનારા સુભાષચંદ્ર બોઝ ઘણી બાબતોમાં ગાંધી-નેહરુ-સરદાર ધરી કરતાં સામા છેડે હતા.
Subhash Chandra Bose

ગાંધીજીની માન્યતા ધરાવતા ઉમેદવારને હરાવીને કોંગ્રેસના પ્રમુખ બનેલા સુભાષચંદ્રની યુવાપેઢીમાં લોકપ્રિયતા જવાહરલાલ નેહરુની હરીફાઇ કરે એવી હતી. ગાંધીજીના વિરોધને કારણે કોંગ્રેસના રાજકારણમાંથી અલગ થયેલા, અંગ્રેજો દ્વારા નજરકેદ કરાયેલા અને તેમને હાથતાળી આપીને વિદેશ પહોંચનારા સુભાષચંદ્રના જીવનનો આખરી અઘ્યાય સસ્પેન્સ ફિલ્મ જેવો રોમાંચક, પણ કપાયેલા અંતવાળી સસ્પેન્સ ફિલ્મ જેવો અઘૂરો રહ્યો.

ભારતની સત્તાવાર તવારીખ પ્રમાણે, ૧૮ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ તાઇવાન (એ વખતના ફોરમોસા)માં વિમાન અકસ્માતમાં નેતાજીનું મૃત્યુ થયું. ત્યાર પછી એક તપાસસમિતિ ને બે તપાસપંચ નીમાઇ ગયાં. પરંતુ એ કવાયત પછી નેતાજીના મૃત્યુનું રહસ્ય ઉકલવાને બદલે વઘુ ગુંચવાયું. નેતાજીના મૃત્યુની પહેલવહેલી તપાસનો દાવો અંગ્રેજીમાં લખતા એક ગુજરાતી પત્રકાર હરિન શાહે કર્યો હતો. ‘ફ્રી પ્રેસ ઑફ ઇન્ડિયા’ ન્યૂઝ એજન્સીના પ્રતિનિધિ તરીક ચીનમાં થોડો સમય રહેલા હરિનભાઇને ચીનના વડા સાથે એક પત્રકારમંડળમાં ફૉરમોસા (તાઇવાન) જવાની તક મળી. ફૉરમોસાના પાટનગર તાઇપેઇમાં નેતાજીને અકસ્માત થયો હોવાની અને ત્યાં જ તેમની અંતિમ ક્ષણો વીતી હોવાની વાત હતી.

હરિન શાહે ફોરમોસાના પાટનગર તાઇપેઇની પોતાની તપાસ અને મુલાકાતના આધારે એક પુસ્તક લખ્યું : ‘વર્ડિક્ટ ફ્રૉમ ફૉરમોસા : ગૅલન્ટ ઍન્ડ ઑફ નેતાજી’/ Verdict from Formosa : Gallant End oF Netaji. નેતાજીની આખરી સારવાર કરનારી નર્સથી માંડીને તેમની અંતિમ વિધિ જ્યાં થઇ હતી તે સ્મશાનના ઇન્ચાર્જ અને કેટલાક લશ્કરી અફસરોને મળ્યાનો હરિન શાહનો દાવો હતો. તાઇપેઇની મ્યુનિસિપાલિટીમાં સુભાષચંદ્ર બોઝનું મનાતું ડેથ સર્ટિફિકેટ પણ પહેલવહેલું હરિન શાહે હસ્તગત કર્યું હતું.

નેતાજીના સાથીદાર, આઝાદ હિંદ ફૌજના અફસર અને ‘લાલ કિલ્લા કેસ’ના એક હીરો શાહનવાઝ હુસૈનની આગેવાની હેઠળ ૧૯૫૬માં નેહરુ સરકારે એક તપાસસમિતિ નીમી. લગભગ એ જ અરસામાં હરિન શાહનું પુસ્તક પ્રકાશિત થયું. એ બન્નેમાં નેતાજીના મૃત્યુના સમાચાર પર આખરી-કાયમી મહોર મારવાની વાત હતી. પરંતુ એ કેસ બંધ થયો નહીં. સુભાષચંદ્ર બોઝ સ્થાપિત રાજકીય પક્ષ ‘ફૉરવર્ડ બ્લૉક’ના એક નેતા અને અઘ્યાપક સમર ગુહાએ ‘નેતાજી : ડેડ ઑર અલાઇવ’ / Netaji : Dead Or Alive? એ શીર્ષક ધરાવતું એક પુસ્તક લખ્યું. પ્રો.ગુહા જેવા કેટલાક લોકોના દબાણથી જ ૧૯૭૩માં નિવૃત્ત ન્યાયાધીશ જી.ડી.ખોસલાના અઘ્યક્ષપદે ખોસલાપંચની રચના કરવામાં આવી. તેમાં સમર ગુહા પણ સભ્ય હતા. ગુહાએ પોતાના પુસ્તકમાં હરિન શાહની ઘણી સામગ્રીને કપોળકલ્પિત ગણાવી. હરિન શાહ સાથે ૧૯૯૬માં વિગતે વાત કરવાની તક મળી ત્યારે, સ્વાભાવિક રીતે જ તેમણે પોતાના પુસ્તકની માહિતીનું સમર્થન કર્યું હતું. પરંતુ શાહ અને ગુહા બન્નેના પુસ્તકોના સ્વતંત્ર વાચન પછી પણ ઘણા સવાલ અઘૂરા રહી જતા હતા.

૧૯૯૯માં મુખરજી પંચે એ નેતાજીના મૃત્યુની વઘુ એક તપાસ હાથ ધરી ત્યારે એ પંંચે જૂની માન્યતા પર મહોર મારીને આગળ વધી જવાને બદલે ઊંડી તપાસ કરી. પરંતુ તેનો અહેવાલ તત્કાલીન યુપીએ સરકારે સ્વીકારવાની કે જાહેર કરવાની ના પાડી દીધી. એમ કહેવામાં આવ્યું કે એ અહેવાલ જાહેર કરવાથી ભારતના વિદેશો સાથેના સંબંધો સહિત બીજા ઘણા પ્રશ્નો ઊભા થઇ શકે એમ છે.

નેહરુ સરકારથી માંડીને યુપીએ સરકાર સુધી નેતાજીના મૃત્યુની વાતને જ આગળ કરવામાં આવી અને જાપાનના રેનકોજી મંદિરમાં સચવાયેલા અસ્થિકળશ નેતાજીના જ છે, એમ ભારપૂર્વક રજૂ કરાતું રહ્યું. ત્યારે ચાલતી એક મુખ્ય અટકળ એ હતી કે જવાહરલાલ નેહરુ-સુભાષચંદ્ર બોઝ વચ્ચેની હરીફાઇને કારણે કોંગ્રેસી સરકારો સત્ય બહાર આવે તેમ ઇચ્છતી નથી. ‘સરકારે નેતાજીના મૃત્યુને લગતી ફાઇલો જાહેર કરવી જોઇએ. લોકોને સાચી માહિતી જાણવાનો અધિકાર છે’ એવાં નિવેદનો વિપક્ષ તરીકે ભાજપે ઘણી વાર કર્યાં, પરંતુ હવે ભાજપની-એનડીએની સરકાર છે ત્યારે માહિતી અધિકાર અંતર્ગત હેઠળ થયેલી એક અરજીના જવાબમાં આ સરકારે પણ યુપીએ સરકારની જેમ નેતાજીના મૃત્યુને લગતી ફાઇલો જાહેર કરવાની ના પાડી દીધી છે.

નેતાજીના મૃત્યુ અને આઝાદ હિંદ ફોજ અંગેની કુલ ૪૧ ફાઇલ છે. આ ફાઇલોનો સમયગાળો ૧૯૫૩થી ૨૦૦૦ વચ્ચેનો છે. તેમાંથી બે સિવાયની બધી ફાઇલો ખાનગી રાખવામાં આવી છે. આઝાદી પછીનાં વર્ષો સુધી નેતાજી જીવીત હોવાની અનેક અફવાઓ સાંભળવા મળતી હતી. ‘નેતાજી રશિયાથી ભારત આવીને ગુપચુપ એક આશ્રમ રાખીને સ્વામી શારદાનંદ તરીકે રહ્યા હતા, ભારત સરકારે જ તેમને ૧૦૦ એકર જમીન આપી હતી અને ભારતની આઝાદીનું ઘ્યેય સિદ્ધ થઇ ગયા પછી તે સક્રિય રાજકારણમાં રહેવા ઇચ્છતા ન હતા’- આ વાતને સત્ય સાબીત કરવા માટે ઉત્તરાખંડનું એક સંગઠન હજુ પણ પ્રયાસ કરી રહ્યું છે.

બીજી તરફ, જે ખાનગી માહિતી જાહેર કરવાથી ભારતના ‘આંતરરાષ્ટ્રિય સંબંધો બગડે એમ છે’- એ સરકારી દાવાને સમર્થન આપતાં કેટલાંક સંશોધન પણ થયાં છે. અનુજ ધર નામના એક પત્રકારે ‘ઇન્ડિયાઝ બિગેસ્ટ કવર અપ’/ India's Biggest Cover Up (ભારત સરકારે કરેલો સૌથી મોટો ઢાંકપિછોડો) એ શીર્ષક હેઠળ બે વર્ષ પહેલાં એક પુસ્તક લખ્યું હતું, તો હમણાં પ્રો. પુરબી રોયે ‘ધ સર્ચ ફૉર નેતાજી : ન્યૂ ફાઇન્ડિંગ્સ’/ The Search For Netaji : New Findings નામે એક વિગતવાર પુસ્તક લખ્યું છે. જાદવપુર યુનિવર્સિટી (બંગાળ)માં ડીપાર્ટમેન્ટ ઑફ ઇન્ટરનેશનલ રીલેશન્સમાં સેવાઓ આપી ચૂકેલાં અને લગભગ દોઢેક દાયકાથી નેતાજીના મૃત્યુના રહસ્ય વિશે કામ કરતાં પ્રો.રોયે રશિયન ભાષાની પોતાની જાણકારી ખપમાં લગાડીને કેટલાક રશિયન દસ્તાવેજ પણ પહેલી વાર હસ્તગત કર્યા છે.

પ્રો.રૉય અને અગાઉ પણ કેટલાક લોકો એવું સૂચવી રહ્યા છે કે નેતાજીના વિમાનને ખરેખર અકસ્માત થયો જ ન હતો. એ સહીસલામત રશિયા પહોંચી ગયા હતા. આટલી બાબતમાં એકમત હોય એવા લોકો પણ રશિયામાં નેતાજીનું શું થયું, એ વિશે મતભેદ ધરાવે છે. પ્રો.રૉય રશિયાના ‘ફિલ્મ એન્ડ ફોટોગ્રાફિક ડીપાર્ટમેન્ટ’ (સરકારી આર્કાઇવ્ઝ)માંથી બીજા વિશ્વયુદ્ધના સમયનો સુભાષબાબુનો ફોટો પણ લઇ આવ્યાં છે. રશિયાના આર્કાઇવ્ઝમાં ભારતીય નેતાઓમાં ફક્ત ગાંધીજીની તસવીર હતી. તેમની સાથે બીજા કોઇ નહીં ને સુભાષચંદ્રની તસવીર શા માટે, એવો સવાલ પણ ઊભો થયો છે.

એક થિયરી પ્રમાણે રશિયા હેમખેમ પહોંચેલા નેતાજીને સ્તાલિને જેલભેગા કર્યા હતા અને ‘ગુલાગ’ તરીકે ઓળખાતી સાઇબીરીયાની ખતરનાક જેલમાં જ નેતાજીનો અંત આવ્યો. આ અનુમાન છે, પરંતુ નેતાજીનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું ન હતું અને તે રશિયા પહોંચ્યા હતા, એવું માનનારા અભ્યાસીઓની સંખ્યા મોટી છે. હવે રશિયામાં નેતાજીનું શું થયું હતું તેની વિગતો બહાર આવે, તો ભારત-રશિયા સંબંધ બગડી શકે. એટલે યુપીએ કે એનડીએની સરકારો નેતાજીના મૃત્યુ અંગેની વિગત જાહેર કરવા માગતી નથી- એવું કહેવામાં આવે છે.

નેતાજીના મૃત્યુને લગતી વિગતો બેશક રસ, જિજ્ઞાસા અને કુતુહલનો વિષય છે. પરંતુ તેને નકરી લાગણીનો વિષય બનાવવાથી કામ સુધરવાને બદલે બગડે છે. જોકે, રાજકારણ ખેલતા નેતાઓ તથા નેતાજીના ભક્તો માટે લાગણી જ સૌથી કામની ચીજ હોય છે. બાકી, કેપ્ટન લક્ષ્મી સહગલ જેવાં નેતાજીનાં સાથીદાર ‘નેતાજી જીવે છે કે મૃત્યુ પામ્યા?’ અને ‘તેમનું મૃત્યુ કેવી રીતે થયું?’ એના વિવાદમાં ભાગ્યે જ પડ્યાં.૧૯૯૯માં તેમની સાથે થયેલી દીર્ઘ મુલાકાતો દરમિયાન, તેમણે કદી નેતાજીને લગતાં અટકળ-અનુમાનો કે તેના રાજકારણ વિશે વાત કરવાની વૃત્તિ ન દેખાડી. તેમણે નેતાજીના રસ્તે ચાલીને યથાશક્તિ લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો.

મૃત્યુની વિગતો જાહેર થાય એ માટે પ્રયાસ કરવામાં કશું ખોટું નથી, પણ મૃત્યુની ચર્ચામાં જીવન અને જીવનકાર્ય કોરાણે ન મૂકાઇ જાય, એ પણ એટલું જ અગત્યનું નથી? 

No comments:

Post a Comment