Friday, July 04, 2014

છાશ : સૌરાષ્ટ્રની રસધાર

‘છાશ ઉનાળાનું અમૃત છે’ એવું ચિંતનલેખો કે આરોગ્યલેખોમાં ઘણાએ વાંચ્યું હશે. જ્યાં સુધી કોઇએ ખરેખરા અમૃતનો સ્વાદ ચાખ્યો નથી ત્યાં સુધી લેખકો ચિંતા કરવાનું કારણ નથી.

છાશને અમૃત કહેવી એ સરદાર પટેલને ‘ભારતના બિસ્માર્ક’ કે સૌરાષ્ટ્રના કોઇ ગામને ‘કાઠિયાવાડનું પેરિસ’ ગણાવવા જેવી ચેષ્ટા છે. છાશ માટે તેનું છાશ હોવું જ પૂરતું છે. છાશત્વનું ગૌરવ કે છાશાભિમાન ધરાવતી કોઇ પણ છાશ કે છાશપ્રેમી બીજી ઉપમા પસંદ ન કરે.

છાશની લોકપ્રિયતા ઘણી છે, પણ મોભાની રીતે એનો દરજ્જો બહુ ઊંચો ગણવામાં આવતો નથી. પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા અને ગુણવત્તાસભર લખનારા સાહિત્યકારોને આ બાબતની નવાઇ નહીં લાગે. તેમને અઘ્યાપકીય-વિવેચકીય પ્રજાતિ જેમ ‘લોકપ્રિય-વાળા’ ગણી કાઢે છે, એવું જ છાશનું પણ થાય છે. જાણે તેની લોકપ્રિયતા જ તેના મોભાની સામે આવીને ઊભી રહી જાય છે.

સાહિત્યકારોની સરખામણી બીજી રીતે પણ લાગુ પડે છે. ઉન્નતભુ્ર વિવેચકો કે અઘ્યાપકો લોકપ્રિય લેખકોની હાજરીમાં કે અંગત વાતચીતમાં તેમનાં વખાણ કરી શકે છે, પણ જાહેરમાં તો લોકપ્રિય હોવું એ જાણે નીચી કક્ષાનો પુરાવો હોય એવી રીતે એ વર્તે છે. (આ દલીલનો ભરપૂર ગેરલાબ નીચી કક્ષાને કારણે લોકપ્રિયતા મેળવનારા ઉઠાવે છે, એ વળી બીજી વાત થઇ.)  એવી જ રીતે, છાશની લોકપ્રિયતાનો જાહેરમાં સ્વીકાર કરતાં ખચકાટ અનુભવતા લોકો ઘરમાં છાશ પીતાં - વ્હાઇટ હેન્ડેડ -પકડાય કે છાશ પીધેલી અવસ્થામાં, મોં લૂછતા જોવા મળી જાય એ બિલકુલ શક્ય છે.

૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર અને ‘ગુજરાત’ના ભેદ મટી ગયા છે, પણ છાશ-સંસ્કૃતિની બાબતમાં આજે પણ કાઠિયાવાડ જુદું તરી આવે છે. એટલે આ લેખ પૂરતું સગવડ ખાતર ‘ગુજરાત’ એટલે કાઠિયાવાડ સિવાયનું ગુજરાત ગણવું. ગુજરાતમાં અને ગુજરાતી થાળીમાં છાશ વપરાય છે, પણ તેમાં કાઠિયાવાડ અને કાઠિયાવાડી ભોજનની છાશ જેવો જોસ્સો કે મિજાજ હોતો નથી. ગુજરાતમાં છાશ ગરીબોનું પીણું -અને ઘણી વાર ખાણું - ગણાય છે. ઘણા લોકો માને છે કે છાશ એ સમાધાન છે. પોસાતું હોય એ લોકો તો લસ્સી જ પીએ.

લસ્સી અને છાશ સહોદર છે, પણ બન્નેમાં વીસ વર્ષ પહેલાં મેળામાં છૂટા પડી ગયેલા ફિલ્મી ભાઇઓ જેટલો તફાવત છે. એક સમૃદ્ધિનું પ્રતીક છે, તો બીજી ગરીબીનું. છાશનો એક ગ્લાસ પીવાથી કદી સંતોષ થતો નથી અને લસ્સી એક ગ્લાસથી વઘુ પીવાની ક્ષમતા ભાગ્યે જ હોય છે. લસ્સી હંમેશાં ખરીદીને પીવી પડે છે, જ્યારે છાશ પાણીથી એક જ પગથીયું ઉપરનું પીણું ગણાય છે. એટલે જ છાશકેન્દ્રો હોઇ શકે છે- લસ્સીકેન્દ્રો કદી હોતાં નથી. (પંજાબમાં હોય તો ખબર નથી.)

ગુજરાતી પરંપરાગત ગૃહિણીઓ છાશનો ઉપયોગ પીવા ઉપરાંત વાળ ધોવા કે વાસણ ધોવા જેવાં કાર્યોમાં પણ કરે છે. કેટલાક લોકો જે માત્રામાં છાશ પીએ છે એ જોઇને લાગે કે તે વાસણની જેમ પેટને પણ છાશથી જ વીછળતા-સાફ કરતા હશે. જેનાથી માથાનો ખોડો દૂર કરી શકાય અને (છાશકેન્દ્ર ખોલીને) પુણ્ય કમાઇ શકાય, એવું આ એક જ પીણું છે.

ગુજરાતની અને એમાં પણ શહેરી વિસ્તારોની છાશ એકદમ મવાળ સ્વાદની હોય છે. તેમાં વળી અનેક ચીજવસ્તુઓ સાથે તેનો વઘાર કરવામાં આવે ત્યારે એ ફક્ત પીવાની નહીં, ફાલુદાની જેમ ખાવા-પીવાની ચીજ બની જાય છે. અમદાવાદીઓને હજુ સુધી ચીઝ કે બટરનું છીણ ભભરાવેલી છાશ પીવાનું મન થયું નથી, એટલું સારું છે. (આ સુવિચાર કોઇને આવી ચૂક્યો હોય તો આગોતરી ક્ષમા. તમારી સર્જકતા ઓછી આંકવાનો જરાય ઇરાદો ન હતો.)

ગુજરાતી છાશ મોટે ભાગે મખમલી મ્યાન જેવી હોય છે, તો કાઠિયાવાડી છાશ મ્યાનની અંદર રહેલી તલવાર જેવી. અભ્યાસીઓ માને છે કે સામેવાળાના દાંત ખાટા કરવા એ કાઠિયાવાડી સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ હોય કે ન હોય, પ્રધાન ભાવના તો હોય જ છે. જૂના જમાનામાં શૂરવીરો એ કાર્ય સિદ્ધ કરવા માટે તલવારનો ઉપયોગ કરતા હતા. હવે તલવારોનો ઉપયોગ હુલ્લડો અને લગ્નપ્રસંગો પૂરતો મર્યાદિત થઇ ગયો છે. તેની સીધી અસર કાઠિયાવાડી છાશની ખટાશમાં જોઇ શકાય છે. સૌરાષ્ટ્રનાં મોટાં ભાગનાં સ્થળે, નાની હોટેલમાં તો ખાસ, ખાટી ચીચુડા જેવી છાશ અવશ્ય પીરસાય છે.  ‘કાઠિયાવાડમં કોક દી ભૂલો પડ ભગવાન’વાળા દુહામાં પણ છાશનો મહિમા કરતાં કવિ કહે છે કે ભગવાન ભૂલેચૂકે કાઠિયાવાડની ખાટી છાશ પી જશે તો એ સ્વર્ગ- એટલે કે પોતે ક્યાંથી આવ્યા છે એ પણ- ભૂલી જશે.

કાઠિયાવાડના ઇતિહાસ વિશે ઊંડું સંશોધન કરતાં એક તાજી હકીકત પ્રકાશમાં આવી છે, જે સાચી હોવાની પૂરેપૂરી આશંકા છે. એ વાત પ્રમાણે, સંજાણ બંદરે પારસીઓને થયો એવો જ અનુભવ કાઠિયાવાડમાં વસતા આફ્રિકાના સીદીઓને થયો હતો. પારસીઓએ પોતાનો મળતાવડો સ્વભાવ દેખાડવા માટે  રાજા તરફથી આવેલા દૂધના કટોરામાં  સાકર નાખી હતી. સીદીઓના કિસ્સામાં, કહેવાય છે કે, કાઠિયાવાડી બાપુએ રાજાએ છાશની તાંબડી મોકલી હતું. સીદી સરદારે તેમાં બે-ચાર ગ્લાસ પાણી ઠપકારીને એ પાછી મોકલી. તેમનો સંદેશો હતો : આટલું બધું પાણી ભેળવ્યા પછી પણ છાશની ખટાશ જળવાઇ રહી છે, તેમ અમારા લોકોના ભળવાથી તમારી સંસ્કૃતિમાં કશો ફરક નહીં પડે.

કાઠિયાવાડમાં જમતી વખતે ઘી-દૂધની તો નહીં, પણ છાશની નદીઓ વહેતી હોય એવું ચોક્કસ લાગે, જ્યારે ગુજરાતમાં છાશની નદીઓ પર ઠેકઠેકાણે ચેકડેમ બંધાઇ ગયાનો અનુભવ થાય. હોટેલોમાં પણ એક ગ્લાસ છાશ એવા અંદાજમાં મફત આપે, જાણે શેમ્પેઇન આપતા હોય. બીજો ગ્લાસ માગનારે છાશને બદલે છાશીયા માટે તૈયાર રહેવું પડે. ‘એકસ્ટ્રા થશે’ એવું પીરસનાર એવી રીતે કહે કે છાશપ્રેમીને ‘હા’ પાડવાનું મન ન થાય.

કાઠિયાવાડની હોટેલમાં તો જમવાનું શરૂ થાય તે પહેલાં છાશ ભરેલું એક મોટું પાત્ર ટેબલ પર મૂકાઇ જાય. તે જગ અને તપેલીથી માંડીને પ્લાસ્ટિકનું ડબલું પણ હોઇ શકે. બહારનું સ્વરૂપ જોવાને બદલે અંદરનું તત્ત્વ પામવાનો ઉપદેશ આપનારા સંતોની આ ભૂમિમાં પાત્ર ડબલું છે કે જગ તેની પરવા કોણ કરે? ગુજરાતનો માણસ એ છાશનો એક ધૂંટડો ભરે એટલે તેની ખટાશ પ્રિયતમાની યાદની જેમ રોમેરોમ વ્યાપી જાય. તેની અસર હળવી કરવા માટે માણસ સેવ-ટમેટાના શાકનો એક કોળિયો ભરે એટલે તેમાં રહેલા- ના, તેમાં વહેતા- તેલની અસર મંદ કરવા માટે એને છાશનું શરણું લેવું પડે. આમ, છાશની ખટાશ અને શાકનાં તીખાશ-તેલના ધીંગાણામાં ભોજન ક્યારે પૂરું થઇ જાય અને પેટ ભરાઇ જાય એની સરત જ ન રહે. (કેટલીક જગ્યાએ જોકે મહેમાનને પેટ નહીં, પોતે જ ભરાઇ ગયાની લાગણી થઇ શકે છે.)

ગુજરાતીઓ મીઠું-જીરુ નાખીને ઠંડી કરેલી છાશને લગભગ ‘ડેઝર્ટ’ની જગ્યાએ લે છે, જ્યારે કાઠિયાવાડમાં તેનો પ્રયોગ પાણીની અવેજીમાં થાય છે. હવે ડેરીમાં પ્લાસ્ટિકના પેકમાં તૈયાર છાશ મળે છે. સાથે સ્ટ્રો પણ આપવામાં આવે છે. પરંતુ જેમણે બોઘરણાં ને તપેલીમાં છાશ જોઇ હોય તેમને સ્ટ્રોથી કોથળીમાં રહેલી છાશ પીવામાં પોતાનું અને છાશનું એકસરખું અપમાન લાગી શકે છે. 

6 comments:

  1. Anonymous7:23:00 PM

    Waah Chhas Waah

    ReplyDelete
  2. ઉત્કંઠા9:45:00 PM

    છાશત્વ, છાશાભિમાન. વાહ ઉર્વીશભાઈ... ખરું ઉર્વીશત્વ બતાવ્યું... :)

    ReplyDelete
  3. છાશ સિવાયની ચર્ચા પણ છાશ જેટલી જ મધુરી છે!
    સુત્ર છે - भोजनान्ते पिबे तक्रम् दिनान्ते च दुग्ध म्

    ReplyDelete
  4. છાશ (કે છાસ) ન પીએ તે જમ્યો જ શું? ભાઈ અમને કચ્છ-કાઠિયાવાડનાઓને તો સમજાય જ નહીં કે ઘરમાં છાશ નહોતી તો જમવા કાં બોલાવ્યા? બસ, છાશની એક જ ખામી છે. એ હંમેશાં ઓછી પડે, કદીયે પૂરતી ન હોય. (જો કે ખીચડીની ખામી પણ એ જ છે. રાતે બધી ખાઈ જવી કે સવારના નાસ્તા માટે થોડી રહેવા દેવી એ ગંભીર સમસ્યા હોય છે).

    ReplyDelete
  5. સરસ લેખ. છાશને વલોવીને મજાનું માખણ તૈયાર કર્યું.

    ReplyDelete
  6. વાહ વાહ ,

    છાશ ની ખરી મજા તો બોઘડા માં રાખી મૂકેલી હોય તો જ આવે અને બપોરે રોંઢા કરવા બેહવિ ત્યારે તાંહળી ભરી ને છાસ ઘટઘટવાની પિય ને એય બાર ફળિયા માં લીંબડા ના શિળે હુવા ની ખરી મોજ આવે.

    ReplyDelete