Monday, July 21, 2014

૧૯૬૨ના યુદ્ધ-ધબડકા વિશેના હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : રાજકીય વિવાદ વગરની વરવી વાસ્તવિકતા

ચીન સામેના ૧૯૬૨ના યુદ્ધમાં ભારતની રાજકીય અને લશ્કરી નેતાગીરીએ ક્યાં અને કેવું કાચું કાપ્યું? બાવન વર્ષ પછી પણ ‘ટૉપ સીક્રેટ’ ગણાતા રીપોર્ટના ચુનંદા અને આંચકાજનક અંશ 


પ્રચારને કારણે ઊભી થયેલી સામાન્ય છાપ એવી છે કે ૧૯૬૨માં પંડિત નેહરુ ઉંઘતા ઝડપાયા. તે વિશ્વશાંતિના મોહમાં ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’નું રટણ કરતા રહ્યા અને ચીની સૈનિકો ભારતની હદમાં ધૂસણખોરી કરી ગયા એનો તેમને ખ્યાલ જ ન રહ્યો. પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી વધારે પેચીદી છે.

ચીન સામે ભારતના પરાજયની લશ્કરી રાહે તપાસનું કામ ડિસેમ્બર, ૧૯૬૨માં લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Lt.General Henderson Brooksને સોંપાયું હતું. બ્રિગેડીઅર પી.એસ.ભગતને તેમના સહાયક તરીકે નીમવામાં આવ્યા. હેન્ડરસન બ્રુક્સે ફક્ત ચાર મહિનામાં સોંપી દીધેલો વિસ્તૃત તપાસ અહેવાલ પાંચ દાયકા પછી પણ ‘ટૉપ સીક્રેટ’ રાખવામાં આવ્યો છે. ‘અહેવાલમાં પંડિત નેહરુ દોષી ઠરતા હોવાથી કોંગ્રેસી સરકારો એ રીપોર્ટ જાહેર કરતી નથી’ એવો આરોપ અત્યાર સુધી થતો હતો. પરંતુ વાજપેયીની એનડીએ સરકારે પણ તેને જાહેર ન કર્યો.

ભારત-ચીન યુદ્ધ વિશે સંશોધનાત્મક પુસ્તક લખનાર ૮૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન પત્રકાર Neville Maxwell/ નેવિલ મેક્સવેલે થોડા મહિના પહેલાં આ અહેવાલનો મોટો હિસ્સો પોતાની વેબસાઇટ થકી મફત ડાઉનલોડ માટે ખુલ્લો મૂકી દીધો. ત્યારે વિપક્ષી નેતા તરીકે અરુણ જેટલીએ આખો અહેવાલ જાહેર કરવાનો આગ્રહ રાખ્યો હતો અને આટલાં વર્ષે સચ્ચાઇ જાણવાના લોકોના જાણવાના અધિકારની વકીલાત કરી હતી. હવે પોતે સંરક્ષણ મંત્રી બન્યા પછી તે પણ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ જાહેર કરવા માગતા નથી. તેમની મનાઇનું સાચું કારણ અટકળનો વિષય હોવાથી એમાં પડવાને બદલે, નક્કર હકીકતોની વાત કરવા જેવી છે.

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં તારણ એવું સૂચવે છે કે ૧૯૬૨ના ધબડકા માટે પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત તેમનો વઘુ પડતો ઉત્સાહ અને પૂરતી લશ્કરી સજ્જતા વિનાની ‘ફોરવર્ડ પૉલિસી’ કારણભૂત હતાં. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ,  જે ચીનની લશ્કરી જમાવટના અને કાશ્મીર સરહદે ઘૂસણખોરીના પ્રતિભાવ તરીકે અપનાવવામાં આવી હતી.

પત્રકાર નેવિલ મેક્સવેલે આ અહેવાલમાંથી ઘણી હકીકતોનો પોતાના પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’ (૧૯૭૦)માં ઉપયોગ કર્યો હતો. છતાં મોટા ભાગના લોકો માટે એ સામગ્રી એટલી પરિચિત નથી. આ વર્ષે મેક્સવેલે ડાઉનલોડ કરવા માટે ખુલ્લા મૂકી દીધેલા હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટના પહેલા ભાગનાં કુલ ૧૯૦ પાનાંમાંથી ૬૪ પાનાં ગાયબ છે. છતાં, જેટલું જાહેર થયું છે તે પણ પૂરતું આંચકાજનક છે.

***

  • નવેમ્બર ૨, ૧૯૬૧ના રોજ વડાપ્રધાનની કચેરીમાં એક મિટિંગ થઇ. તેમાં બીજા લોકો ઉપરાંત સંરક્ષણ મંત્રી, વિદેશ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના ડાયરેક્ટર હાજર હતા. આઇબીના ડાયરેક્ટરનો મત એવો હતો કે ‘(સરહદ પર) આપણે નવી ચોકીઓ ઊભી કરીશું તો પણ ચીન કશી પ્રતિક્રિયા નહીં આપે અને એ લોકો બળપ્રયોગ કરવાની સ્થિતિમાં હશે તો પણ એવું કરે એવી શક્યતા નથી.’ સપરંતુ આર્મી હેડ ક્વાર્ટર્સના એન્યુઅલ ઇન્ટેલીજન્સ રીવ્યુ (૧૯૫૯-૬૦)માં સાફ જણાવાયું હતું કે તેમના તાબા હેઠળના વિસ્તારોમાંથી કોઇ પણ ભાગ પાછો મેળવવાનો પ્રયાસ થશે તો ચીન બળપ્રયોગ દ્વારા પ્રતિકાર કરશે. (પૃ. ૮)
  • વડાપ્રધાનની કચેરીમાં મળેલી મિટિંગમાં ‘ફોરવર્ડ પૉલિસી’ના સંદર્ભે મુખ્ય ત્રણ નિર્ણય લેવામાં આવ્યા.  ૧) લદ્દાખમાં આપણી હાલની ચોકીઓથી આંતરરાષ્ટ્રિય સરહદ તરફ શક્ય એટલા આગળ સુધી પેટ્રોલિંગ કરવું...જેથી ચીની સૈનિકો આગળ વધતા અટકે અને જ્યાં આપણી હદમાં તે ધૂસી ગયા હોય ત્યાં તેમનું પ્રભુત્વ રોકી શકાય. સ્વરક્ષણ  સિવાય બીજા કોઇ સંજોગોમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં.   ૨) ઉત્તર પ્રદેશ અને ઉત્તરી વિસ્તારોમાં (ચીની ધૂસણખોરીની) લદ્દાખ જેવી તકલીફ નથી. ત્યાં આપણે શક્ય હોય એટલા આગળ વધવું અને આખી સરહદ પર અસરકારક કબજો જમાવવો. એ સરહદે જ્યાં ગાબડાં લાગે તે ચોકીઓ કે પેટ્રોલિંગથી ભરી દેવાં. ૩) વહીવટી અને કામગીરીને લગતી (ઑપરેશનલ) અનેક મર્યાદાઓને ઘ્યાનમાં રાખીને આપણાં દળોને સરહદ પર એવી જગ્યાઓએ તહેનાત કરવાં કે જે જગ્યાઓ ફોરવર્ડ પોસ્ટ (છેક સરહદ પર રહેલી મોખરાની જગ્યાઓ)ની પાછળ હોય, જ્યાં આસાનીથી તેમને પુરવઠો પહોંચાડી શકાય અને જ્યાંથી તે જરૂર પડ્યે ઝડપભેર ફોરવર્ડ પોસ્ટ પર પહોંચી શકે...  આમ, મિટિંગમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવો હોય તો, પૂરતી સંખ્યામાં સૈન્યબળ ઊભું થયા પછી જ કરી શકાય. વેસ્ટર્ન કમાન્ડે  અગાઉથી જણાવ્યું હતું કે લદ્દાખ સરહદે અસરકારક સંરક્ષણ માટે સૈન્યની ઓછામાં ઓછી એક ડિવિઝનની જરૂર પડશે. (પૃ.૮-૯)
  • આર્મી હેડક્વાર્ટરે મિટિંગનાં ત્રણ સૂચનોમાંથી ત્રીજું- પૂરતા સૈન્યબળને લગતું- સૂચન કોરાણે મૂકીને બાકીનાં બે સૂચન પોતાના વિવિધ કમાન્ડ્‌ઝને મોકલી આપ્યાં...સરકાર પર ગુમાવેલા પ્રદેશ મેળવવા માટે રાજકીય દૃષ્ટિએ આતુર હતી છતાં તેણે સાવચેતીપૂર્વકની નીતિ સૂચવી હતી, જ્યારે આર્મી હેડક્વાર્ટર્સે તેના કમાન્ડ્‌સને પાઠવેલો નીતિવિષયક આદેશ લશ્કરી દૃષ્ટિએ નબળો (અનસાઉન્ડ) હતો....આર્મી હેડક્વાર્ટર્સે સરકારી સૂચન પ્રમાણે પૂરતું પીઠબળ ઊભું કરવાને બદલે, બારોબર ‘ફોરવર્ડ પૉલિસી’નો અમલ શરૂ કર્યો. (પૃ.૯-૧૦) 
  • ‘ફોરવર્ડ પૉલિસી’ બાબતે ચીન તરફથી પહેલો પ્રતિકાર ૨૨ એપ્રિલ, ૧૯૬૨ના રોજ થયો. (પૃ.૧૧) 
  •  વેસ્ટર્ન કમાન્ડે ૧૫ મે, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સને જાણ કરી કે ચીની હુમલાની સંભાવના ઘ્યાનમાં રાખીને ગલવાન નદી પાસે કોઇ ચોકી ઊભી કરવામાં ન આવે. પરંતુ હેડક્વાર્ટ્‌ર્સે આ સૂચન ફગાવીને ૫ જુલાઇ, ૧૯૬૨ના રોજ ત્યાં ચોકી ઊભી કરી. ચોકી સ્થપાઇ ગયા પછી વેસ્ટર્ન કમાન્ડે કહ્યું કે ત્યાં સૈનિકોને જમીન રસ્તે નહીં, પણ હવાઇ માર્ગે મોકલવા જોઇએ, જેથી ચીની સૈનિકો સાથે સંઘર્ષ ટાળી શકાય. પણ આર્મી હેડક્વાર્ટર્સે જમીન રસ્તે જ સૈનિકો મોકલ્યા. ચીની સૈનિકોએ તેમને આંતર્યા અને ચોકી સુધી પહોંચવા દીધા નહીં. (પૃ.૧૨)
  •  જુલાઇ, ૧૯૬૨ સુધીમાં ‘ફોરવર્ડ પૉલિસી’ અંતર્ગત લેહ વિસ્તારમાં નવી ૩૬ ચોકી ઊભી કરવામાં આવી. (ચોકીઓની કુલ સંખ્યાઃ ૬૦)તેના લીધે ભારતનું પાંખું સૈન્યબળ ઓર વેરવિખેર અને વિભાજીત થઇ ગયું. નવી ચોકીઓને મજબૂત ટેકો પૂરો પાડવાને બદલે, આ ચોકીઓને લીધે ભારતીય સૈન્યની હાલત નબળી પડી. (પૃ.૧૩, ૧૫) 
  • નવી ચોકીઓ પછી ભારત અને ચીન વચ્ચે સાવ આમનેસામને આવી ગયાં. ચીન તરફથી પ્રતિકાર શરૂ થતાં, ૨૨ જુલાઇ, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સ તરફથી સૂચના મળી કે ચોકીઓ પર ખતરો હોય ત્યારે ચીની સૈનિકો પર કરવો. (જૂની નીતિ ફક્ત સ્વબચાવમાં ગોળીબાર કરવાની હતી) આમ, જુલાઇ, ૧૯૬૨ના અંત સુધીમાં બન્ને પક્ષો વચ્ચે તણખામાંથી ભડકો થાય એટલો તનાવ સર્જાયો. (પૃ.૧૪)
  •  ભારતના અપૂરતા સૈન્યબળથી ચિંતિત વેસ્ટર્ન કમાન્ડે ૧૫ ઑગસ્ટ, ૧૯૬૨ના રોજ લેહની વાસ્તવિક સ્થિતિ અંગેનું પુનઃમુલ્યાંકન હેડક્વાર્ટર્સને મોકલ્યું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે આપણા સંદેશાવ્યવહાર કે શસ્ત્રસરંજામ- કશાંનાં ઠેકાણાં નથી. આ સ્થિતિમાં જો યુદ્ધ થશે તો આપણે  પાકા પાયે પછડાટ ખાઇશું. (પૃ.૧૫) તેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ‘રાજકીય નિર્દેશો લશ્કરી સંસાધનો પર આધારિત હોય એ જરૂરી છે. એ બન્ને વચ્ચે સંબંધ ન હોય તો આપણે નૈતિક અને ભૌતિક એમ બન્ને રીતે, આપણે જેટલું ગુમાવ્યું છે એનાથી પણ વધારે ખોવાનો વારો આવે, એવી સ્થિતિ સર્જાઇ શકે છે. આપણા વિસ્તારો પર ચીનના ગેરકાયદે દાવાનો પ્રતિકાર કરવા માટે અપનાવેલી નીતિનો અસરકારક અમલ કરી શકાય એ માટે લશ્કરને સજ્જ કરવું રહ્યું અને તેનો કોઇ શોર્ટ કટ નથી.’ (પૃ.૧૬) 
  • આટઆટલી ચેતવણી છતાં આર્મી હેડક્વાર્ટર્સની આંખ ઉઘડતી ન હતી. તેમને એવું લાગતું હતું કે લદ્દાખમાં ચીન મોટા પાયે લશ્કરી કાર્યવાહી નહીં કરે. એટલું જ નહીં, અત્યાર લગી ચીને કશું નોંધપાત્ર કર્યું નથી તેને એમણે ‘ફોરવર્ડ પૉલિસી’ની સફળતા માની લીધી...ડેપ્યુટી ચીફ ઑફ ધ જનરલ સ્ટાફે લેફ્‌ટનન્ટ જનરલ એલ.પી.સેનને છેક સપ્ટેમ્બર, ૧૯૬૨માં એવું કહ્યું હતું, ‘લદ્દાખના અનુભવ પરથી લાગે છે કે થોડાં રાઉન્ડ ગોળીબાર કરીશું તો ચીનાઓ ભાગી છૂટશે.’ (પૃ.૧૭)
(લદ્દાખના મોરચે મૂર્ખામીભર્યા આત્મવિશ્વાસમાં રાચતા આર્મી હેડક્વાર્ટર્સ અને કેટલાક અફસરો-બાબુઓ-નેતાઓનું અરુણાચલ પ્રદેશના મોરચે કેવું વલણ હતું? તેની વાત આવતા સપ્તાહે)

No comments:

Post a Comment