Monday, June 23, 2014

નર્મદા બંધ, પાણીનું રાજકારણ અને ભાઇકાકા

નર્મદા બંધની ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ ફીટની આખરી ઊંચાઇએ પહોંચાડવાની મંજૂરી મળી જતાં, આ યોજના વઘુ એક વાર ચર્ચામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં નર્મદા યોજના વિશે થયેલા વિવાદ મુખ્યત્વે મેધા પાટકર અને ‘નર્મદા બચાવો આંદોલન’ સંદર્ભે હતા. પરંતુ વિવાદ અને ડખાનો એ ઉત્તરાર્ધ હતો. નર્મદા બંધ વિશેની કાર્યવાહી ૧૯૫૦ના દાયકાથી અને તેની તકરારો ૧૯૬૦ના દાયકાથી શરૂ થઇ ચૂકી હતી. ત્યારે પર્યાવરણ કે પુનઃવસન નહીં, પણ વીજળી-પાણી અને ખરૂં જોતાં, પ્રાદેશિક રાજકારણ વિવાદનું મૂળ કારણ હતું.

દરિયામાં ઠલવાઇ જતા નર્મદાના અઢળક પાણીનો રાજ્ય અને દેશના ફાયદામાં ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં ગોરા પાસે બંધ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે અલગ ગુજરાત રચાયું ન હતું. બંધની ઊંચાઇ એ વખતે બે તબક્કે વધારીને ૩૨૦ ફૂટ સુધી લઇ જવાની હતી. તેમાંથી કેનાલો દ્વારા છેક કચ્છ અને બનાસકાંઠા સુધી પાણી પહોંચાડવાની અને વીજળી પેદા કરવાની યોજના હતી, જેને આયોજન પંચે મંજૂરી આપી.

ગુજરાત સરકારે પોતાના અલગ અસ્તિત્ત્વના બીજા જ વર્ષે, ૧૯૬૧માં જવાહરલાલ નેહરુના હાથે ગોરા બંધનું ખાતમુુહુર્ત કરાવ્યું. પરંતુ ભૂસ્તરીય તપાસ દરમિયાન એ જગ્યા યોગ્ય ન લાગતાં, ગોરા બંધની જગ્યાથી નદીના ઉપરવાસ તરફ તપાસ કરવામાં આવી. ત્યાંથી આઠેક કિલોમીટર ઉપર નવાગામ પાસે યોગ્ય જગ્યા મળી આવતાં, સ્થળની ખોજ પૂરી થઇ. નવી જગ્યાએ આજુબાજુના ખડકોની ઊંચાઇ વધારે હતી. એટલે બંધની ઊંચાઇ વધારીને ૪૨૫ ફૂટ (૧૨૯.૫૪ મીટર) કરવાનું ઠરાવાયું.

પહેલેથી નર્મદા બંધનું ખરેખરું કામ ધીમી ગતિએ ચાલતું હતું. એ વખતે સ્વતંત્ર પક્ષના ચૂંટાયેલા સભ્ય તરીકે વિધાનસભામાં બેસતા ઇજનેર અને વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઇકાકા ઝડપથી તથા કરકસરથી કામ કરવા માટે પંકાયેલા હતા. આઝાદી પહેલાં (૧૯૨૦ના દાયકામાં) સિંધના સક્કર બરાજ પ્રોજેક્ટમાં યુવાન ઇજનેર ભાઇકાકાની કોઠાસૂઝથી સરકારને આશરે એકાદ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. પરંતુ આઝાદી પછી આ બાબતમાં સ્થિતિ બદલાઇ - અને ખરાબ થઇ. સ્વ-રાજના નેતાઓ લોકહિત અને દેશહિત આગળ કરવાને બદલે સત્તાકેન્દ્રી રાજકારણના ચક્કરમાં પડ્યા. રાજ્યો વચ્ચે કુદરતી સંસાધનો માટે ખેંચતાણ થાય ત્યારે પોતાના ફાયદા કરતાં બીજાને વધારે ફાયદો ન થવો જોઇએ, એવી વૃત્તિ કામ કરવા લાગી.
bhaikaka / ભાઇકાકા
ભાઇકાકાએ તેમનાં સંસ્મરણોમાં નોંઘ્યું છે તેમ, નર્મદા પરના બંધ સામે મઘ્ય પ્રદેશને શરૂઆતથી વાંધા હતા. તેની મુખ્ય દલીલ એ હતી કે નર્મદાની આઠસો માઇલની લંબાઇમાંથી ગુજરાતમાં તે ફક્ત સો માઇલમાં વહે છે. તેમનો બીજો વાંધો હતો કે ગુજરાતમાં નર્મદા પર બંધ બંધાય તો મઘ્ય પ્રદેશની અમુક જમીન ડૂબમાં જાય અને ભવિષ્યમાં તે નર્મદા પર બંધ બાંધી ન શકે. તેની સામે ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાએ એક વિશિષ્ય યોજના મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીના ગળે ઉતારી દીધી. એ પ્રમાણે, મઘ્ય પ્રદેશમાં મોટું સરોવર અને એક બંધ થાય તો આખા રાજ્યને છ-સાત લાખ એકરમાં બારમાસી ખેતી થાય એટલું પાણી નહેરો દ્વારા મળે અને પાણીમાંથી પેદા થનારી વીજળીનો પુરવઠો પણ મળે. આ બંધ માટે ખર્ચાનારા રૂ.૩૦ કરોડમાંથી રૂ.૧૦ કરોડ ગુજરાત લોન પેટે આપે, બીજા રૂ.૧૦ કરોડની ગુજરાત મદદ તરીકે આપે અને તેના બદલામાં પાણી થકી પેદા થતી વીજળીનો ત્રીજો ભાગ મેળવે.

આ યોજના પર બન્ને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સંમત હતા, પરંતુ અખબારોમાં આ સમજૂતીની વિગતો આવતાં મહારાષ્ટ્રના પેટમાં તેલ રેડાયું. ખેતી અને ઉદ્યોગોની બાબતમાં ગુજરાત આગળ ન નીકળી જાય એ માટે મહારાષ્ટ્ર બહુ સચેત હતું. તેના દૂતોએ મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીને અવળું ભૂસું ભરાવ્યું. તેમણે કહ્યું કે જમીન મઘ્ય પ્રદેશની ડૂબે ને લાભ ગુજરાતને મળે? તથા આવું થશે તો મઘ્ય પ્રદેશ ભવિષ્યમાં હરણફાળ પાસે બંધ બાંધવાની અને તેમાંથી પેદા થતી વીજળી મેળવવાની તક ગુમાવશે. એને બદલે જો એ મહારાષ્ટ્ર સાથે સંધિ કરે તો મહારાષ્ટ્ર મઘ્ય પ્રદેશની હદ નજીક જળસિંધી પર બંધ બાંધશે, જે સહિયારો બંધ બનશે. તેનો ખર્ચ મહારાષ્ટ્ર ઉપાડશે.  વીજળીની વહેંચણીમાં ત્રણ ભાગ મઘ્ય પ્રદેશને અને એક ભાગ મહારાષ્ટ્રને મળશે. મઘ્ય પ્રદેશને એટલી વીજળીની જરૂર ન હોવાથી, વીજળી મહારાષ્ટ્ર વાપરશે અને તેના રૂપિયા મઘ્ય પ્રદેશને ચૂકી દેશે. ઉપરાંત, ભવિષ્યમાં તે હરણફાળ પાસે પોતાનો બંધ પણ બાંધી શકશે.

મહારાષ્ટ્રની આ ફાચર આબાદ કામ કરી ગઇ. મઘ્ય પ્રદેશે ગુજરાત સાથેની સંધિ ફોક કરીને મહારાષ્ટ્ર સાથે હાથ મિલાવી લીધા. એટલું જ નહીં, તેમણે જાહેર કર્યું કે ગુજરાતને અમે નર્મદાનું કામ નહીં કરવા દઇએ. ત્યાં સુધી યોજનાની પ્રાથમિક તપાસ અને પરીક્ષણ પાછળ ચારેક કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રે એવો ‘અભ્યાસ’ બહાર પડાવ્યો કે નર્મદા બંધ ૨૧૦ ફૂટ ઊંચો થાય અને તેમાંથી ૧૮૦ ફૂટે કેનાલ નીકળે તો પણ એ પાણી કચ્છ સુધી પહોંચી જાય.

રાજ્યો વચ્ચેના દાવા-પ્રતિદાવાનો તકનિકી રાહે નીવેડો લાવવા માટે કેન્દ્ર સરકારે ખોસલા કમિટીની નિમણૂંક કરી. તેમાં ડૉ.ખોસલા સહિતના લોકો ઇજેનેરી બાબતોના નિષ્ણાત અને નિષ્પક્ષ હતા. ખોસલા કમિટીએ ત્રણે રાજ્યોની રજૂઆતો સાંભળી. ગુજરાતમાં આવતાં વેંત તેમણે ‘પોલિટિશ્યન એન્જિનિયર’ ભાઇકાકાને યાદ કર્યા અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી. એ સમયે વિપક્ષી આગેવાન એવા ભાઇકાકાએ તેમને કહ્યું કે ‘ગુજરાત પડોશી રાજ્યોને ભોગે કંઇ પણ લાભ લેવા માગતું નથી. અમારું એક જ દૃષ્ટિબિંદુ છે કે નર્મદા એ સારા ભારતની મિલકત છે અને ભારતનું હિત વધારેમાં વધારે સધાય એ રીતે નર્મદાના પાણીનો ઉપયોગ થવો જોઇએ.’ ટેકનિકલ પાસાંની રજૂઆત કરતાં તેમણે કહ્યું કે મઘ્ય પ્રદેશ હરણફાળ આગળ બંધ બાંધે ત્યાં માત્ર વીજળી ઉત્પન્ન થવાની છે. ખેતી માટે પાણીનો લાભ મળવાનો નથી. એવું જ મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશના સંયુક્ત એવા જળસિંધીના બંધ માટે પણ છે.

મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ ૪૬૫ ફૂટ ઊંચાઇએ થવાનો છે. એને બદલે ગુજરાતના નર્મદા બંધને ૪૬૫ ફૂટ (આશરે ૧૪૧ મીટર) ઊંચાઇની મંજૂરી આપવામાં આવે. ત્યાર પછી મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રે બંધ બાંધવાના રહે નહીં. મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ બાંધવાથી ડૂબમાં જવાની હતી એટલી જ જમીન ગુજરાતના નર્મદા બંધથી ડૂબમાં જશે. એટલે તેને વધારાનું કશું નુકસાન નહીં થાય. બન્ને બંધોથી જે વીજળી પેદા થવાની છે, એ ગુજરાત બન્ને રાજ્યોને નર્મદા બંધના પ્રતાપે આપી શકશે. બદલામાં બન્ને રાજ્યોએ એ બંધ માટે ખર્ચાનારી રકમ ગુજરાતને આપી દેવાની. તેમની વીજળીની માગ સંતોષાશે, વધારાની જમીન ડૂબમાં નહીં જાય અને ગુજરાતને ૧૪૧ મીટર ઊંચા નર્મદા બંધનો વીજળી અને સિંચાઇ માટે લાભ મળશે.

ખોસલા કમિટીની વિશિષ્ટ ભલામણોમાંની એક નર્મદાની નહેરો દ્વારા ગુજરાતમાં વહાણવટું ખીલવવાની હતી. તેમણે સૂચવ્યું હતું કે નહેરનો એક ફાંટો કંડલા બંદર પાસે હોવો જોઇએ, જેથી ત્યાંથી હોડીઓમાં માલ સીધો નવાગામ પાસે લાવી શકાય અને ત્યાંથી મઘ્ય પ્રદેશમાં છેક જબલપુર સુધી પણ આ રીતે જળમાર્ગ સ્થાપી શકાય. એવી રીતે કલકત્તાને પણ નર્મદાની નહેરો થકી જળમાર્ગે કંડલા સાથે જોડી શકાય. આ રીતે માલનો વાહનવ્યવહાર ખર્ચ ત્રીજા ભાગનો થઇ જાય.

નર્મદા બંધની ૪૬૫ ફૂટની ઊંચાઇ ખોસલા કમિટીએ મંજૂર રાખી હતી. તેમાંથી પાણીના લાભ પેટે ૪૮ ટકા ખર્ચ ગુજરાતે ભોગવવાનું હતું. બાકી રહેલા વીજળી પેટેના ૫૨ ટકા હિસ્સામાંથી ૨૬ ટકા મઘ્ય પ્રદેશ, ૧૩ ટકા મહારાષ્ટ્ર અને ૧૩ ટકા ગુજરાત વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. ઉપરાંત, રોકકળ મચાવનાર મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશને વધારાના ફાયદા આપવામાં આવ્યા હતા. ગુજરાતને આ રીપોર્ટ મંજૂર હતો. પરંતુ તેનો સ્વીકાર કરવામાં મુખ્ય મંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇએ ગરજાઉ ઉતાવળ બતાવવાને બદલે વિલંબ દાખવ્યો. ત્યાં સુધીમાં મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ ભલામણોના કાલ્પનિક ગેરફાયદા દેખાડીને લોકોને ઉશ્કેરવાનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું. એટલે ખોસલા કમિટીની કવાયત પણ પાણીમાં ગઇ.

બાકી, ખોસલા કમિટીના અંદાજ પ્રમાણે, ૧૯૬૫માં નવાગામ બંધ અને તેની કેનાલોનું કામ શરૂ થઇ જવાનું હતું અને ૧૯૭૫માં તે ફક્ત રૂ.૩૦૦ કરોડના ખર્ચે પૂરું થઇ જાત. એને બદલે હજારો કરોડ રૂપિયાના ખર્ચ પછી નર્મદા બંધની ટોચે દરવાજાનું બાંધકામ પૂરું થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ લાગશે. ઉપરાંત, માત્ર ને માત્ર ગુજરાત સરકારની ઉદાસનીતાથી રેઢું પડેલું નહેરોનું બાકી રહેલું ૭૦ ટકા બાંધકામ ક્યારે પૂરું થશે એ કહેવું મુશ્કેલ છે.

‘સોશ્યલ એન્જિનિયરિંગ’ અને ‘ઇલેક્શન એન્જિનિયરિંગ’ની બોલબાલાના જમાનામાં  ભાઇકાકા જેવા ‘પોલિટિકલ એન્જિનિયર’ની ગુજરાતને અને દેશને ખોટ વરતાય છે. 

2 comments:

  1. સાચી વાત પહોંચાડવા બદલ આભાર...

    ReplyDelete
  2. ઉત્પલ10:28:00 PM

    'સીટીલાઇફ'ની માનસિક જાહોજલાલીભરી નોકરી વખતે ભાઇકાકાના સંસ્મરણોનું તમારી પાસે રહેલ પુસ્તક વાંચ્યુ હતું તે અને સક્કરબરાજ બંધાતો હતો તે વખતની ભાઇકાકાએ આલેખેલી કઠિન પરિસ્થિતિઓ યાદ આવી ગઇ. ટાઇમ ટ્રાવેલ!

    ReplyDelete