Tuesday, April 01, 2014

ચૂંટણીનું વણલખ્યું સૂત્ર : ભૂલો અને છેતરાવ

ભારતના નાગરિકો માટે ચૂંટણી એ લોકશાહી પ્રક્રિયાનું સર્વસ્વ બની ગઇ છે : આરંભ ગણો તો આરંભ ને અંત ગણો તો અંત. મોટા ભાગના મતદારો માટે ચૂંટણી લોકશાહીની રૂએ મળેલા અધિકારોનો પહેલો અને ઘણુંખરું છેલ્લો ઉપયોગ બની રહે છે.

સુંદર-સુશીલ યુવતીને આકર્ષવા માટે દુનિયાભરના ડોળ ઘાલતા ને ખેલ પાડતા છેલબટાઉ યુવકોની જેમ, નેતાઓ મતદારોને પોતાના ભણી આકર્ષવા માટે બઘું કરી છૂટે છે. તેમને થ્રી-ડી અને ફોર-ડી સ્વપ્નાં દેખાડે છે. ઉજ્જવળ ભવિષ્યનું આઇ-મેક્સ સાઇઝનું કલ્પના-ચલચિત્ર રજૂ કરે છે. તેની પાછળનો આશય એક જ : બસ, તમે અમને મત આપો અને પછી પાંચ વર્ષ માટે ભૂલી જાવ.

ભૂલી શું જવાનું હોય છે? પોતાના કે દેશના ભવિષ્યની ચિંતા કરવાનું? ના, અત્યાર લગીના રાજ્ય અને દેશના અનુભવમાંથી બોધ લઇએ તો, એક વાર મત આપ્યા ભૂલી એ જવાનું હોય છે કે નાગરિક તરીકે આપણો કશો અવાજ હોઇ શકે છે. ચૂંટણી પછી ‘સરકાર રાખે તેમ રહીએ’ એવી માનસિકતા દૃઢ બનાવવાની હોય છે.

એક વાર મત આપ્યા પછી શું શું ભૂલી જવું પડે? ગુજરાતના છેલ્લા એક દાયકાના અનુભવ પરથી જોઇએ તો -

૧) વિકાસ-રોજગારીનાં બણગાં ફૂંકતી સરકાર જુદી જુદી નોકરીઓમાં ‘સહાયકો’ નીમીને સરકારી રાહે શોષણ કરે, એ ભૂલી જવું પડે.

૨) વિધાનસભા સહિતની લોકશાહી સંસ્થાઓ રાજ્યમાં સાવ પાંગળી બનાવી દેવામાં આવી, એ ભૂલી જવું પડે.

૩) પાટણમાં દલિત યુવતી પર અત્યાચાર થાય કે થાનગઢમાં દલિત કિશોરોને વીંધી નાખવામાં આવે - આ પ્રકારના કિસ્સામાં સરકાર સાવ નામકર જાય અથવા ગુનાઇત ઉપેક્ષા સેવે, એ ભૂલી જવું પડે.

૪) સ્વાઘ્યાયવિવાદમાં પંકજ ત્રિવેદીની હત્યાનો મામલો હોય કે આસારામની ધરપકડ થઇ તેનાં થોડાં વર્ષ પહેલાં ગુજરાતમાં દીપેશ-અભિષેક અપમૃત્યુનો મુદ્દો હોય, ‘સરકાર’ બની બેઠેલા નેતા ગુજરાતના નાગરિકોની પડખે ન રહે અને આસારામ પ્રકારના લોકો સામે કશાં પગલાં ન લે, એ ભૂલવું પડે.

૫) (મહુવા આંદોલનમાં બન્યું તેમ) સરકાર ઉદ્યોગગૃહોના લાભાર્થે જૂઠાણાં આચરે, જળ હોય ત્યાં સ્થળ બતાવે અને હાઇકોર્ટમાંથી હારે નહીં ત્યાં સુધી ગુજરાતના હિતની અવગણના કરે, એ ભૂલી જવું પડે.

૬) ખેતીનું ગુલાબી ચિત્ર આપતી સરકાર ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા અંગે આંખ આડા કાન કરે, એ ભૂલી જવું પડે.

૭) છેલ્લા એક દાયકામાં ઉદ્યોગો માટે વીજળીના કનેક્શનની તમામ અરજીઓ ક્લીઅર કરી નાખનારા રાજમાં ખેડૂતોની વીજજોડાણની તમામ અરજીઓ ઘૂળખાતી પડી હોય, એ ભૂલી જવું પડે.

૮) વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે પ્રચાર-પ્રસાર-ખરીદવેચાણમાં છૂટા હાથે વપરાયેલાં નાણાં ક્યાંથી આવ્યાં, કોણે કોણે આપ્યાં, એની ગણતરી ભૂલી જવી પડે.

૯) સ્વચ્છ રાજકારણની દુહાઇઓ આપતી ‘સરકાર’ના પ્રધાનમંડળમાં ગુનેગાર અને ભ્રષ્ટાચારનો આરોપ ધરાવતા નેતાઓ હોય, એવા નેતાઓને પક્ષમાં ખુલ્લા હાથે આવકારવામાં આવતા હોય, એ વાસ્તવિકતા પણ ભૂલી જવી પડે.

૧૦) ભ્રષ્ટાચારવિરોધી અને અસરકારક શાસનના મુદ્દે બીજાની ટીકા કરનારા પોતાના રાજમાં ‘કેગ’ના અહેવાલો વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ કરે અને લોકાયુક્તની નિમણૂંક આડે શક્ય એટલા અવરોધો નાખે તો, એ ભૂલી જવું પડે.

૧૧) રાજ્ય એટલે શાસકો નહીં, પણ રાજ્ય એટલે તેના નાગરિકો- એ પણ ભૂલવું પડે.

આ યાદી હજુ ઘણી લંબાવી શકાય.

અફસોસની વાત એ છે કે ઘણા નાગરિકો નેતાની આબરૂને રાજ્યની કે દેશની આબરૂ ગણવાની ભૂલ કરી બેસે છે. નેતાઓ દ્વારા થતો આક્રમક પ્રચાર તેમને સહેલાઇથી છેતરી જાય છે. લોકો ભૂલી જાય છે કે દેશ અથવા રાજ્યની આબરૂ તેના નેતાની સુપરસ્ટાર જેવી છબી સાથે નહીં, પણ સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી છે, તેની સાથે સંકળાયેલી હોય છે. ચૂંટણી આ સત્યને તાજું કરવાનો મોકો પૂરો પાડે છે, જો નાગરિકો એ તક ઝડપવા તૈયાર હોય તો.

હૃદયપરિવર્તન કોનું?

સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ પણ એક વાર સરકારમાં બેસે, એટલે તે ‘સરકાર’ થઇ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી જેવા ઉત્સાહી તો અત્યારથી જ એનડીએની સંભવિત સરકાર વિશે ‘મોદી સરકાર’ જેવો શબ્દપ્રયોગ વાપરવા લાગ્યા છે. ‘સરકાર’ તરીકે ઓળખાવા વિશેનો તેમનો આગ્રહ એવો છે કે ભાજપના પ્રમુખે ટ્‌વીટર પર ‘ભાજપ સરકાર’ લખેલું ભૂંસીને ‘મોદી સરકાર’ લખવું પડે છે.

ધારો કે નરેન્દ્ર મોદીના આક્રમક અને આંજી દેનારા પ્રચારથી લોકસભામા ભાજપ- એનડીએ નહીં, ભાજપ- ૫૦૦ બેઠકો જીતી જાય અને એ સરકાર બનાવે, તો પણ એ સરકારને ‘મોદી સરકાર’ કહેવાય? તેનો જવાબ નાગરિકોની માનસિકતા પર છે : અસરકારક વહીવટના ઓઠા હેઠળ આપખુદ બની જાય એવો નેતા જોઇએ છે? કે પછી  લોકશાહીનાં મૂળીયાં વઘુ મજબૂત બનાવે અને નાગરિકોની સામેલગીરી વધારે એવો નેતા જોઇએ છે?

ભારતમાં પ્રમુખશાહી સંસદીય પદ્ધતિ નથી, જેમાં એક નેતાના નામે ચૂંટણી લડાતી હોય. એટલે, અમેરિકાના પ્રમુખની સરખામણીમાં ભારતના વડાપ્રધાનની સત્તાઓ મર્યાદિત છે. બંધારણની હદમાં રહીને પોતાની સત્તાનો વ્યાપ વધારવા માટે નેતાએ સૌથી પહેલાં પોતાના પક્ષમાં અને પછી સાથીપક્ષો સાથે આપખુદ થવું પડે. અડવાણી, જસવંતસિંઘ, હરીન પાઠક વગેરે નેતાઓની અવદશા જોતાં, પક્ષમાં વિરોધની સફાઇ કરી નાખવાનો પહેલો તબક્કો મોદી વડાપ્રધાન બનતા પહેલાં જ વટાવી ગયા છે. સાથીપક્ષોને બેઠકોના કે નાણાંના જોરે દબાવવાનો બીજો તબક્કો ક્યારથી શરૂ થાય છે એ જોવાનું રહે છે. તેનો આધાર ચૂંટણીનાં પરિણામો અને ભાજપે તથા બીજા પક્ષે મેળવેલી બેઠકસંખ્યા ઉપર પણ રહેશે.

એકધારા પ્રચારને કારણે કેટલાક ધોરણસરના અંગ્રેજી લેખકો પણ એવું માનવા પ્રેરાયા છે કે મોદી તેમની અસલની આપખુદશાહી અને આત્યંતિકતા છોડીને મવાળ-મઘ્યમમાર્ગી-મૉડરેટ થયા છે. આ થિયરીના ટેકામાં તેમના દ્વારા અપાતો એક પુરાવો એ છે કે મોદી ઘણા સમયથી આત્યંતિક અથવા પ્રગટપણે કોમવાદી વાતો કરતા નથી.

આવા લેખકોનો આશાવાદ માનવો ગમેે, પણ વાસ્તવિકતા નજર સામે રાખતાં માની ન શકાય એવો છે. આ પ્રકારની વાતો કરનારામાંથી ઘણા લોકો ‘મોદી વડાપ્રધાન બનવાના જ છે’ એવું માની બેઠા છે. જો એ વડાપ્રધાન બનવાના જ હોય તો એમનાં હકારાત્મક પાસાં કયાં છે અથવા કયાં નકારાત્મક પાસાં ઘણા સમયથી દેખાયાં નથી, એ શોધી કાઢીને બીજાને અને ખાસ તો જાતને આશ્વાસન આપવાનો પ્રયાસ તે કરે છે. ‘મોદીવિરોધી જમાતના સભ્ય’ને બદલે ‘તટસ્થ’ અને ‘વાસ્તવિકતા સાથે સંપર્કમાં રહેનારા’ તરીકેની પોતાની છબી ઊભી કરવા માટે તે મોદીના હૃદયપરિવર્તનની થિયરીમાં શરણું શોધે છે.

મોદી વડાપ્રધાન બનશે કે નહીં એ અહીં ચર્ચાનો મુદ્દો નથી. વિચારવાની વાત એ છે કે કેટલાક લેખકો કહે છે તેમ, એમનું ‘હૃદયપરિવર્તન’ થયું છે કે નહીં. હજુ સુધીનાં તેમનાં વિધાનો અને અભિગમ જોતાં, તેમના પક્ષે પરિવર્તન કે પુનઃવિચારને કશો અવકાશ હોય એવું જણાયું નથી. કોમી હિંસા વખતે તેમની પ્રચંડ નિષ્ફળતાની વાત જવા દઇએ તો પણ, એ સિવાયના પોતાના શાસનની મર્યાદાઓને તેમણે કદી સ્વીકારી નથી, શાસનપદ્ધતિ અને તેના વિવાદાસ્પદ નિર્ણયો સામે પૂછાયેલા સવાલોના તેમણે કદી જવાબ આપ્યા નથી, પત્રકારોને એ કદી તેમણે સીધી મુલાકાત આપી નથી, કેગ-લોકાયુક્તથી માંડીને તેમના પ્રશંસકો જેની પર બહુ ફીદા છે એવા ગુજરાતના વિકાસ વિશે  તેમણે ઘણા સવાલોના જવાબ આપવાના છે. ‘પરઝાનિયા’ જેવી ફિલ્મ હોય કે જસવંતસિંઘનું સરદાર વિશેનું પુસ્તક, સેન્સરશીપ માટેનો તેમનો ઉત્સાહ તેમની એકંદર છાપને દૃઢ બનાવે એવો છે.

ભક્તો-ચાહકો તેમને સવાલ પૂછતા નથી અને વિરોધી મત ધરાવતા લોકો દ્વારા પૂછાતા સવાલોને ‘ગુજરાતીઓના અપમાન’ તરીકે ઓળખાવવાની પ્રયુક્તિ તેમને ફાવી ગઇ છે. અગાઉ ચૂંટણીપ્રચારમાં તેમને પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’ કે પછીની ચૂંટણીમાં સોરાબુદ્દીનને વચ્ચે લાવ્યા વિના ગોઠતું ન હતું. આ વખતે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઝુકાવ્યા છતાં, અરવિંદ કેજરીવાલને પાકિસ્તાનના એજન્ટ કહેવાની- અને પાકિસ્તાનને ધરાર વચ્ચે લાવવાની- જૂની પ્રકૃતિ એ છોડી શક્યા નથી.

સંસદીય લોકશાહી ધરાવતા દેશમાં કોઇ એક વ્યક્તિ આખેઆખી ચૂંટાયેલી સરકારનો પર્યાય બની જાય- અને એ પોતે પણ (ભાજપપ્રમખુ સાથેના કિસ્સામાં બન્યું તેમ) એવું ઠોકી બેસાડે કે ‘હું જ સરકાર છું’, તો શું થાય? જવાબ માટે બહુ દૂર જવાની જરૂર નથી. આસામના રાજકારણી અને કવિ દેવકાંત બરુઆએ આપેલું ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર રાજકીય ચમચાગીરીનો ઉત્તમ નમૂનો ગણાય છે. તેની વાજબી રીતે ટીકા કરનારા લોકો હવે ‘મોદી ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર પોકારવા માટે થનગની રહ્યા છે, એ અસલી કરુણતા છે.

‘મજબૂત’, ‘મર્દાના’ જેવી છબી ધરાવતા નેતાઓ દેશને અસરકારક-નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડશે, એવું સરળીકરણ કેટલું ખોટું છે, એ દર્શાવવા માટે પણ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ પૂરતું છે. આ પ્રકારના નેતાઓ માટે ‘આઇ, મી, માયસેલ્ફ’થી વધીને  ભાગ્યે જ બીજું કશું હોય છે, પરંતુ વાક્ચાતુરી અને સભારંજનીથી તે દેશપ્રેમ અને દેશસેવાની વાતો કરીને છેતરાવા આતુર લોકોને ઠંડા કલેજે છેતરે છે.

ખરું જોતાં વાંક નેતાઓનો પણ નથી. સામે આટલો મોટો સમુહ અંજાવા માટે તૈયાર બેઠો હોય, તો એ શા માટે કસર છોડે?

6 comments:

  1. ગપ્પા અને શેખી ની હદ તો જુઓ!!!

    https://www.facebook.com/photo.php?fbid=10203341994649614&set=a.1607498986379.2091690.1203305498&type=1

    ReplyDelete
  2. ખરું જોતાં વાંક નેતાઓનો પણ નથી. સામે આટલો મોટો સમુહ અંજાવા માટે તૈયાર બેઠો હોય, તો એ શા માટે કસર છોડે?સાવજ સાચી વાત છે...

    ReplyDelete
  3. Anonymous12:06:00 AM

    गुजरात की कुछ अनकही बाते


    1.एक ऐसा राज्य है जिसके दो मिनिस्टर जेल में हैऔर दो बैल पे बहार घूम रहे है उसमे से जो गृहमंत्री था ओ कुछ दिनों के लिए गुजरात से तडीपार किया गया थाये सब मिनिस्टर संगीन जुर्म के अपराधी है

    2.गुजरात एक ऐसा राज्य है जहा विधानसभा और कैबिनेट ऑफ़ मिनिस्टर नाम के लिए है वहा कभी विधानसभा नाम के लिए दो तिन दिन चलाई जाती है और कभी भी कैबिनेट क बैठक नहीं होती

    3.गुजरात राज्य के 45%बच्चे कुपोषित है जो भारत देश में सबसे जादा है

    4.गुजरात राज्य की51%महिलाये औसत वजन से कम वजन की है

    5.गुजरात राज्य का शिक्षा क्षेत्र में18 क्रमांक है जो दस साल पहले 9वा क्रमांक था

    6.गुजरात राज्य भारत का सबसे ज्यादा कर्जबाजारी राज्य है जो 175000करोड़ हैइसका मतलब गुजरात में हर एक आदमी पर 24हजार कर्ज है जो भारत में सबसे ज्यादा है

    7.भारत में सबसे ज्यादा टैक्स वसूलने वाला राज्य गुजरात है
    8.भारत मै सबसे कम पढ़ा लिखा मुख्यमंत्री (less educated) गुजरात का है

    9.भारत में सबसे ज्यादा खुदपे खर्च करने वाला cm गुजरात का है
    10.भारत मैं सबसे ज्यादा बेरोजगारी गुजरात में है l

    Yeh hai Modi ke Gujrat model ki asali hakkikat.

    ReplyDelete
  4. વેલ સેઈડ... અને આખી તકલીફ આ એક જ વાક્યમાં સમજાઈ જાય છે.

    ખરું જોતાં વાંક નેતાઓનો પણ નથી. સામે આટલો મોટો સમુહ અંજાવા માટે તૈયાર બેઠો હોય, તો એ શા માટે કસર છોડે?

    ReplyDelete
  5. Anonymous10:01:00 PM

    मुझे यह समझ नहीं आता कि यह सामाजिक पैमाने क्यों नहीं बढ़े साथ-साथ? यह भी बढ़ने चाहिए थे. (बीबीसी संवाददाता पवन सिंह अतुल ने अर्थशास्त्री गुरचरण दास से बात)

    http://www.bbc.co.uk/hindi/india/2014/04/140414_gujrat_model_gurcharan_das_rd.shtml

    ReplyDelete