Monday, February 24, 2014

ત્રીજો મોરચો : મજબૂરીનું નામ...

બિનકોંગ્રેસી, બિનભાજપી પક્ષો દ્વારા પ્રસ્તાવિત ત્રીજો મોરચો નહીં બને અથવા બનશે તો લાંબું ટકશે નહીં, એ કહેવા માટે ત્રિકાળજ્ઞાનની જરૂર નથી. માત્ર બે કાળની જાણકારી પૂરતી છે. ભૂતકાળના અનુભવો અને વર્તમાનની પ્રાથમિક સમજણના આધારે ત્રીજા મોરચાનું (ઘૂંધળું) ભવિષ્ય ભાખી શકાય.

અગાઉના પ્રયોગો જે કારણે નિષ્ફળ ગયા હતા, એ કારણ હજુ ખાસ બદલાયાં નથી : કોઇ પણ જાતની વિચારધારાકીય એકતાનો અભાવ, લધુતમ સામાન્ય કાર્યક્રમો (કોમન મિનિમમ પ્રોગ્રામ) અંગે એકમતીની ગેરહાજરી, સત્તાપ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય...આ ઉપરાંત રાજ્યસ્તરના સ્થાનિક પક્ષોની મોટી સંખ્યા અને મજબૂતી જેવાં કેટલાંક નવાં કારણ પણ ખરાં. તેના લીધે આ જાતના મોરચાની સંભાવના મોટા ભાગના નાગરિકોમાં આશા કે ભરોસો જગાડી શકતી નથી.

તેમ છતાં, ત્રીજો મોરચો રચવા માટે કોંગ્રેસ-ભાજપ-આમઆદમી પક્ષ સિવાયના અગિયાર પક્ષોની બેઠક થઇ, એવા સમાચારથી ભાજપ-કોંગ્રેસના પેટમાં ચોક્કસ ફાળ પડી હશે. તેમના નેતાઓ દ્વારા શરૂ થઇ ગયેલી ત્રીજા મોરચાની ટીકા એ વાતની સૂચક છે. તેમનો દેખાવ ભલે દેશહિતની-‘સ્થિરતા’ની ચિંતા કરવાનો હોય, પણ ખાસ કરીને ભાજપને, વાંધો એ પડે કે ત્રીજો મોરચો સત્તારોહણ માટેના તેમના સરવાળા બગાડી નાખશે. લોકસભા ચૂંટણીમાં ૨૭૨ બેઠકના આંકડા સુધી પહોંચવાના રસ્તે તેનાથી નવા અવરોધ ઊભા થશે. ધારો કે મોરચો ન રચાય તો પણ, આવાં તેવર બતાવનારા પક્ષો ચૂંટણી પછી ટેકો આપવામાં વધારે ભાવ ખાશે- મોટાં મોઢાં ફાડશે.

ત્રીજા મોરચાનાં તમામ અપલક્ષણો જાણીતાં અને મહદ્‌ અંશે સાચાં છે. દેશમાં તે સ્થિર સરકાર કે સુશાસન આપી શકતો નથી. તેમ છતાં વારે વારે તેની ચર્ચા શા માટે જોર પકડે છે? અને તેના સર્જન માટે અનુકૂળ સંજોગો પેદા કરવામાં ત્રીજા મોરચાની ટીકા કરનારા પક્ષો ખુદ કેટલા (મોટા પાયે) જવાબદાર છે, એ જોવું રહ્યું.

નિર્ણાયકતાની બીજી બાજુ

ત્રીજા મોરચાના અસલી જન્મદાતા છે કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ દાયકાઓ સુધી દેશ પર રાજ કરીને, સુશાસનની ઘણી તકો ગુમાવીને અળખામણી બની છે. તેની સ્વાતંત્ર્ય સંગ્રામની જૂની મૂડી આઝાદી પછી ઘણાં વર્ષ ચાલી. તેના જોરે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી રહી. ઇંદિરા ગાંધીએ જૂની-અસલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું વિભાજન કરીને તેમાંથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઇ) બનાવી. ત્યારથી કોંગ્રેસની તાકાતનું ધોવાણ વઘ્યું. ત્યાર પછી થોડાં વર્ષોમાં તેના એકહથ્થુ, સ્પષ્ટ બહુમતી ધરાવતા શાસનનો યુગ પૂરો થયો.

ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ ‘ગરીબી હટાવો’ જેવા ફરેબી નારા તળે ભ્રષ્ટાચાર અને છૂપા કોમવાદને પોષતી રહી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઇંદિરા ગાંધીની નિર્ણાયક નેતાગીરીએ ભારતને વિજય અપાવ્યો (વાજપેયીએ તેમને ‘દુર્ગા’ તરીકે ઓળખાવ્યાં), પરંતુ ટૂંક સમયમાં જ તેમણે બતાવી આપ્યું કે અત્યારે બધા જેની પર બહુ મોહાઇ ગયા છે એવી ‘નિર્ણાયક નેતાગીરી’ કેવો દાટ વાળી શકે. પોતાનો સીધો સ્વાર્થ અને સ્થાપિત હિત સીધાં સંકળાયેલાં ન હોય, એવી બાબતોમાં ‘અસરકારક નેતૃત્વ’ આપવું એક વાત છે. તે આવકાર્ય હોવા છતાં પૂરતું નથી. એવી નિર્ણાયકતા ધરાવતો નેતા આર્થિક નીતિ, મજબૂત લોકશાહી અને સુશાસન જેવી દેશહિતની મહત્ત્વની બાબતોમાં ભારે નુકસાનકારક નીવડી શકે છે. નરેન્દ્ર મોદીની ‘નિર્ણાયક નેતાગીરી’ પર વારી જનારાએ નજીકના ઇતિહાસમાંથી ઇંદિરા ગાંધીની‘નિર્ણાયક નેતાગીરી’નો દાખલો અને તેમની નિર્ણાયકતાનાં માઠાં પરિણામ વિશે પણ વિચાર કરવા જેવો છે.

અનેક મર્યાદાઓ ધરાવતી, ઇંદિરા ગાંધીના મૃત્યુ પછી પરિવારભક્તિમાં સરી ગયેલી કોંગ્રેસ સામે બીજું મોડેલ ઊભું થયું ભાજપનું. તેની વાતમાં જતાં પહેલાં એટલું યાદ કરી લઇએ કે કોંગ્રેસ ઇંદિરા ગાંધીની હત્યા પછી જ પરિવારકેન્દ્રી બની. નેહરુ પોતાના ઉત્તરાધિકારી તરીકે ઇંદિરાને વડાપ્રધાન બનાવીને ગયા ન હતા. તેમના પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા, એટલો પ્રાથમિક ઇતિહાસ પણ ઘણા સગવડપૂર્વક ભૂલી જાય છે.

ભાજપે હિંદુઓને અન્યાય અને રાષ્ટ્રવાદી મક્કમતાની વાતો કરી, જે ઇંદિરા ગાંધીના ‘ગરીબી હટાવો’ કાર્યક્રમ જેટલી જ પોકળ અને રાજકીય લાભ ખાટવા માટેની હતી. તેમની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક અને ભાજપ પહેલાંના રાજકીય પક્ષ જનસંઘની વિચારધારા ગાંધીહત્યારાઓ-કાવતરાંખોરો પ્રત્યે સહાનુભૂતિની હતી. સકટોકટી સામેના સંઘર્ષ પછી ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘હિંદુહિતરક્ષણ’ના નામે ચાલતી એ વિચારધારાને ગાંધીહત્યાના કલંકમાંથી અનાયાસ મુક્તિ મળી. પરંતુ ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં એ વિચારધારા બીજા સ્વરૂપે, પ્રગટપણે કોમવાદ તરીકે- મુસ્લિમો-ખ્રિસ્તીઓના વિરોધ તરીકે- મુખ્ય ધારાનું પરિબળ બનીને ઉભરી. બાબરી મસ્જિદ પરનો હલ્લો ને ગુજરાતની કોમી હિંસા તેનાં મોટાં પ્રતીક બની રહ્યાં. પરંતુ અડવાણી-મોદી સહિતના નેતાઓને એટલું સમજાયું કે ભારત જેવા વિશાળ દેશમાં સત્તા મેળવવા માટે હિંદુત્વનું મોટામાં મોટું મોજું પણ પૂરતું નથી. એટલે ભાજપે હિંદુત્વની ગંજી ઉપર ‘ઇન્ડિયા શાઇનિંગ’નો અને નરેન્દ્ર મોદીના ઉદય પછી વિકાસનો ડગલો ચડાવી દીધો. છતાં કમબખ્ત ગંજી ઘણી વાર ડગલાની બહાર ડોકાઇ જાય છે.

સરવાળે એવું બન્યું કે એકવીસમી સદીના પહેલા દાયકામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ફરક ઘટતો ઘટતો શૂન્યવત્‌ બની ગયો. હવે કોંગ્રેસ ‘ગરીબી હટાવો’ને બદલે ‘આમઆદમી’ની વાત કરે છે અને ભાજપ વિકાસવાર્તા ચલાવે છે. તેમની વચ્ચેનો એકમાત્ર પ્રગટ તફાવત કોમવાદની બાબતે રહ્યો છે. કોંગ્રેસે કમ સે કમ ગુજરાતમાં  ‘સોફ્‌ટ હિંદુત્વ’ના રસ્તે ડગ માંડેલાં હોવા છતાં, ભાંગીતૂટી જેવી છે તેવી વિચારધારાને કારણે તે ભાજપની જેમ કોમવાદી-લધુમતીવિરોધી રૂખ અપનાવી શકે એમ નથી. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીને (અડવાણી-વાજપેયીની માફક) લીલા સાફા બંધાવાનું તો ઠીક, પોતાના માથે બે ઘડી ‘મુલ્લા ટોપી’ મૂકીને ફોટો પડાવવાનું પણ મંજૂર નથી. ખોખલાં પ્રતીકનો મહિમા કરવાની વાત નથી, પણ  રહી રહીને  મુસ્લિમો માટે સમાન તકનો મુદ્દો છેડનારા મોદી હજુ કોંગ્રેસ સરકાર માટે ‘સલ્તનત’ અને રાહુલ ગાંધી માટે ‘શહઝાદા’ની ભાષામાં વાત કરે છે. (યાદ કરો ગંજી)

પગ તળે રેલો- કે ચૂંટણી- આવે ત્યારે કોંગ્રેસ હરીફરીને તેનો એકમાત્ર (અને આભાસી) તફાવત જેવો સેક્યુલરિઝમનો મુદ્દો આગળ કરે છે અને ‘બધાં સેક્યુલર બળો’ને એકઠાં થવાની હાકલ કરે છે. તેની સ્વાર્થી સમજણ એવી છે કે ભાજપનો વિરોધ કરનારાં અથવા કોંગ્રેસ સાથે બેસવા તૈયાર હોય એવાં સૌ ‘સેક્યુલર’ કહેવાય.

આમ, પરિવારવાદ કે વ્યક્તિવાદથી દૂર રહેતા નાગરિકો માટે કોંગ્રેસ અને ભાજપ બે જુદા વિકલ્પને બદલે, એક જ (ખોટા) સિક્કાની બે બાજુ બની રહે છે. આવી સ્થિતિ ત્રીજા મોરચાના જન્મ માટે એકદમ અનુકૂળ ન ગણાય?  

નવી સંભાવના

ત્રીજા મોરચાના અત્યાર સુધીના અનુભવ એટલા હતાશાપ્રેરક છે કે સ્થિર સરકાર જેવા પ્રાથમિક મુદ્દે જ તે નાપાસ થઇ જાય. પરંતુ છેલ્લા થોડા સમયથી જે રીતે કોઇ એક પક્ષને બદલે અનેકપક્ષી સરકારો રચાય છે અને તેમને પણ ‘કોએલિશન ધર્મ’ (સૌજન્યઃ મનમોહન સિંઘ) નિભાવવા પડે છે, ત્યારે સવાલ એ પણ થાય : સત્તાની આંતરિક ખેંચતાણને બાદ કરતાં ત્રીજા મોરચા અને પહેલા-બીજા (કોંગ્રેસી-ભાજપી) મોરચા વચ્ચે કેટલો તફાવત છે?

આર્થિક નીતિ, વિદેશ નીતિ, સંતુલિત વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવી અનેક મહત્ત્વની બાબતોમાં ત્રણે મોરચા ઓછે વત્તે અંશે એકસરખા રેઢિયાળ સાબીત થાય છે. કોઇની પાસે લાંબા ગાળાની નીતિ હોતી નથી. સ્થિરતા ચોક્કસ બહુ મોટું પરિબળ છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. સાથોસાથ, સાથીપક્ષો દ્વારા થતાં યુપીએ-એનડીએનાં છૂપાં કે પ્રગટ બ્લેકેમેલિંગ અને મોરચા સરકારોની મસમોટી મર્યાદા તરફ પણ શી રીતે આંખ આડા કાન કરી શકાય?

કોંગ્રેસ અને ભાજપની એકાકાર બની ગયેલી નીતિરીતિની સરખામણીમાં આમઆદમી પક્ષ ખરા અર્થમાં કંઇક જુદો અને નવો વિકલ્પ લઇને આવ્યો છે. નવા પક્ષ તરીકે આપે ઘણી નીતિવિષયક જાહેરાતો કરવાની બાકી છે. કોંગ્રેસ-ભાજપનાં સ્થાપિત હિતો તેમના ડગલે ને પગલે અવરોધ ઊભા કરી રહ્યાં છે, પરંતુ આમઆદમી પક્ષનાં અત્યાર લગીનાં પગલાં જોતાં એટલું સ્પષ્ટ થઇ જાય છે કે આ કોંગ્રેસ-ભાજપ અને તેમના જેવા જ બીજા અનેક પક્ષોની યાદીમાં થયેલો વઘુ એક પક્ષનો ઉમેરો નથી.

‘તમે જોજો તો ખરા. આ લોકો પણ નકામા જ નીકળવાના’- એવાં તળિયાઝાટક નિવેદનો કરવામાં કેટલાકને બહુ આનંદ આવે છે. આવું કહેનારા જો મોદીભક્ત કે ગાંધી પરિવારના વફાદાર ન હોય તો તેમની મનોસ્થિતિ ચિંતાને પાત્ર છે. કારણ કે એ લોકો ખરા અર્થમાં ‘ત્રીજા’- એટલે કે નવા અને જુદા- પરિબળને વાજબી તક પણ આપવા માગતા નથી. ભેળસેળ તેમને એટલી પચી ગઇ છે કે તે શુદ્ધની કલ્પના માત્રથી આકળવિકળ થઇ જાય છે. આમઆદમી પક્ષ પ્રત્યે અંધ ભક્તિભાવ રાખવાની વાત નથી. પરંતુ સાવચેતીપૂર્વકનો સદ્‌ભાવ પણ રાખવાની તૈયારી ન હોય અને તેની ટીકાની નાનામાં નાની તક ઊભી કરીને હરખાતા હોય એવા લોકો દર્શાવે છે કે નાગરિક તરીકે પોતાનું હિત જોવાની ક્ષમતા તે ખોઇ બેઠા છે.  
(published on 11-2-14)

3 comments:

  1. ‘સલ્તનત’ અને ‘શહઝાદા’ માં કમબખ્ત ગંજી ઘણી વાર ડગલાની બહાર ડોકાઇ જાય છે.

    ઉર્વીશભાઈએ બધાને નાગા કરી નાખ્યા...

    ReplyDelete
  2. Anonymous12:24:00 PM

    super.....mast analysis

    ReplyDelete