Tuesday, February 18, 2014

આપ-બળ કે આપ-ઘાત?

સાત કોઠા જેવાં સતત સંઘર્ષરત સાત સપ્તાહ વીતાવ્યા પછી આમઆદમી પક્ષની સરકાર પડી. ‘આપ’ દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ ખરડો દિલ્હી વિધાનસભામાં મૂકવા માટેનો જંગ હતો. ઉપરાજ્યપાલ નજીબ જંગે એવો ફેંસલો આપી દીધો હતો કે ખરડો ગેરબંધારણીય હોવાથી તેને વિધાનસભામાં મૂકી શકાય નહીં.

કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ જેવા  ‘આપ’ નેતાઓને લાગતું હતું કે આ ખરડામાં ગેરબંધારણીય કહેવાય એવું કશું નથી અને ઉપરાજ્યપાલ કેવળ અડચણ ઊભી કરવા ખાતર લકીરના ફકીર બની રહ્યા છે. પ્રશાંત ભૂષણે જાણીતા કાનૂન-બંધારણવિદ્‌ સોલી સોરાબજીને ટાંકીને ખરડાને વાજબી ઠરાવ્યો. અંતે ખરડા પર નહીં, પણ પોતાની મંજૂરી વિના ખરડો રજૂ ન થઇ શકે એવા ઉપરાજ્યપાલના પત્રનો અમલ કરવો કે નહીં એ મુદ્દે મતદાન થયું. તેમાં કેજરીવાલ સરકારની તરફેણમાં ૨૭ અને વિરુદ્ધમાં ૪૨ મત પડ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે બનેલા આ ઘટનાક્રમના દિવસે કોંગ્રેસી નેતા અરવિંદરસિંઘ લવલી અને ભાજપી નેતા હર્ષવર્ધન જે રીતે સહિયારા પોઝ આપતા હતા, એ જોઇને લાગે કે અસલી વેલેન્ટાઇન ડે તો ત્યાં જ ઉજવાઇ રહ્યો છે.

વાંધા પર વાંધા

ગૃહમાં કોઇ પણ મુદ્દે મતદાન થાય અને તેમાં સરકારની હાર થાય તો તેના માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થાય. એક રીતે એવું પણ કહી શકાય કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યાર પછી બાંધછોડ કરવા ન ઇચ્છતા માણસ પાસે રાજીનામું આપવાનો વિકલ્પ બાકી રહે. કેજરીવાલે એમ જ કર્યું. એટલે કોંગ્રેસ અને ભાજપના ટીવીચતુરો ઠાવકા મોઢે ટીકા કરવા લાગ્યા કે આ ક્યાં જનલોકપાલ ખરડા પરનું મતદાન હતું? આ તો ખરડો રજૂ કરવો કે નહીં, એ વિશેનો મત લેવાનો હતો. કેજરીવાલે નકામું રાજીનામું આપી દીઘું.

ટીવી સ્ટુડિયોમાં થતી ચર્ચામાં ધડો જાળવવાનું મોટા ભાગના નેતાઓને અઘરું પડે છે. એક કોંગ્રેસી નેતાએ દાવો કર્યો કે કેજરીવાલની સરકારનાં સાત જ અઠવાડિયામાં દિલ્હીના લોકોને શીલા દીક્ષિત સરકારના સુશાસનની યાદ આવવા માંડી હતી. કેજરીવાલ અને ‘આપ’ પાસેથી નવેનવી નૈતિકતા શીખેલા ભાજપે ‘પૂરતી સભ્યસંખ્યા ન હોય તો અમારે સરકાર બનાવવી નથી’ એવું ચૂંટણી પછીનું વલણ પકડી રાખ્યું.

નાગરિકોને ઉઠાં ભણાવવાની કોંગ્રેસ-ભાજપની જૂની પરંપરા પ્રમાણે, ભાજપ માને છે કે તેમના વડાપ્રધાનપદના ઉમેદવારની નૈતિકતા અને દિલ્હી ભાજપની નૈતિકતા, એ બે અલગ બાબતો છે. ભાજપી નેતાઓ કેજરીવાલના ‘નાટક’ની ટીકા કરે છે. નાટકબાજી કોને કહેવાય એ જાણવા માટે તેમણે પોતાના પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર ભણી ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આખા રાજ્યનું વાતાવરણ દુર્ભાવનાથી ડહોળ્યા પછી એકરાર કર્યા વિના કે માફી માગ્યા વિના કરાતા સદ્‌ભાવના ઉપવાસ, થ્રી-ડી અવતાર જેવા પ્રચારતુક્કા અને ‘ચાયપે ચર્ચા’ જેવાં કંઇક ખર્ચાળ નાટકો વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવારના નામે બોલે છે. નૈતિકતાની એટલી જ લ્હાય લાગી હોય તો ભાજપે પહેલાં આ બધા ખેલના રૂપિયા ક્યાંથી આવે છે, એનો હિસાબ આપવો જોઇએ. પરંતુ કોંગ્રેસ-ભાજપ દ્વારા થતું નૈતિકતાનું અને બંધારણપ્રેમનું નાટક આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જોનારા સૌને દેખાય એવું છે.

બે તર્કમાળા

કેજરીવાલે રાજીનામું આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે કાચું કાપ્યું છે તેની ગરમાગરમ ચર્ચા ચાલે છે. કોંગ્રેસ-ભાજપ પ્રકારના, ચલતા પુર્જા જેવા રાજકારણીઓ આ વિશે શું માને છે એ ગૌણ બાબત છે. કારણ કે પહેલા દિવસથી તેમના પ્રયાસ કેજરીવાલને બીજા કોઇ પણ રાજકારણી જેવા- સ્ટંટબાજ, વાયદાબાજ, દેખાડાબાજ- સાબીત કરવાનો રહ્યો છે. બંધારણ અને કાયદાને પોતાના પક્ષે અત્યાર લગી કેટલું માન આપ્યું તેની ચર્ચા કર્યા વિના, કેજરીવાલની વાત આવે એટલે એ લોકો ન્યાયાધીશ અને બંધારણવિદ્‌ની ભૂમિકામાં આવી જાય છે.

જુદાપણાના દાવા કરતા કેજરીવાલની તપાસ વધારે કડકાઇથી થવી જોઇએ એ ખરું, પરંતુ એમ કરવાનો હક કોંગ્રેસ-ભાજપને કેટલો છે? રાજીનામાના મુદ્દે પણ કેજરીવાલે રાજકીય સ્ટંટ કર્યો અને પૂર્વઆયોજિત ચાલબાજી દ્વારા રાજકીય લાભ મેળવવા માટે શહીદી વહોરી લીધી, એવા આરોપ તેમની પર થયા છે. મતદારો કેજરીવાલના આ પગલાને કેવી રીતે જુએ છે તે મહત્ત્વનું છે. મતદારોનું બ્રેઇનવોશ કરવા માટે કોંગ્રેસ-ભાજપ પાસે હજુ ત્રણેક મહિના જેટલો સમય છે. સામે પક્ષે એ પણ યાદ રાખવાનું કે હવે આમઆદમી પક્ષ પાસે પણ સરકાર ચલાવવાની જવાબદારી નથી. એટલે તેમની પાસે પ્રતિઆક્રમણનો પૂરતો સમય છે. તેનો ઉપયોગ એ દિલ્હીમાં જ નહીં, દેશના બાકીના ભાગમાં પણ પોતાની તાકાત જમાવવા માટે કરી શકે છે.

કોંગ્રેસ-ભાજપ પ્રકારના રાજકારણના વિકલ્પ તરીકે ‘આપ’ના રાજકારણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પણ રાજીનામાના મુદ્દે બે જુદા મત ધરાવે છે. એક મત એવો છે કે લોકસભાની ચૂંટણી સુધી કેજરીવાલે ગમે તેમ કરીને સરકાર ટકાવી રાખવા જેવી હતી. એવું થાત તો તેમને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવા-જીતવા માટે રોકાઇ જવું ન પડત અને રાષ્ટ્રિય સ્તરે તેમનો દેખાવ વધારે સારો થઇ શકત. ત્યાં સુધી તેમણે સ્થિરતાપૂર્વક શાસન ચલાવ્યું હોત તો શાસકો તરીકેની તેમની વિશ્વસનીયતા પણ ઊભી થઇ હોત અને તેમની શાસનક્ષમતા તરફ આંગળી ચીંધનારાના હાથ હેઠા પડ્યા હોત. અત્યારે આપેલું રાજીનામું રાજકીય સ્ટંટમાં ખપશે, લોકસભાની ચૂંટણી વખતે તેમને વધારે પડતો સમય દિલ્હી જીતવામાં આપવો પડશે અને લોકો તેમને અસ્થિરતાના પર્યાય તરીકે જોશે તો દિલ્હી જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

બીજો તર્ક એવો છે કે કેજરીવાલે ફરી એક વાર કોંગ્રેસ-ભાજપને રાજકારણની રમતમાં ચીત કર્યાં છે. સૌથી પહેલાં તો તેમણે કોંગ્રેસનો સામેથી મળેલો ટેકો લઇનેે સરકાર બનાવી અને પોતે શાસનથી દૂર ભાગતા નથી, એ બતાવી આપ્યું. ત્યાર પછી તે શાસકની ભૂમિકામાં આવી જવાને બદલે આંદોલનકારીની ભૂમિકામાં જ રહ્યા અને વખત આવ્યે ફૂટપાથ પર રજાઇ ઓઢીને સૂઇ જતાં ખચકાયા નહીં. વીજળી અને પાણી અંગે તેમણે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચન પાળ્યાં. એ સિવાય પણ તેમના મંત્રીઓની (ક્યારેક અતિઉત્સાહને કારણે ટીકાપાત્ર બનેલી) સક્રિયતાને કારણે મતદારો પર સારી છાપ પડી. પરંતુ લોકસભાની ચૂંટણી સુધી ગમે તે ભોગે લધુમતી સરકાર ટકાવી રાખવાનું સલાહભરેલું ન હતું.

એક વાર વિધાનસભામાં મતદાનમાં હારની પરંપરા શરૂ થઇ જાય એટલે વિપક્ષોને ફાવતું જડી જાય. ત્યાર પછી દિવસો વીતે એમ સરકારની સ્થિતિ નબળી પડતી જાય અને સરવાળે ચૂંટણી આવે ત્યારે તેની ફરતેનું તેજવર્તુળ ઝંખવાઇ ચૂક્યું હોય. એને બદલે, દોઢ-પોણા બે મહિના શાસન કરીને, પોતે શાસન કરી શકે છે એવું બતાવીને, હવે પૂરા કદનું શાસન જોઇતું હોય તો સ્પષ્ટ બહુમતી આપો એવા સંદેશ સાથે, રાજીનામું આપી દેવાનું વધારે ફાયદાકારક નીવડે.

આ તર્ક અંતર્ગત એવું પણ વિચારાય છે કે જનલોકપાલ જેવા મુદ્દે સત્તા છોડ્યા પછી ચૂંટણી વખતે દિલ્હી જાળવી રાખવા માટે બહુ મહેનત નહીં કરવી પડે અને રાષ્ટ્રિય સ્તરે તેની સારી અસર પડશે- ચૂંટણીમાં ફાયદો થશે. કેજરીવાલ વડાપ્રધાનપદના ઉમેદવાર તો છે નહીં. એ સંજોગોમાં ચૂંટણી પછી દિલ્હીમાં પોતાની બહુમતી ધરાવતી સરકાર હોય તો હવે પછીની કેન્દ્ર સરકાર સામે તે બરાબર ટક્કર લઇ શકે અને રાષ્ટ્રિય સ્તરે પોતાની હાજરી મજબૂત કરી શકે. ‘પહેલી ચૂંટણી હારવા માટે, બીજી ચૂંટણી હરાવવા માટે અને ત્રીજી ચૂંટણી જીતવા માટે’ - આવી બહુજન સમાજ પક્ષના સ્થાપક કાંશીરામની રણનીતિ પ્રમાણે, બીજી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ખોખરાં કરીને ત્રીજી ચૂંટણી સુધીમાં તે મોટી ભૂમિકા માટે તૈયાર થઇ જાય.

બીજા પ્રકારની તર્કમાળા આશાવાદથી ભરપૂર છે. પરંતુ અત્યાર લગી એટલું પુરવાર થઇ ચૂક્યું છે કે કેજરીવાલ રાજકારણના કાચા ખેલાડી નથી. બલ્કે, રાજકીય શતરંજમાં તે ભલભલા જૂના જોગીઓને ભારે પડે એવા છે. એટલે તેમની ટુકડીનું ભવિષ્યદર્શન બીજા તર્ક પ્રમાણેનું હોય એ બનવાજોગ છે. સભવિષ્યની રાજકીય ઘટનાઓ કેવી રીતે આકાર લેશે એ કદી કહી શકાય નહીં, પણ એટલું નક્કી છે કે આમઆદમી પક્ષના પ્રતાપે ભાજપને (માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ખંખેરાતા ભંડોળ ઉપરાંત પણ) લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનો આઇડીયા મળ્યો. પોતાનો ચૂંટણી ઢંઢેરો નક્કી કરતાં પહેલાં લોકોનાં સૂચન મંગાવવાનો ભાજપી વિચાર પણ અસલમાં ‘આપ’ પાસેથી લેવામાં આવ્યો હતો. ચૂંટણીઢંઢેરામાં લખાયેલા વચનની કશી કિંમત હોય એ ‘આપ’ના કારણે લોકોને યાદ આવ્યું. કાળાં નાણાં પાછાં લાવવાનાં આંબાઆંબલી બતાવતા મોદી સહિતના ભાજપી નેતાઓ અને બાબા રામદેવ પ્રકારના લોકો જેમનું નામ લેતાં ગભરાય એવા મુકેશ અંબાણીને આરોપીના કઠેડામાં ખડા કરવા જોઇએ, એવું કહેવાની તાકાત કેજરીવાલે બતાવી. એટલું જ નહીં, ગેસના ભાવના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવા સુધીની હિંમત તેમણે કરી.

દેશના સામાન્ય નાગરિકો માટે એક રાજકીય પક્ષ તરીકે ‘આપ’ જીતે કે હારે એના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે ‘આપ’ દ્વારા જે જાતના ખુલ્લાશભર્યા અને લોકસામેલગીરી-લોકહિતના રાજકારણની શરૂઆત થઇ છે, તે આગળ વધવી જોઇએ. એવું નહીં થાય તો તેમાં સૌથી મોટો દોષ મતદારોનો ગણાશે. 

3 comments:

  1. Anonymous10:46:00 PM

    Still using Soli Sorabji's name?

    ReplyDelete
  2. एकदम सही विश्लेषण है.

    ReplyDelete
  3. true and neutral voice of common people. ar6a kaam kae rahe hai.

    ReplyDelete