Monday, February 03, 2014

ઓનલાઇન અફવાબાજી : ફુગ્ગાના જંગલમાં ટાંકણીઓની ઝરમર

‘કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના’ - એવી જૂની કહેણીમાં થોડો ફેરફાર કરીને ઇન્ટરનેટના જમાનામાં કહેવું પડે, ‘પોસ્ટ કરતા ભી દીવાના, શેર કરતા ભી દીવાના’.

થોડા વખત પહેલાં ચીનના પાટનગર બેજિંગનો એક ફોટો ફરતો થયો. તેમાં ઘુમ્મસછાયા શહેરની વચ્ચે મુકાયેલા એક વિરાટ એલઇડી સ્ક્રીન  પર સૂર્યોદય દેખાતો હતો. કૃત્રિમ સૂર્યોદયની આ તસવીર સાથેનું લખાણ એ મતલબનું હતું કે ‘બેજિંગમાં પ્રદૂષણ બહુ વધી ગયું છે. દિવસો સુધી સૂર્ય જોઇ શકાતો નથી. એટલે ચીનની સરકારે જાહેરમાં સ્ક્રીન મૂકીને લોકોને સૂર્યોદય બતાવવાની વ્યવસ્થા કરી છે. એ જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી રહ્યાં છે.’

વાત સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવી નથી, પણ ‘ચીનમાં કંઇ પણ શક્ય છે.’ એવું ધારીને ઇન્ટરનેટ પર આ તસવીર ‘ચીનની વાસ્તવિકતા’ તરીકે ફરતી થઇ ગઇ. ‘ફેસબુક’ કે ઓછી જાણીતી વેબસાઇટો તો ઠીક, ‘ટાઇમ’ અને ‘હફિંગ્ટન પોસ્ટ’ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતી સાઇટોએ પણ સ્ક્રીન પર સૂર્યોદયના ‘સમાચાર’ ચમકાવ્યા.

વઘુ તપાસ પછી ઇન્ટરનેટના માઘ્યમ થકી જ જાહેર થયું કે એ સમાચાર ટાઢા પહોરનું ગપ્પું હતા અને મસાલેદાર સમાચારો માટે કુખ્યાત બ્રિટિશ ટેબ્લોઇડ ‘ધ ડેઇલી મેઇલે’ તે ચગાવ્યા હતા. ફોટો સાચો હતો, પણ હકીકત એ હતી કે ચીનમાં પ્રવાસનની જાહેરખબરો માટે જાહેર સ્થળોએ આવા સ્ક્રીન મુકાયા હતા. તેમાં ચાલતી જાહેરખબરમાં સૂર્યોદયનું દૃશ્ય ચાલતું હશે ત્યારનો આ ફોટો ફરતો થઇ ગયો.

આ બફાટથી એ પણ જણાયું કે પાશ્ચાત્ય પ્રસાર માઘ્યમો ચીન વિશે કંઇ પણ પ્રસિદ્ધ કરી શકે છે અને લોકો એ સાચું માની લેવા તૈયાર હોય છે. એમાં પણ હવામાનના પ્રદૂષણનો વિષય સૌથી લોકપ્રિય છે. ચીનમાં એ સમસ્યા ગંભીર છે એ સાચું, પણ તેને લગતું જે આવે તે ખરાઇ કર્યા વિના ચઢાવી દેવું - અને પછી પ્રામાણિકતાપૂર્વક કબૂલાત ન કરવી, માફી ન માગવી- એ સમસ્યા પણ ગંભીર ન કહેવાય? (તેને ઉતાવળીયા પત્રકારત્વનું પ્રદૂષણ કહી શકાય)

ફક્ત સ્ક્રીન-સૂર્યોદય જેવી હળવી બાબતોમાં આવી ‘ભૂલ’ થાય છે, એવું માની લેવું નહીં. આ જ અરસામાં, ઉત્તર કોરિયાના એક સમાચાર પણ ઇન્ટરનેટ પર અને અખબારોમાં ફરી વળ્યા હતા. તેમાં જણાવાયું હતું કે દેશના વડા કિમ જોંગે તેના કાકાને એવી રીતે મોતની સજા કરી કે તેમને નિર્વસ્ત્ર કરીને ૧૨૦ ભૂખ્યા શિકારી કુતરા છોડી મૂકવામાં આવ્યા. આ સમાચારમાં કેટલીક ક્રૂરતાપૂર્ણ વિગતો પણ  હતી. જેમ કે, ‘સજા’નો અમલ કિમ જોંગની હાજરીમાં થયો અને તેમણે આ દૃશ્યનો આનંદ લીધો.


થોડા સમય પછી આ સમાચાર પણ પાયા વગરના સાબીત થયા. હોંગકોંગના કોઇ અખબારે એ વહેતા કર્યા હતા. દક્ષિણ કોરિયા કે ચીનનાં પ્રસાર માઘ્યમો તો એને અડ્યાં નહીં, પણ બાકીના જગતમાં કૂતરાંએ કરેલા કાકાના કરુણ અંજામની કથા છવાઇ ગઇ. ચીનની જેમ ઉત્તર કોરિયા વિશે પણ સાચા સમાચાર મળવા અઘરા હોય છે અને ત્યાંના સરમુખત્યારો કંઇ પણ કરી શકે, એવી (અમુક અંશે સાચી) માન્યતા લોકો ધરાવે છે. પરંતુ સામાન્ય જનતા અને સમાચારની જવાબદારી ધરાવતા લોકો વચ્ચે ફરક ન હોવો જોઇએ?

‘બીજા લઇ લેશે અને આપણે રહી જઇશું તો?’ એવી સ્પર્ધાપ્રેરિત અસલામતી અને કશુંક જબરદસ્ત નવું શોધવાનો ઉત્સાહ ઘણી વાર ગોટાળાના રસ્તે દોરી જાય છે. વેબસાઇટ  પર આ ભયસ્થાન મોટા પ્રમાણમાં રહે છે. કારણ કે મસાલેદાર સમાચાર પહેલા રજૂ કરવાનો ફાયદો મોટો હોય છે અને એ ચૂકી જવાથી બીજી કોઇ સાઇટ એ તક લઇ જાય છે. એને બદલે, ખરાઇની ઝંઝટમાં પડ્યા વિના એક વાર ન્યૂઝ ચડાવી દેવા અને સચ્ચાઇ સામેથી દરવાજો ઠોકતી આવે, ત્યારે તેને પણ રજૂ કરવી, એવી નીતિ વેબસાઇટના સંચાલકો અપનાવી રહ્યા છે.

આ વર્ષના આરંભે અને ગયા વર્ષના અંતમાં ઇન્ટરનેટ પર અનેક ‘ધુપ્પલ’ મોટા પાયે ચાલી ગયાં. જેમ કે, એક બહેને પોતાની કાલ્પનિક ગરીબીની કથા હૃદયદ્રાવક રીતે લખી અને મદદની અપીલ કરી. તો તેમને ૬૦ હજાર ડોલર જેટલી મદદ ઇન્ટરનેટ થકી મળી.  એક ટીવી પ્રોડ્યુસરે ફક્ત ગમ્મત માટે એવી વાર્તા ઉપજાવી કાઢી કે વિમાની મુસાફરી વખતે તેમને એક સહયાત્રી સાથે તકરાર થઇ. આ તકરારમાં કરેલા ‘ટ્‌વીટ’ (ટિ્‌વટર પરનાં લખાણ) તેમણે ઇન્ટરનેટ પર મૂક્યાં, એટલે તે તત્કાળ હિટ થઇ ગયાં. આશરે ૫૬ લાખ લોકોએ ટિ્‌વટર પર ભજવાયેલું એ યુદ્ધ જોયું. જાણીતી વેબસાઇટ buzzfeed.com પર આ ટ્‌વીટ-યુદ્ધ મૂકાયું, તો તેને પણ ૧૫ લાખ લોકોએ જોયું. પછી પ્રોડ્યુસર મહાશયે જાહેર કર્યું કે ‘લડાઇ કેવી ને વાત કેવી? આ બધી તો મેં ઉપજાવી કાઢેલી કથા હતી. હું મારા ટ્‌વીટરના ફોલોઅર્સને કહેતો હતો ને એમાં સમાચારમાઘ્યમો ટપકી પડ્યાં.’

એકાદ ચટાકેદાર સ્ટોરીથી વેબસાઇટોના મુલાકાતીઓની સંખ્યામાં એકદમ ઉછાળો આવે. એટલે જાહેરખબરની આવક વધવાની ઉજળી શક્યતા રહે. સામે પક્ષે જોનારને સમય સિવાયનું કશું દેખીતું નુકસાન નથી. અણદેખીતું નુકસાન એ છે કે ગમે તેવી વસ્તુઓ વિના વિરોધે કે વગર વિચાર્યે માની લેવાની ટેવ દૃઢ બને છે. અંગ્રેજીમાં hoax તરીકે ઓળખાતી ફેંકાફેંક ઓળખી પાડવા માટે hoax-slayer.com જેવી સાઇટો ઘણા વખતથી ચાલે છે. પરંતુ સોશ્યલ નેટવર્કિંગની બોલબાલાના યુગમાં જૂઠાણાંનું પ્રમાણ વધી ગયું છે. ક્લિકભૂખી સમાચાર-સાઇટો  કોઇની મસ્તીને પણ ગંભીરતાથી સાઇટ પર રજૂ કરીને ક્લિક ઉઘરાવી જાય છે. સાચા અને ચેડાંગ્રસ્ત સમાચાર વચ્ચેનો ભેદ ઝડપથી ઉકેલવા માટે નવી સાઇટો અથવા ચાલુ સાઇટમાં નવા વિભાગ ઊભા કરવાનો રિવાજ વ્યાપક બની રહ્યો છે.theatlantic.com જેવી સાઇટ પરના સમાચાર અને gawker.com  પર શરૂ થયેલો વિભાગ AntiViral એનાં  ઉદાહરણ છે.

‘ઝેરનું મારણ ઝેર’ એ ન્યાયે ઇન્ટરનેટ થકી ફેલાયેલી અફવાને ઇન્ટરનેટ થકી રદીયો આપી શકાય છે. પરંતુ ખુલાસો થતાં સુધીમાં સાઇટ પર ટ્રાફિકની બરાબર ધડબડાટી બોલી ચૂકી હોય છે- અને સાઇટોને તેનો કશો અફસોસ પણ નથી હોતો. ‘અમારું કામ ઇન્ટરનેટ પર જે આવે છે તે રજૂ કરવાનું છે. અસલી દુનિયામાં એવું થયું હતું કે નહીં, એની ખરાઇ કરનારા જુદા હોય છે. તે અમારી જવાબદારી નથી.’ આવી માન્યતા ધરાવતો વર્ગ પણ પ્રસાર માઘ્યમોમાં છે.

કેટલાંક જૂઠાણાં કામચલાઉ હોય છે, તો કેટલાંક કાયમી. જેમ કે, ‘ગાંધીહત્યાની અંતિમ ક્ષણ’ અથવા ‘રાષ્ટ્રપિત્યાચા અંતિમ ક્ષણ’ એવું મથાળું ધરાવતું એક અખબારી કટિંગ પણ ઘણા વખતથી ઇન્ટરનેટ પર ફરે છે. તેમાં બંદૂકધારી ગોડસે અને ગાંધીજીની તસવીર નીચે લખવામાં આવ્યું છે કે મુંબઇની ગિરગામ ચોપાટીના એક દરજીની દુકાને આ દુર્લભ તસવીર ફ્રેમમાં સચવાયેલી હતી, જે આ અખબારે મહાપરાણે હાંસલ કરે છે. ગાંધીજીની હત્યા થઇ ત્યારે આ તસવીર કોઇ અંગ્રેજી અખબારમાં છપાઇ હોવાનું પણ તેમાં જણાવાયું છે.

નથુરામ ગોડસેનો ચહેરો અત્યંત જાણીતો હોવા છતાં, આ તસવીરમાં રહેલા સાવ જુદો ચહેરો ધરાવતા જણને લોકો નથુરામ ગોડસે માની બેસે છે. ગોડસે ગાંધી પર ગોળી ચલાવતા હોય ત્યારે આજુબાજુ ઉભેલા લોકો ટોળે વળીને જોઇ ન રહે, એટલો સાદો વિચાર પણ ‘કંઇક નવીન અને મસાલેદાર’ના ઉત્સાહમાં આવતો નથી. હકીકતમાં આ તસવીર સ્ટેન્લી વોલ્પર્ટના પુસ્તક ‘નાઇન અવર્સ ટુ રામ’ પરથી બનેલી ફિલ્મની છે, જેમાં ગાંધીહત્યા પહેલાંના નવ કલાકનો ઘટનાક્રમ આલેખવામાં આવ્યો હતો. ઇન્ટરનેટના જમાનામાં આ તસવીરને નવું જીવન મળ્યું છે. એ દર થોડા મહિને કે વર્ષે ચલણમાં આવતી અને નવા લોકોને ચકરાવે ચડાવતી રહે છે. (વધુ વિગતો માટે આ પોસ્ટ જુઓઃ http://urvishkothari-gujarati.blogspot.in/2011/06/blog-post_206.html )

ઇન્ટરનેટ-પ્રવાહોના અભ્યાસીઓને લાગે છે કે ૨૦૧૪નું વર્ષ, કમ સે કમ વેબસાઇટો માટે, ‘આ સમાચાર સાચા નથી’ એવાં મથાળાં ધરાવતા સમાચારનું વર્ષ બની રહેવાનું છે.

3 comments:

  1. Anonymous12:26:00 AM

    Good one...

    ReplyDelete
  2. ઉત્તર કોરીયાથી એ કુતરા મંગાવી ભુખ્યા રાખી પાંજરામાં પુરી પછી વારા ફરતી શરદ પવાર, નરેન્દ્ર મોદી, નીતીન ગડકરી, યેદુરપ્પા, સુરેશ કલમાડી, વગેરેને કુતરા પાસે મોકલવાનો પ્લાન ઉર્વીશભાઈની આ પોસ્ટથી હાલ થોડા સમય માટે પાછો ધકલેલ છે....

    ReplyDelete
  3. બિલકુલ સાચી વાત લખી! એક વાક્યમાં કહી શકાય કે ઉપયોગ કરતા દુરુપયોગ વધી ગયો છે / રહ્યો છે.
    બીજી એક વાસ્તવિકતા - whatsapp જેવી mobile application થી તો જાણે દાટ વળ્યો છે. લોકો કઈ પણ વિગત લેશમાત્ર ખરાઈ કર્યા વગર forward કર્યા કરે છે. પાછું જો પૂછીએ કે 'સાચું છે?' તો બિન્દાસ કહે પણ ખરા.... ખબર નહી , પણ મને ફલાણા એ મોકલ્યું એટલે મેં forward કર્યું!

    ReplyDelete