Thursday, December 05, 2013

ગુજરાતમાં દટાયેલું સોનું?

થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશના એક સાઘુને દટાયેલા સોનાનું સ્વપ્ન આવ્યું અને ટીવી ચેનલોના પત્રકારોની ઉંઘ હરામ થઇ. ભૂરા રંગનાં પાટિયાં મારવાથી સ્થળો આપોઆપ આરક્ષિત થઇ જાય છે, એવી શ્રદ્ધા ધરાવતા ભારતીય પુરાતત્ત્વ ખાતાએ ગામમાં ખોદકામ શરૂ કર્યું. આ ખોદકામમાં સામાન્ય બુદ્ધિ દાટી દેવાની નથી, એવો અહેસાસ કરાવવા માટે પુરાતત્ત્વ ખાતાએ કહ્યું કે તેમણે જમીનનું પરીક્ષણ કર્યું છે અને તેમાં ધાતુ જેવા કઠણ પદાર્થ છે. પછી પુરાતત્ત્વ ખાતાને સમજાયું કે પથ્થર પણ ધાતુ જેવો કઠણ પદાર્થ જ કહેવાય અને આખી વાતનું વગર દીવેટે સૂરસૂરિયું થઇ ગયું.

કલ્પના એ કરવાની રહે કે આ સોનું ઉત્તર પ્રદેશને બદલે ગુજરાતમાં મળવાની સંભાવના વ્યક્ત થઇ હોત તો કેવા અહેવાલ પ્રગટ થયા હોત?

***

ગુજરાતનો સુવર્ણયુગ
તા. ૧૦

ગુજરાતમાં છેલ્લાં બાર વર્ષથી ચાલી રહેલા સુવર્ણયુગ વિશે ઘણા ટીકાકારો શંકા સેવે છે, પરંતુ એ દાવાને નક્કર પુષ્ટિ આપતાં મુખ્ય મંત્રીની કચેરી તરફથી જણાવાયું છે કે ગુજરાતના પાતાળમાં સોનાના ભંડાર દટાયેલા હોવાની સંભાવના છે. આ ભંડાર છેલ્લા બાર વર્ષમાં પેદા થયા કે ત્યાર પહેલાંથી અસ્તિત્ત્વમાં આવ્યા એ વિશે ચોખવટ કરવામાં આવી નથી, પરંતુ કેટલાક પૌરાણિક અભ્યાસીઓના મતે રાજ્યમાં અસરકારક શાસન ચાલતું હોય ત્યારે કુદરતી તત્ત્વો તો ઠીક, મનુષ્યના દટાયેલા-બળેલા મૃતદેહ પણ સોનામાં ફેરવાઇ જાય એવી સંભાવના હોય છે. રસાયણશાસ્ત્રીઓ કે ભૂસ્તરશાસ્ત્રીઓ આ માન્યતા સ્વીકારતા નથી. પરંતુ એ લોકો સરકાર પણ ચલાવતા નથી.

ગુજરાતમાં નક્કર સોનું મળી આવે તો મુખ્ય મંત્રીના ટીકાકારોનાં મોં બંધ થઇ જશે અને મુખ્ય મંત્રીને લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાન બનવા માટે જે રકમની જરૂર પડે તેના માટે ઉદ્યોગપતિ મિત્રોની મદદ નહીં લેવી પડે, એવું પણ રાજકીય સૂત્રોમાં ચર્ચાય છે.

***

ગુજરાતના મુખ્ય મંત્રીની વઘુ એક સિદ્ધિ : સોનાના ભંડાર
તા. ૧૩, ગાંધીનગર

ગુજરાતમાં સોનું દટાયેલું હોવાના અહેવાલે દેશભરમાં ઉત્તેજનાનો માહોલ સર્જ્યો છે. જાણીતા ઉદ્યોગપતિ ટનાટન રાતાએ કહ્યું છે કે જે ઉદ્યોગપતિ ગુજરાતમાં ખોદકામનો પરવાનો મેળવવા માટે મુખ્ય મંત્રીને મસકા નથી મારતો એ મૂરખ છે. બીજા ઉદ્યોગપતિ સ્વપ્નિલ પિત્તળે કહ્યું છે કે ગુજરાતના મુખ્ય મંત્રી ફક્ત દેશના જ નહીં, વિશ્વના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે અને તેમના નેતૃત્વ હેઠળ વિશ્વ બુલેટ ટ્રેનની ઝડપે વિકાસ કરશે. જે માણસની હાજરી માત્રથી ગુજરાતની ભૂમિમાં સાચું સોનું પેદા થઇ શકતું હોય, તે વિશ્વનો વડો હોય તો શું ન થાય?   મુખ્ય મંત્રીની અભિનયક્ષમતા અને સંવાદછટાથી પ્રભાવિત ફિલ્મી અભિનેતા-અભિનેત્રીઓ પણ ગાંધીનગરમાં ઉતરી પડ્યાં છે. ‘અમને ખમણ બહુ ભાવે ને ઢોકળાં બહુ ભાવે’- એવા ઇન્ટરવ્યુ આપવાને બદલે આ વખતે એમણે ધંધામાં ઘ્યાન કેન્દ્રિત કરીને પત્રકારોને મળવાનું ટાળ્યું છે. માહિતી ખાતું મુખ્ય મંત્રી સાથેની તેમની તસવીરો જારી કરે ત્યારે જ જાણ થાય છે કે એ લોકો ગાંધીનગરની મુલાકાતે હતાં. મોટા ભાગના અભિનેતા-અભિનેત્રીઓએ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે મુખ્ય મંત્રી સમક્ષ ઉદાર શરતો મુકી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે એક વાર ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા પછી ગુજરાતનું સોનું તેમને સસ્તા કે મફતના ભાવે મળી જવાની ઉજળી આશા છે.

મુખ્ય મંત્રીની પ્રશંસા કરવા માટે ઉમટી પડેલા ઉદ્યોગપતિઓ અને ફિલ્મવાળાની લાઇન સચિવાલયથી છેક સેક્ટર ચ- પાંચના ફુવારા સુધી લંબાઇ હોવાના બિનસત્તાવાર અહેવાલને માહિતીખાતાએ નકારી કાઢ્‌યા છે. ચ-પાંચના ફુવારે બેસતા પ્રદર્શનકારીઓ સાથે લાઇનની ભેળસેળ થવાથી પ્રજામાં ગેરસમજણ ઊભી ન થાય એ માટે પ્રદર્શનકારીઓ પર બિનસત્તાવાર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું પણ જાણવા મળે છે.

***

એ સોનું કોંગ્રેસની મહેનતનું પરિણામ છે
તા. ૧૪

ગુજરાતમાં દટાયેલું સોનું મળી આવવાના અહેવાલોને રદીયો આપતાં કોંગ્રેસી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ અહેવાલો પાયા વગરના છે અને આવું કોઇ સોનું મળી આવવાનું નથી. પરંતુ સલામતી ખાતર કોંગ્રેસી પ્રવક્તાએ કહ્યું હતું કે કદાચ પણ આવું કંઇ મળી આવે તો એ કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત પર રાજ કર્યું તેનું પરિણામ હશે. કોંગ્રેસના રાજમાં સોનું જમીનમાં દાટીને પિત્તળ બહાર રાખવાનો રિવાજ હતો, એવું અનુભવી રાજકીય સમીક્ષકો માને છે. પરંતુ સોનું નીકળશે કે નહીં, એ વિશે ખોંખારીને ટીપ્પણી કરવાનું કોંગ્રેસી પ્રવક્તાએ ટાળ્યું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે એમ તો ગુજરાત કોંગ્રેસના કાર્યાલય નીચે સોનું હોવાની સંભાવના છે. લાંબો સમય સરકાર ચાલે એટલે એક યા બીજા સ્વરૂપે જમીનમાં કે બેન્કમાં દાટી રાખવું પડે એવું સોનું પેદા થતું જ હોય છે. એમાં કશી નવાઇ નથી કે કશો ચમત્કાર પણ નથી. સ્વિસ બેન્કના નિયમો કડક બન્યા પછી ફરી એક વાર સોનું જમીનમાં દાટી રાખવાનો યુગ પાછો ફરે એવી સંભાવના પણ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

***

સોનાના ભંડારોની મુલાકાતે પ્રો.જગદીશ ભગવતી
તા. ૧૬

જાણીતા અર્થશાસ્ત્રી અને ગુજરાતના મુખ્ય મંત્રીના વિકાસમોડેલના પ્રશંસક પ્રો.જગદીશ ભગવતી ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુપ્ત રાહે સોનાના દટાયેલા ભંડારની સ્થળમુલાકાત લીધી હોવાનું પણ મનાય છે. પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં પ્રો.ભગવતીએ કહ્યું હતું કે ‘મારા વિદ્વાન મિત્ર પ્રો.અમર્ત્ય સેને તેમની જિંદગીમાં કલ્પ્યું નહીં હોય એટલું સોનું ગુજરાત ધારે તો મુખ્ય મંત્રી મોદીના નેતૃત્વ હેઠળ પેદા કરી શકે એમ છે. મને તેમની ક્ષમતામાં પૂરો વિશ્વાસ છે અને અમર્ત્ય સેન તેમના વિરોધી હોય ત્યારે તો મારો વિશ્વાસ બેવડાઇ જાય છે.’ પ્રો.સેને આ અંગે ટીકાટીપ્પણી કરવાને બદલે કહ્યું કે ‘જો ગુજરાતમાંથી ખરેખર સોનું મળી આવે તો તેની અસરકારક વહેંચણી થાય અને છેવાડાના માણસ સુધી તેનો લાભ પહોંચે એવું આયોજન ગુજરાત સરકારે કરવું જોઇએ.’

***

લંકા પણ સોનાની હતી ઃ અડવાણી
તા. ૧૭

વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાવણની નગરી લંકા ‘સોનાની લંકા’ તરીકે જાણીતી હતી. અડવાણીએ કયા સંદર્ભે આવું કહ્યું હશે તે વિશે અટકળો થઇ રહી છે. આગામી લોકસભાની ચૂંટણી અને વડાપ્રધાનપદ અંગે અડવાણીએ કહ્યું કે ‘નરેન્દ્ર મોદી એટલા સક્ષમ નેતા છે કે તેમના પ્રાંતમાંથી સોનું નીકળે છે.’ પછી જરા અટકીને તેમણે લંકાનગરી યાદ કરી હતી.

***

ગુજરાતના ગોલ્ડ રશનો અંત
તા. ૨૮

પુરાતત્ત્વ ખાતાએ ગુજરાતમાં પાંચ સ્થળોએ સોનાની શોધમાં હાથ ધરેલા ખોદકામમાં સોનાને બદલે માનવ હાડપિંજરો મળતાં તત્કાળ ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં સોનું દટાયેલું હોવાના અગાઉ પ્રગટ થયેલા અહેવાલો બિનપાયેદાર અને બિનસત્તાવાર ગણાવીને માહિતી ખાતાએ તેને રદીયો આપ્યો છે. 

No comments:

Post a Comment