Tuesday, December 03, 2013

આદર અને આક્રમક વિરોધ : શરતો લાગુ

મૂલ્યો વગરની સફળતા સમાજમાં ક્યારની સ્વીકૃત, સ્થાપિત અને પ્રતિષ્ઠિત બની ચૂકી હોય, એવી સ્થિતિમાં મૂલ્યભંગના મોટા ભાગના કિસ્સા થોડી સનસનાટીથી વધારે કંઇ જગાડી શકતા નથી. પરંતુ મૂલ્યહીનતાના અવિરત ઓચ્છવમાં નૈતિકતાની પીપુડી વગાડતા છૂટાછવાયા લોકો જ્યારે માટીપગા પુરવાર થાય, ત્યારે વધારે મોટો ધબાકો થાય છે.‘તહલકા’ના તરુણ તેજપાલ એનું તાજું ઉદાહરણ છે.

તરુણ તેજપાલની જે મથરાવટી તેમના પરિવારમાં અને નજીકનાં વર્તુળોમાં જાણીતી હતી, તે હવે રાષ્ટ્રિય ચર્ચાનો મુદ્દો છે- અને એમાં તેજપાલ સિવાય બીજા કોઇનો દોષ કાઢી શકાય તેમ નથી. લાજવા જેવું કામ કર્યા પછી ગાજવાની તેમની વર્તણૂંક બેવડી શરમજનક છે.  ‘તહલકા’ના મોરચે શહીદીનો લિબાસ પહેરીને ફરતા તેજપાલ અને તેમનાં સાથી શોમા ચૌધરી ‘થિન્ક ફેસ્ટ’ પ્રકારનાં ફાઇવ સ્ટાર આયોજનો માટે જુદી કંપનીઓ ઊભી કરે અને ‘તહલકા’ના માઘ્યમથી કરાતો મૂલ્યનિષ્ઠાનો દાવો નેવે મૂકીને અઢળક કમાણી કરતાં હોય, એ પણ ઓછો ગંભીર આરોપ નથી. ‘તહલકા’માં ખોટ જતી હોય, જેને સરભર કરવા માટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હોંશથી નાણાં રોકતા હોય અને ભવ્ય મેળાવડા કે ક્લબ જેવાં આયોજનોમાં નાણાં મેળવવા માટે તેજપાલ ‘તહલકા’ની આબરૂ વટાવી ખાતા હોય, તે આરોપ સૂચવે છે કે તેજપાલની મહત્ત્વાકાંક્ષા તેમની જે કંઇ નીતિમત્તા હોય એને વળોટીને ક્યારની આગળ નીકળી ચૂકી હતી.

તેજપાલ-ચૌધરી એન્ડ કંપનીનાં આ કરતૂતની ‘સજા’ તરીકે હવે ‘તહલકા’ બંધ થઇ જાય અથવા ખંડિત પ્રતિષ્ઠા સાથે ચાલતું રહે, તો તેમાં નુકસાન છેવટે કોને જાય? તેજપાલ-ચૌધરીનું જે થવું હોય તે થાય, પણ ‘તહલકા સ્પેશ્યલ’ અહેવાલ છપાતા બંધ થાય અથવા છપાય તો પણ તેમાં વિશ્વસનિયતાનો રણકો ન રહે, એ બેશક નાગરિકોનું નુકસાન છે- એવા નાગરિકોનું જેમણે કોઇ રાજકીય પક્ષની કંઠી બાંધી નથી કે કોઇ નેતાના મોહમાં અંધ બન્યા નથી.

અને ફાયદો કોને થાય? ‘એક કાગડો મરે ને સો ગાયનાં શિંગ ઠરે’ એ કહેવત પ્રમાણે, અનેક સ્થાપિત હિતો અને તેમના મળતિયા હાશકારો અનુભવે. (‘તહલકા’નું પ્રતીક ‘જૂઠ બોલે કૌઆ કાટે’વાળો કાગડો જ હતો.)

વિરોધનાં વાજાં, સ્વાર્થના સૂર

તેજપાલનો વિરોધ કરનારામાંથી કોણ ન્યાય ઇચ્છે છે ને કોણ બદલો, કોણ સિદ્ધાંતની વાત કરે છે ને કોણ સગવડની, એની તારવણી કરવાનું પણ જરૂરી છે. ઇંદિરા ગાંધીએ ૧૯૭૭માં લાદેલી કટોકટીમાંથી દેશને બોધપાઠ મળી ચૂક્યો છે કે કટોકટીનો વિરોધ કરનારા બધા લોકશાહીના કે નાગરિક અધિકારોના તરફદાર નથી હોતા. કંઠીબંધા ડાબેરીઓથી માંડીને કોમવાદી જમણેરીઓ સુધીના સૌ કોઇ કટોકટીની સામે હોય ત્યારે એક સરખા શાણા લાગતા હતા. કટોકટીનો વિરોધ ગમે તેટલો સાચો હોય તો પણ, ફક્ત એ કારણસર તેના તમામ વિરોધીઓને લોકશાહીના ચળવળકાર તરીકે વધાવી શકાય નહીં. એવી જ રીતે, તેજપાલના વિરોધમાં ઉતરેલા લોકોના પણ આશય પ્રમાણે પ્રકાર પાડવા રહ્યા.

આ પ્રકાર નક્કી કરવાની ઘણી રીત હોઇ શકે. જેમ કે, તેજપાલના શરમજનક દુર્વ્યવહારનો જોરશોરથી વિરોધ કરનારા કેટલા લોકોને અમિત શાહના ‘સાહેબ’ દ્વારા કરાયેલા રાજ્યસત્તાના વ્યાપક દુરુપયોગ સામે (વધારે નહીં તો) એટલો જ વાંધો પડે છે? તેજપાલે છોકરી સામે કરેલા આરોપો જૂઠા છે, એવું હોંશથી કહેતા કેટલા લોકોને, ‘સાહેબે છોકરીની સલામતી માટે તેની પાછળ પોલીસ ગોઠવી હતી’ એવો ખુલાસો હોંશેહોંશે સ્વીકારી લે છે? તેજપાલની ટીકા કરનારામાંથી કેટલા લોકો હજુ આસારામના ભગત છે અથવા તેમને ખોટા હેરાન કરાઇ રહ્યા હોવાનું માને છે?

આમાં, ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’વાળા ‘દીવાર’ન્યાયની વાત નથી કે નથી તેનાથી તેજપાલનો ગુનો હળવો થતો. સમજવાનું એટલું જ છે કે તેજપાલ માટે એક ને ‘સાહેબ’ માટે કે આસારામ માટે બીજી ફુટપટ્ટી રાખતા લોકો વ્યક્તિગત, વિચારગત કે પક્ષગત લાગણીથી દોરાઇને તેજપાલનો વિરોધ કરતા હોય એવી પૂરી શક્યતા છે. તેમને નૈતિકતા કે મૂલ્યો સાથે કશો સંબંધ હોવો જરૂરી નથી. તેજપાલના આવા પતનથી - અને ખાસ તો ‘તહલકા’ની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનથી નાગરિક તરીકે ખેદ થવો જોઇએ, પરંતુ તેમને આનંદ થાય છે.

ઘુળેટી વખતે કીચડના કુંડમાં રમતા લોકોની વચ્ચે કોઇ શ્વેતવસ્ત્રધારી આવી પટકાય તો કેવી ચિચિયારીઓ ઉઠે? તેમાં મૂલ્યો પ્રત્યેનો આદર નહીં, પણ ‘આપણી ઉજવણીમાં ખલેલ પહોંચાડનારો એક ઓછો થયો ને આપણામાં ભળી ગયો’ એવી લાગણી મુખ્ય હોય છે. બેવડાં ધોરણ ધરાવતા લોકો દ્વારા થતો તેજપાલનો તીવ્ર વિરોધ હકીકતે કીચડકુંડમાં તેજપાલનું સ્વાગતગાન છે, જેનો સાર છે, ‘હવે તમે કયા મોઢે અમારા વહાલા નેતા કે પક્ષ તરફ આંગળી ચીંધશો? બોલો?’  તેનાથી સમાજને કે નીતિમત્તા ઝંખતા નાગરિકોને કશો ફાયદો થવાનો નથી.

કિમતી મતને અપવિત્ર કરો

નાગરિકતરફી રાજકારણના દાવા સાથે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવનાર ‘આમઆદમી પક્ષ’ના અરવિંદ કેજરીવાલનો કિસ્સો આરોપની રીતે જુદો, પણ પ્રતિક્રિયાની દૃષ્ટિએ બહુ અલગ નથી.  અન્ના આંદોલનની પહેલી મુદત વખતે રાતોરાત ક્રાંતિ કરવા નીકળેલા ઘણાએ અન્ના અને અરવિંદ કેજરીવાલને માથે બેસાડ્યા હતા. હવે કેજરીવાલ વિશે લોકોની મુગ્ધતા ઓસરી ચૂકી છે. તેમણે રાજકારણમાં દાખલ થવાનું સ્વીકાર્યું એ આવકાર્ય છે, પણ ભ્રષ્ટાચારવિરોધી ચળવળ વખતે તેમની ફરતે રચાયેલું તેજવર્તુળ હવે જોવા મળતું નથી. તેમની કેટલીક નીતિરીતિઓ સામે ભૂતકાળમાં સવાલ થયેલા છે, પરંતુ તેમાંનો એકેય સવાલ ભાજપ-કોંગ્રેસના નેતાઓના મોઢે શોભતો નથી.

દિલ્હીમાં અને દેશભરમાં કોંગ્રેસ-ભાજપ એટલાં તળિયે બેઠેલાં છે કે તે એકબીજા સિવાયના- એટલે કે કોઇ પણ ધોરણસરના- પક્ષ સાથે ગુણવત્તા કે નૈતિકતાની બાબતમાં હરીફાઇ કરી શકે એમ નથી. કેજરીવાલ જેવા નવા નિશાળીયા સામેની લડાઇમાં પણ કોંગ્રેસ-ભાજપને અંદરથી અવઢવ લાગતી હશે. કારણ કે તેમનો વિશ્વાસ ટકાવી રાખે એવું પોતીકી તાકાતનું કોઇ પરિબળ નથી. તેમનું સઘળું જોર માત્ર નાણાંકોથળી અને રાજકીય દાવપેચોમાં સમાયેલું છે. કદાચ એ જ કારણથી, દિલ્હીમાં આ બન્ને રાષ્ટ્રિય પક્ષોનો પ્રયાસ કોઇ પણ રીતે કેજરીવાલને નીચા પાડવાનો જણાય છે. કેજરીવાલના આમઆદમી પક્ષ વિરુદ્ધ ચૂંટણીભંડોળને લગતા આરોપ કરતી વખતે કોંગ્રેસ-ભાજપના નેતાઓને જરાય શરમ નહીં આવી હોય? એવો સહેજ પણ વિચાર નહીં આવ્યો હોય કે ચૂંટણીભંડોળના મુદ્દે ચોખ્ખાઇની અપેક્ષા રાખનારા એ પોતે કીચડમાં માથાડૂબ ખૂંપેલા છે?

‘આમઆદમી પક્ષ’ના ઉમેદવારો વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન પછી કોંગ્રેસ-ભાજપ મતદારોને શું કહેવા માગે છે? સીધા શબ્દોમાં તે આ રીતે કહી શકાય ઃ ‘જુઓ, જુઓ, કેજરીવાલ મોટી વાતો કરે છે, પણ તેમનો પક્ષ અમારા પક્ષ જેટલો ભ્રષ્ટ છે અને તેમના ઉમેદવારો પણ અમારા ઉમેદવારો જેટલા જ નકામા છે. તો પછી તેમને મત શા માટે આપો છો? આપનો કિમતી અને પવિત્ર મત અમને, જૂના અને જાણીતા ભ્રષ્ટાચારી નકામાઓને જ આપો. ગમે તેમ તો પણ અમે રાષ્ટ્રિય કક્ષાનાં છાપેલાં કાટલાં છીએ.’

હોઉં તો હોઉં પણ ખરો

મૂલ્યહીનતાની બોલબાલાનું અન્ય એક આડપરિણામ છે :  ક્યાંય પણ થોડીઘણી ગુણવત્તા દેખાય એટલે ‘આટલું પણ કોણ કરે છે?’ એમ વિચારીને તેને પોંખવાની હોડ જામે છે. નાનામાં નાના સારા કામને બિરદાવવું જોઇએ, પરંતુ તેમાં પ્રમાણભાન ચૂકી જવાય ત્યારે સમાજમાં માટીપગા દેવતાઓ સર્જાય છે. તેમાં સાહિત્યકારો-કળાકારો-કથાકારોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને ફિલ્મી હસ્તીઓ પણ આવી જાય. ચોક્કસ કામ કે સિદ્ધાંતને બદલે આખેઆખા માણસને પૂજનીય બનાવી દેવાની વૃત્તિને લીધે, અમુક ક્ષેત્રે સરસ કામ કરતો માણસ ‘હોઉં તો હોઉં પણ ખરો’ના ભ્રમમાં આવી શકે છે. (તેમાં સ્ત્રી-પુરૂષનો બાધ નથી.) નક્કર કામની ભોંયની નીચે ખોટા અહોભાવના તકલાદી થર જામે એટલે માણસનું પતન અનિવાર્ય અને વહેલું બને છે. કારણ કે લોકોનો અહોભાવ જેટલો અપ્રમાણસરનો, એટલી તેમની અપેક્ષાઓ વધારે અને અપેક્ષા વધારે તેમ અપેક્ષાભંગનો ખટકો મોટો.

ભારતમાં પ્રસાર માઘ્યમો અને સોશ્યલ મીડિયાના જબરા વ્યાપ પછી રહ્યુંસહ્યું પ્રમાણભાન પણ ખોવાઇ ગયું હોય એવું લાગે છે.  સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરથી માંડીને બાળ ઠાકરે જેવા રાજકારણી નેતાને ચોક્કસ પ્રકારનાં સ્થાપિત હિતો દ્વારા જે રીતે માથે ચડાવવામાં - અને કેટલાક કિસ્સામાં તો માથે મારવામાં- આવે છે, તે જોઇને સ્વસ્થ માણસને મૂંઝારો થઇ શકે. કોઇ પણ માણસને ભગવાન-સમકક્ષ કે સર્વગુણસંપન્ન બનાવ્યા વિના, ‘શરતો લાગુ’ની ફુદડી સાથે તેની પ્રશંસા ન કરી શકાય? વ્યક્તિપૂજાના પર્યાય જેવો બિનશરતી અહોભાવ ન્યોચ્છાવર કરવાને બદલે, આદરભાવને ચોક્કસ ક્ષેત્ર કે કામગીરી પૂરતો મર્યાદિત ન કરી શકાય?

એવું થઇ શકે તો દેશ સમક્ષ નમૂનેદાર કામ કરનારા થોડા માણસોનાં ઉદાહરણ લાંબા સમય સુધી ટકી શકશે. પરંતુ બધામાં અહોભાવના એક જ પંપથી, એકસરખા ઉત્સાહ વડે હવા ભરવામાં આવે, તો તેમના કદમાં અપ્રમાણસરનો વધારો થતો રહેશે અને ઝડપથી એ દિવસ આવશે, જ્યારે હવાગ્રસ્ત મહાનતાનો ફુગ્ગો ફૂટી જશે. 

2 comments:

  1. Thanks for this. This wonderfully balanced piece touches upon many uncomfortable truths and is nuanced at so many levels Urvish. It speaks to people like me for whom the loss of Tehelka has been a tremendous, keenly-felt personal loss.

    Everybody has had a field day dissecting them, making accusations but I wonder why if so much was known, no one bothered to bring it out until now. There is a lot of personal and professional envy mixed with a self-righteous sense of condemnation here. In alleging that Tehelka did selective stories, they conveniently forget (even if we think the accusation was true for a moment) that despite that, Tehelka did more important stories over the past decade targeting both parties and their governments than they have been able to manage. Anybody who has read their first page edits over the past few months would know how they dd not pull any punches on Messrs Singh, Chidamabaram or even other CMs of Congress-ruled State Governments. One has to be blind, ill-informed or deliberately myopic not to see this.

    ReplyDelete