Monday, November 25, 2013

બે તંત્રીલેખ : `પીછા કરો` 'અને દલા તરવાડી-ન્યાય'

પીછા કરો

અંગત આરોપોની ગંદકીમાં ન જઇએ તો પણ, ‘કોબ્રાપોસ્ટ’ અને ‘ગુલૈલ’ વેબસાઇટ થકી જાહેર થયેલી વિગતોમાંથી આટલું સ્પષ્ટ છે : ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં એક મહિલાની તમામ હિલચાલ પર ગુજરાત સરકારના મંત્રી તેમના કોઇ ‘સાહેબ’ની આજ્ઞાથી અને ગુજરાતનું પોલીસતંત્ર મંત્રીશ્રીની આજ્ઞાથી નજર રાખતાં હતાં. ‘નજર રાખવાનો’ કાર્યક્રમ એકદમ ચુસ્તીથી પાર પાડવામાં આવતો હતો અને ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તેમાં અંગત રસ લેતા હતા. એટલું જ નહીં, અહેવાલો મુજબ અમિત શાહ કોઇ ‘સાહેબ’ની સૂચનાનો પણ વાતચીતમાં ઉલ્લેખ કરે છે. મુખ્ય મંત્રી મોદીના ખાસ માણસ તરીકે અગાઉ વગોવાઇ અને ફસાઇ ચૂકેલા શાહ તેમના ખાતાના પોલીસ અફસરો સમક્ષ કોનો ઉલ્લેખ ‘સાહેબ’ તરીકે કરતા હશે? આ સવાલ ‘કૌન બનેગા કરોડપતિ’ના શરૂઆતના તબક્કાના ‘દૂધપાક સવાલો’માં સ્થાન પામે એવો છે. પરંતુ અહીં મહત્ત્વ ‘સાહેબ’ના પાત્રનું નથી, રાજ્ય સરકારના ચરિત્રનું છે.

ગુજરાત સરકારના ઉત્સાહી પીછા-કરણ કાર્યક્રમની વિગતો જાહેર થયા પછી એક તરફ ભાજપના સત્તાવાર-બિનસત્તાવાર પ્રવક્તાઓએ આક્રમક બચાવની જૂની પદ્ધતિ અપનાવી છે, તો બીજી તરફ યુવતીના પિતાએ રાષ્ટ્રિય તથા રાજ્યના મહિલા આયોગને લખેલો એક પત્ર જાહેર થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘૨૦૦૯માં કેટલાંક અંગત અને કૌટુંબિક કારણોસર મેં ગુજરાતના મુખ્ય મંત્રીને મારી દીકરીના હિતમાં વચ્ચે પડવા માટે વિનંતી કરી હતી...મારી અને મારા કુટુંબની સમસ્યા એકદમ અંગત હોવાથી, રાજ્યના રાજકીય વડાની રૂએ મુખ્ય મંત્રીને લેખિતને બદલે મૌખિક વિનંતી કરવાનું મને યોગ્ય લાગ્યું. તેમની સાથે મારે બે દાયકા જૂનો સંબંધ છે...’ ગુજરાત સરકાર દ્વારા કરાયેલી મદદ વિશે તેમની દીકરી જાણતી હતી એવું પણ પત્રમાં જણાવાયું છે અને દીકરીના અંગત જીવનની આણ આપીને પ્રસાર માઘ્યમોને આ મુદ્દાથી દૂર રહેવા જણાવાયું છે.

ભાજપનાં ઉત્સાહી પ્રવક્તા મીનાક્ષી લેખીએ કોંગ્રેસની ટીકાના  જવાબમાં એ મતલબનું કહ્યું છે કે પિતા-પુત્રીને કોઇ ફરિયાદ નથી, તો  કોંગ્રેસને શી પંચાત? મોડેમોડે મોદીભક્ત બનેલાં મઘુ કિશ્વર વળી એક ડગલું આગળ વદીને એવું ટ્‌વીટ્યાં છે કે મહિલાને ભ્રષ્ટ-લંપટ પોલીસ અફસર સાથે સંબંધ હોવાથી તેના પિતાએ દીકરી પર નજર રાખવા માટે મુખ્ય મંત્રીને વિનંતી કરી.

આ વિવાદમાં સચ્ચાઇ નક્કી કરવાનું કામ અદાલતનું છે, પણ સામાન્ય સમજણથી આટલી હકીકતો સ્પષ્ટ છે : સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે મહિલા પર સરકારી રાહે નજર રાખવામાં આવતી હતી, તેનો ઇન્કાર ભાજપે કર્યો નથી. ઊલટું મુખ્ય મંત્રી અને તેમના સાગરિત પ્રકારના સાથીદારોને આબાદ ઉગારવાના આશયથી લખાયા હોય એવા પિતાના પત્રમાં પણ આ જાતનો ચોકીપહેરો રખાતો હોવાનું જણાવાયું છે. મુખ્ય મંત્રી સાથે ‘બે દાયકાના સંબંધ’ની રૂએ, કોઇ ભાઇ કેવળ મૌખિક વિનંતી કરે અને મુખ્ય મંત્રી એ ભાઇની પુત્રી પર નજર રાખવા માટે એક મંત્રી સહિતનું સરકારી તંત્ર કામે લગાડી દે, આ હકીકતનો પણ હજુ સુધી ભાજપે ઇન્કાર કર્યો નથી. સરકારી તંત્રના અંગત ઉપયોગ એટલે કે દુરુપયોગનો ચોખ્ખો કેસ છે. મહિલાના પિતાના દાવા સાચા હોય તો પણ, મુખ્ય મંત્રીના પક્ષે ઓછામાં ઓછો આ ભ્રષ્ટાચારનો કેસ તો બને જ છે અને ભાજપે અત્યાર સુધીના તમામ બચાવમાં આ આરોપનો આડકતરો સ્વીકાર કર્યો છે. કારણ કે, ભાજપી પ્રવક્તાઓનું લક્ષ્ય તેમના વડાપ્રધાનપદના ઉમેદવારને વધારે ગંભીર અને વધારે અંગત આરોપોથી બચાવવાનું રહ્યું છે.

મુખ્ય મંત્રી કે કોઇ મંત્રી આ રીતે સરકારી તંત્રનો ઉપયોગ અંગત હેતુ માટે કરી શકે? કોઇ વ્યક્તિને રક્ષણ આપવાનું કે તેનું હિત જાળવવાનું કારણ આગળ ધરીને સરકાર બેરોકટોક જાસુસી કરાવી શકે?  રાષ્ટ્રિય હિતનો મુદ્દો હોય તેમ, મુખ્ય મંત્રીના ખાસમખાસ મંત્રી અંગત રસ લઇને બિનસત્તાવાર રાહે કોઇ વ્યક્તિ પર નજર રખાવી શકે? મોદીભક્ત મઘુ કિશ્વર જે બચાવ રજૂ કરે છે એ પ્રમાણે તો, પોતાની પુખ્ત વયની પુત્રીના એક પુખ્ત વયના પોલીસ અફસર સાથેના સંબંધોથી નારાજ થયેલા પિતાએ મુખ્ય મંત્રીની મદદ માગી હતી, જે મુખ્ય મંત્રીએ હોંશે હોંશે આપી. આ આરોપ કે પિતાએ લખેલો પત્ર સાચો છે, એવું માની લેવા માટે અસાધારણ ભોળપણ જોઇએ. છતાં દલીલ ખાતર એ સાચું માની લઇએ તો પણ, રાજ્યના મુખ્ય મંત્રીની ફરજમાં પ્રેમ પ્રકરણોની પોલીસપટેલાઇ ક્યારથી આવવા લાગી?

વડાપ્રધાન બનવા માટે જુદી ભ્રમણકક્ષામાં પુરપાટ વેગે ચકરાવા લઇ રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીએ પગ તળે રેલો કે પૂર આવે ત્યારે ચૂપકીદી સાધી લેવાની તેમની જૂની રસમ અપનાવી છે. તેમની સરકારને બદલે તેમના પક્ષનું પાયદળ દોઢચતુરાઇના અવનવા નમૂના પૂરા પાડીને આખા મુદ્દાને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો રંગ આપવા મથી રહ્યું છે. આ કોઇની અંગત જિંદગીનો નહીં, પણ રાજ્યસત્તાના દુરુપયોગનો- એટલે કે જાહેર હિતનો મુદ્દો છે એ ભાજપ ભલે સંતાડે, પણ નાગરિકોએ ભૂલવા જેવું નથી.

(ગુરુવાર-૨૧-૧૧-૧૩)

***

દલા તરવાડી-ન્યાય

સૈન્ય અને રાજકારણથી માંડીને રમતજગતનાં અનેક કૌભાંડનો પર્દાફાશ કરનાર ‘તહલકા’ના માલિક-તંત્રી તરુણ તેજપાલ પોતે જાતીય ગેરવર્તણૂંકના આરોપમાં સપડાયા છે. આરોપી કોઇ પણ હોય, આરોપ ગંભીર કહેવાય. પરંતુ ‘તહલકા’ના માલિક-તંત્રી પર તે લાગે ત્યારે વઘુ ગંભીર ગણાય. કારણ કે અત્યાર સુધી તેમણે ‘તહલકા’ની ભૂમિકા એવી બાંધી છે કે તે સચ્ચાઇ માટે સ્થાપિત હિતો સામે લડે છે. સાચકલાપણું અને મૂલ્યનિષ્ઠા ‘તહલકા’ની ઓળખ બને એવી તેમની કાયમી રજૂઆતો રહી છે. ભારતીય પત્રકારત્વમાં ‘તહલકા’એ ઘણાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે એ પણ નિર્વિવાદ છે. છતાં, જેમ તરુણ તેજપાલ પરના આરોપથી ‘તહલકા’નું સારું કામ ઘૂળધાણી થઇ જતું નથી, એવી જ રીતે ‘તહલકા’ના સારા કામથી તરુણ તેજપાલને આરોપની જવાબદારીમાંથી કોઇ પ્રકારની મુક્તિ મળી શકે નહીં. ‘કોઇ પણ વ્યક્તિ કાયદાથી પર નથી અને અમે કોઇની શરમ ભરતા નથી’ એવો બિનસત્તાવાર ઘ્યેયમંત્ર ધરાવતા સામયિકના માલિક-તંત્રી પોતાની જાતને કાયદાથી પર ગણે અથવા જાતે જ પોતાનો ન્યાય તોળી નાખે, એ  માનવસ્વભાવની કરુણ વક્રતા છે. એને દલા તરવાડી-ન્યાય પણ કહી શકાય.

‘થિન્ક ફેસ્ટ’-વિચારમેળા- પ્રકારના ફાઇવ સ્ટાર સમારંભો અને તેના કોર્પોરેટ પ્રાયોજકોને કારણે ઘણા સમયથી ટીકાનું કેન્દ્ર બનેલા ‘તહલકા’માં ગોવાના ‘થિન્ક ફેસ્ટ’  દરમિયાન તરુણ તેજપાલે ‘તહલકા’નાં મહિલા કર્મચારી સાથે જાતીય ગેરવર્તણૂંક કરી. આવું બે વાર બન્યું. ફરિયાદી મહિલાએ ‘તહલકા’માં તેજપાલ પછીનો હોદ્દો ધરાવતાં શોમા ચૌધરીને ફરિયાદ કરી. પરંતુ અત્યારે ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે ‘ઘરની વાત ઘરમાં રહે’ એવા રૂપાળા બહાના તળે  ભીનું સંકેલી દેવામાં આવ્યું. ઓફિસોમાં અને બહાર મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર વિશે જોસ્સાથી લખનાર ‘તહલકા’ના મુખિયાઓને ફરિયાદ વિશે કશાં શિક્ષાત્મક પગલાં લેવાપણું લાગ્યું નહીં. ઉલટું, તેજપાલે આ શરમજનક ઘટનામાંથી પોતાની નૈતિકતા ઉભારવાનો પ્રયાસ કર્યો. આરોપનો મભમ સ્વીકાર અને એવી જ દિલગીરી વ્યક્ત કર્યા પછી ‘આટલું પ્રાયશ્ચિત પૂરતું નથી’ એમ કહીને તેજપાલે જાતે જ પોતાની સજા પણ નક્કી કરી નાખી : ‘છ મહિના સુધી હું તહલકાની ઓફિસે નહીં આવું.’

તેજપાલના સ્વીકારપત્રમાં શરમનો કે અફસોસનો નહીં, પણ પોતે ઘટનાઓનું કે સંજોગોનું ખોટું અર્થઘટન કર્યું છે, એવો ભાવ હતો. તેમાં એવું પણ સૂચવાતું હતું કે મહિલા કર્મચારીઓ એવું કશું કર્યું હશે જેથી તેજપાલ છૂટછાટ લેવા પ્રેરાય અને છૂટછાટની માત્રા નક્કી કરવામાં તેમના પક્ષે ભૂલ થઇ હોય. બબ્બે વાર આવું બને એ સૂચવે છે કે આરોપીત ગેરવર્તણૂંક ક્ષણિક આવેગનું પરિણામ ન હતી. એવું હોત તો પણ એ અક્ષમ્ય જ ગણાત, પરંતુ આયોજિત ગેરવર્તણૂંક નૈતિક રીતે વધારે ગંભીર ગુનો બને છે. આ ગુના પછી તરુણ તેજપાલને ‘માલિક’ ગણીને કામ લેવામાં આવ્યું અને ‘માફી તો માગી, હવે શું છે?’ એવા અભિગમ સાથે, ‘ફરિયાદીએ માફી સ્વીકારી લીધી છે અને એ સાથે જ આ વાત પૂરી થાય છે’ એવું જાહેર કરી દેવામાં આવ્યું.

આટલું ઓછું હોય તેમ, તેજપાલે મહાત્મા ગાંધીના અંદાજમાં પોતાની જાતને બહુ મહાન સજા કરતા હોય એમ જાહેર કર્યું કે પોતે છ મહિના સુધી ઓફિસે નહીં આવે. તેમની આ જાહેરાત ટીકા અને રમૂજનું કેન્દ્ર બનવાને જ લાયક હતી. કોઇએ કહ્યું, ‘મેં કરેલા દુરાચારની સજા તરીકે હું છ મહિના સુધી આશ્રમે નહીં જઉં, એવું આસારામ કહી દે તો તેમને પણ સજામાંથી મુક્તિ મળી જાય?’ બીજાએ કહ્યું, ‘આ છ મહિનામાં માલિક-તંત્રી તરીકે તે રૂપિયા લેવાના કે નહીં?’ મુદ્દો એ છે કે ગુનાની ગંભીરતા અને તેની સજા આરોપી પોતે કેવી રીતે નક્કી કરી શકે?

ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે ફરિયાદીને તેજપાલની માફીથી સંતોષ ન હતો. ‘તહલકા’નાં મેનેજિંગ તંત્રી શોમા ચૌધરીએ પણ ન્યાયનો અને મહિલા સાથીદારનો પક્ષ લેવાને બદલે તેજપાલના પક્ષે રહેવાનું પસંદ કર્યું હોય એવી છાપ પડે છે. તેમણે આવું ‘સંસ્થાના હિતમાં’ કર્યું હોવાનું આત્મવંચનાભર્યું આશ્વાસન એ પોતે કદાચ લઇ શકે, પણ તેમની વર્તણૂંકના ખુલાસા તરીકે એ દલીલ ટકે એમ નથી. કારણ કે મોડે મોડે ઊભા થયેલા દબાણ પછી તેમણે આંતરિક તપાસની જાહેરાત કરી છે. સરકાર તપાસસમિતિઓ રચે ને એ વલણની આકરી ટીકા કરનારાં પ્રસાર માઘ્યમો પોતાના પગ તળે રેલો આવે ત્યારે સમિતિબાજીમાં જ રાચે, એ દર્શાવે છે કે સ્થાપિત હિતના મુદ્દે પ્રસાર માઘ્યમો ભ્રષ્ટ રાજકારણીઓ કે રાજકીય પક્ષો કરતાં જરાય જુદાં નથી.  ભૂતકાળમાં બરખા દત્ત અને વીર સંઘવી સહિત પત્રકારત્વનાં મોટાં માથાં સામે લાગેલા આરોપ ભૂલાઇ ગયા હોઇ શકે, પણ તેનો સંતોષકારક ખુલાસો મળ્યો નથી. તેજપાલ પર થયેલા આરોપો બીજાં ક્ષેત્રોની જેમ પત્રકારત્વ માટે પણ નવા નથી, એ ઢંકાયેલું સત્ય આ કિસ્સાથી ઉજાગર અને ચર્ચાતું થાય તો એ આ દુઃખદ પ્રસંગની એક ઉપલબ્ધિ ગણાય.  

(શનિવાર, ૨૩-૧૧-૧૩)

No comments:

Post a Comment