Wednesday, September 11, 2013

કોન્સ્પીરસી થિયરીઃ વગર ઉત્તરાયણે તુક્કલ

સામાન્ય માણસને જે ધોળુંધબ્બ દેખાય, તેમાં ન્યૂટન જેવા મહાન વૈજ્ઞાનિકને સાત રંગોનો વર્ણપટ દેખાયો. રોજિંદી ઘટનાઓ મોટા ભાગના માણસોને, જેવી દેખાય છે તેવી જ -સીધીસપાટ -લાગતી હોય છે, પરંતુ વિશિષ્ટ શક્તિ ધરાવતા કેટલાક લોકો સીધીસાદી લાગતી વાતની પાછળના ગૂઢ આટાપાટા જોઇ શકે છે. આવી દૃષ્ટિ બદલ તેમને ઘણી વાર ટીકાનો ભોગ બનવું પડે છે. પણ એમ તો ગેલિલિયોથી ગાંધીજી ને મીરાથી મેરિલિન મનરો સુધીનાં લોકો પણ ટીકાથી બચી શક્યાં હતાં?

ઘટના અસામાન્ય હોય કે સામાન્ય, આવા લોકો પાસે એ ઘટનામાં ‘ખરેખર શું થયું હશે’ એની રોમાંચક અટકળો હોય છે. દરેક ઘટના વિશે તેમની પાસે સમાંતર અને સનસનીખેજ થિયરી તૈયાર હોય છે. અંગ્રેજીમાં એના માટેનો શબ્દપ્રયોગ છે : ‘કોન્સ્પીરસી થિયરી’ એટલે કે ‘દાલમેં કુછ કાલા હૈ’.

આ થિયરી (ઘણુંખરું) તર્કબદ્ધ હોય છે અને રસપ્રદ-રોમાંચક તો હોય છે જ. આટલા ગુણ ધરાવતી થિયરી સાચી ન હોય તો પણ શું ફરક પડે છે? આખરે સાચું શું ને ખોટું શું, એ ફિલસૂફીનો પ્રદેશ છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં એક કણ એક જ સમયે એકથી વધારે જગ્યાએ હોઇ શકે, તેમ ઘણાં વિધાન એક જ સમયે સાચાં અને ખોટાં ન હોઇ શકે? ટૂંકમાં, સગવડ પ્રમાણે ફિલસૂફી કે ક્વોન્ટમ મિકેનિક્સ ટાંકીને પુરવાર કરી શકાય કે કોન્સ્પીરસી થિયરીનું હોવું જરૂરી છે, સાચા હોવું બિલકુલ આવશ્યક નથી.

કોન્સ્પીરસી થિયરીની મઝા એ છે કે તેમાં વિષયોનો બાધ નડતો નથી. ‘મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી?’ એવી ઉઘાડેછોગ વાતથી માંડીને ‘સોનિયા ગાંધી વિદેશ કેમ ગયાં?’, ‘વણઝારાએ કોના કહેવાથી રાજીનામાપત્ર લખ્યો હશે?’, ‘ડુંગળીનો ભાવ કેમ વધે છે?’ એવા કોઇ પણ વિષય પર આધારભૂત લાગી શકે એવી કોન્સ્પીરસી થિયરી ઘડી શકાય છે. આ પ્રકારની થિયરીને પતંગને બદલે તુક્કલ સાથે સરખાવવા પાછળનો હેતુ એ કે તેમાં એક જ ચીજને ચગાવવાની હોતી નથી. એક પછી એક અનુમાનોની આખી લાઇન લાગી જાય છે. એ સાંભળનાર અને ક્યારેક તો ખુદ બનાવનાર પણ પોતાનાં અનુમાનોથી એટલા પ્રભાવિત થઇ જાય છે કે પોતાની જ કોન્સ્પીરસી થિયરીને એ સાચી ગણવા લાગે છે.

કેટલીક સંભવિત કોન્સ્પીરસી થિયરીમાં જતાં પહેલાં પ્રાથમિક ઉદાહરણ ગાંધીહત્યાનું લઇએ. કોન્સ્પીરસી થિઅરીવાળા જણનું ચાલે તો એ કહી શકે :

ગાંધીને ગોળી કોણે મારેલી? ખબર છે?..
શું કહ્યું? નથુરામ ગોડસેએ?

મને ખબર હતી કે તમે આ જ જવાબ આપશો. પણ એ માની લેવા જેવું નથી.  નથુરામ ગોડસે તો હાથમાં બંદૂક સાથે પકડાઇ ગયો. બાકી ગોળી એની બંદૂકમાંથી છૂટી જ ન હતી. દિલ્હી પોલીસમાં ઉર્દુમાં લખેલી એક એફઆઇઆરમાં પોલીસે નોંધેલું કે નથુરામની જપ્ત થયેલી રિવોલ્વરમાંથી છ ગોળી મળી આવી હતી. તો પછી ગાંધીજી પર છૂટેલી ત્રણ ગોળી ક્યાંથી આવી? ખૂન કોણે કર્યું હશે? અને કોણે કરાવ્યું હશે? તમને શું લાગે છે?

મને તો લાગે છે કે એમાં જવાહરલાલ નેહરુનો હાથ હોવો જોઇએ. કારણ કે ગાંધીજીએ તેમને વડાપ્રધાન તો બનાવ્યા, પણ પછી તેમને ગાંધીજીની સલાહો બહુ ગમતી ન હતી. એક વાર પોતે ગાંધીજી પર બહુ ઉશ્કેરાઇ ગયા હતા, એવું એક પત્રમાં ખુદ જવાહરલાલે લખ્યું છે. એના બરાબર ૧૮૪ દિવસ પછી ગાંધીજીનું ખૂન થયું.’

કોન્સ્પીરસી થિયરીની મઝા માણવી હોય તો તેને મસાલા હિંદી ફિલ્મ જોતા હોઇએ એવી રીતે સાંભળવાની. પેટાપ્રશ્નો પૂછવાના નહીં. જેમ કે, ‘પેલી ઉર્દુ એફ.આઇ.આર. તમે જોઇ છે? અથવા અત્યારે જોવા મળે?’ અને એવો સવાલ પૂછવાનું મન થાય તો વઘુ એક કોન્સ્પીરસી થિયરી સાંભળવાની તૈયારી રાખવાની. જેમ કે, ‘મારા એક મિત્રના સસરાના દૂરના બનેવીના એક મિત્ર દિલ્હી પોલીસમાં હતા. એમણે જ આ વાત કરી હતી. એ વખતે ઝેરોક્સ કઢાવવાની સુવિધા નહીં અને આટલો સંવેદનશીલ દસ્તાવેજ ઘેર શી રીતે લઇ જવો? તો પણ એક દિવસ એમણે હિંમત કરી, તો એ દસ્તાવેજ ત્યાં હતો જ નહીં. નેહરુએ પોલીસમાં કહીને એ દસ્તાવેજને ગુમ કરાવી દીધો હતો. વર્ષો પછી મારા એક મિત્રના દૂરના કાકાસસરા અમેરિકામાં રહેતા હતા ત્યારે એક મ્યુઝીયમમાં તેમણે દિલ્હી પોલીસ સ્ટેશનનો સિક્કો ધરાવતો અને ઉર્દુમાં લખાયેલો કાગળનો એક ટુકડો જોયો હતો. પણ એની વધારે તપાસ કરવાનું કહું એ પહેલાં એ મ્યુઝીયમમાં આગ લાગી’ વગેરે...

આ પ્રકારની થિયરીનો આનંદ માણવા માટે સંતોષી બનવું પડે અને જે નથી તેની પૂછપરછ કરવાને બદલે, જે છે તેનો આનંદ માણતાં શીખવું પડે. આ જ તરાહ પર કેટલીક સાવ નિર્દોષ બાબતોની કોન્સ્પીરસી થિયરી કેવી બને?

એક નમૂનો છ દેશમાં સૂર્યાસ્ત કેમ થાય છે?

આ સવાલનો જવાબ ભૂગોળ કે ખગોળમાંથી નહીં મળે. એ તો વિદેશી તાકાતોનું ભારતને નિર્બળ કરવાનું કાવતરું છે. બહુ વર્ષો પહેલાં મારા ભાઇબંધના મામા પાસે એક સંસ્કૃત ચોપડી હતી. એમાં લખ્યું હતું કે ભારતમાં પહેલાં ચોવીસે કલાક સૂર્ય રહેતો હતો. રાત પડતી જ નહીં, એટલે ગુનાખોરી પણ ઓછી હતી. લાઇટની જરૂર પડતી ન હતી. એટલે પેટ્રોલિયમ મંગાવવું પડતું ન હતું. આયાતી પેટ્રોલિયમનો ખર્ચ બચી જવાને કારણે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. પરદેશીઓ પહેલી વાર ભારત આવ્યા અને આ બઘું જોયું, તો એ આભા બની ગયા. પછી તેમણે ભારતના લોકોને સમજાવવાનું ચાલુ કર્યું કે દિવસમાં બાર જ કલાક હોવા જોઇએ. ચોવીસ કલાકનો દિવસ આસુરી ગણાય.

પહેલાં ભારતીયો માન્યા નહીં. એટલે વિદેશીઓએ કથાકારોને સાઘ્યા. એ લોકોએ પ્રચાર ચાલુ કર્યો અને પૌરાણિક કથાઓમાં રાતનાં વર્ણન નાખવાનું શરૂ કર્યું. પુરાણો કે જૂના ધર્મગ્રંથોમાં જે ‘ક્ષેપક’ કહેવાય છે તે શું છે? આ જ...રાતની વાતો ને રાતનાં વર્ણનો.  એ સાંભળીને લોકોના મનમાં ધીમે ધીમે એવો ખ્યાલ ઊભો થવા લાગ્યો કે બાર કલાકની રાત તો હોવી જ જોઇએ.

લોકોના મનમાં આ ઇચ્છા જાગ્યા પછી વિદેશી લોકોએ થોડા  જાદુગરોની મદદ લીધી અને તેમણે સાંજના શોમાં એક-એક ગામમાં સૂરજ ગુમ કરવાની ટ્રિક બતાવવાનું શરૂ કર્યું. સાવ નજીક આવેલા સ્ટેજ પરથી હાથી કે બસ ગુમ કરી શકતા જાદુગરો માટે આટલો દૂર આવેલો સૂરજ ગુમ કરી દેતાં કેટલી વાર? આ કાર્યક્રમ રોજિંદો થઇ ગયો. અંધારું નિયમત છવાતું થયું એટલે ઘણાના મનમાં રહેલી કાળી વૃત્તિઓ જાગી ઉઠી. લૂંટફાટ, હુમલા, ચોરી થવા લાગ્યાં. એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવાના બહાને પરદેશી લોકોએ સરકાર સ્થાપી. ભારતની સમૃદ્ધિ અને ઘી-દૂધની નદીઓ, બઘું તે પોતાના વતનના દેશ લઇ ગયા.  અત્યારે પણ બ્રિટન જેવા દેશમાં જ્યાં ચીઝ-બટરના પ્લાન્ટ છે, ત્યાં અસલમાં ભારતથી ઉપાડી લાવેલી ઘી-દૂધની નદીઓ હતી. ખાતરી ન થતી હોય તો કોઇ જાણકારને પૂછી જોજો..અને હા, સૂરજ ગુમ કરવાનો જાદુ હજુ ચાલે છે. પણ એ જાદુ એટલો અદ્‌ભૂત રીતે કરવામાં આવે છે કે એ જાદુ છે એવી આપણને ખબર જ ન પડે.’

આવી મોંમાથા વગરની થિયરી વાંચીને ગુસ્સો ચઢે તો સમજવું કે તમને ભારતના ભવ્ય અતીતમાં ભરોસો નથી અથવા તમે હજુ એટલા પુખ્ત થયા નથી કે આવી પેચીદી બાબતને સમજી શકો. 

2 comments: