Tuesday, July 16, 2013

એન્કાઉન્ટર : પરંપરા, મહિમાગાન અને પ્રશ્નો

ગુજરાતમાં સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી પ્રજાપતિ અને ઇશરતજહાં જેવા એન્કાઉન્ટર કેસ ભરપૂર રાજકીય ગરમાટા વચ્ચે ચાલી રહ્યા છે ત્યારે મુંબઇની સેશન્સ કોર્ટે ગયા સપ્તાહે એક કડક ચુકાદો આપ્યો. તેમાં કોર્ટે છોટા રાજનના સાગરિત મનાતા લખન ભૈયાના સાત વર્ષ જૂના એન્કાઉન્ટર કેસમાં ૧૩ પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૨૧ જણને ગુનેગાર ઠેરવ્યા છે. ૧૩માંથી ૩ પોલીસને ખૂનના ગુનામાં અને બાકીના ૧૦ને ખૂની એન્કાઉન્ટરમાં મદદરૂપ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ ચુકાદા સાથે જ ‘એન્કાઉન્ટરના ગુનામાં ગુજરાત પોલીસ સામે જ કેમ કામ ચલાવવામાં આવે છે?’ એવી એક લોકપ્રિય દલીલનો યોગાનુયોગ જવાબ મળ્યો છે. પરંતુ એન્કાઉન્ટર વિશે બીજી અનેક દલીલો થઇ રહી છે, સવાલ પૂછાઇ રહ્યા છે અને છૂપી અથવા પ્રગટ રીતે એન્કાઉન્ટર કરનારાને જાંબાઝ હીરો તરીકે
ચીતરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ગુજરાતમાં હજુ વિવાદાસ્પદ એન્કાઉન્ટર કેસની કાર્યવાહી ચાલુ છે. આગામી સમય લોકસભાની ચૂંટણીઓનો છે, એ જોતાં એન્કાઉન્ટર વિશે હજુ ઘણી ચર્ચા ચાલશે. આ મુદ્દે આમજનતાથી માંડીને રાજકીય સમીક્ષકો-વિશ્લેષકો ગુલાબી માન્યતાઓમાં રાચતા હોય એવી છાપ અત્યાર સુધીના વાતાવરણ પરથી પડી છે. કેવા હોય છે એન્કાઉન્ટર વિશે પૂછાતા રાબેતા મુજબના સવાલો? કેવી હોય છે એન્કાઉન્ટરની તરફેણ કરતી દલીલો? અને કોઇ રાજકીય પક્ષના ડાબલા પહેર્યા વિના, કેવળ નાગરિક તરીકે એ સવાલો-દલીલોના જવાબ કેવા મળે છે? થોડા નમૂના.

‘એન્કાઉન્ટર અનિવાર્ય અનિષ્ટ છે’

એન્કાઉન્ટરની તરફેણમાં સૌથી પહેલી અથવા સૌથી છેલ્લી, બન્ને પ્રકારની દલીલ તરીકે આ બચાવ કામ આપે છે. એ ખરું કે આ દલીલ એકઝાટકે નકારી શકાય એવી નથી. પરંતુ સહેજ ઘ્યાનથી વિચારતાં જણાશે કે તેમાં ઘાતક રીતે અતિસરળીકરણ થયેલું છે.

આ દલીલ પાછળનો મૂળભૂત તર્ક એવો છે કે દેશમાં ન્યાયતંત્રની ગતિ ગોકળગાયને શરમાવે એવી હોય, ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરીને રૂપિયા, તાકાત અને રાજકીય સંપર્કોના જોરે આઝાદ ધુમતા હોય, જાંબાઝ પોલીસ અફસરોની મહેનત કે પ્રામાણિકતા પર પાણી ફરી વળતું હોય અને સામાન્ય નાગરિકને કે દેશહિતને ગુનેગારો તરફથી થતો ખતરો વધતો જ જતો હોય ત્યારે પ્રામાણિક અને કાર્યક્ષમ પોલીસ અફસરો પાસે નકલી એન્કાઉન્ટર કરવા સિવાય બીજો વિકલ્પ બાકી રહેતો નથી.

‘એકસ્ટ્રાજ્યુડિશ્યલ કિલિંગ’ તરીકે પણ ઓળખાતાં આ પ્રકારનાં એન્કાઉન્ટરમાં ખતરનાક ગુનેગારને પકડ્યા પછી પોલીસ તેને કાયદાના અનેક છટકબારીઓથી ભરપૂર મહેલમાં લઇ જવાને બદલે અધરસ્તે જ ક્યાંક ઠંડા કલેજે ખતમ કરી નાખે છે. આ કૃત્ય બેશક ગેરકાયદે છે. માટે તેને સૈદ્ધાંતિક રીતે અનિષ્ટ ગણી શકાય, પરંતુ આગળ વર્ણવેલા સંજોગો અને એ ગુનેગાર દ્વારા સમાજને-દેશને રહેલો ખતરો નજર સામે રાખતાં એ ‘અનિષ્ટ’ અનિવાર્ય બની જાય છે.

આ દલીલ ઝીણવટથી તપાસતાં જણાય છે કે ‘અનિવાર્ય અનિષ્ટ’ એ તો કેવળ કહેવા ખાતરના શબ્દો છે. હકીકતમાં આ જાતનું એન્કાઉન્ટર વાજબી ઠરાવવા માટે જે જાતના સંજોગો ચીતરવામાં આવે છે એ જોતાં, એવાં એન્કાઉન્ટર ‘અનિવાર્ય અને ઇષ્ટ’ બની રહે છે. ન્યાયની મંથર ગતિ અને બિનકાર્યક્ષમ નેતાઓ- કાર્યક્ષમ ગુંડાઓની સાંઠગાંઠનો અનુભવ ધરાવતા લોકોના ગળે આ દલીલ સહેલાઇથી ઉતારી શકાય છે.

આ દલીલની સૌથી મોટી મર્યાદા એ છે કે દરેક નકલી એન્કાઉન્ટરમાં એકસરખા સંજોગો હોતા નથી. એટલે કે આ ‘અનિષ્ટ’ને ‘ઇષ્ટ’ બનાવતા જે સંજોગો ચીતરવામાં આવ્યા છે, તે દરેક એન્કાઉન્ટર વખતે હોતા નથી. છતાં પોલીસ અને એન્કાઉન્ટરના તરફદારો પોતે નક્કી કરેલા બચાવદલીલોના ગુચ્છને આગળ ધરતા રહે છે અને લોકોને એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે આ પ્રકારનાં એન્કાઉન્ટર ન થાય તો કાયદો-વ્યવસ્થા ભાંગી પડે અને દેશ ખાડે જાય.

‘બધા એન્કાઉન્ટર ફેક (નકલી) જ હોય?’

જરૂરી નથી. એન્કાઉન્ટરની મૂળભૂત સમજણ એવી હતી કે પોલીસ ગુનેગારની પાછળ પડી હોય અને ગુનેગાર છટકવા માટે પોલીસ પર હુમલો કરે ત્યારે બીજો વિકલ્પ ન રહેતાં પોલીસ ગુનેગાર પર વળતો હુમલો કરે અને તેમાં ગુનેગાર માર્યો જાય. પોલીસ દ્વારા દરેક એન્કાઉન્ટર વખતે આવી વાર્તા રજૂ કરવામાં આવે છે (જોકે એ બહુ મૌલિક હોતી નથી, એટલે તેની પોકળતા ઉઘાડી પડી જાય છે). પરંતુ સૈદ્ધાંતિક રીતે દરેક એન્કાઉન્ટર ‘ફેક’ હોવું જરૂરી નથી.

‘એન્કાઉન્ટર ‘ફેક’ હોય તો પણ વાંધો શો છે? તેમાં ગુંડા જ મરે છે ને’

એન્કાઉન્ટરની તરફેણની સૌથી લોકપ્રિય દલીલોમાંની એક એવી આ દલીલ કરનારા એવું માને છે કે તેમને એન્કાઉન્ટરની ચર્ચા સંદર્ભે આખરી સત્ય મળી ગયું છે. હવે તેમણે એન્કાઉન્ટરના વિરોધમાં કશું વિચારવાનું રહેતું નથી.

આ વાત માની લેવાની લાલચ કોઇને પણ થઇ શકે. છતાં, પ્રચારમારાથી દૂર રહીને શાંત ચિત્તે વિચારતાં સમજાશે કે સૌથી પહેલો મુદ્દો ગુનેગારના ગુનાની ગંભીરતાનો છે. ધારો કે એન્કાઉન્ટરમાં મરનારા બધા જ લોકો ગુનેગાર હોય, તો પણ એ બધા મોતની સજાને લાયક ગુના સાથે સંકળાયેલા હતા? કે પછી પોલીસતંત્ર-નેતાઓની બીજી કોઇ યોજનાઓ અંતર્ગત તેમને ઉડાડી મારવાની અને પછી તેમની હત્યા વાજબી ઠરાવવા માટે તેમના ગુનાની ગંભીરતા બઢાવીચઢાવીને રજૂ કરવાની જરૂર પડી?

બીજો મહત્ત્વનો મુદ્દો ‘લાઇસન્સ ટુ કીલ’નો છે. ‘પાવર કરપ્ટસ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્‌સ એબ્સોલ્યુટલી’- સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા બેફામ રીતે ભ્રષ્ટ કરે છે’- એવી કહેણી ફક્ત રાજનેતાઓને નહીં, એન્કાઉન્ટરબાજ પોલીસકર્મીઓને પણ લાગુ પડે છે. કારણ કે ‘લાઇસન્સ ટુ કીલ’- કોઇની હત્યા કરવાની સત્તા સૌથી ઊંચી છે. (ખરેખર અને બાકાયદા આવો કોઇ પરવાનો હોતો નથી) હાથમાં બંદૂક હોય ત્યારે માણસને  આખી દુનિયા તુચ્છ લાગી શકે છે અને કાયદો ગજવામાં ઘાલીને એ બંદૂક વાપરવાની સત્તા મળી જાય, ત્યારે એ સત્તાનો ઉપયોગ કેવળ ગુનેગારોનાં નકલી એન્કાઉન્ટર કરવા પૂરતો મર્યાદિત રહેશે, એવું શી રીતે માની લેવાય?

રાજકીય પક્ષો રાષ્ટ્રવાદ કે ત્રાસવાદનો મુકાબલો કે આંતરિક સુરક્ષાના નામે ગમે તેટલી ગોળીઓ ગળાવે, પણ નાગરિકોએ આ પ્રકારના બનાવોને સાવચેતીથી જોવાની જરૂર છે. કારણ કે એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા અફસરોમાંથી ઘણા સામે અપ્રમાણસરની સંપત્તિ માટે આંગળી ચીંધાઇ છે. બીજા કેટલાક રાજકીય નેતાઓના લાભાર્થી કે કૃપાપાત્ર બન્યા છે અને આર્થિકની સાથોસાથ કારકિર્દીલક્ષી લાભ પણ મેળવ્યા છે.

બંદૂકબાજીની સત્તા અને તેને લોકનજરમાં આદરમાન મળવાના કારણે એવી સત્તા ધરાવનારામાંથી કેટલા ફાટીને ઘુમાડે ગયા વિના રહી શકશે? કેટલા તેનો ઉપયોગ અંગત લાભ, હિત કે રાજકારણીઓના સ્વાર્થ ખાતર કરશે? અને કેટલા માત્ર ને માત્ર કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી, નાગરિકોના હિતાર્થે તેને વાપરશે?  જવાબ સૌએ બીજાની આંખે જોયા વિના, જાતે વિચારવા જેવો છે.

એન્કાઉન્ટર ભૂતકાળમાં અને દરેક સરકારોમાં થયાં છે.

સૌથી પહેલી સ્પષ્ટતા એ કે આ એન્કાઉન્ટર મુદ્દાની કોંગ્રેસ-ભાજપના આધારે કરાતી ચર્ચાવિચારણા નથી. બીજી વાતઃ પહેલાં એન્કાઉન્ટર થયાં હોય અને (પંજાબ-કાશ્મીર જેવાં રાજ્યોમાં) ધારો કે એ ‘અસરકારક’ નીવડ્યાં હોય, તો પણ એનાથી અત્યારે થતાં એન્કાઉન્ટર આપોઆપ વાજબી શી રીતે ઠરી જાય છે? કારણ કે નકલી એન્કાઉન્ટરમાં અનેક પેટાપ્રકાર હોય છે.

આ દલીલ કરનારાનો મુખ્ય મુદ્દો એ હોય છે કે ‘ગુજરાતમાં મુખ્ય મંત્રી મોદીના રાજમાં થયેલાં એન્કાઉન્ટરની રાજકીય કિન્નાખોરીથી તપાસ કરવામાં આવે છે. બાકી, એન્કાઉન્ટરો તો બધે થાય છે અને અમુક પરિસ્થિતિમાં એન્કાઉન્ટર કર્યા વિના છૂટકો પણ નથી હોતો. સૂકાનું પ્રમાણ બહુ વધી ગયું હોય અને એને બાળવા બેસીએ ત્યારે સૂકા ભેગું થોડું લીલું બળે પણ ખરું. રાષ્ટ્રના હિતમાં તેની બહુ પિંજણ કરવા ન બેસાય.’

નવાઇની વાત એ છે કે રાષ્ટ્રિય કક્ષાના કેટલાક પ્રતિષ્ઠિત પત્રકારો પણ આ પ્રકારની વિચારધારાના પ્રેમમાં પડી ગયેલા જણાય છે. ભાજપના રાજમાં થયેલાં એન્કાઉન્ટરને કોંગ્રેસરાજમાં થયેલાં એન્કાઉન્ટરની સામે ત્રાજવે તોળીને સરભર કરવાનો વ્યાયામ રાજકીય પક્ષોના ફાયદામાં છે (કારણ કે તેમનાં પાપ સામસામાં ધોવાઇ જાય છે), પણ નાગરિકો માટે તે બન્ને બાજુથી નુકસાનનો સોદો છે.

ફક્ત ગુજરાતનાં એન્કાઉન્ટર માટે કકળાટ કેમ?

આ સવાલ ઘણા ગુજરાતપ્રેમીઓને થાય છે. લેખના આરંભે જણાવેલા ચુકાદા જેવા પ્રસંગો પછી, કમ સે કમ હવે, આ સવાલ ન થવો જોઇએ. છતાં,  પ્રચારબહાદુરો ઘણી વાર આ સવાલ ફંગોળ્યા કરવાના. તેનો પ્રાથમિક જવાબ એ છે કે અત્યારે ચર્ચાઇ રહેલાં અને તપાસની એરણે ચડેલાં એન્કાઉન્ટરમાં જેમની હત્યા કરવામાં આવી, તે ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું એ વખતે જાહેર કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત બીજાં રાજ્યોમાં થયેલાં એન્કાઉન્ટરમાં કોઇ ગુનેગાર એ રાજ્યના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યો ન હતો. એ રીતે, ખુદ ગુજરાત સરકારે-પોલીસે ગુજરાતનાં એન્કાઉન્ટરને બીજાં રાજ્યોથી અલગ કરીને, તેમને પહેલેથી રાજકીય રંગ આપ્યો છે. (એન્કાઉન્ટરબાજ પોલીસો જેલભેગા થયા પછી કોઇ ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યાના ઇરાદે આવ્યું નથી, એ પણ હકીકત છે)

પોતાની હત્યાના કાવતરાની જાહેરાતને કારણે ‘આતંકવાદીઓનો ભોગ બનવામાંથી ઉગરી ગયેલા’ મુખ્ય મંત્રીને રાજકીય ફાયદો થાય, એનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે. પરંતુ રાજકીય ફાયદો થઇ ગયા પછી એવું જાણવા મળે કે માર્યા ગયેલા લોકો મુખ્ય મંત્રીની હત્યા માટે આવ્યા ન હતા, તો?

‘એમાં શું ખાટુંમોળું થઇ ગયું? ગુંડા જ મર્યા છે ને’ એ દલીલનો જવાબ આગળ આવી ગયો છે. 

5 comments:

  1. ઉર્વિશ ભાઈ, આપે ખુબ યોગ્ય રીતે પ્રશ્ન રજુ કર્યો છે. પરંતુ અહીં ઉકેલની કોઈ વાત જ ન થઈ.

    જો આપ એન્કાઉન્ટર જ બંધ કરીને કોર્ટમાં કેસ ચાલવવાની તરફેણ કરતા હો તો મારુ એવું માનવું છે કે તેના માટે જાસુસી તંત્રની તરજ પર કામ કરીને યુ.એસ. ના પેટ્રિયટ એક્ટ જેવા કાયદા લાગુ પાડીને કામ કરવું પડશે.

    આપણા દેશનો ઈંડિયન પુલિસ એક્ટ પણ આવો જ છે.જેનો સદુપયોગ અને દુરુપયોગ બંને થયા છે. માટે તેને નકારવાને બદલે સુધારવાની જરુર હોય તેવું લાગે છે.

    આના માટે સૌથી મોટી જરુર ફાસ્ટ ટ્રેક સિક્રેટ કોર્ટ બનાવવાની છે.જેના આદેશ મુજબ પ્રો-એક્ટીવલી ડિટેકટીવ કામ કરી શકે. બાકી આજની જ્યુડિશયરી પર બહુ ઓછા લોકો ભરોસો કરી શકે તેમ છે.

    ReplyDelete
  2. આતંકવાદ એક એવા ગુનાનો પ્રકાર છે, જેને સામાન્ય ગુનાથી જુદો પાડવો પડે તેમ જ છે....ચોરી, લૂટ, ધાડ, ખૂન, મારામારી બળાત્કાર,...વિગેરે, ઈનડીયન પીનલ કોડમા જેનો સમાવેશ થયો છે, એવા ગુનાઓ માટે કોર્ટની બહાર, ખાનગી ઢબે સજા કરવી, એમાં ન્યાય નથી. આવા કેસમા પોલિસોના એનકાઉંટરની કડકથી અતિ કડક ઢંગથી તપાસ અને સજા થવી જ જોઈએ...
    પણ આતંકવાદ એ રાજકીય ગુનો છે, ખાનગી વ્યક્તિઓ દ્વારા તેમના જેવા ગુનાઓ થવા સંભવ જ નથી..અને તેથી જ આતંકવાદ નામના ગુનામાં વધારેમા વધારે હોબાળો રાજકિય પક્ષો જ મચાવતા હોય છે....આજે નહી તો કાલે—આ આતંકવાદને નાથવા માટે ખાસ બ્લેક કમાંડો જેવા આર્મ ફોર્સ રચવા પડવાના છે, કારણકે આ તત્વોને જેર કરીને નાગરિક અદાલતમાં સજા કરાવવાનો જો ન્યાયી આગ્રહ રાખવામાં આવશે તો, તેઓ લાખોની સંખ્યામાં મોટી જાનહાનિ કરવા સક્ષમ છે. ન્યાયના સુત્રો બદલવા પડવાના છે, જેમકે થોડક નિર્દોષ જો મરતા હોય તો ભલે, પણ એક પણ આતંકવાદી ગુનેગાર મુકત ફરવો જોઈએ નહી,,,,,,કેમ ? અરે ! એક આતંકવાદી ગુનેગાર એકાદ લાખ નાગરિકોનો સફાયો કરી શકે છે, અને તે પોતાની યોજનામાં આગળ વધે તે પહેલા જ તેને શૂટ કરવામાં શાણપણ રહેલું હોય છે.....જો ઓસામા બિન લાદેનને માટે નાગરિક અદાલતના ન્યાયનો જ આગ્રહ રખાયો હોતે તો શુ થાત ? જરા કલ્પ્ના કરી જુઓ !
    આતંકવાદી ગુનેગારો માટે તો શૂટ એટ સાઈટ જ કામ લાગી શકે છે, અને આખરે આપણે ન્યાય કોનો કરવાનો છે ? નાગરિકોનો ન્યાય કે નાગરિકોને મોતના દરવાજ દેખાડતા ગુનેગારોનો ન્યાય ? ખાનગી ગુનાઓમાં અંગત વૈરભાવ પણ કામ કરતા હોય છે, અને ઘણા બધા માનવિય મુદ્દાઓ સંકળાયેલા હોય છે, જ્યારે આતંકવાદી ગુનાઓમાં સામુદાયિક પૂર્વગ્રહ કામ કરતા હોય છે....જેમકે મુસલમાનોનો હિંદુઓ પ્રત્યેનો વૈરભાવ....આર્યોનો અનાર્યો પ્રત્યેનો વૈરભાવ હિટલર !!!!

    ReplyDelete
    Replies
    1. આનો અર્થ એ થયો કે પોલીસ કોઈને પણ મારી નાખે આને એમ કહી દે કે એ આતંકવાદી હતો, તો આપણે સચું માની લેવું. આવી છૂટ મલશે તો ટ્રાફિક લાઇટનું ઉલ્લંઘન કરનારને પણ પોલીસ ગોળીએ દઈ દેશે અને પછી એને આતંકવાદી ઠરાવી દેશે. આપણે આવા દિવસો માટે તૈયાર છીએ? કોઈને પણ અગાઉથી આતંકવાદી માની શકાય એવું જબ્બર જાઅસૂસી તંત્ર પણ આપણે ત્યાં નથી.

      પોલીસ તો ઠીક, આર્મીના જવાનને પણ યુદ્ધની સ્થિતિમાં જ, અને માત્ર સરહદ પર શસ્ત્રનો ઉપયોગ કરવાની છૂટ છે, તે સિવાય નહીં. પોલીસ માત્ર સ્વબચાવમાં જ શસ્ત્રનો ઉપયોગ કરી શકે.

      Delete
  3. ઉર્વીશ ભાઈ, એન્કાઉન્ટરની મૂળભૂત સમજણ એવી હતી કે પોલીસ ગુનેગારની પાછળ પડી હોય અને ગુનેગાર છટકવા માટે પોલીસ પર હુમલો કરે ત્યારે બીજો વિકલ્પ ન રહેતાં પોલીસ ગુનેગાર પર વળતો હુમલો કરે અને તેમાં ગુનેગાર માર્યો જાય [જરાક વધારો..... અથવા પહેલાં પોલીસ ગુનેગારને પકડે અને પછી પોલીસ ગુનેગારને ભાગવાનું કહે ત્યારે પાછળથી ગોળી મારે.]

    ReplyDelete
  4. ઊર્વીશભાઈ;
    તર્કતો બેધારી તલવાર છે અને કોઈપણ મુદ્દે એક યા બીજા પક્ષની તરફેણ કે વિરોધમં તે કરી શકાય છે. પણ તર્કની રાજનિતી એ આ દેશની સમસ્યાનુ સમાધાન નથી, એનકાઊન્ટર તો શરીર ઉપર દેખાતા ગુમડા જેવું છે. રોગ ક્યાંક ભિતરમાં છે અને ઈલાજ બહારથી શોધવામાં આવી રહ્યા છે અને વળી તેની ઊપર વાદવિવાદોની ઝડી વરસાવી એવું ગુંચવી દેવામાં આવે છે કે મૂળભુત સમસ્યાપર કોઈનુ ધ્યાન જ ન જાય. આને કહેવાય ખંધુ રાજકારણ.
    આ દેશની મૂળભુત સમસ્યા છે. દેશનુ બંધારણ, ન્યાયિક પ્રણાલી અને ચુંટણી પ્રથા, પણ આ સમસ્યા પર કોઈપણ રાજકારણી બોલવા તૈયાર નથી. તેમના માટે મુર્ખ પ્રજા પર રાજ કરવા આ જ તો પ્રોટેક્ષન છે. અને હું જ્યારે કહું છું 'રાજકારણી' તો તેમાં ફક્ત રાજકિય નેતાઓ જ નથી. પણ તમામ સત્તાધીશો આવી જાય છે. મિડિયા પણ. એમ ન સમજતા કે મિડિયા પાસે શું સત્તા છે? કદાચ મિડિયા પાસે જે સત્તા છે તે ભલે નરી આંખે ન જોઈ શકાતી હોય પણ આજે મિડિયા જેટલું શક્તિમાન કોઈ નથી અને કોઈને રસ નથી કે આ મૂળભુત સમસ્યા પર સહેજ ઈશારો પણ કરે. ફાલતુ ઊભી કરેલી સમસ્યાઓનો જ ઊલ્લેખ કર્યે રાખવો અને તેમાં જ સલામતી છે પોતાની સત્તા જાળવવાની. એ તમામ સત્તાધીશોને ખબર છે.આ બધો ખેલ સત્તાની સાઠમારીનો છે.
    શરદ.

    ReplyDelete