Wednesday, June 27, 2012

ચલણી નોટો પર ચિત્ર અંગે ગાંધીજીનો ઇન્ટરવ્યુ


ભારતમાં શબ્દાર્થમાં અને ઘ્વન્યાર્થમાં સિક્કા અનેક નેતાઓના પડ્યા છે, પણ જેમનું ચિત્ર ચલણી નોટ પર આવ્યું હોય એવા એક માત્ર નેતા છેઃ ગાંધીજી. ગાંધીજીના સિદ્ધાંતોની ગડી કરીને ગજવે ઘાલીને ફરવાની ભારતીયોને પૂરતી પ્રેક્ટિસ હતી. ગાંધીજીના ચિત્રવાળી ચલણી નોટો એ જ પ્રક્રિયાના ભૌતિક સ્વરૂપ જેવી હોવાથી, લોકોને તેમાં કશું અજુગતું ન લાગ્યું. ઘણા લોકોએ તેને રાષ્ટ્રપિતાના બહુમાન તરીકે જોયું. એમાં લોકોનો પણ શો વાંક? રાષ્ટ્રપિતાના બહુમાન માટે કરાતી મોટા ભાગની પ્રવૃત્તિઓ- પૂતળાં, હારતોરા, ઉજવણાં, ઉત્સવો- એક યા બીજી રીતે તેમના સિદ્ધાંતોનું અપમાન કરનારી હોય તો આ એક વધારે.

ગાંધીજીના ચિત્રને કારણે ‘ગાંધીછાપ’ તરીકે ઓળખાતી નોટો ભ્રષ્ટાચારીઓમાં ભારે લોકપ્રિય બની. વ્યવહારમાં ગીતાના સોગંદ કરતાં ગાંધીછાપ નોટોના સોગંદ વધારે વિશ્વસનીય ગણાવા લાગ્યા. હવે, સરકાર ચલણી નોટો પર બીજા નેતાઓનાં પણ ચિત્ર મૂકવાનું વિચારી રહી છે. એ સમાચાર જાણીને અને અત્યાર સુધી ચલણી નોટ પર મુકાયેલું પોતાનું ચિત્ર જોઇને ગાંધીજી શું વિચારતા હશે?

તુક્કા લડાવવાને બદલે ખુદ બાપુને જ પૂછવું જોઇએ, એમ વિચારીને એમને ફોન જોડ્યો. (તેમનો મોબાઇલ નંબર માગીને શરમમાં  ન નાખવા વિનંતી.)

પ્રઃ હલો, બાપુ?

ગાંધીજીઃ ના, ભાઇ. રોંગ નંબર.

પ્રઃ તો તમે કોણ બોલો છો?

ગાંધીજીઃ  હું મો.ક. ગાંધી છું.

પ્રઃ મૉક ગાંધી? બનાવટી ગાંધી? એ તો અહીં ગાંધીનગરમાં ને ગુજરાતમાં ને ભારતમાં હોય. મેં તો ઉપરનો નંબર લગાડ્યો છે.

ગાંધીજીઃ ‘મૉક’ નહીં, મો.ક.- મોહનદાસ કરમચંદ.

પ્રઃ અરે, તમે ગાંધીબાપુ બોલો છો, તો પછી રોંગ નંબર કેમ કહો છો? વાત ન કરવી હોય તો સીધી રીતે ના પાડી દેવી જોઇએ. ‘સત્યના પ્રયોગો’ના લેખક થઇને આવી નાની નાની બાબતોમાં જૂઠું બોલો છો? તમને દૂર રહીને પણ ચિંતાજનક ચિંતકોનો ચેપ લાગવા માંડ્યો?

ગાંધીજીઃ ભાઇ, ગુજરાતમાં લોકોને આજકાલ ‘બાપુ’ કહેતાં મોરારીબાપુનું કામ વધારે પડે છે. હું પર્વો-બર્વો યોજતો નથી ને લોકોને પરદેશ ફરવા લઇ જતો નથી. મારું કામ લોકોને અળખામણી લાગે એવી, પણ સાચી વાતો કહેવાનું છે. હું મોરારીબાપુ નહીં, પણ ગાંધીબાપુ છું - એ જાણ્યા પછી ઘણા લોકો ‘સોરી, રોંગ નંબર’ કહીને ફોન મૂકી દે છે. એટલે હું સમજ્યો કે તમારું પણ એવું જ હશે.

પ્રઃ ના, મારે તો અસલી બાપુનું કામ છે.

ગાંધીજીઃ જાણીને રાજી થયો. પણ હિંદનો કોઇ માણસ આવું કહે ત્યારે મને ધ્રાસ્કો પડે છે. સરદારે એક વાર મને સમજાવ્યું હતું કે ‘અત્યારના ભારતમાં અસલી ગાંધી એટલે પાંચસો રૂપિયાની નોટ.’ મને થયું કે સરદાર એમની પ્રકૃતિ પ્રમાણે ટીખળ કરતા હશે. પછી એમના કહેવાથી મહાદેવે મને છાપાનું એક કતરણ વંચાવ્યું. એમાં પાંચસો રૂપિયાની નોટ માટે ‘ગાંધીછાપ’ શબ્દ વાપર્યો હતો. હું ધારું છું કે તારે ગાંધીછાપનું નહીં, પણ ગાંધીનું જ કામ હશે.

સરદારઃ (બીજા રિસીવર પરથી) ગાંધીછાપનું કામ હોય તો એક મિનીટ ચાલુ રાખ. હું મહાદેવને કહી દઉં છું. એ તને ઇંદુનો (ઇંદિરા ગાંધીનો) ફોન નંબર આપી દેશે.

પ્રઃ અરે, સરદાર. તમે ક્યાંથી લાઇન પર? કે પછી તમે બાપુના ફોન પર જાપ્તો રાખો છો?

સરદારઃ ના રે, મારે ક્યાં વડાપ્રધાન બનવું છે તે એવા બધા ધંધા કરવા પડે? આ તો કેટલાક ડોબાઓએ બાપુ સાથે ફોન પર વાત કર્યા પછી, એમના નામે ગમે તેવું છાપી માર્યું હતું. ત્યારથી મેં ને મહાદેવે નક્કી કર્યું કે બાપુ ફોન પર ઇન્ટરવ્યુ આપવાના હોય ત્યારે બીજા રિસીવર પર મારે વાત સાંભળવી. પાછળથી કોઇ માથાકૂટ ન જોઇએ.

પ્રઃ ઓકે. બાપુ, મેં તમને જેના માટે ફોન કર્યો હતો એ મુદ્દો તમે સામેથી જ છેડી દીધો છે. મારે તમને એ જ પૂછવું હતું કે સો-પાંચસો રૂપિયાની ચલણી નોટો પર તમારું ચિત્ર જોઇને તમને કેવું લાગે છે?

ગાંધીજીઃ મારા જેવા બુઢ્ઢાને બદલે દેશના દરિદ્રનારાયણનું કોઇ પ્રતીક મૂક્યું હોત તો મને વધારે ગમત.

પ્રઃ હં, પણ એમાં મારા સવાલનો જવાબ મળતો નથી. અત્યારે તમારું ચિત્ર છે એનાથી તમને કેવું લાગે છે?

ગાંધીજીઃ મને થાય છે કે હું પાછો પૃથ્વી પર-ભારતમાં આવું અને આફ્રિકામાં જેમ પરવાનાની હોળી કરી હતી, એમ મારા ચિત્રવાળી નોટોની પ્રતિકૃતિ તૈયાર કરાવીને તેની હોળી કરું...

પ્રઃ એટલે તમે નકલી નોટો છાપશો? ખબર નથી, નકલી નોટો છાપવી એ ગુનો છે?

સરદાર (વચ્ચે પડીને) : એ ભાઇ, ફક્ત નકલી નોટો જ નહીં, નકલી ક્વોટો (અવતરણો) છાપવાની પણ મનાઇ છે. ખબર છે કે નહીં?  આ હું, ભારતનો પહેલા માહિતી-પ્રસારણ મંત્રી તને કહી રહ્યો છું.

પ્રઃ ઓહો, સરદાર, તમે લાઇન પર છો, નહીં? હું તો ભૂલી જ ગયો. સારું થયું તમે આવ્યા. તમને ખબર છે, ચલણી નોટો પર તમારું ચિત્ર મૂકવાની ઝુંબેશ ચાલે છે?

સરદારઃ અરે વાહ, દેશમાં હજુ ઝુંબેશો ચાલે છે? સરસ. કેટલા મર્યા, કેટલા ઘવાયા ને કેટલા જેલમાં ગયા?

પ્રઃ (ગૂંચવાઇને) એટલે? સમજ્યો નહીં.

સરદારઃ તે કહ્યું ને કે નોટો પર મારું ચિત્ર મૂકાવવાની ઝુંબેશ ચાલે છે. તો એ ઝુંબેશ કરતાં કેટલા લોકોએ રસ્તા પર અહિંસક દેખાવો કર્યા? સવિનય કાનૂનભંગ કર્યો? અને ધરપકડ વહોરી? કેટલાંનાં માથાં પોલીસના મારથી રંગાયાં?

પ્રઃ સરદારસાહેબ, તમને જાણીને બહુ આનંદ થશે કે બાપુની અહિંસાને પ્રજાએ બરાબર આત્મસાત્‌ કરી છે. હવે ઘણી ઝુંબેશો અને ઘણાં આંદોલન ઓનલાઇન થાય છે. હિંસાનું નામોનિશાન નહીં. શરીરબળનું કોઇ પ્રદર્શન નહીં. બસ, એક આંગળીથી માઉસ ક્લિક કરીને સત્યાગ્રહી બની શકાય છે. અંગુઠાથી મોબાઇલનાં બટન દબાવીને, મિસ્ડ કોલ કરીને રાષ્ટ્રવ્યાપી ચળવળમાં ભાગ લઇ શકાય છે. બાપુ સૂતરના તાંતણે આઝાદીની વાત કરતા હતા ને. આ તો એનાથી પણ બે ડગલાં આગળ છે. ભવિષ્યમાં સત્યાગ્રહીનાં પેન્શન લેવાનાં થાય ત્યારે પણ કોઇ ગોટાળા નહીં. બસ, જોઇ લેવાનું કે કેટલા લોકોએ લિન્ક ક્લિક કરી હતી ને કેટલાએ મિસ્ડકોલ કર્યા હતા.

ગાંધીજીઃ આવી ચળવળોમાં ભાગ લેવા માટે કેટલું બલિદાન આપવાની તૈયારી રાખવી પડે?

સરદારઃ કેટલું નહીં, શાનું...આ ચળવળોમાં ભાગ લેવા માટે સામાન્ય બુદ્ધિનું બલિદાન આપવાની પૂરેપૂરી તૈયારી રાખવી પડે, બાપુ. નવા જમાનામાં સત્યાગ્રહી થવું સહેલું નથી.

પ્રઃ સરદારસાહેબ, મને એમ કે તમે રાજી થશો- તમારું ચિત્ર મૂકવાની વાતથી અને તમને થયેલો અન્યાય થોડો હળવો થશે.

સરદારઃ અલ્યા, અમે નોટો પર ચિત્રો મૂકાવવા માટે બાપુ સાથે જોડાયા હતા? મારા ચિત્ર માટે કોણ ઝુંબેશ ચલાવે છે? કોને પૂછીને ચલાવે છે? અને શાનો અન્યાય?

પ્રઃ (અવાજમાં ખચકાટ સાથે) એ તો...ગાંધીજીએ તમને વડાપ્રધાન બનાવ્યા નહીં.

સરદારઃ (ખડખડાટ હસતાં) તે એનું આટલા વર્ષે શું છે? અને તને ખબર ન હોય તો કહી દઉં. મારા ખભે બાપુ પર બંદૂક ફોડનારાને તો હું પેલા ગોડસે કરતાં પણ ગયેલા ગણું છું...એમને એટલી પણ ખબર પડતી નથી કે સેનાપતિને નીચો પાડીને સિપાઇને મોટો ન બનાવાય...બોલ, બીજું કંઇ પૂછવાનું છે બાપુને?

પ્રઃ ચલણી નોટો પર મૂકવાના ચિત્ર વિશે તો થોડો પ્રકાશ પાડો.

સરદારઃ નોટો પર ચિત્ર છાપવું જ હોય તો હસતા બાપુનું નહીં, પણ ઉપવાસ પર બેઠેલા ગમગીન બાપુનું ચિત્ર છાપજો. જેથી લોકોને ખબર પડે કે પ્રામાણિકતાને બદલે કેવળ પૈસાની બોલબાલાથી બાપુ કેટલા દુઃખી છે અને એ ભારતમાં હોત તો તેમણે કૌભાંડો સામે અચૂક ઉપવાસ કર્યા હોત.

પ્રઃ અન્ના હજારેની જેમ?

સરદારઃ ના, બાપુને પ્રસિદ્ધિ પચાવતાં આવડે છે. એટલે ખોટી સરખામણીઓ કરીને તમે લોકો એમને વધારે બદનામ ન કરશો. બસ, હવે સવાલજવાબ બહુ થઇ ગયા. બાપુનો પ્રાર્થનાનો સમય થઇ ગયો છે.

(ફોન કપાઇ જાય છે અને તેના કર્કશ અવાજને બદલે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સંભળાતું હોય એવો ભાસ થાય છે.)

Tuesday, June 26, 2012

રૂપિયાનું અવમૂલ્યનઃ ચિંતા કે રાહત?


ગયા સપ્તાહે ભારતના ચલણ તરીકે રૂપિયાએ નવો વિક્રમ સ્થાપિત કર્યો. શુક્રવારના રોજ તેનું મૂલ્ય થયું ઃ ૧ અમેરિકન ડોલર બરાબર ૫૭.૩૩ રૂપિયા. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આટલું નીચું અગાઉ કદી ઉતર્યું ન હતું.
 હકીકત એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી ‘રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ’ - એ મથાળું વારંવાર વાંચવા મળે છે. મહિનાઓથી ચાલતું રૂપિયાનું ‘દક્ષિણાયન’- તેની અધોગતિ અવિરતપણે ચાલુ છે- અને સંભવ છે કે આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૫૭.૩૩થી પણ આગળ વધી ચૂક્યું હોય. કેટલાક લોકો રમૂજમાં કહે છે તેમ, રૂપિયો હવે ‘સિનિયર સિટિઝન’ બનવાની તૈયારીમાં છે. એટલે કે ૧ ડોલર બરાબર ૬૦ રૂપિયાનો વિનિમય દર હવે હાથવેંતમાં છે.

 આંતરરાષ્ટ્રિય બજારમાં રૂપિયાના ભાવ ગગડતા જાય, એટલે પ્રાથમિક પ્રતિક્રિયા અરેરાટી, ચિંતા અને ટીકાની આવે. ‘એક ડોલર બરાબર રૂ.૪૦-૪૫ની સપાટીએથી ડૂબકી લગાવીને રૂપિયો છેક સિનિયર સિટિઝન બનવાની નજીક પહોંચી ગયો. કેટલું ખરાબ કહેવાય? ભારતનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે.’ એ પ્રકારના ઉદ્‌ગાર ઘણી વાર સાંભળવા મળે છે.

‘ડોલરની સામે રૂપિયો મજબૂત રહેવો જોઇએ. એમાં ભારતની મજબૂતી દેખાય અને તેનો વટ પડે’ એવું પણ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ન ધરાવતા ઘણા લોકો માનવા પ્રેરાય છે. પરંતુ ઘરનું અર્થતંત્ર અને દેશનું અર્થતંત્ર જુદી બાબતો છે. મૂળભૂત સિદ્ધાંતો સરખા હોવા છતાં, દેશના  વિશાળ અર્થતંત્ર પર સીધી અને આડકતરી રીતે અસર કરતાં પરિબળોની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમાં એક ને એક બે જેવા સીધા હિસાબ બેસાડી શકાતા નથી.

મજબૂતીના માપદંડ

રૂપિયાના અવમૂલ્યનની જ વાત કરીએ તો, ઘણા નિષ્ણાતો માને છે કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે તે અર્થતંત્ર માટે (અમુક મર્યાદા સુધીમાં) સારું ગણાય. ગયા મહિને લગભગ આ જ તારીખોમાં એક ડોલરનો ભાવ હતોઃ ૫૬.૪૦ રૂપિયા. એ વખતે કેટલાક અભ્યાસીઓ અને આર્થિક અખબારોના લેખકોએ  અવમૂલ્યનને આવકારદાયક ગણાવ્યું.

ફક્ત એક જ વર્ષ પહેલાં, એક ડોલર બરાબર ૪૫ રૂપિયાની આસપાસનો ભાવ ચાલતો હતો. એ વધીને (એટલે કે, ડોલરની સરખામણીમાં ઘટીને) રૂ.૫૫ની આસપાસ ભલે પહોંચ્યો. તેમાં ખાસ ચિંતા કરવાપણું નથી- એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું. તેના માટે અપાયેલું એક કારણઃ વિશ્વનાં કેટલાંક ચલણોની સરખામણીમાં રૂપિયો અપ્રમાણસરનો ‘મજબૂત’ હતો. એટલે કે તેની મજબૂતી અવાસ્તવિક અને ફુગાવાથી પ્રેરિત હતી.

ડોલરની સામે રૂપિયો મજબૂત હોય તો દેશની આયાત-નિકાસ પર અને દેશના ચાલુ ખાતાના- કરન્ટ એકાઉન્ટના- સરવૈયા પર તેની કેવી અસર થાય? સમજૂતી ખાતર ધારો કે ૧૦૦૦ ડોલરનો માલ આયાત કરવાનો છે. ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ માલ ૪૫ હજાર રૂપિયામાં પડે અને ૫૫ હોય તો એ માલ રૂ.૫૫ હજારમાં પડે. આમ, રૂપિયો મજબૂત હોય તો આયાત કરવાનું ફાયદેમંદ નીવડે.

એ જ સમીકરણ નિકાસમાં લગાડીએ તો? આંતરરાષ્ટ્રિય બજારમાં ૧ હજાર ડોલરનો માલ વેચતાં, એક ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫ હોય તો નિકાસ કરનારને રૂ.૪૫ હજાર મળે અને રૂપિયાનો દર ૫૫ હોય તો એ જ માલ પેટે નિકાસ કરનારને પ૫ હજાર રૂપિયા મળે.

પરિણામે થાય એવું કે ડોલર સામે રૂપિયો મજબૂત હોય ત્યારે  આયાતને પ્રોત્સાહન મળે અને નિકાસમાં એટલો કસ ન રહે. એમાં થતો ફાયદો ઘટે. આમ, રૂપિયો મજબૂત હોય ત્યારે એકંદરે ખરીદી વધે અને વેચાણ ઘટે. જાવક વધે અને આવક ઘટે. એટલે વેપારક્ષેત્રે સરવૈયામાં ખાધ ઊભી થાય, જે દેશના અર્થતંત્ર પર અવળી અસર કરે.

ખાધ પર અને આયાત-નિકાસ (આવક-જાવક)ની આર્થિક અસમતુલા પર કાબૂ મેળવવા માટે દેશો ચલણનું અવમૂલ્યન કરવાનો - કે એ થવા દેવાનો- રસ્તો અપનાવે છે. ભારતની વાત કરીએ તો ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫માંથી ૫૫ થાય એટલે માલની આયાત મોંઘી પડવા લાગે અને નિકાસમાં મળતર વધી જાય. તેના લીધે આડેધડ આયાત પર અંકુશ આવે અને નિકાસને પ્રોત્સાહન મળે. એટલે, વધારે જાવક-ઓછી આવક વચ્ચેની ખાઇ પુરાવા લાગે.

એ દૃષ્ટિએ વિચારતા ઘણા નિષ્ણાતોને રૂપિયાનું વર્તમાન અવમૂલ્યન ‘જરૂર કરતાં થોડું વધારે ખરું, પણ જરાય ચિંતાજનક નહીં’- એવું લાગે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ જાહેર કર્યું છે કે રૂપિયાના અવમૂલ્યથી ભારતના રેટિંગ પર કોઇ અવળી અસર નહીં પડે. એ માટે તેણે આપેલું કારણઃ સરકારના કુલ દેવામાંથી ફક્ત ૭ ટકા દેવું વિદેશમાં છે. વિદેશી દેવાની મુશ્કેલી એ છે કે ૧૦૦ ડોલરનું દેવું હોય ને ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ દેવું ૪૫ હજાર રૂ. થાય, પણ રૂપિયાનો દર ૫૫ થાય તો એ જ દેવું ૫૫ હજાર રૂ. થઇ જાય.

અર્થતંત્રમાં સંતુલન જાળવવા માટે ચલણનું માપસરનું અવમૂલ્યન કેટલું જરુરી છે, તે સમજાવવા માટે ગ્રીસનો દાખલો આપવામાં આવે છે. ગ્રીસમાં આર્થિક અસમતુલાનો પાર નથી. પરંતુ ગ્રીસે પોતાનું ચલણ છોડીને યુરોઝોનનું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું છે. તેનું અવમૂલ્યન ગ્રીસ પોતાની મુન્સફી પ્રમાણે કરી શકતું નથી.  એટલે ચલણના અવમૂલ્યન દ્વારા સંતુલન સ્થાપવાનો મોટો વિકલ્પ ગ્રીસ પાસે રહ્યો નથી. પરિણામે, તેને વધારે આકરાં લાગે અને સામાન્ય નાગરિકોને સીધાં સ્પર્શે એવાં કરકસરનાં વ્યાપક પગલાં લેવા પડે છે. એમ કરવાથી લોકોનો રોષ વહોર્યા પછી પણ અર્થતંત્ર ઠેકાણે આવતું નથી.

વધઘટના વહીવટ

આખી ચર્ચામાં પ્રાથમિક સવાલ એ થાય કે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ શી રીતે થાય છે? ગૌહત્તીના એક વાસ્તુશાસ્ત્રીએ  કહ્યું છે કે ‘રૂપિયાના નવા પ્રતીકની ડીઝાઇનમાં બે કાપા છે, એ બરાબર નથી. તેમના પાપે રૂપિયાની અને અર્થતંત્રની દશા બેઠી છે.’ આવું  હવાઇ કારણ બાજુ પર રાખીએ તો, રૂપિયાની મજબૂતી પર અસર કરતું એક મુખ્ય પરિબળ છેઃ વિદેશી મૂડીરોકાણ.

ભારતમાં કંપનીઓ દ્વારા કે વ્યક્તિગત રીતે થતું વિદેશી મૂડીરોકાણ જેટલું વધારે, એટલી ભારત પાસે ડોલરની છત. ભારતની તિજોરીમાં ડોલર જેટલા વધારે એટલો રૂપિયો મજબૂત. એપ્રિલ, ૨૦૧૨માં એન.આર.આઇ. દ્વારા થયેલા મૂડીરોકાણનો આંકડો ૩ અબજ ડોલરને આંબી ગયો હતો, જે એપ્રિલ, ૨૦૧૧ની સરખામણીમાં આશરે આઠ ગણો વધારે હતો. છતાં, વિદેશી રોકાણકારોએ પાછી ખેંચી લીધેલી મૂડીને કારણે અને આયાત-નિકાસ વચ્ચે પડતી મોટી ઘટને કારણે એન.આર.આઇ. ડીપોઝીટની ધારી અસર પડી નથી.

વિદેશી રોકાણકારો ક્યારે રોકાણ કરે છે અને ક્યારે પાછું ખેંચી લે છે તેનો આધાર વૈશ્વિક પરિબળો અને રેટિંગ એજન્સીઓના અહેવાલોથી માંડીને ‘સેન્ટીમેન્ટ’ (બજારની હવા) જેવી અમૂર્ત બાબતો પર હોય છે. બે રેટિંગ એજન્સીઓએ આ મહિને ચીમકી આપી છે કે ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં આવે તો તેનું રેટિંગ નીચું ઉતારવામાં આવશે.  રેટિંગ નીચું ઉતરે એટલે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં ખચકાય અથવા કરેલું રોકાણ પાછું ખેંચી લે. વિદેશી રોકાણ ઘટે એટલે સ્થિતિ વધારે કથળે અને બજારની હવા ખરાબ થાય.

ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું હોય, ત્યારે રીઝર્વ બેન્ક પર ‘કંઇક’ કરવાનું ઘણું દબાણ હોય છે. એમાં પણ રૂપિયાનું અવમૂલ્યન રાજકીય કે દેશની શાનને લગતો મુદ્દો બને ત્યારે કાગારોળ મચે છે. એવા વખતે રીઝર્વ બેન્ક પોતાની પાસે રહેલા ડોલરના રીઝર્વ (અનામત) ભંડોળમાંથી થોડા ડોલર છૂટા કરે. બજારમાં ડોલરની છત થતાં તેનું મૂલ્ય ઘટે છે અને તેની સરખામણીમાં રૂપિયો ઊંચો આવે છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી રીઝર્વ બેન્કે રૂપિયાની અધોગતિ અટકાવવા એવાં કોઇ પગલાં લીધાં નથી. કારણ કે ડોલરનું અનામત ભંડોળ કિમતી હોય છે અને યોગ્ય-અનિવાર્ય કારણો વિના એ ભંડોળને અડવાનું રીઝર્વ બેન્ક પસંદ કરતી નથી.

રૂપિયાના વર્તમાન -અને હદ વટાવતા- અવમૂલ્યનને કાબૂમાં રાખવાના એક પ્રયાસ તરીકે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓની મદદ માગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ- એ ત્રણે ઓઇલ કંપનીઓને દર મહિને ક્રુડ ઓઇલની આયાત માટે આશરે ૮ અબજ ડોલરની જરૂર પડે છે. ડોલરનું ચલણ વાજબી ભાવે મેળવવા માટે આ કંપનીઓ ઘણી બેન્કો પાસેથી ભાવ મંગાવે છે. કંપનીને જરૂર હોય ૧ કરોડ ડોલરની અને એ ૧૦ બેન્કો પાસેથી ભાવ મંગાવે, એટલે બજારમાં ૧૦ કરોડ ડોલરની માગ હોય, એવું વાતાવરણ ઊભું થાય. એ હવાને કારણે પણ ડોલરની મજબૂતી અને રૂપિયાની નબળાઇમાં વધારો થઇ શકે છે.

આ પરિસ્થિતિ નીવારવા માટે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓને આદેશ આપ્યો છે કે જેટલા ડોલરની જરૂર હોય તેમાંથી અડધા ડોલર જાહેર ક્ષેત્રની કોઇ એક બેન્ક પાસેથી જ ખરીદવા. એમ કરવાથી બજારમાં ડોલરની માગ અંગેનું અતિશયોક્તિભર્યું વાતાવરણ સર્જાતું અટકે. અલબત્ત, રિલાયન્સ અને એસ્સાર જેવી, ક્રુડ ઓઇલની કુલ આયાતમાં ૪૦ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓને આ નિયમ લાગુ પડતો નથી. એટલે, તેનાથી ‘સેન્ટીમેન્ટ’ (હવા) સિવાયનો નક્કર ફરક કેટલો પડશે, એ જોવાનું રહે છે.

આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ-ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ-થી રૂપિયાની અને અર્થતંત્રની પરિસ્થિતિ સુધરે એમ છે, પરંતુ એ રાજકીય મુદ્દો છે. એટલે સુષુપ્ત સરકાર અને તેનાં મમતા બેનરજી જેવ સાથીદારોને કારણે એ દિશામાં પ્રગતિ થઇ શકે એવું અત્યારે લાગતું નથી.

આશ્વાસન અને આશા

રૂપિયાના રેકોર્ડબ્રેક અવમૂલ્યન ટાણે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૧૦-૧૧૫ ડોલરને બદલે ૯૦ ડોલર જેટલો નીચો ચાલે છે. તેના લીધે ખરેખર તો ઓઇલ કંપનીઓને ફાયદો થાય અને તેની અસર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડા તરીકે ગ્રાહકોને મળી શકે. પરંતુ રૂપિયાના અવમૂલ્યનને કારણે એક ડોલરના વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એટલે ક્રુડના ભાવઘટાડાથી થતા ફાયદાનો ખાસ્સો છેદ ઉડી જાય છે. આશ્વાસન હોય તો એટલું કે અત્યારે ક્રુડનો ભાવ વધારે નથી. એવું થાય તો ક્રુડ અને ડોલર એમ બેવડા ભાવવધારાને કારણે ગ્રાહકોને બમણો માર વેઠવાનો આવે.

રૂપિયાનું અવમૂલ્યન અંકુશિત રહેવાને બદલે સમગ્ર અર્થતંત્રની નબળી સ્થિતિનું સૂચક બને ત્યારે એમાં ચિંતા કરવાપણું થાય છે. એ દિશામાં ગતિ આરંભાઇ ચૂકી હોવા છતાં ગંભીર ચિંતાનો તબક્કો હજુ દૂર છે. ત્યાં સુધીમાં તત્કાળ અને લાંબા ગાળાનાં નીતિવિષયક- એમ બન્ને પ્રકારનાં પગલાં લઇને અર્થતંત્રને પાટે ચડાવવાનો રીઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય પાસે સમય છે. જરૂર છે એ સમયનો યોગ્ય ઉપયોગ કરવાની.

Sunday, June 24, 2012

જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનાર બહુમુખી પ્રતિભાવાન પુરાતત્ત્વવિદ્‌ : ભગવાનલાલ ઇન્દ્રજી


ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji

પુરાતત્ત્વ જેવી ‘શુષ્ક’ વિદ્યાશાખા અને તેના અભ્યાસીઓ સાથે સામાન્ય માણસને શી લેવાદેવા? એવી માન્યતા પ્રચલિત છે. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજી  (૧૮૩૯-૧૮૮૮) જેવા અભ્યાસી-સંશોધકના કામ વિશે જાણ્યા પછી એ ખ્યાલ કેટલો ખોટો છે તે સમજાય. 

ઉદાહરણ તરીકે જૈન ધર્મના ઇતિહાસની વાત કરીએ. ધર્મપ્રેમી જૈનોમાંથી કેટલા જાણતા હશે કે જૈન ધર્મ એક સમયે બૌદ્ધ ધર્મની શાખા ગણાતો હતો? ભગવાનલાલના સમકાલીન અભ્યાસીઓ માનતા હતા કે જૈન ધર્મ ઇસુ પૂર્વે બે સદીથી વધારે જૂનો નથી. પરંતુ ભગવાનલાલે ઉદયગિરિ (ઓરિસ્સા)ની જૈન ગુફાઓ અને મથુરાના જૈન સ્તૂપના અભ્યાસ પછી દર્શાવી આપ્યું કે શરૂઆતનાં વર્ષોમાં જૈન અને બૌદ્ધ ધર્મોની ઘણી બાબતો મળતી આવતી હતી. બૌદ્ધોની જેમ જૈનો પણ સ્તૂપની પૂજા કરતા હતા. તેને કારણે ઘણા જૈન સ્તૂપોને બૌદ્ધ સ્તૂપ માની લેવામાં આવતા હતા. એવી જ રીતે ઉદયગિરિની ગુફાઓમાં રહેલા રાજા ખારવેલના લેખને પણ વિદ્વાનો સાચી રીતે વાંચી શક્યા ન હતા.

ભગવાનલાલે સ્તૂપ સાથેના લખાણની મદદથી અને ખારવેલનો લેખ યોગ્ય રીતે વાંચીને જૈન ધર્મની પ્રાચીનતા દર્શાવી આપી. આ વિગતો ‘ભગવાનલાલ ઇન્દ્રજીઃ પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદ્યપુરૂષ’ એ પુસ્તકમાં નોંધતાં વીરચંદ ધરમસીએ લખ્યું છેઃ ‘જૈન ઇતિહાસ લખનારા હાલના મોટા ભાગના વિદ્યાવંતો એ વાતથી અજાણ દેખાય છે કે ભગવાનલાલ જૈન અઘ્યયના અગ્રિમ વિદ્યાવંત હતા.’

ભગવાનલાલની અભ્યાસનિષ્ઠા કોઇ ધર્મ-સંપ્રદાય કે વિસ્તાર-પ્રદેશ પૂરતી મર્યાદિત ન હતી. ૧૮૭૩-૭૪માં પાંચ મહિના માટે તે નેપાળ ગયા હતા. ત્યાં જવાનો હેતુ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીને શક્ય એટલી વિગતો મેળવવાનો- શોધી કાઢવાનો હતો. એ માટે તે નેપાળી ભાષા પણ શીખ્યા હતા. નેપાળમાં તેમણે કેટલાંક પ્રાચીન સ્મારકો શોધી કાઢ્‌યાં. તેમાં ચાંગુનારાયણનો ગરુડ-સ્તંભ મુખ્ય છે. બૌદ્ધ ધર્મની ગુપ્ત ગણાતી હસ્તપ્રતો ત્યાંના ધર્માચાર્યો કોઇને બતાવતા નહીં, પણ ભગવાનલાલની વિદ્વત્તાથી પ્રભાવીત થયેલા ધર્માચાર્યોએ તેમને એ હસ્તપ્રતો બતાવી.

નેપાળમાં ભગવાનલાલે પ્રાચીન સ્મારકો અને હસ્તપ્રતોથી માંડીને સાંપ્રત સમાજ અને જીવન વિશેની ઘણી નોંધો કરી. તેને કારણે નેપાળના ઇતિહાસમાં પણ ભગવાનલાલ ઇંદ્રજીનું પાયાનું પ્રદાન સર્વસ્વીકૃત બન્યું. વીરચંદ ધરમસી લિખિત ભગવાનલાલના ચરિત્રની ગુજરાતી આવૃત્તિમાં લગભગ સવા સો છપાયેલાં પાનાંમાં તેમણે નેપાળ સહિતના વિવિધ પ્રવાસો દરમિયાન કરેલી નોંધો સમાવવામાં આવી છે. પુસ્તકની દળદાર અંગ્રેજી આવૃત્તિની સરખામણીમાં ગુજરાતી ચરિત્ર પ્રમાણમાં ટૂંકું હોવા છતાં, ભગવાનલાલની નોંધોને કારણે તે અત્યંત મૂલ્યવાન બન્યું છે.

જૂના લેખો વાંચવાનું કામ કેટલું કઠણ હતું અને ભગવાનલાલ તેમાં કેટલા નિષ્ણાત હતા તેનો એક જ નમૂનોઃ મોહેં-જો-દડોના શોધક રાખાલદાસ બેનરજી અને મુનિ જિનવિજયજી- આ બન્નેએ (ભગવાનલાલના મૃત્યુના દાયકાઓ પછી) ખારવેલનો લેખ ઉકેલવા માટે પૂરી સાધનસુવિધા સાથે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા હતા. બેનરજીની મદદે બે કુશળ કલાકારો અને એક વિદ્વાન ઉપરાંત સરકારી સંસાધનો હતાં, જ્યારે મુનિ જિનવિજયજી પટના મ્યુઝિયમમાં એક અભ્યાસી સાથે રોજ ત્રણ-ચાર કલાક એમ એક અઠવાડિયા સુધી એ લેખના અક્ષરો બેસાડવા પ્રયાસ કરતા હતા. આ બન્ને મહાનુભાવોએ ભગવાનલાલ પ્રત્યે અપાર આદર સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે પૂરતી સુવિધા વિના, સ્થળ પર જઇને નરી આંખે ફક્ત બે જ દિવસમાં ભગવાનલાલ આ લેખની આટલી ઉત્તમ નકલ શી રીતે ઉતારી શક્યા હશે?

પુરાતત્ત્વવિદ્‌ તરીકે ખ્યાતિ મેળવનાર ભગવાનલાલે પોતાની અભ્યાસી દૃષ્ટિથી ઇતિહાસમાં કરેલું કામ ઇતિહાસકારો પણ યાદ કરતા નથી. જે સમયે ઇતિહાસના નામે અભ્યાસીઓ દંતકથા અને મૌખિક ઇતિહાસથી કામ ચલાવી લેતા હતા, ત્યારે ભગવાનલાલે જૂના અભિલેખો, સ્થાપત્યો-સ્મારકો અને સિક્કા જેવી નક્કર સામગ્રીના આધારે ગુજરાતનો આરંભિક ઇતિહાસ રજૂ કર્યો. ‘અર્લી હિસ્ટરી ઓફ ગુજરાત’ તેમનો પહેલો વ્યવસ્થિત અભ્યાસગ્રંથ હતો.

ભગવાનલાલ ભારતીય સંસ્કૃતિના પ્રેમી હોવા છતાં, તથ્યોના અર્થઘટનની બાબતમાં તે સંસ્કૃતિના મિથ્યાભિમાનથી દોરવાતા નહીં. ભારતીય માનસની મર્યાદાઓથી તે બરાબર પરિચિત હતા. એ માનસને રૂચે અને પચે એવાં તારણો કાઢી આપતા સરકારી કે લોકપ્રિય ઇતિહાસકારો જેવો ધંધો ભગવાનલાલે કદી ન કર્યો. ગુજરાતના અને કાઠિયાવાડનાં ઘણાં રજપૂત કુટુંબોનું પગેરું સાધારણ અથવા અજાણ્યા કુળ સુધી પહોંચતું હોવાનું તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું. (તેમના ચરિત્રકાર વીરચંદ ધરમસીએ લખ્યું તેમ, જુદાં જુદાં જૂથો પોતાને જાણીતાં કુળ સાથે જોડતાં હોય ત્યારે ભગવાનલાલનું આ વિધાન ઘણું હિંમતભર્યું ગણી શકાય.) ૧૮૬૨માં તે અજંટાની ગુફાઓના અભ્યાસ માટે ગયા ત્યારે સ્થાનિક રહેવાસીઓ ગુફાને પાંડવની ગુફા તરીકે ઓળખતા હતા. એ સમયે ભગવાનલાલે નોંઘ્યું હતું કે ‘જેટલે ઠેકાણે ગુફાઓ છે તેને લોકો ઘણું કરીને પાંડવોના ગુફા જ કેહે છે.’ 


સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કરેલો એવી કથા વિશે ભગવાનલાલે લખ્યું હતું કે ‘બર્બરોનો એક સમુદાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં વસેલો. એ વિસ્તાર આજે બાબરિયાવાડ તરીકે જાણીતો છે. તેની પર સિદ્ધરાજે જીત મેળવી હતી.’ સિદ્ધરાજના યુગમાં ચાલેલી ગાદીના વારસા માટેની ખટપટની પણ તેમણે નોંધ લીધી હતી. ધાર (મઘ્ય પ્રદેશ)ની એક મસ્જિદમાં ૨૪ ફૂટ લાંબો અને ૧૧ ઇંચનો ચોરસ એવો લોઢાનો સ્તંભ હતો. એ સ્તંભ વિશે એવી દંતકથા હતી કે સ્તંભ બહાર કરતાં જમીનમાં ઘણો લાંબો છે અને તેનો છેડો દોઢ માઇલ દૂર એક વાવમાં નીકળે છે. સ્થાનિક અમલદારો સુદ્ધાં આ વાત માનતા હતા, પણ ભગવાનલાલે જઇને સ્તંભ ખોદાવ્યો ત્યારે ખબર પડી કે જમીનમાં તે ફક્ત દોઢ ફૂટ ઊંડો જ હતો.

પ્રાચીન સ્મારકો-શિલાલેખો-સિક્કા જેવી નિર્જીવ સામગ્રી સાથે કામ પાડનાર ભગવાનલાલ સામાજિક રીતરિવાજો અને તેના ઇતિહાસમાં પણ જીવંત રસ ધરાવતા હતા. ૧૮૭૧-૭૨માં પ્રવાસ દરમિયાન, ઉત્તર પ્રદેશના સહારનપુર -કાલસી નજીક આવેલી પહાડીમાં તે ગયા હતા. ત્યાં બધા સગા ભાઇઓ એક જ સ્ત્રીને પરણે એવો રિવાજ હતો. એ વિશે ભગવાનલાલે વિગતે નોંધ કરી હતી. તેમણે લખ્યું હતું,‘દીકરીનાં માબાપ પણ શાદી કરતી વખતે મુખ્ય કરીને તપાસે છે કે તેઓ કેટલા ભાઇઓ છે. જો એકલો હોય તો તે ને દીકરી દેવાનું કોઇ પસંદ કરતું નથી. તેનું મુખ્ય કારણ એ બતાવે છે કે તેને રાંડવું પડશે...ચાર કે પાંચ ભાઇ હોય તેમાંથી  જે ઓલાદ થાય તે સઘળી મોટા ભાની કહેવાય. તેઓમાંયના કોઇને પુછીએ કે તારા બાપનું નામ શું? તો તેના બાપો માંહેલા મોટા ભાઇનું નામ લે, પણ બોલવામાં સઘળાને બાપ કહે છે અને બધાને બાપની પ્રમાણે માન આપે છે.’ (જોડણી-ભાષા અસલ પ્રમાણે)

મુંબઇમાં ‘શેઠ અને ગુરુ’ ડૉ. ભાઉ દાજી ઉપરાંત અનેક અંગ્રેજ અફસરો-અભ્યાસીઓએ ભગવાનલાલના કામની કદર કરી. ભાઉ દાજીના મૃત્યુ પછી સ્વતંત્ર અભ્યાસી તરીકે ભગવાનલાલના નામ અને કામની, તેમના ગુજરાતી અભ્યાસલેખોના અંગ્રેજી અનુવાદની ઘણી પ્રશંસા થઇ. યુરોપના ઘણા વિદ્વાનો સાથે ભગવાનલાલની મિત્રાચારી થઇ હતી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલતો. ભગવાનલાલ મુંબઇના વાલકેશ્વરમાં જે ઘરમાં રહેતા હતા, એ તેમને ભાટિયા અને વાણિયા લોકોએ ભેટમાં આપ્યું હતું. જન્મે પ્રશ્નોરા નાગર એવા ભગવાનલાલને વૈદકનું જ્ઞાન કુટુંબ પરંપરામાંથી મળ્યું હતું. એમાં પણ તેમણે વિકાસ સાઘ્યો હતો. નેપાળ ગયા ત્યારે તે રક્તપિત અને કોઢના રોગ માટે ઓસડિયાં લાવ્યા હતા. વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ભગવાનલાલના શિષ્ય હતા. નાસિકની ગુફાઓના અભ્યાસ વખતે જયકૃષ્ણ ભગવાનલાલની સાથે જોડાયા હતા.

ગરીબ દર્દીઓને મફત દવા આપનારા આ પુરાતત્ત્વવિદ્‌ના એક મિત્ર-ચાહક હતાઃ બોમ્બે ગેઝેટીયરના સંપાદક જેમ્સ કેમ્પબેલ. તેમણે  ગેઝેટીયરનું કામ કરતા ભીમભાઇ કિરપારામ અને ઝવેરીલાલ યાજ્ઞિકને ભગવાનલાલનાં સ્મરણોની નોંધ કરવાનું સૂચવ્યું હતું. પરંતુ એ કામ માંડ શરૂ થયું ત્યાં ૪૯ વર્ષની વયે, થોડી બિમારી પછી ભગવાનલાલના સભર-સમૃદ્ધ-સાર્થક જીવનનો અંત આવ્યો. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું,‘મને મરણનો કોઇ ભય નથી. મારું મોટા ભાગનું જીવન એક સુંદર, પ્રામાણિક અને સત્ત્વશીલ કાર્યને મેં અર્પણ કર્યું છે.’ કેમ્પબેલે તેમને મૃત્યુનાં ત્રણ અઠવાડિયાં પહેલાં એક પત્રમાં લખ્યું હતું, ‘તમારું જીવન હવે લગભગ પૂરું થવામાં છે એ વિચારે ખિન્ન થઇ જવાય છે.આટલાં બધાં વર્ષોથી ગરીબોની માંદગી પાછળ તમે જે સમય અને નાણાં ખર્ચ્યાં છે, એ તમને તમારી કામગીરીનાં છપાયેલાં પરિણામો (અભ્યાસ-સંશોધન લેખો) કરતાં વધારે આશ્વાસન આપનારાં થઇ પડશે.’

કેમ્પબેલને શંકા હતી કે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીની પાછળ તેમની વિદ્વત્તા અને બૌદ્ધિક પ્રદાનની થોડી વિગતો સિવાય બાકી બઘું ભૂંસાઇ જશે. ગુજરાતના અને ભારતના અભ્યાસી સહિતના લોકોએ  કેમ્પબેલની આશંકાથી આગળ વધીને, ભગવાનલાલના બૌદ્ધિક પ્રદાનને પણ વિસારે પાડી દીઘું હતું. એક સદી પછી ભગવાનલાલનું જીવન-કાર્ય ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં, પૂરા કદના પુસ્તક તરીકે ઉપલબ્ધ બન્યું છે, એ દર્શક ઇતિહાસ નિધિ અને વીરચંદ ધરમસીએ ભગવાનલાલ ઇન્દ્રજીને આપેલી સાચી અંજલિ છે.



ભગવાનલાલ ઇન્દ્રજીની અજંતા નોંધપોથીનું પાનું

Thursday, June 21, 2012

ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ' : તાજગીદાયક અનુભવ

ફિલ્મો વિશે લખવાનું આમ તો ઘણા વખતથી બંધ કર્યું છે. મુખ્ય કારણ એ કે ફિલ્મોનું શાસ્ત્ર હોવા છતાં, કોઇ ફિલ્મ ગમવી કે ન ગમવી ઘણી વાર અંગત બાબત હોય છે.

બીજું એ પણ ખરું કે ફિલ્મનું શાસ્ત્ર હોવા છતાં,  તેના વિશે આક્રમક પ્રચારથી દોરવાઇને કે ખદબદતી આકાંક્ષાઓથી પ્રેરાઇને કે અધૂરી વાસનાઓથી પીડાઇને કે પોતાની ધારી લીધેલી આવડતથી જાતે જ અંજાઇને થતી ચર્ચાઓમાં વખત બગાડવા જેવો હોતો નથી. લખનારા માટે બીજા સેંકડો વધારે મહત્ત્વના મુદ્દા રાહ જોતા હોય છે. 

તેમ છતાં, આજે અપવાદ કરીને ફિલ્મ વિશે લખવાનું કારણ છેઃ અભિષેક જૈન/Abhishek Jain ની ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ.' / Kevi Rite Jaish

Kevi Rite Jaish/ 'કેવી રીતે જઇશ'નાં હીરો-હીરોઇન

ગુજરાતી ફિલ્મો વિશે સામાન્ય રીતે થતો પ્રશ્ન હોય છેઃ 'કેવી રીતે જોઇશ?'  મોટે ભાગે તેમાં જોનારની સહનશક્તિના પ્રશ્નો હોય છે અને આશિષ કક્કડ જેવા મિત્ર ધારદાર વિષય પર ધારદાર કથા ધરાવતી 'બેટરહાફ' જેવી ગુજરાતી ફિલ્મ બનાવે ત્યારે, 'એ જોવા ક્યાં મળે?' એવો સવાલ થતો હોય છે. આ બન્ને પ્રશ્નો 'કેવી રીતે જઇશ'ને નડ્યા નથી. ફિલ્મ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ સહિત બીજાં અનેક ઠેકાણે મલ્ટીપ્લેક્સમાં ચાલી રહી છે. 

થોડા મહિના પહેલાં મિત્ર અભિષેક (શાહ, આકાશવાણી વડોદરા) પાસેથી પહેલી વાર 'કેવી રીતે જઇશ' વિશે સાંભળવા મળ્યું હતું. અભિષેકની પત્ની તેજલ પંચાસરાનો ફિલ્મમાં નાનકડો (ભાભી તરીકેનો) રોલ હતો એ નિમિત્તે અભિષેક શાહે અભિષેક જૈન વિશે વાત કરી હતી. સરસ ગુજરાતી ફિલ્મ બનાવવાની તેમની તાલાવેલી અને ઇચ્છા વિશે જાણીને આનંદની સાથોસાથ ઉત્સુકતા પણ હતી કે જોઇએ, કેવી બને છે. છેવટે, જાહેરખબરોમાં કહે છે તેમ, 'આતુરતાનો અંત' આવ્યો અને ફિલ્મ જોવાનો મેળ પડી ગયો. 


સૌથી પહેલાં મુખ્ય વાતઃ ફિલ્મ સરસ બની છે. તેને 'ગુજરાતી' ગણીને ગ્રેસ માર્ક આપવાની જરૂર નથી. એ સિવાય પણ તે પોતાના જોરે ફર્સ્ટ ક્લાસ લાવી શકે એમ છે. તેનાં વખાણ કરવા માટે તેને 'હિંદી જેવી જ છે' - એવી અંજલિ આપવાની પણ જરૂર નથી. એ નીતાંત ગુજરાતી છે, છતાં કોઇ પણ ભાષામાં સારી રીતે બનતી ફિલ્મો જેવી સારી છે. ફિલ્મનો પૂર્વાર્ધ - પહેલો હાફ- એકદમ મસ્ત મજાનો, ચુસ્ત, પંચલાઇનોથી ભરપૂર અને જકડી રાખે એવો છે. ફિલ્મ જોતી વખતે, આગળ કહ્યું તેમ, મોટે ભાગે એવી સભાનતા રહેતી નથી કે આપણે ગુજરાતી ફિલ્મ જોઇ રહ્યા છીએ. એક જ મલ્ટીપ્લેક્સમાં 'ફેરારીકી સવારી' અને 'કેવી રીતે જઇશ' બન્ને ફિલ્મો ચાલતી હોય, તો 'કેવી રીતે જઇશ' માં શા માટે જવું જોઇએ? એવા અઘરા સવાલ પહેલાં થયા હોય, તો પણ ફિલ્મ જોવાનું શરૂ કર્યા પછી એ સવાલ શમી જાય છે.

પટેલોની અમેરિકાઘેલછા જેવા વિષય પર બનેલી આ ફિલ્મમાં અમદાવાદનો રૂપાળો ચહેરો સરસ રીતે આવ્યો છે. મોટા ભાગનાં પાત્રો બહુ સ્વાભાવિક લાગે એવાં છે. તેમાંથી કેટલાંકની વર્તણૂંકમાં તાર્કિકતાના પ્રશ્નો થાય, તાલમેલીયા સિચ્યુએશનો પણ લાગે. છતાં કશા દાવા વગરની મનોરંજક ફિલ્મમાં એ સહેલાઇથી માફ થઇ શકે એવાં હોય છે. ગુજરાતી સંવાદો ક્યાંક ક્યાંક હિંદી છાંટને બાદ કરતાં સરસ છે. કૃત્રિમ લાગતા નથી. કથા મૂળ મેહોણા (મહેસાણા)ના પટેલ પરિવારની હોવાથી થોડી મેહોણવી ગુજરાતીનો લાભ મળશે એવી ધારણા હતી. પણ એકાદ સંવાદને બાદ કરતાં મુખ્યત્વે અમદાવાદની - અને થોડી અમેરિકાની- ગુજરાતીમાં જ ફિલ્મ ચાલે છે.

ફિલ્મનાં અનેક મજબૂત પાસાંમાં સંગીત ખાસ ધ્યાન ખેચે એવું છે. મેહુલ સુરતી અને વિશ્વેશ પરમારે ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ બનાવ્યાં છે. ગીતોની સિચ્યુએશનો દરેક વખતે આવશ્યક ન લાગે, છતાં ગીત મઝાંના છે એટલે વાંધો આવતો નથી. રૂપકુમાર રાઠોડે ગાયેલું ટાઇટલ સોંગ 'કેવી રીતે જઇશ' તો ફિલ્મ જોયાના કલાકો પછી પણ મનમાં ગુંજતું રહે એવું છે.

Kevi Rite Jaish/ કેવી રીતે જઇશ

ફિલ્મના ડાયરેક્ટર અભિષેક જૈન સાથે ગપ્પાંગોષ્ઠિ કર્યા પછી ફરી ક્યારેક લખવાનું થાય તો ખરું. બાકી, જે મિત્રોને અનુકૂળ હોય તેમણે આ ફિલ્મ જોવા જેવી છે- અને એટલું કહેવા માટે આટલું લખાણ પૂરતું છે:-))
***
તા.ક. સલીલભાઇ, હજુ કેનેડામાં આ ફિલ્મ આવી નથી. ત્યાં સુધી અથવા ફિલ્મની સીડી બહાર પડે ત્યાં સુધી તમારે http://keviritejaish.com/index1200.html પર તેનું ટ્રેલર જોઇને અને ગીતો સાંભળીને ધીરજ ધરવી પડશે.

Wednesday, June 20, 2012

કોંગ્રેસી- ભાજપી કાર્યકરોની ટી-પાર્ટી


ભાજપમાં ખટરાગની આ સીઝનમાં ચાની કીટલી પાસે કોંગ્રેસ અને ભાજપના થોડા રાજકીય કાર્યકરો ભેગા મળ્યા હોય, તો તેમની વચ્ચે કેવી વાતો થાય? (વાર્તાલાપમાં ‘કોંગ્રેસી’ લખ્યું છે ત્યાં ‘કોંગ્રેસી કાર્યકર’ અને ‘ભાજપી’ લખ્યું છે ત્યાં ‘ભાજપી કાર્યકર’ વાંચવું)

***

કોંગ્રેસી ૧ :  છોકરા, છ-સાત ‘કટિંગ’ આપજે.

ભાજપી ૧ : ના, મારે નહીં, હોં.

ભાજપી ૨ : મારે પણ નહીં.

ભાજપી ૩ : આપણે કોઇથી ભયભીત નથી. આપણી એક આખ્ખી. આદુ-મસાલો નાખીને.

કોંગ્રેસી ૨ : કેમ ભાઇ, તમે લોકો ચા નથી પીતા? કે પછી કોંગ્રેસની ચા અગરાજ છે?

કોંગ્રેસી ૩ : એ શું બોલ્યા? આ લોકો કોંગ્રેસી કેન્દ્ર સરકારની ગ્રાન્ટોની ગ્રાન્ટો પી જાય છે, તો પ્યાલો ચાનો શો
હિસાબ? પણ કારણ કંઇક બીજું લાગે છે. કહી દો..કહી દો... ભયભીત ન થશો.

ભાજપી ૧ : જુઓ, આપણે મિત્રો છીએ એ બઘું બરાબર, પણ અમારા આંતરિક મામલામાં તમે દખલ ન કરો તો સારું.

કોંગ્રેસી ૧ : (કોંગ્રેસી ૨-૩ તરફ જોઇને) લો, બોલ્યા મોટા, ‘આંતરિક મામલામાં દખલ ન કરોે.’ જાણે એ પાકિસ્તાન હોય ને આપણે એમની પાસેથી દાઉદ ઇબ્રાહિમનું સરનામું માગ્યું હોય. અલ્યા ભાઇ, અમે બીજા કોઇના નહીં, તમારા સાહેબના ભયની વાત કરીએ છીએ.

ભાજપી ૨ : ખબરદાર, અમારા સાહેબનું નામ લીઘું છે તો...

ભાજપી ૩ : એમનું નામ લેવાની તપાસપંચો સિવાય બીજા કોઇની તાકાત છે?

કોંગ્રેસી ૧ :  ઠીક છે, તમે ના કહો છો તો નામ નહીં લઇએ, બસ? પણ ચા તો પીઓ.

કોંગ્રેસી ૨ :  એમને બીક લાગે છે કે કોઇ એમના પર સંજયદૃષ્ટિ રાખતું હશે તો?

ભાજપી ૧ :  તમે કહેતા હો તો અમે જતા રહીએ. નાહકના ‘સંજય’ને વચ્ચે શા માટે લાવો છો? અમને પક્ષમાંથી કઢાવવાનો વિચાર છે?

કોંગ્રેસી ૧ : કહો, ન કહો, પણ તમે ભયભીત તો જ છો. નહીંતર, સંજયના નામ માત્રથી આમ આઘાપાછા શું કરવા થાવ?

ભાજપી ૨ : એમાં  ભયનો નહીં, શિસ્તનો સવાલ છે. તમે તો જાણો છો, અમારો પક્ષ શિસ્તને વરેલો છે.

ભાજપી ૩ : એ લોકો તો જાણે જ છે, આપણાવાળા નથી જાણતા. એટલે તો પક્ષની શિસ્ત જાળવવાને બદલે, પોતાનું ધાર્યું કરાવવા માટે ત્રાગાં કરે છે. પક્ષની રાષ્ટ્રિય કારોબારીમાં જવા માટે શરતો મૂકે છે અને શિસ્ત-બિસ્ત બાજુ પર મૂકીને પોતાની ધોરાજી હંકારે છે.

ભાજપી ૧ : જુઓ, જુઓ, આને જ શિસ્તભંગ કહેવાય. અમે તો શિસ્ત પાળીએ જ છીએ, તમે લોકો સાહેબ વિરુદ્ધ જાહેરમાં ગમે તેમ બોલીને શિસ્તભંગ કરો છો.

ભાજપી ૨ : લપોડશંખ, પોલો ઢોલો, રાક્ષસ, રાવણ...ઓ બાપ રે, આવું તો આપણે કોંગ્રેસી વડાપ્રધાન માટે પણ કદી બોલ્યા નથી...

ભાજપી ૩ : ...અને અમે જેના માટે બોલ્યા છીએ એ કદી વડાપ્રધાન થવાના પણ નથી. અમને બાજુ પર રાખીને તો નહીં જ. લખી રાખજો.

ભાજપી ૧ : સતી શાપ આપે નહીં...

ભાજપી ૩ : અને શંખણીના શાપ લાગે નહીં...ખબર છે એ કહેવત, પણ સંજય જોષીને શાપ આપવા નીકળેલા તમારા સાહેબને સંભળાવજો. જેથી એમના પણ ખ્યાલમાં રહે.

કોંગ્રેસી ૧ : શાંતિ...શાંતિ...તમે લોકો તો અંદરોઅંદર ચડચાસડસીમાં ઉતરી પડ્યા.  લો, ચા આવી ગઇ.

ભાજપી ૧-૨ : પણ અમે તો ના પાડી હતી.

કોંગ્રેસી ૨ : અરે, હોય કંઇ? રાજકારણમાં આવું તો બઘું ચાલ્યા કરે. એનાથી ચાનો બહિષ્કાર થોડો કરાય?

ભાજપી ૩ : (આખી ચામાંથી સબડકો ભરતાં) અત્યારે આટલી પણ મોકળાશ છે. પી લો. પછી એવા દિવસ આવશે કે ચા પીતાં પહેલાં  તમારે સાહેબની રજા લેવી પડશે, શિસ્તબદ્ધ સૈનિકો.

કોંગ્રેસી ૩ : જોયું, તમને અમે કહેતા હતા ને કે પાણી પણ હાઇકમાન્ડને પૂછીને પીવું પડે. ત્યારે તમે અમારી મશ્કરી કરતા હતા. હવે તમારે પ્યાલા સામે જોવું હોય તો પણ સાહેબથી બીવું પડે છે.

ભાજપી ૧ : (કોંગ્રેસી ૩ની વાત સાંભળી-ન સાંભળી કરીને, ભાજપી ૨ તરફ જોઇને) આપણે અહીં ચા પીશું તેમાં કોઇ પણ રીતે સંજય જોષીની તરફેણની તો નહીં ગણાઇ જાય ને?

ભાજપી ૨ : (થોડું વિચારીને) ખબર નથી. આપણે આજુબાજુ જોઇ લેવું જોઇએ. ક્યાંય સંજય જોષીનાં પોસ્ટર લાગ્યાં નથી ને? અથવા ભવિષ્યમાં પણ આજુબાજુ સંજય જોષીનાં પોસ્ટર લાગે એવી સંભાવના નથી ને? એવું થાય તો આપણે નાહકના પક્ષદ્રોહના પાપમાં પડીએ.

ભાજપી ૩ : પક્ષદ્રોહ શાનો? સંજય જોષી આપણા પક્ષમાં નથી?

કોંગ્રેસી ૧-૨-૩ : હા, સંજય જોષી તો તમારા પક્ષમાં છે. પછી શી ચિંતા?

ભાજપી ૧ : (ધીમેથી) સંજય જોષી અમારા પક્ષમાં છે, પણ અમારા સાહેબ અમારા પક્ષની ઉપર છે એનું શું?

ભાજપી ૨ : ગમે તે કહો, પણ એ અમારા વડાપ્રધાનપદના ઉમેદવાર છે.

ભાજપી ૩ : તો બનાવી દો એમને વડાપ્રધાન....પાકિસ્તાનના. કોણ ના પાડે છે? ત્યાં ઇમરાનખાન સિવાય બીજા કોઇની હરીફાઇ પણ નહીં નડે.

કોંગ્રેસી ૧ : અને પેલાં મિંયા મુશર્રફવાળાં જૂનાં પ્રવચનો સીધેસીધાં પાકિસ્તાનની ચૂંટણીમાં કામ પણ લાગી જશે.

ભાજપી ૧ :  હં...પહેલી વાર મને તમારી વાત વિચારવા જેવી લાગે છે.

ભાજપી ૨ : સાહેબને વડાપ્રધાન થવું છે, પણ કયા દેશના, એનો એમણે ક્યાં ફોડ પાડ્યો છે? વાત તો સાચી...

ભાજપી ૩ :  અરે પાકિસ્તાનના જ નહીં, અમેરિકાના વડાપ્રધાન -એટલે કે પ્રમુખ- થવું હોય તો પણ વાંધો નહીં આવે. અમેરિકાના રાજકારણની ચોટલી અમારા પટેલોના જ હાથમાં છે. એક વાર સાહેબ અવાજ કરે એટલી વાર. સાહેબને પ્રમુખપદું તો શું, અમેરિકાના વિઝા પણ અપાવી દઇશું. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પહેલા પાને સાહેબનો ફોટો આવી જશે અને જાહેરખબરનો ભાવ પણ નહીં આપવો પડે. પછી?

કોંગ્રેસી ૧ :  તમારા સાહેબને કાનમાં સહેજ ફૂંક મારી દેવી પડે કે અમેરિકામાં કોંગ્રેસનો અર્થ સંસદ થાય છે. એટલે ત્યાં ‘કોંગ્રેસ’નો ઉલ્લેખ સાંભળીને અહીંની માફક બખાળા કાઢવા ન બેસી જાય.

કોંગ્રેસી ૨ : અમેરિકામાં આ સાલ થાય એવું ન હોય તો તમારા સાહેબ પાકિસ્તાનના પ્રમુખ બની જાય અને અમારા કુંવર પાકિસ્તાનના વડાપ્રધાન. કેવી મઝા આવે?

ભાજપી-૧-૨-૩, કોંગ્રેસી ૧-૨-૩ :  ભારતમાં કોઇ સમસ્યા જ ન રહે.

ભાજપી ૧ :  એય છોકરા, લે આ કપ અને રૂપિયા પેલા ત્રિરંગા ખેસવાળા સાહેબ જોડેથી લેવાના છે.

કોંગ્રેસી ૧ : કેમ ભાઇ? કઇ ખુશીમાં? સરકાર તમારી છે ને રૂપિયા અમે શું કરવા ચૂકવીએ?

ભાજપી ૨ : સરકાર ભલે અમારી હોય, પણ કામ કોનાં થાય છે?

કોંગ્રેસી ૨ : સારું, સારું યાર. તમે ચાના પૈસા જેવી બાબતમાં ધંધાની વાતો ક્યાં લઇ આવો છો?

(ચાના કપના ખખડાટ અને ખિસ્સામાંથી નોટોની સાથે છૂટા પૈસાના ખણખણાટ સાથે ટી-પાર્ટી સમાપ્ત થાય છે.)

Tuesday, June 19, 2012

લધુમતી માટે પેટા-અનામતઃ ગૂંચવાડા અને ગેરસમજણ


સરકારી શિક્ષણસંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત જાતિઓ - અધર બેકવર્ડ કાસ્ટ્‌સ (ઓબીસી) OBC માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની સરકારી નીતિ છે. ડિસેમ્બર ૨૨, ૨૦૧૧ના રોજ  ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે હતી ત્યારે, કેન્દ્ર સરકારે નવું ગતકડું કાઢ્‌યું : ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકા (પેટા)અનામત લધુમતી માટે રાખવામાં આવશે.

મે ૨૮,૨૦૧૨ના રોજ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે લધુમતી માટે પેટા અનામતની સરકારી જાહેરાત રદબાતલ ઠરાવી. આવા સંવેદનશીલ મુદ્દે કશા આધારપુરાવા વિના, કેવળ ધર્મના આધારે નિર્ણય લેવા બદલ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની કડક ટીકા પણ કરી.

તેનાથી શરમાયા વિના સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ. સરકાર પક્ષની દલીલ હતી કે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ હાલતુરત મનાઇહુકમ આપે. એવું નહીં થાય તો ૪.૫ ટકા પેટા અનામતના ધોરણે આઇ.આઇ.ટી. માટે પસંદ કરાયેલા ૩૨૫ વિદ્યાર્થીઓનું ભાવિ લટકી પડશે.

પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની દલીલ ફગાવી દીધી, ૪.૫ ટકા પેટા અનામતને કામચલાઉ ધોરણે સ્વીકારવાની ના પાડી દીધી અને સરકારે કયા આધારે લધુમતી માટે ૪.૫ ટકા અનામતનો નિર્ણય લીધો  તેનાં કાગળીયાં રજૂ કરવા જણાવ્યું.

સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી સરકારે આશરે ૮૦૦ પાનાંના વિવિધ દસ્તાવેજો- મુખ્યત્વે મંડલ પંચ, સાચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચના અહેવાલ- અદાલતમાં રજૂ કર્યા. તેનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટ વેકેશન પછી કેસ આગળ ચલાવશે. પરંતુ આટલા ઘટનાક્રમમાં પૂરતા ગુંચવાડા અને ગેરસમજણો પેદા થઇ ચૂક્યાં છે. તે વારાફરતી સમજવા-ઉકેલવાનો પ્રયાસ કરીએ.    
  
ગેરસમજણ ૧: લધુમતી એટલે મુસ્લિમ

ડિસેમ્બર ૨૦૧૧માં કેન્દ્ર સરકારે ઓબીસી અનામતના ૨૭ ટકામાં લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામતની જાહેરાત કરી, ત્યારે તેના મનમાં મુસ્લિમોને પટાવવાનો જ ખ્યાલ હતો. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં સલમાન ખુર્શીદ જેવા કેન્દ્રીય મંત્રી કૂદી કૂદીને લધુમતી માટેની પેટા અનામતનો બચાવ કરતા હતા. એ માટે ચૂંટણી પંચનો રોષ વહોરી લેતાં પણ તે ખચકાયા ન હતા. કારણ કે ત્યારે કોંગ્રેસને ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો અંકે કરવાની લાલચ હતી. પરંતુ ચૂંટણીનાં પરિણામે દર્શાવી આપ્યું કે લઘુમતી માટે પેટા અનામતનું ગાજર કારગત નીવડ્યું નહીં. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કશું ઉકાળી ન શકી અને લધુમતી અનામત માટે ‘શહીદી’ વહોરવા તૈયાર થઇ ગયેલા સલમાન ખુર્શીદ તેમનાં પત્નીને પણ જીતાડી ન શક્યા.

લધુમતી માટે પેટા અનામતના ચૂંટણીલક્ષી પ્રચાર અને તેના ચૂંટણીલક્ષી વિરોધમાં પાયાનો મુદ્દો બાજુ પર રહી ગયોઃ સરકારે ફક્ત મુસ્લિમો માટે નહીં, સમસ્ત લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામત જાહેર કરી હતી. ‘લધુમતી’ની વ્યાખ્યામાં મુસ્લિમો ઉપરાંત શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરેનો પણ સમાવેશ થઇ જાય. અદાલતે આ હકીકત ભણી ઘ્યાન દોરીને પૂછ્‌યું છે કે પારસીઓ લધુમતી હોવા છતાં તેમણે કદી અનામત માગી નથી. તો કેન્દ્ર સરકારે કયા આધારે પેટા અનામતના લાભાર્થીઓમાં પારસીઓનો સમાવેશ કરી દીધો?
 એટલે, પહેલી સ્પષ્ટતાઃ સરકાર વિરુદ્ધ અદાલતનો કાનૂની જંગ અત્યારે મુસ્લિમોની પેટા અનામત માટે નહીં, પણ બધી લધુમતીની પેટા અનામત અંગેનો છે. ઉત્તર પ્રદેશમાં ખત્તા ખાધા પછી પણ કોંગ્રેસની સાન ઠેકાણે આવી ન હોય અને હજુ તે મુસ્લિમોને પેટા અનામતથી રીઝવવાનાં ખ્વાબ જોતી હોય, તો તેણે પોતાની જાહેરાતમાં ‘લધુમતી’ શબ્દ કાઢીને ‘મુસ્લિમ’ શબ્દ મૂકવો પડે.

ગેરસમજણ ૨: પેટા અનામતમાં બધા મુસ્લિમો લાભાર્થી બનશે


‘મુસ્લિમો માટે ૪.૫ ટકા પેટા અનામત’ જેવી જ બીજી ગેરસમજણ છેઃ ૪.૫ ટકા પેટા અનામતનો લાભ બધા મુસ્લિમોને મળશે.   કોઇ પણ જ્ઞાતિનો ઓબીસીની યાદીમાં સમાવેશ તેના આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે કરવામાં આવે છે. ધર્મ આધારિત ભેદભાવને કારણે કોઇ જ્ઞાતિ પછાત રહી હોય એવું બની શકે. છતાં, ઓબીસીની યાદીમાં તેના સમાવેશ વખતે તેનો ધર્મ ગૌણ અને પછાતપણું મુખ્ય પરિબળ બની જાય છે. ઓબીસીની યાદીમાં કઇ કઇ જ્ઞાતિ અને જાતિનો સમાવેશ થાય છે, તેની રાજ્યવાર યાદીઓ બહાર પડે છે. નેશનલ બેકવર્ડ કાસ્ટ કમિશન દ્વારા તેમાં સમયાંતરે સુધારાવધારા- મુખ્યત્વે ઉમેરા- નું કામ ચાલુ રહે છે. ઓબીસીની યાદીમાં છેલ્લો ફેરફાર ગયા વર્ષે થયો હતો.

ગુજરાતમાં પછાત (ઓબીસી)ની યાદીમાં કુલ ૧૦૪ જ્ઞાતિ-જાતિઓનો સમાવેશ થાય છે. તેમાં મકરાણી, મિંયાણા, પિંજારા, સંધી, ખલીફા, મિરાસી, ખાટકી, જત, ઘાંચી જેવી પચીસેક મુસ્લિમ જ્ઞાતિ-જાતિઓ છે. ગયા વર્ષે આરબ અને સુમરા મુસ્લિમોનો તેમાં ઉમેરો થયો છે. ડફેર અને વાઘેર જેવી જ્ઞાતિઓ હિંદુ અને મુસ્લિમ બન્ને ધર્મોમાં જોવા મળે છે અને તે ઓબીસી ગણાય છે.

ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકાનો એક ટુકડો ધારો કે ફક્ત મુસ્લિમો માટે અનામત રાખવામાં આવે, તો પણ તેનો લાભ ફક્ત એ જ મુસ્લિમ જ્ઞાતિઓને મળે, જેમનાં નામ ઓબીસીની યાદીમાં છે. આ યાદીની બહાર રહેલા બહુ મોટા મુસ્લિમ સમુદાયને ૪.૫ ટકા અનામત સાથે કશી લેવાદેવા ન હોય.

એટલે, સ્પષ્ટતા બીજીઃ ૪.૫ ટકા પેટા અનામત લધુમતીને બદલે ફક્ત મુસ્લિમો માટે હોય તો પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય તેનો લાભાર્થી બનવાનો નથી. આ જોગવાઇનો લાભ લેવા ઇચ્છતા સમુદાયોએ સૌ પહેલાં પોતાની જ્ઞાતિનું આર્થિક-સામાજિક પછાતપણું પુરવાર કરવું પડે. એ માન્ય થાય તો જ ઓબીસીની યાદીમાં એ જ્ઞાતિનું નામ ઉમેરાય. એટલે પ્રચલિત ગેરમાન્યતા પ્રમાણે, ફક્ત મુસ્લિમ હોવાથી કોઇ પેટા અનામતનું લાભાર્થી બની જતું નથી. તેનું પછાત હોવું સૌથી મહત્ત્વનું છે.

ગેરસમજણ ૩: પેટા અનામતો પાડવાથી અનામત નીતિનો અસરકારક અમલ કરી શકાશે

અત્યારની સ્થિતિ પ્રમાણે, પછાત વર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામત માટે સંખ્યાબંધ પછાત વર્ગો વચ્ચે ખુલ્લી અને જોરદાર હરીફાઇ ચાલે છે. સ્વાભાવિક છે કે બધા પછાત વર્ગો એકસરખા પછાત ન હોય. તેમાંથી કેટલાક બાકીના કરતાં વધારે સંપન્ન- વધારે પામતાપહોંચતા રહેવાના. શિક્ષણ અને નોકરીમાં ૨૭ ટકા બેઠકો માટેની હરીફાઇમાં સ્વાભાવિક રીતે જ, પછાતમાં ‘ઉપલા’ કહેવાતા વર્ગોનું વર્ચસ્વ રહેવાનું. તેના કારણે બીજા વર્ગોનો સમાવેશ ઓબીસીમાં થતો હોવા છતાં અને કાગળ પર તેમને ૨૭ ટકા અનામત મળેલી હોવા છતાં,   આંતરિક હરીફાઇમાં તે અનામતનો પૂરતો લાભ નહીં મેળવી શકવાના.

પછાત વર્ગોમાં અંદરોઅંદરની આર્થિક-સામાજિક અસમાનતાને કારણે પેટા અનામતનો મુદ્દો ઊભો થયો. સરકારને લાગ્યું કે ૨૭ ટકામાંથી પણ પછાત મુસ્લિમોને તેમનો એક અલગ ટુકડો આપી દઇએ તો કેવું? એ ૪.૫ ટકા માટે પછાત મુસ્લિમોએ બીજા સમુદાયો જોડે હરીફાઇ કરવાની ન રહે. એથી મુસ્લિમોનો દહાડો વળે કે નહીં એ બીજી વાત છે, પણ સરકાર તો મુસ્લિમોના ઉદ્ધારક તરીકેનો દાવો કરીને મત માગી શકે. સરકારોની બુદ્ધિની પહોંચ કેટલી? કોઇ પણ સમુદાયને વોટબેન્ક ગણવા જેટલી.

પરંતુ વોટબેન્કથી આગળ વિચારતાં જણાશે કે પછાત મુસ્લિમો પણ એકસરખો સમુદાય નથી. તેમાં ચડિયાતા અને ઉતરતા, થોડા સદ્ધર અને બાકીના નબળા છે. એટલે પછાત મુસ્લિમોને સુવાંગ ૪.૫ ટકા પેટા અનામત આપી દીધા પછી પણ, જેમને સૌથી વધારે જરૂર છે એવા પછાત મુસ્લિમ સમુદાયો સુધી અનામતના લાભ પહોંચવા અંગે શંકા રહે છે.

પછાત મુસ્લિમો અંગેનું એક સર્વેક્ષણ ‘સોશ્યો-ઇકોનોમિક ડિસએબિલિટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ્સ એમંગ મુસ્લિમ્સ ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ’ આયોજન પંચને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા- એ ત્રણ રાજ્યોનાં ૭૨ ગામનાં વિગતવાર સર્વેક્ષણમાં નોંધાયું હતું કે એ વિસ્તારોના કસાઇ અથવા કુરેશી, અન્સારી અથવા જુલાહા અને મલિક- પછાત મુસ્લિમોમાં ગણાતા હોવા છતાં, તેમની સ્થિતિ ઘણા ખરા બિનપછાત મુસ્લિમો કરતાં સારી હતી.

‘ક્રીમી લેયર’ (અમુકથી વઘુ આવક ધરાવતા પરિવારો)ને ઓબીસી અનામતનો લાભ મળતો નથી એ ખરું, પણ ૨૦૦૮માં ઠરાવાયેલી રકમ પ્રમાણે, જેના વાલીની વાર્ષિક આવક રૂ.૪.૫ લાખ કે વઘુ હોય એવા લોકો ક્રીમી લેયરમાં ગણાય છે. એથી થોડી ઓછી આવક ધરાવતા પરિવારો બીજાં પછાત પરિવારો કરતાં ઘણાં સુખી હોવા છતાં, ઓબીસી અનામતના હકદાર બને છે.

આમ, અસમાન વહેંચણીની સમસ્યા પેટા અનામત પાડ્યા પછી પણ ઊભી જ રહે છે. ફરક એટલો કે પહેલાં મુસ્લિમ અને બિનમુસ્લિમો વચ્ચે અસમાન વહેંચણીની હોય, તો પેટા અનામત પછી તે મુસ્લિમોમાં અંદરોઅંદરની વહેંચણીની બને છે. પરંતુ અનામતનો આશય ધર્મઆધારિત નહીં, પછાતપણા આધારિત હકારાત્મક પગલાંનો છે અને તે જળવાતો નથી.

ગેરસમજણ ૪ : અનામત ઓબીસીના પછાતપણાનો ઉત્તમ ઉકેલ છે

દલિતો-આદિવાસીઓ માટેની અનામત અને એમના સિવાયના- અન્ય- પછાત વર્ગો માટેની અનામત પહેલી નજરે સરખી લાગે, પણ બન્નેમાં પાયાનો તફાવત છે. દલિતો સદીઓથી ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા હોવાને કારણે અને આદિવાસીઓ સમાજની મુખ્ય ધારાથી દૂર રહ્યા હોવાથી, તેમની જ્ઞાતિ તેમના પછાતપણાનું સૌથી મુખ્ય અને સૌથી મોટું કારણ છે.

ઓબીસીના મામલે, તેમની જ્ઞાતિ ઉલ્લેખનીય હોવા છતાં સૌથી મહત્ત્વનું તેમનું સામાજિક-આર્થિક પછાતપણું છે. મંડલ પંચે ૧૯૮૦માં ઠરાવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગોનું પ્રમાણ ૫૨ ટકા છે. વસ્તીવધારો અને ઓબીસીની યાદીમાં ઉમેરા પછી આ પ્રમાણ ઘટવાને બદલે વઘ્યું હોય એવી પૂરેપૂરી સંભાવના છે. તેનો સાદો અર્થ એ થયો કે દેશની અડધોઅડધ વસ્તી, દલિત કે આદિવાસી ન હોવા છતાં, સામાજિક-આર્થિક રીતે પછાત છે.

અનામતની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીને એક સાદો સવાલ થાયઃ અડધાથી પણ વઘુ વસ્તી માટે સરકારી શિક્ષણ-સરકારી નોકરીમાં અનામત જેવું અધકચરું પગલું લઇને તેનું રાજકારણ લડાવ્યા કરવું એ સાચો ઉપાય છે? કે આટલી મોટી વસ્તી પછાત રહી ગઇ એ બદલ સરકારી નીતિઓની નિષ્ફળતા કબૂલીને, પછાતપણું પ્રેરતાં પરિબળો દૂર કરવાની દિશામાં કામ કરવું, એ યોગ્ય રસ્તો છે?

Monday, June 18, 2012

ઇતિહાસ-પુરાતત્ત્વ-કળા-સંસ્કૃતિની મહત્ત્વની કડીઓ જોડી આપનાર અભૂતપૂર્વ ગુજરાતી: ભગવાનલાલ ઇન્દ્રજી

શિલાલેખોનું વાચન, જૂના સિક્કાની ઓળખ, મૂર્તિઓનો અને સ્થાપત્યોનો અભ્યાસ, પ્રાચીન લિપી અને આંકડા ઉકેલવા- આ બધી પ્રવૃત્તિઓમાં ‘શું મળે?’ અથવા ‘એનાથી શો ફાયદો?’ એવા સવાલનો જવાબ આપવાનું અઘરૂં છે. પૂછનારના મનમાં ફાયદાની ગણતરી રૂપિયાપૈસાના કે સ્થૂળ પ્રસિદ્ધિના અર્થમાં થતી હોય ત્યારે તો ખાસ. પરંતુ અત્યારે સામાજિક મૂલ્ય ગણાતી વૈચારિક સંકુચિતતાની બહાર નીકળીને વિચારીએ તો, પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indrajiનું જીવનકાર્ય દંતકથા જેવું લાગે.
ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji


ભગવાનલાલ ઇન્દ્રજીની ગુજરાતી અને અંગ્રેજી સહી
જૂનાગઢનો એક ગુજરાતી જણ ફક્ત ૪૯ વર્ષના જીવનકાળમાં એવું માતબર કામ કરીને જાય કે એ થકી ફક્ત ગુજરાતના જ નહીં, ભારતના ઇતિહાસમાં રહેલાં ગાબડાં પુરાય, ભારતની અસલી સંસ્કૃતિના દસ્તાવેજ જેવાં અનેક શિલાલેખ-શિલ્પ-સ્થાપત્યો તેનાં અર્થઘટન અને તસવીરો સહિત પ્રકાશમાં આવે, પરદેશી અભ્યાસીઓ- યુનિવર્સિટીમાં તેના અભ્યાસ-સંશોધનોની ભરપૂર કદર થાય, લેઇડન યુનિવર્સિટી તેમને માનદ્‌ ડોક્ટરેટની પદવીથી સન્માને, પ્રિન્સેપ-કનિંગહામ-બર્જેસ-બ્યૂલર જેવા પરદેશી વિદ્વાનો-અફસરોની હરોળમાં અંગ્રેજી ભાષાથી અલ્પપરિચિત એવા ગુજરાતી ભગવાનલાલને બરાબરીનું અને ઘણી વાર ચડિયાતું સ્થાન મળે

 - અને આ બઘું થયા પછી પણ ગુજરાતમાં ‘ભગવાનલાલ ઇન્દ્રજી? એ કોણ?’ એવો સવાલ પૂછાતો હોય.

નર્મદના દેશાભિમાન-યુગથી લઇને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સુધીનાં સવાસો- દોઢસો વર્ષમાં, ભગવાનલાલ ઇન્દ્રજીની ઉપેક્ષા એકંદરે ગુજરાતનો સ્થાયી ભાવ રહ્યો છે. ઉમાશંકર જોશીએ ૧૯૩૯ના એક લેખમાં ‘ગુજરાતના સીમાડા ભેદીને જેમની કીર્તિ બીજા પ્રાંતો અને દેશોમાં પ્રસરી છે અને પ્રસરતી રહેશે એવા ગુજરાતી સપૂતો’માં મહાત્મા ગાંધી, જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીની હરોળમાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ મૂક્યું હતું. ‘હૃદયમાં પડેલી છબીઓ’ પુસ્તકમાં ઉમાશંકરે પહેલી જ છબી ભગવાનલાલની આલેખી હતી. તેમાં એમણે લખ્યું હતું,‘જે પ્રજા સાચા પૂજાર્હોને (પૂજનીયોને) ઓળખી શકતી નથી તે ક્રમે ક્રમે પૂજ્ય પુરૂષોને પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂજ્યોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકીને ઊતરતી કક્ષાના ઠીંગુજીઓને જે પ્રજા પૂજે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.’

ઉમાશંકરનું આ વિધાન ગુજરાતીઓ માટે ફક્ત નિદાન નહીં, સચોટ આગાહી પણ બન્યું છે. ભગવાનલાલ જેવાં વિરાટ વ્યક્તિત્ત્વોને વિસારે પાડીને ગુજરાતની અસ્મિતાનાં બણગાં ફૂંકવામાં કશો વિરોધાભાસ ગણાતો નથી. અત્યાર લગી ભગવાનલાલ વિશેની સામગ્રીમાં દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું, ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રકાશિત કરેલું ભગવાનલાલનું જીવનચરિત્ર (કિંમત રૂ.૧, ૧૮૦૦ નકલ) હતું. એ સિવાય ઉમાશંકરનો લેખ કે ધોરાજીના ડૉ.હસમુખ વ્યાસ લિખિત પુસ્તિકા ‘પૂર્વના પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી’ (૨૦૦૯) જેવી છૂટીછવાયી સામગ્રી ખાંખાખોળા કરવાથી મળતી હતી. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજીની પ્રતિભા અને તેમના પ્રદાનને પૂરો ન્યાય આપે એવું જીવનચરિત્ર તેમના મૃત્યુની એક સદી પછી પણ મળ્યું ન હતું.

એ મહેણું જાણીતા અભ્યાસી વીરચંદ ધરમસી અને ‘દર્શક ઇતિહાસ નિધિ’એ આખરે ભાંગ્યું છે. ૭૭ વર્ષના વીરચંદભાઇએ વીસ વર્ષની મહેનત પછી, ખંત અને અભ્યાસપૂર્વક  અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં ભગવાનલાલ ઇન્દ્રજીનું ઉત્તમ જીવનચરિત્ર તૈયાર કર્યું છે. અંગ્રેજી ચરિત્ર પાંચસો પાનાંનું અને કેટલીક તસવીરો સાથેનું છે, જ્યારે ગુજરાતી ચરિત્ર કુલ ૨૯૬ પાનાંનું છે. પરંતુ ગુજરાતી ચરિત્રમાં સમાવાયેલી ભગવાનલાલ ઇન્દ્રજીની લગભગ સવા સો પાનાં જેટલી અસલ નોંધો એ પુસ્તકને અત્યંત મૂલ્યવાન અને ઐતિહાસિક રીતે મહત્ત્વનું બનાવે છે.

કોણ હતા ભગવાનલાલ ઇન્દ્રજી? સંસ્કૃતના વિદેશી વિદ્વાન તરીકે જાણીતા મેક્સમૂલરે તેમને મેક્સમૂલરે તેમના માટે ‘કોનશ્યન્શ્યસ સ્કોલર’ જેવું વિશેષણ વાપર્યું હતું. ઉમાશંકરે એ વિશેષણનું ગુજરાતી ‘પ્રામાણિક હૃદયબુદ્ધિના અભ્યાસી’ એવું કરીને લખ્યું હતું, ‘અભ્યાસીની કદર માટે આના કરતાં મોંઘો શબ્દ ભાગ્યે જ બીજો કોઇ હશે.’ જે સમયે ‘પંડિત’ શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંશોધકો-પુરાતત્ત્વવિદોને મદદ કરનાર સહાયક-આસિસ્ટન્ટ’ થતો હતો, ત્યારે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી ખરા અર્થમાં પુરાતત્ત્વની વિવિધ શાખાઓના પંડિત તરીકે ઊભરી આવ્યા.   જૂનાગઢમાં નવેમ્બર ૯, ૧૮૩૯ના રોજ જન્મેલા ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટે ફક્ત ૧૪ વર્ષની ઉંમરથી પડખે આવેલા ગિરનારના શિલાલેખો ઉકેલવાની મથામણ શરૂ કરી દીધી હતી.

ગિરનારના શિલાલેખ લાંબા સમયથી અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાવ્યાસંગી અંગ્રેજ અફસરો કે મિશનરીઓ આ શિલાલેખોની નકલ કરાવીને તેની લિપિ ઉકેલવા પ્રયાસ કરતા હતા. તેમાં જેમ્સ પ્રિન્સેપ અને ‘લેન્ગ લાયબ્રેરી’ થકી હજુ રાજકોટમાં જાણીતા એવા કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વિલિયમ લેન્ગ મુખ્ય હતા. લેન્ગને પોતાને પુરાતત્ત્વમાં રૂચિ હોવાથી પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોનો એક ચાર્ટ તેમણે જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં મોકલી આપ્યો હતો. ભગવાનલાલ એ પાઠશાળાના વિદ્યાર્થી. એટલે મૂળાક્ષરોના ચાર્ટથી જાગ્રત થયેલી જિજ્ઞાસા તેમને ગિરનારના શિલાલેખો ભણી ખેંચી ગઇ. બે વર્ષમાં તેમનો અભ્યાસ એટલો આગળ વઘ્યો કે કર્નલ લેંગ તેમનો ઉલ્લેખ ‘નાનકડા પુરાતત્ત્વવિદ્‌’ તરીકે કરતા હતા.

સામાન્ય સંજોગોમાં ભગવાનલાલ તેમની બધી પ્રતિભા સહિત જૂનાગઢ-કાઠિયાવાડના મર્યાદિત વર્તુળમાં સીમિત બનીને રહી ગયા હોત. પણ એલેક્ઝાન્ડર ફાર્બસે ફરી એક વાર ગુજરાતની મોટી સેવા કરી. દલપતરામને પ્રોત્સાહન-આશ્રય આપનાર ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમાતાં તે જુવાન ભગવાનલાલના પરિચયમાં આવ્યા. ‘નાનકડો પુરાતત્ત્વવિદ્‌’ ત્યારે જુવાન બની ચૂક્યો હતો. ફાર્બસે તેમનો પરિચય મુંબઇના અગ્રણી ડો.ભાઉ દાજી સાથે કરાવ્યો. ડો.ભાઉ અને ભગવાનલાલનો વિશિષ્ટ સંબંધ એ બન્ને ઉપરાંત પુરાતત્ત્વવિદ્યાની અનેક શાખાઓ માટે ભારે ફળદાયી પુરવાર થયો.

કવિ નર્મદ જેમને પોતાના ‘વડીલભાઇ જેવા અને પરમ સ્નેહી’ ગણતા હતા એ ડો.ભાઉ (સાચું નામઃ રામકૃષ્ણ વિઠ્‌ઠલ) કળા-સાહિત્ય ઉપરાંત પુરાતત્ત્વના પણ અચ્છા અભ્યાસી હતા. ફાર્બસની ભલામણથી તેમણે ભગવાનલાલની ચકાસણી કરી લીધા પછી લખ્યું, ‘તમે મુંબઇ આવી જાવ અને મારી સાથે કામ કરો. પુરાતત્ત્વકીય સંશોધનના નવા ક્ષેત્રમાં તમને જે સગવડો જોઇશે એ મળી રહેશે.’ ભાઉનું આમંત્રણ સ્વીકારીને ભગવાનલાલ ૨૨ વર્ષની વયે, એપ્રિલ ૨૪, ૧૮૬૨ના રોજ મુંબઇ આવી ગયા. તેમનો અને ભાઉનો સાથ ભાઉના મૃત્યુ સુધી ટક્યો.
ડો.ભાઉ દાજી/ Bhau Daji 
ભાઉએ પૂરી પાડેલી સુવિધાઓનો ઉપયોગ કરીને ભગવાનલાલ અભ્યાસ કરે, લેખો ઉકેલે, પ્રવાસો કરે, નવી શોધો કરે અને ડો.ભાઉ તેના આધારે સંશોધનલેખો રજૂ કરે. આ જાતની ગોઠવણ  અત્યારે અજૂગતી લાગી શકે, પરંતુ એ સમયે ભગવાનલાલ એ ગોઠવણથી રાજી અને સંતુષ્ટ હતા. ૧૮૭૪માં લાંબી બિમારી પછી ડો.ભાઉનું અવસાન થયું, તેનાં ચાર વર્ષ પહેલાં ભાઉએ પહેલી વાર પોતાના શોધનિબંધમાં ભગવાનલાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ એ ક્ષેત્રના જાણકારો ભાઉના લેખોમાં ભગવાનલાલના પ્રદાનથી બરાબર વાકેફ હતા. 
 અંગ્રેજ સરકારે ૧૮૬૧માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેના પહેલા વડા કનિંગહામને મહિને રૂ.૨૦૦૦ પગાર મળતો હતો અને તેમની કામગીરીનું વાર્ષિક ખર્ચ રૂ.૫૪ હજાર આવ્યું હતું.

એવું જ કામ કરવા માટે ભગવાનલાલને મહિને રૂ.૨૦૦ મળતા હતા. આ રકમ જૂનાગઢના નવાબ તરફથી તેમને ડો.ભાઉ દાજીના ‘પંડિત’ તરીકે ચૂકવાતી હતી. કનિંગહામના પગારની સરખામણીમાં આ રકમ મામૂલી લાગે, પણ ૧૮૬૦ના દાયકાને ઘ્યાનમાં રાખતાં ભગવાનલાલને આ પગારમાં શોષણનો અહેસાસ ન થયો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત, ડો.ભાઉ દાજીએ પોતાને તક આપી એ વાતનો ગુણ ભગવાનલાલના મનમાં છેવટ સુધી રહ્યો હતો. એટલે, પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ મુંબઇની રોયલ એશિયાટિક સોસાયટીને આપતાં તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે એ સંગ્રહને પોતાના ગુરૂ અને શેઠ ડો.ભાઉ દાજીનાં સંસ્કૃત પુસ્તકો જે કબાટમાં છે, તેની બાજુના કબાટમાં રાખવો અને તેની પર ‘ડો.ભાઉ દાજીના શિષ્ટ ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ’ એમ લખાવવું.

(મુંબઇ આવ્યા પછી ભગવાનલાલે મઘ્ય-ઉત્તર ભારતના ભ્રમણની સાથોસાથ, જૈન ધર્મના ઇતિહાસથી માંડીને ‘કામસૂત્ર’ની પહેલી આલોચનાત્મક આવૃત્તિ- તેના ગુજરાતી અનુવાદ સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યાં. ઇતિહાસમાંથી દંતકથા ગાળીને તેનાં સ્વસ્થ-તટસ્થ અર્થઘટન આપ્યાં. તેની વિગતો આવતા સપ્તાહે.)

Wednesday, June 13, 2012

બપોરની ઊંઘઃ તુમ જાગો, મૈં સો જાઉં


ઊંઘ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના મનુષ્યજાતિને મળેલું દૈવી વરદાન છે. થર્ડ ડિગ્રી અજમાવતા કેટલાક પોલીસ ગુનેગારોને બેરહમીથી ઝૂડવાને બદલે ફક્ત ઉંઘવા ન દે, તો પણ ગુનેગાર રાડ પોકારી જાય છે. આ મહિમા થયો રાતની ઊંઘનો. પરંતુ અઘ્યાપકો અને બીજા કેટલાક લોકો જાણે છે કે રાતની ઊંઘ કરતાં પણ બપોરની ઊંઘ વધારે મૂલ્યવાન જણસ છે. રાતની ઊંઘ મૂડી છે, તો બપોરની ઊંઘ વ્યાજ છે. સામાજિક લેખો લખનારા-વાંચનારા સૌ જાણે છે કે લોકોને મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. 

રાતની ઊંઘ માનવ અધિકાર હોય, તો બપોરની ઊંઘ સુખીયાઓનો માનવ અધિકાર છે. સુખીયા સારા જગ હૈ, ખાવે ઔર સોવે, દુખીયા દાસ કબીર હૈ, જાગે ઔર રોવેએવું કબીરજીએ રાતની ઊંઘ માટે કહ્યું હતું કે બપોરની ઊંઘ માટે, એ ગહન ચર્ચા અને વાદવિવાદનો મુદ્દો છે. એમાં પણ કોઇ સેમિનારમાં જમ્યા પછીના સેશનમાં આ મુદ્દો ચર્ચવામાં આવે, તો લોકો શબ્દોના ખડકલાથી નહીં, પણ એમ્પિરિકલ એવીડન્સીસ’- પ્રત્યક્ષ પ્રમાણોથી સાબીત કરી શકે છે કે કબીરજીનો આ દોહો બપોરની ઊંઘ માટે છે.

બપોરની ઊંઘ બધાને નસીબ થતી નથી. તેના માટે કયા જન્મમાં કેટલાં પુણ્ય કરવાં પડે, તેના સમીકરણની શોધ ચાલુ છે. એ માથાકૂટમાં ન પડવું હોય તોે અઘ્યાપક બનીને -અઘ્યાપકસહાયક નહીં, અઘ્યાપક બનીને- બપોરની ઊંઘ આ જન્મે જ પ્રાપ્ત કરી શકાય છે. એક સમય હતો જ્યારે અઘ્યાપકઆલમ તેમની વિદ્વત્તા માટે અને વિદ્યાવ્યાસંગ માટે જાણીતી હતી. હવે જૂજ અપવાદોને બાદ કરતાં, મોટા ભાગના અઘ્યાપકો વિદ્યાવ્યાસંગને બદલે વામકુક્ષીવ્યાસંગ માટે વધારે નામીચા ગણાય છે.
 સંસ્કૃતમાં વામકુક્ષી કે અંગ્રેજીમાં સિએસ્તા જેવા ફેન્સી શબ્દો હકીકતમાં બપોરે ઊંઘવાના અપરાધભાવ-ગિલ્ટમાંથી મુક્તિ મેળવા માટે  અને એ પ્રક્રિયાને શાસ્ત્રોક્ત કે સંસ્કૃત્યોક્ત બનાવવામાટે પ્રયોજાય છે. 

બપોરે ઊંઘવું એ લક્ઝરી હોવાથી, એ ભોગવનાર એક તરફ આનંદ અનુભવે છે, પરંતુ બપોરે પણ જાગતો તેનો અંતરાત્મા તેને યાદ કરાવે છે કે હે ભોગી જીવ, તારા જેવા બીજા સેંકડો લોકો ઉનાળાની આ ધોમધખતી કે શિયાળાની હૂંફાળી બપોરે મજબૂરી કે મહત્ત્વાકાંક્ષાથી કામ કરી રહ્યા છે ત્યારે તું શાંતિથી ઘોરે છે. તને જરાય શરમ નથી આવતી?’

હિંદી ફિલ્મોની ચવાઇ ગયેલી શૈલીમાં, એક તરફ બપોરે ઉંઘનાર અઘ્યાપક હોય અને તેનો અંતરાત્મા બીજી તરફ. બન્ને જણ વચ્ચે સામસામી દલીલબાજી ચાલે છે.
અંતરાત્માઃ અલ્યા ઊંઘણશી, આમ બપોરે શું ઘોરવા પડ્યો છે?
અઘ્યાપકઃ (ઉંઘરેટા અવાજમાં) સૂવા દે ને યાર. તને ખબર છે, સવારના છ વાગ્યામાં જાગવું પડે છે. પછી તું જ કહે, બપોરે સૂવું એ મારા માટે વૈભવ છે કે શરીર સારું રાખવા માટેની જરૂરિયાત?
અંતરાત્માઃ (મંદ સ્મિત સાથે) આ દલીલ હવે જૂની થઇ. તને ખબર છે, કેટલા લોકોની સવાર પાંચ વાગ્યે પડી જાય છે? છતાં એ લોકો બપોરે ઊંઘતા નથી. તેમની તબિયત સારી જ રહે છે.
અઘ્યાપકઃ પણ હું ચાલુ નોકરીએ કે મારું કામ છોડીને સૂતો નથી. પછી મારે શા માટે અપરાધભાવ અનુભવવો જોઇએ?
અંતરાત્માઃ પણ તું જાગતો હોત, તો થોડું વધારે કામ કરી શકત કે નહીં? એમ કરવાથી સંભવ છે કે તને મળતા અપ્રમાણસરના પગારનો થોડો હિસ્સો કદાચ વસૂલ થાય.
અઘ્યાપકઃ ખબરદાર જો મારા પગારનો ઉલ્લેખ કર્યો છે તો. તેને બપોરે સૂવા સાથે શી લેવાદેવા છે? હું જાણું છું કે તમને બધાને ખરેખર અમારી બપોરની ઊંઘ નહીં, પણ અમારો તોતંિગ પગાર ખૂંચે છે.
અંતરાત્માઃ કદાચ. પણ વધારે સાચું એ છે કે તારા તોતિંગ પગારને લીધે તારી બપોરની ઊંઘ ખૂંચે છે.
અઘ્યાપકઃ તું બહુ ચીકણાશ કરે છે. આવી મસ્ત બપોરે ખાઇ-પીને ઊંઘી જવાનું હોય કે આવી ફાલતુ ચર્ચાઓ કરવાની હોય? તારે જાગવું હોય તો જાગ. હું તો આ સૂતો.
અંતરાત્માઃ સાહેબ, હું બરાબર જાગતો હોત તો તમે શી રીતે નિરાંતે સૂઇ શકતા હોત?

કોઇ તેજસ્વી ઘૃષ્ટ વિદ્યાર્થીની યાદ અપાવતા અંતરાત્માની ફટકાબાજીથી નારાજ અઘ્યાપક, ઓઢવાનું છેક માથા સુધી ખેંચીને ફરી નસકોરાં બોલાવવા માંડે છે. એ સાથે જ અંતરાત્મા અદૃશ્ય.

આરોગ્યશાસ્ત્ર અને આયુર્વેદમાં બપોરની ઊંઘનો ભારે મહીમા છે. પરંતુ બપોરની ઊંઘના શત્રુઓ માને છે કે તે શાસ્ત્રો પણ જે તે સમયના અઘ્યાપકોએ જ લખ્યાં હતાં. એટલે, સરકાર બનાવટી એન્કાઉન્ટર માટે પોતાની મનગમતી થિયરી ઘડી કાઢે તેમ, અઘ્યાપકોએ પોતાને અનુકૂળ એવા બપોરની ઊંઘ અને તેનાથી થતા ફાયદાના સિદ્ધાંત રચ્યા હશે.

જુદા જુદા લોકો પર બપોરની ઊંઘની વૈવિઘ્યપૂર્ણ અસર જોવા મળે છે. એક વર્ગ પોતે બપોરે ઊંઘતો ન હોવાની જાહેરાત, ‘હું લાંચ લેતો નથીએ પ્રકારના ગૌરવથી કરે છે. તેમને લાગે છે કે બપોરે ન ઊંઘીને તે કિંમતી માનવસમય રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી રહ્યા છે. બપોરે ઊંઘવું એ તેમને તમાકુ ખાવા કે બીડી-સિગરેટ પીવા જેવું વ્યસન લાગે છે. એમાં થોડો ફાળો જોકે બપોરની ઉંઘના પ્રેમીઓનો પણ હોય છે. એ લોકો બપોરની ઊંઘ માટે એવો આસક્તિભાવ બતાવે છે કે તેમની પત્ની તુલસીદાસની કથા જાણતી હોય તો પતિને ઠપકો આપતાં બોલી ઉઠે, ‘બપોરની ઊંઘ માટે રાખી એટલી આસક્તિ ઇશ્વર માટે રાખી હોત તો તમને મોક્ષ મળી ગયો હોત.પતિ તુલસીદાસ ન હોવાને કારણે એ પણ સામો જવાબ આપત, ‘અહીં ઇશ્વર કોને જોઇએ છે? બપોરે ઊંઘવા મળે તે ભગવાન મળ્યા બરાબર જ છે.

રાત્રે મોડા સૂઇને બપોરે વેળાસર સૂઇ જવાથી બળબુદ્ધિ ને ધન વધેએવું માનનારા પણ હોય છે. તેમને સ્વપરિચયનાં પાંચ વાક્યો બોલવાનું કહેવાય તો પોતાના નામ અને વ્યવસાય પછી તેમનું ત્રીજું વાક્ય કદાચ આ હોયઃ પ્લીઝ, બપોરે બેથી ચાર ફોન ન કરતા. એ મારો સૂવાનો સમય છે.મોટા ભાગના લોકો માટે બપોરની ઊંઘ કાગઝકી કશ્તી અને બારિશકા પાની ટાઇપની, બાળપણ સાથે સંકળાયેલી બાબત છે. ભણતી વખતે વેકેશનમાં બપોરે ચચ્ચાર કલાક સુઇ જવાનું સ્મરણ મોટપણે બપોરે નોકરી ટીચતી વખતે, અફસોસપ્રેરક અતીતરાગમાં ધકેલી દેવા માટે પૂરતું હોય છે.

બપોરે નિયમિત રીતે ઉંઘી જનારા લોકોમાંથી કેટલાક અંદરખાને પોતે કંઇક ખોટું કરી રહ્યા હોવાનો આછેરો અહેસાસ ધરાવતા હોય છે. એટલે બપોરે ઉંઘવાને તે ટેવ કે લક્ઝરીને બદલે બીજાં પરિબળો સાથે સાંકળીને પોતે દોષમુક્ત થવા પ્રયત્નશીલ રહે છે. એના માટે સૌથી હાથવગું બહાનું છે ભોજન. બપોરટાણે આખેઆખો હાથી સમાવી દેવાનો હોય એમ જડબાં ફાડીને બગાસાં ખાતા લોકો કહે છે,‘આજે જમવાનું જરા ભારે થઇ ગયું (બગાસું) બાકી આપણને બપોરે ઊંઘવાની (બગાસું) બિલકુલ ટેવ નથી. (બગાસું.)એ પછી પથારીગ્રસ્ત થતાં સુધી બોલાતાં તેમનાં દરેક વાક્યોમાં વિરામચિહ્નોની જગ્યાએ બગાસાં સાંભળવા મળે છે.

બપોરે નહીં ઊંઘનારા અને એ બદલ ગૌરવ લેનારા લોકોની પણ પોતપોતાની થિયરી હોય છે. એમાંની સૌથી સામાન્ય દલીલ છેઃ બપોરે સુઇ જઉં તો રાત્રે ઊંઘ જ ન આવે.આ પ્રકારના લોકોને બપોરે ન ઊંઘવાથી મળતો કર્મઠતાનો સંતોષ પૂરેપૂરો મળતો નથી. કારણ કે તેમનો બપોરનો ઉજાગરોફરજપરસ્તીનું નહીં, પણ મજબૂરીનું પરિણામ છે. ધન્ય છે એવા લોકોને જે કહેતા હોય,‘હું બપોરે સૂતો નથી. કારણ કે સુઇ જઉં તો પછી ત્રણ-ચાર કલાકની કડક ઊંઘ આવી જાય અને ઉઠ્‌યા પછી પણ ક્યાંય સુધી- ઘણી વાર તો રાત્રે સુઇ ન જઉં ત્યાં સુધી- સુસ્તી લાગ્યા કરે.

સુવાની ક્રિયા સામાન્ય રીતે એટલી પ્રાકૃતિક અને સ્વયંસ્પષ્ટ છે કે તેની વ્યાખ્યા કરવાની જરૂર ન પડે. પરંતુ બપોરની ઊંઘની વાત આવે ત્યારે મામલો જરા પેચીદો બને છે. બપોરે જમ્યા પછી ઓફિસમાં ટેબલ પર માથું ઢાળીને કે ખુરશી પર માથું ઢળતું રાખીને, આંખ મીંચીને બેઠેલો કર્મચારી સૂતો છે કે નહીં, એ વિવાદાસ્પદ મુદો બની શકે છે. બોસને લાગે છે કે કર્મચારી ઘોરે છે, જ્યારે કર્મચારીને પોતાને લાગે છે કે એ જમ્યા પછીની સુખમય સ્થિતિ-ઉત્તરભોજનાવસ્થા-માં વિહરી રહ્યો છે. એ સ્થિતિમાં આંખો મહાપરાણે ખુલ્લી રાખીને, બગાસાં ખાતાં ખાતાં પરાણે કામમાં માથું ખૂંપાવેલું રાખવામાં તેને કાર્યદેવતા ઉપરાંત અન્નદેવતા, નિદ્રાદેવીનું પણ અપમાન લાગે છે. ત્રિવિધ અપમાનને બદલે તે આંખ બંધ કરીને થોડી મિનીટ વિચારાધીનથતો હોય કે અંતરાત્મા સાથે સંવાદસાધતો હોય, ત્યારે ખલેલ પાડનારને કયું નરક મળે એ તો ખ્યાલ નથી, પણ એ નરકમાં બપોરે ઊંઘનારને ભાલા ઘોંચીને જાગતા રાખવામાં આવતા હશે એટલું નક્કી.

Tuesday, June 12, 2012

ગુજરાતી વિષયનું ‘બારમા પહેલાંનું દસમું’


જૂન ૨, ૨૦૧૨ના રોજ દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું.   કુલ ૯.૨૬ લાખ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૬.૨૯ લાખ (૬૯.૧૦ ટકા) વિદ્યાર્થી પાસ થયા. ગણિતમાં સૌથી વધારે, બે લાખથી પણ વઘુ વિદ્યાર્થીઓ, નાપાસ થયા. સારું ન કહેવાય, પણ સમજાય એવું ખરું. ગણિત માથાભારે વિષય તરીકે નામચીન છે. આપણી શિક્ષણ વ્યવસ્થા અને પાઠ્‌યપુસ્તકોએ તેને છે એના  કરતાં ઘણો વધારે ખતરનાક બનાવી મૂક્યો છે.

અંગ્રેજીમાં ૧ લાખ ૩૭ હજાર વિદ્યાર્થી નાપાસ થયા. ખોટું થયું, પણ એ આઘાતજનક નથી. અંગ્રેજીના પેપરનો કોઠો વીંધવાનું ગુજરાતી માઘ્યમમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ આકરું લાગે છે. મનમાં પેઠેલો અંગ્રેજીનો ડર, અંગ્રેજી શીખવનારાની આવડતના ગંભીર પ્રશ્નો, વિદ્યાર્થીઓ ભૂલથી પણ જાતે વિષય શીખી ન જાય એ પ્રકારનાં પાઠ્‌યપુસ્તકો, અંગ્રેજી વાચનનો અભાવ, ઘરમાં કે સમાજમાં અંગ્રેજી ભાષા સાથેનું છેટું...

પરંતુ સૌથી આશ્ચર્યજનક, આઘાતજનક અને સમજી કે સમજાવી ન શકાય એવું પરિણામ ગુજરાતીના પેપરનું આવ્યું : ૯.૨૬ લાખ વિદ્યાર્થીઓમાંથી ૮૮,૯૩૦ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા.  આ બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમના નહીં, પણ ગુજરાતી માઘ્યમની શાળાઓમાં ભણનારા હતા. ગુજરાતી વાતાવરણમાં, ગુજરાતી ભાષા વચ્ચે જીવતા અને માતૃભાષામાં લખાયેલું માતૃભાષાનું પાઠ્‌યપુસ્તક ભણતા વિદ્યાર્થીઓ એની પરીક્ષામાં પાસ પણ ન થઇ શકે, એ હકીકત  પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તા, શિક્ષકોની સમસ્યાઓ અને વિષય તરીકે ગુજરાતીની ગંભીર ઉપક્ષા જેવાં અનેક પરિબળોનો ખ્યાલ આપે છે. તેમાં સૌથી વઘુ જવાબદાર ગણાય શિક્ષણખાતું.

શિક્ષણના નામે જાતજાતના ઉત્સવોનાં ગતકડાં કરવામાં રાચતા મુખ્ય મંત્રી કેળવણીની આંકડાકીય ‘સિદ્ધિઓ’નાં ઢોલનગારાં વગાડતા ફરે છે. વિદ્યાસહાયકોના સત્તાવાર શોષણ અને શિક્ષણના બેફામ ધંધાદારીકરણનાં માઠાં પરિણામ હવે કોઇ પણ વ્યક્તિ જોઇ શકે એવાં ઉઘાડાં છે, પરંતુ ગુજરાતમાં મુખ્ય મંત્રીના જાહેરખબરીયા પ્રભાવથી દૂર હટીને, શાંતિથી વિચારવાનું હજુ ઘણા લોકોને અઘરું પડે છે.

ચિંતા અને ચર્ચા

ના, કહેવાનું તાત્પર્ય એ નથી કે મુખ્ય મંત્રી નિશાળોમાં જઇને દસમા ધોરણના ગુજરાતીના ક્લાસ લે. (એવું થાય તો વિદ્યાર્થીઓનું ગુજરાતી સુધરતાં સુધરે, પણ તે પહેલાં એમનું સમાજશાસ્ત્ર બગડી જાય.) પરંતુ નિશાળોમાં ગમે તે ભોગે- ગમે તેટલા ખર્ચે ભાડાના ટીવી સ્ક્રીન મૂકાવીને, પોતાની ભાષણબાજી વિદ્યાર્થીઓના માથે મારવાનો પ્રબંધ મુખ્ય મંત્રી કરી શકતા હોય, તેમને એ ઉંમરથી જ પોતાના પ્રભાવમાં આણવા કોઇ કચાશ ન છોડતા હોય, તો એ મુખ્ય મંત્રી વિદ્યાર્થીઓને મળતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પગલાં ન લઇ શકે?

ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓનો ધબડકો ફક્ત ૨૦૧૨ની ઘટના નથી. વર્ષ ૨૦૧૧માં ગુજરાતી માઘ્યમના ૬૮ હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. ત્યાર પહેલાં, વર્ષ ૨૦૧૦માં ગુજરાતી માઘ્યમના ૮૬ હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ‘ઉડ્યા’ હતા અને તેના આગલા વર્ષે, ૨૦૦૯માં ૯૫,૮૩૧ વિદ્યાર્થીઓનો ગુજરાતીમાં ધબડકો થયો હતો. પરંતુ ‘ગુજરાતની અસ્મિતા’નાં અને ‘ગુજરાતનું અપમાન’નાં ઢોલનગારાંમાં ક્યાંય આ બાબતનો ઉલ્લેખ સાંભળવા મળ્યો? ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે, તેની જવાબદારી કેન્દ્ર સરકાર પર ઢોળી શકાતી હોત તો મુખ્ય મંત્રીએ ક્યારનો આ મુદ્દો ઉપાડ્યો હોત. પરંતુ એ શક્ય નથી. એટલે દસમા ધોરણનાં પરિણામ જાહેર થાય તેના બીજા દિવસે અખબારોમાં આવતા છૂટાછવાયા સમાચાર પછી,  એ વિશે ભાગ્યે જ આગળ ચર્ચા થાય છે.

અલબત્ત, આ બાબતે સરકારી રાહે કશું જ કામ થયું નથી, એવું ન કહી શકાય. બન્યું એવું કે વર્ષ ૨૦૦૪માં દસમા ધોરણમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી ૩૦.૨૩ ટકા. દર દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ડૂલ. તેના પગલે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તથા એજ્યુકેશન રીસર્ચ ઓફિસર વચ્ચે ચર્ચા શરૂ થઇ. બોર્ડના સભ્યો અને બીજા શિક્ષણવિદોએ પણ ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની ખરાબ દશા અંગે ચંિતા વ્યક્ત કરી. તેના પગલે એવું ઠરાવવામાં આવ્યું કે ગુજરાતીમાં વિદ્યાર્થીઓને ક્યાં મુશ્કેલી પડે છે, તે જાણવાનો પ્રયાસ કરવો અને એ મુશ્કેલીઓ દૂર કરવા માટે શું થઇ શકે તે સૂચવવું. પેપરના જવાબ લખવામાં વિદ્યાર્થીઓ ક્યાં અને કેવા છબરડા વાળે છે, એ પણ જાણવું જરૂરી બન્યું.

અંદાજિત નહીં, પણ અભ્યાસ આધારિત જાણકારી મળે એ માટે વર્ષ ૨૦૦૪માં ગુજરાતી વિષયમાં ૩૦થી ઓછા માર્ક મેળવનાર ૫૦૦ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ અડસટ્ટે પસંદ કરવામાં આવી. એ તપાસવા માટે ૪૫ શિક્ષકો પસંદ કરીને તેમાંથી પાંચ-પાંચ જણની ટુકડી પાડી દેવામાં આવી. દરેક ટુકડીએ બધાં પેપરમાંથી નક્કી કરેલા એક જ પ્રશ્નનો જવાબ તપાસવાનો. જવાબની ચકાસણી વખતે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવાની અને આ કવાયતનો આશય શો છે, તે શિક્ષકોને સમજાવવામાં આવ્યું. તેનાં પરિણામ ‘એનલાઇઝ્‌ડ સ્ટડી ઓફ ધ આન્સર બુક્સ ઓફ સ્ટુડન્ટ્‌સ હુ હેવ ગોટ લેસ ધેન ૩૦ % માર્ક્‌સ ઇન ગુજરાતી સબ્જેક્ટ ઇન એસ.એસ.સી. એક્ઝામિનેશન ઓફ માર્ચ-૨૦૦૪’ એવા મથાળા હેઠળ બહાર પાડવામાં આવ્યું. તેના લેખક તરીકે ડૉ.અશોક પટેલનું નામ હતું.

આ અભ્યાસ મૂળ ગુજરાતીમાં તૈયાર થયો હશે અને પછી તેનો સરકારી રાહે અંગ્રેજીમાં અનુવાદ કરાવવામાં આવ્યો હશે, એવું તેના અત્યંત રેઢિયાળ અને શરમજનક અંગ્રેજી પરથી ધારી શકાય. ગુજરાતી માઘ્યમમાં બારમું ધોરણ ભણેલો ધોરણસરનો વિદ્યાર્થી પણ આ ‘એનલાઇઝ્‌ડ સ્ટડી’માં છે એવા ભાષાના ગોટાળા ન કરે.

અભ્યાસ અને તારણો

શિક્ષણને લગતી વાત હોય ત્યારે તેના અહેવાલમાં ભાષાના છબરડાની વાત કરવાનું જરાય અસ્થાને નથી. છતાં, મૂળ વિષય બાજુએ ન રહી જાય એ માટે, અહેવાલનાં પરિણામો અને તારણો પર આવીએ. નવેમ્બર ૭, ૨૦૦૪ થી નવેમ્બર ૯, ૨૦૦૪ દરમિયાન શિક્ષકટુકડીઓએ તપાસેલાં ૫૦૦ પેપરમાંથી પ્રાથમિક ધોરણે આટલા મુદ્દા તારવ્યાઃ  અવાચ્ય- ગરબડીયા અક્ષરો, જુદા જુદા પ્રકારો લખવામાં પડતી મુશ્કેલીઓ (અંગ્રેજીઃ વીકનેસ ઇન રાઇટિંગ ડાઉન ધ વેરીયસ ફોર્મ્સ ઓફ રાઇટિંગ), જોડણીની અઢળક ભૂલો (જોડણીના માર્ક કપાતા હશે? અને વિદ્યાર્થીઓના માર્ક કાપી શકાય એટલી જોડણી મોટા ભાગના શિક્ષકોને આવડતી હશે?),  નબળું લેખનકૌશલ્ય, મૌલિકતાનો અભાવ (શિક્ષકો કરતાં પણ વધારે હશે? એવો સવાલ થાય).

વિગતવાર મુદ્દા આધારિત પૃથક્કરણમાંથી કઢાયેલાં કેટલાંક નમૂનારૂપ તારણઃ

ગદ્ય (પાઠ) આધારિત સવાલો ૩૦ ટકા વિદ્યાર્થીઓએ છોડી દીધા હતા. બાકીનાએ આપેલા જવાબમાંથી ૬૦ ટકા જવાબોની સામગ્રીમાં ગોટાળા હતા.

ગદ્ય કરતાં પદ્યના - પાઠ કરતાં કવિતાના જવાબ લખવાનું વિદ્યાર્થીઓને વધારે અઘરું પડ્યું હતું. ૩૫ ટકા લોકોએ અઘૂરા જવાબ લખ્યા હતા. ૭૦ ટકા લોકોના જવાબ ખોટા હતા. ૬૦ ટકા લોકોની લેખિત અભિવ્યક્તિ નબળી હતી.

નિબંધોમાં આરંભ, મઘ્ય અને અંત જેવા માળખામાં વિદ્યાર્થીઓ બરાબર લખ્યા ન હતા. તેમના નિબંધોમાં મૌલિકતાનો અભાવ હતો. ૩૦ ટકા વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યા ન હતા. અહેવાલલેખનમાં પરિસ્થિતિ વધારે ખરાબ હતી. ૪૦ ટકા લોકો તેને અડ્યા ન હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહેવાલના સ્વરૂપથી અજાણ હતા. અહેવાલમાં શું લખાય અને કેવી રીતે લખાય એનો તેમને ખ્યાલ ન હતો.

આપેલા ગદ્યખંડનો સંક્ષેપ લખવાનો સવાલ ૪૦ ટકા વિદ્યાર્થીઓએ છોડી દીધો હતો. ૫૦ ટકા વિદ્યાર્થીઓએ આખેઆખો ફકરો જવાબ તરીકે ઉતાર્યો હતો. ગદ્યખંડનું યોગ્ય શીર્ષક એક પણ વિદ્યાર્થી આપી શક્યો ન હતો.

કવિતા અને તેના સવાલજવાબ અડધાઅડધ વિદ્યાર્થીઓએ જવા દીધા હતા. એકેય વિદ્યાર્થીને કવિતાનો મુખ્ય ભાવ પકડાયો ન હતો. એવી જ રીતે, ૫૦ ટકા વિદ્યાર્થીઓએ વિચારવિસ્તારનો સવાલ પણ છોડી દીધો હતો.

 ૧૨ માર્કનું વ્યાકરણ વિદ્યાર્થીઓને સૌથી અઘરું લાગ્યું. ૨૮ ટકા લોકોએ આખો સવાલ છોડી દીધો. ૧૮ ટકાને તેમાં એકેય માર્ક મળ્યો નહીં અને ૫૦ ટકા લોકોને ફક્ત ૦ થી ૫ માર્ક જ મળ્યા.
***

પુનરોક્તિ કરીને પણ કહેવું પડે કે આખો અહેવાલ અત્યંત ભયંકર, હાસ્યાસ્પદ અને ગોટાળીયા અંગ્રેજીમાં લખાયો છે. જો એ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનો સત્તાવાર અહેવાલ હોય તો, બોર્ડે શરમથી ડૂબી મરવાના વિકલ્પે જવાબદાર અધિકારીઓ પાસે સો-સો વાર આ અહેવાલ હાથેથી લખવાની શિક્ષા કરવી જોઇએ.

ગુજરાતીમાં નાપાસ થયેલા ૫૦૦ વિદ્યાર્થીઓના જવાબ તપાસવાની કવાયતનું મહત્ત્વ ખરું, પણ તેનાં તારણ વિદ્યાર્થીઓના જવાબ જોયા વિના કલ્પી શકાય એવાં છે. વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં રસ પ્રેરી શકે એવા શિક્ષકો અને એવા શિક્ષકોને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ વર્ષોથી ખતમ થયું છે. ગુજરાતી વ્યાકરણ વર્ષોથી અસ્પૃશ્ય અને ન ચલાવવાનો વિષય ગણાય છે. ભણતરને બદલે ટકાઘેલાં માબાપ-શિક્ષણસંસ્થાઓ ટકાવારીની ઉંદરદોડમાંથી ઊંચાં આવે ત્યારે ભાષા પ્રત્યે ઘ્યાન જાય ને? એમાં પણ ગુજરાતી ભાષા એટલે ઘરકી મુર્ગી. એ બધાની અને કોઇની નહીં. તેની પાછળ સમય કોણ બગાડે? કારકિર્દીમાં એ શું કામ લાગવાની?

 જેટલું ખરાબ ગુજરાતી બોલીએ એટલું જ ખરાબ ગુજરાતી લખીએ તો ચાલી જશે, એવો આત્મવિશ્વાસ નવા સમયની તાસીર છે, તો શિક્ષકોની કથળતી ગુણવત્તા એ બે-ત્રણ દાયકા પહેલાંથી આરંભાયેલી પ્રક્રિયા છે. પરંતુ એ સુધારવા તરફ ઘ્યાન આપવાને બદલે, સસ્તા ભાવના શિક્ષકો મેળવવાનો અને શિક્ષણની દુકાનોને ઉત્તેજન આપવાનો વિકલ્પ સરકારોને વધારે અનુકૂળ આવ્યો છે.

આવાં અનેકવિધ કારણોનું કરુણ પરિણામ દસમા ધોરણના ગુજરાતીના પરિણામ વખતે ઘડીક પ્રકાશમાં આવીને પછી ભૂલાતું રહે છે. હવે એની શરમ પણ રહી નથી. એટલે, ‘એનલાઇઝ્‌ડ સ્ટડી’માં કરાયેલાં શિક્ષકોજોગ સૂચનો પોથીમાંનાં રીંગણાં બનીને રહી જાય એમાં કશી નવાઇ નથી- અને એના માટે શિક્ષકો કરતાં પણ વધારે દોષી શિક્ષણતંત્ર છે.

Monday, June 11, 2012

૧૨૦ વર્ષ પહેલાંના કાશ્‍મીરનું વર્ણનઃ ‘કલાપી'ની કલમે


આતંકવાદના ઓળા મહદ્‌ અંશે દૂર થતાં કાશ્‍મીર ફરી એક વાર પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. તેના માટે વપરાતું ‘પૃથ્‍વી પરનું સ્‍વર્ગ'  જેવું વિશેષણ જાહેરખબરીયા અતિશયોક્‍તિ નહીં, પણ વાસ્‍તવિકતા છે. એવો અહેસાસ ૨૦૧૨ના પ્રવાસીઓ જેટલો જ, કદાચ એથી પણ વધારે ૧૮૯૧માં કાશ્‍મીર/ Kashmir જનારા ‘કલાપી'ને થયો હતો. લાઠીના કુમાર સૂરસિંહજી ગોહેલ ત્‍યારે માંડ ૧૮ વર્ષના હતા. કવિ ‘કલાપી' તરીકે તેમનો જન્‍મ થવો બાકી હતો. પરંતુ તેમનામાં પાંગરી રહેલી કવિદૃષ્ટિનો પરિચય તેમણે લખેલા કાશ્‍મીરના પ્રવાસવર્ણનમાંથી મળી આવે છે.

સૂરસિંહજી ગોહેલ 'કલાપી'
‘તળાવ જેવી સ્‍થિર' દેખાતી જેલમ નદીના પ્રવાહ વિશે તેમણે એક જ વાક્‍યમાં પ્રયોજેલી ઉપમાઓ : મુગ્‍ધાના નુપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાળાના રથના ધૂઘરા જેવો, પછી મદમત્ત ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા વાંસની ઝાડીમાં ફૂંકાતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સામે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલમાંથી શંકરજટા પર અને શિવમસ્‍તક પરથી મેરૂ પર્વત પર પડતી ભાગીરથીના ધુઘવાટ જેવો...

આ પ્રવાહનું વર્ણન આગળ વધારતાં તેમણે લખ્‍યું હતું: ‘પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અનેક ઇન્‍દ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઊછળતાં, નીચે જતાં, ફેલાઇ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્‍પન્‍ન કરતો, પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઇ રહેતો, વૃક્ષ, વેલી અને પથ્‍થરોને ઘુ્રજાવતો, પાતાળ ફાડી નાખવાના યત્‍ન કરતો, કાશ્‍મીરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણવિવર બંધ કરતો...

કાશ્‍મીરનું પ્રવાસવર્ણન સૂરસિંહજીએ લેખ તરીકે નહીં, પણ પોતાના શિક્ષક ‘પ્રિય માસ્‍તરસાહેબ જોશીજી' (નરહર જોશી)ને પત્રસ્‍વરૂપે લખ્‍યું હતું. તા. ૨૨ જાન્‍યુઆરી, ૧૮૯૨ના રોજ લખાયેલો આ પત્ર મળ્‍યા પછી જોશીજીએ તેને કાઠિયાવાડના એક સામયિકમાં છપાવ્‍યો. એ રીતે, કાશ્‍મીરનું વર્ણન સૂરસિંહજીનું પહેલું પ્રકાશિત લખાણ બન્‍યું. તેમનો અને તેમના સાથી મિત્ર ગીગાવાળા (ભવિષ્‍યના વાજસુરવાળા) નો ભારતપ્રવાસ અંગ્રેજ સરકારની કાઠિયાવાડ એજન્‍સીએ ગોઠવ્‍યો હતો. એ વખતે બન્‍ને કુમારોને તેમની રિયાસતોનો વહીવટ સોંપાયો ન હતો. રાજકુમારો માટે નક્કી થયેલાં ધોરણો પ્રમાણે પ્રવાસખર્ચ પેટે રૂ. ૨૫ હજાર (૧૮૯૧માં) ફાળવવામાં આવ્‍યા હતા. તેમની દેખભાળ રાખવા માટે સાથે એક વાલી અને સગવડો સાચવવા માટે ૧૩ જણનો કાફલો હતો. છતાં સાધનસુવિધાઓના અભાવે હાડમારીઓનો પાર ન હતો.

સૂરસિંહજીનો એક પુસ્‍તિકા જેટલો લાંબો પત્ર કાશ્‍મીરના પંડિતો, મુસ્‍લિમો, તેમની રહેણીકરણી અને પોશાકથી માંડીને રસ્‍તા અને ભયાનકતા સાથે વણાયેલા કુદરતી સૌંદર્ય જેવી અનેક બાબતોના વર્ણનથી ભરપૂર હતો. તેમાં ઠેકઠેકાણે ભાવનાના ઉભરા, દેશની અધોગતિનાં કારણોનું પોતાની સમજણ મુજબનું બયાન અને ઉજ્‍જવળ ભવિષ્‍ય વિશેના આકાંક્ષાઓ હતી. તેમનો કાફલો ઓક્‍ટોબર, ૧૮૯૧માં શ્રીનગર પહોંચ્‍યો ત્‍યારે વાઇસરોય પણ વેકેશન માટે કાશ્‍મીર આવ્‍યા હતા. તેમના લીધે ઘણી જગ્‍યાએ નવા રસ્‍તા બનાવવામાં આવ્‍યા હોવાનું સૂરસિંહજીએ પત્રમાં લખ્‍યું હતું. (સૂરસિંહજી વાઇસરોયને મળવા પણ ગયા હતા.) એવી જ રીતે, રાવલપિંડીથી બારામુલ્‍લા જવા માટે ટાંગા (ઘોડાગાડી) ઉત્તમ વાહન હોવા છતાં, તેમને એ  મળી શક્‍યું નહીં. કારણ? ‘વાઇસરોયને માટે બધા ટાંગા રાખેલા હતા.' (આ બન્‍ને પરંપરા આઝાદી પછી પ્રધાનમંત્રીઓ અને મુખ્‍ય મંત્રીઓએ બરાબર જાળવી રાખી છે.)

શ્રીનગરની આબોહવા ‘વિલાયતના જેવી' હોવાથી, ત્‍યાં શરાબ પીવો જ પડે અને રોજ નાહી શકાય નહીં, એવી પ્રચલિત માન્‍યતા અગે ખુલાસો કરતાં તેમણે લખ્‍યું હતું, ‘આમ કહેનારા દારૂના શોખી(ન), આળસુ કે અજાણ્યા જ હોવા જોઇએ...વિલાયતમાં તેમ જ કાશ્‍મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્‍પર્શ પણ કદી કરતાં નથી. અમે હંમેશાં નિયમસર કાશ્‍મીરમાં વગર હરકતે નાહી શકતા. મદિરા પીવાની કોઇ પણ વખતે કોઇને જરૂર પડી નહોતી...'

‘કાશ્‍મીર' માટે ‘પછાત'ની અવેજીમાં ‘જંગલી' જેવું વિશેષણ સૂરસિંહજીએ છૂટથી વાપર્યું હતું. કાશ્‍મીરી પશમીના અને શાલોથી મુગ્‍ધ થઇને એમણે લખ્‍યું, ‘ક્‍યાં આ જંગલી દેશ અને ક્‍યાં આ અલૌકિક કારીગરી! ઉદ્યોગ શું ન કરે! પ્રયત્‍નથી પશુપક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્‍મીરનાં માણસો આવું કામ કરે તેમાં શું નવાઇ!...'

ડાલ સરોવરમાં થઇને શંકરાચાર્યના મંદિરે પહોંચવાની સફર  માટે ‘આ કિશ્‍તી (હોડી) એ જ વિમાન અને આ ડાલ તે જ સ્‍વર્ગ' એવા ઉદ્‌ગાર કાઢનાર સૂરસિંહજીના મનમાં કુદરતી સૌંદર્યની સાથોસાથ માણસોની કઠણાઇ પણ આબાદ ઝીલાઇ. કાશ્‍મીરમાં માંજી (માંઝી- નાવિક) તરીકે કામ કરતા મુસ્‍લિમોની સ્‍થિતિ વિશે સૂરસિંહજીએ લખ્‍યું,‘માંજી લોકો ગરીબ અણસમજુ... તેઓની સ્‍થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો વેઠે કામ કરાવે છે. કામ ન કરે તો માર મારે છે. આવો એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્‍યાં.'

શ્રીનગર શહેર અને તેના રહીશો વિશે પણ તેમનો અભિપ્રાય સારો ન હતો. ‘શ્રીનગરને કુદરતી બક્ષિસ ઘણી સારી મળેલી છે, તો પણ ત્‍યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શહેર ઘક્કાું જ ગંદું છે. સ્‍વચ્‍છતા એટલે શું એ થોડા જ સમજે છે. ગરીબનાં ઝુંપડાં, તવંગરનાં ઘર તેમ જ મહારાજાના મહેલ પર નળિયાંને બદલે ઘાસથી છવાયેલાં માટીનાં છાપરાં હોય છે. તફાવત માત્ર એટલો જ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવીને લીલા ગાલીચા જેવો છાપરાનો દેખાવ રાખે છે...ઘરને કોઇ પણ મરામત કરાવતું નથી. તેથી શહેર ખંડેર જેવું દેખાય છે. શ્રીનગરની વસ્‍તીમાં..બે ભાગ મુસલમાનના છે અને એક પંડિતનો છે. સ્‍ત્રી-પુરૂષો ઘણાં ખૂબસૂરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હંમેશાં ગંદાં જ હોય છે...'

કાશ્‍મીરપ્રવાસ દરમિયાન સૂરસિંહજીની મંડળીને ભોજનની તકલીફ પડતી હતી. ‘જોકે મને ચા પીવાની ટેવ ન હતી. તો પણ કાશ્‍મીરમાં વારંવાર ઉષ્‍ણોદકપાન કરવું પડતું હતું. કોઇ વખતે એક દિવસમાં પાંચ છ વખત ચા પીવો પડતો. કેમ જે જમવાનું નિયમસર બની શકતું ન હતું અને નિયમસર મળતું ત્‍યારે પણ ભાવતું ન હતું. કેમ કે ઘી કડવું અને દ્દુર્ગંધીલું હતું. બિસ્‍કિટ અને ચા એ જ અમારો મુખ્‍ય ખોરાક હતો.' કાશ્‍મીર જનારા લોકોના લાભાર્થે તેમણે લખ્‍યું હતું,‘કાશ્‍મીરમાં અમે ભેંશો ક્‍યાંય જોઇ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્‍મીરના દરેક મુસાફરે આ બે ચીજો હંમેશાં સાથે રાખવી.'

એક વાર ભૂખતરસ વેઠીને આગળ વધવાનું આવ્‍યું અને ‘કેટલાકની આંખમાં પિલુડાં (આંસુ) આવી ગયાં' એ યાદ કરીને ૧૮ વર્ષના રાજકુમાર સૂરસિંહજીએ લખ્‍યું હતું, ‘સ્‍પ્રિંગવાળા પલંગ અને ચાર ઘોડાની ગાડીમાં બેસી ચટપટ કરવી અને તેમાં જ મગ્‍ન રહેવું એ સુધારો, સુખ અથવા આનંદ નથી. મૂટ, મોજાં, નાજુક સોટી અને રેશમી રૂમાલ ગજવામાં રાખી, ફાંકડા બની આંટા મારવા એ જ સંપત્તિ અથવા મજા નથી. સોનાનાં ચશ્‍માં વગર કારણે ઘાલી, સોનાનાં નાજુક ઘડિયાળ અને અછોડા છાતી પાસે લટકાવી, ટેબલ પર ટાંટિયા ઊંચા ચડાવી, વિસ્‍કી પેગ ચડાવવો એ સુધારાના સાથીનાં લક્ષણ નથી. ધીરજ અને ધૈર્યથી અગાડી વધવું એ જ સુધારો છે, એ જ સુખ છે, એ જ ધર્મ છે અને એ જ સંપત્તિ છે.'

કાશ્‍મીરના લોકોની ગરીબી અને તેમના પછાતપણા વિશે બળાપો કાઢ્‍યા પછી તેમણે લખ્‍યું,‘કાશ્‍મીર એક કુદરતી વાડી છે, પણ તેની જરા પણ સંભાળ લેવાતી નથી. નહિ તો ઝાડ પરથી સોનું ઉતરે તેવું છે. ઇટાલીના પ્રદેશો કરતાં હજાર ઘણો ફળદ્રુપ છે. ખરૂં જોતાં આ સ્‍વર્ગનો દરેક ડુંગર સોનાનો જ બનેલો છે અથવા સુવર્ણની બીજી ગુપ્‍ત લંકા છે. પણ તેના પર વિભીષણ જેવો રાજા જોઇએ, જેથી રામની કૃપા થાય.' અને એવી આશા પણ વ્‍યક્‍ત કરી હતી કે ‘(એ લોકો) હવે ધીમે ધીમે બહારની સુધરેલી પ્રજાની સાથે પ્રસંગમાં પડવા લાગ્‍યા છે તેથી સુધર્યા છે, અને જેમ જેમ વધારે મળશે તેમ તેમ વધારે સુધારો થશે. થોડા વખતમાં એ પણ આપણી બરાબરીમાં આવી જશે.'

સૂરસિંહજીની મુલાકાતના દાયકાઓ પછી કાશ્‍મીર ‘બીજી લંકા' તો બન્‍યું, પણ આંતરવિગ્રહ અને ત્રાસવાદના મામલે. હવે ફરી એક વાર પ્રવાસીઓનો સમુહ કાશ્‍મીરને સલામત ગણીને ત્‍યાં ઉમટી રહ્યો છે, પરંતુ તેના માટે ‘વિભીષણ' અને ‘રામ'ની પ્રતિક્ષા ચાલુ છે.

Wednesday, June 06, 2012

ભાજપની બેઠકનો કાલ્પનિક અહેવાલ


બેઠકનો સમય થઇ ગયો છે. બધા નેતાઓ ઊંચાનીચા થાય છે, પણ કાર્યવાહી શરૂ થતી નથી.)

અડવાણીઃ (કંટાળીને) અરે ભાઇ, કોની રાહ જોવાય છે? અને ક્યાં સુધી જોવાની છે?

ગડકરીઃ તમારે રાહ જોવાની ક્યાં નવાઇ છે અડવાણીજી? આટલાં વર્ષોથી પીએમ-ઇન-વેઇટિંગ છો, તો ક્યારેક એ સિવાય પણ વેઇટિંગ કરવું પડે. મોદીજી હજુ સુધી આવ્યા નથી... પણ આ દીનદયાળ ઉપાઘ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટા જોડે, એમનાથી પણ મોટો એવો મોદીજીનો ફોટો કોણે લગાડી દીધો? મોદીજી ન  આવવાના હોય ને એના બદલામાં એમણે પોતાનો ફોટો મોકલાવ્યો હોય તો વાંધો નથી. બાકી, પણ આપણો પક્ષ વ્યક્તિને નહીં, આદર્શને વરેલો છે.

ઉમા ભારતીઃ (ગુસપુસ સ્વરે) આદર્શ કૌભાંડમાં આપણાંથી પણ કોઇનાં નામ છે?

ગડકરીઃ હું આદર્શ ફ્‌લેટ્‌સની નહીં, આદર્શોની- સિદ્ધાંતોની વાત કરું છું, જે આપણા મહાન રાષ્ટ્રના મહાન પક્ષના મહાન સ્થાપકોએ મહાન વારસા તરીકે આપણને આપ્યા. આપણે એ યાદ રાખીએ અને મહાન પ્રતિજ્ઞા કરીએ કે આપણે કોઇ પણ વ્યક્તિના મોહમાં સપડાઇશું નહીં અને વ્યક્તિના મોહને કારણે પક્ષને વેરવિખેર થવા દઇશું નહીં.
(આટલું બોલીને તે અડવાણી સામે જુએ છે.)

અડવાણીઃ હું માનનીય અઘ્યક્ષશ્રીના પ્રસ્તાવને અનુમોદન આપું છું. વ્યક્તિપૂજાના ગડકરીયા પ્રવાહમાં- આઇ મીન, ગાડરીયા પ્રવાહમાં- તણાવું એ કોઇ પણ રાજકીય પક્ષ માટે પતનની નિશાની છે. આપણે આજીવન કોંગ્રેસના વ્યક્તિવાદના-પરિવારવાદના ટીકાકાર રહ્યા છીએ. મને ઘણી વાર ચિંતા થાય કે કોંગ્રેસનું શાસન પરિવારના હાથમાં ન હોત કે સોનિયા ગાંધી વિદેશીને બદલે દેશી હોત, તો આપણા પક્ષનું શું થાત?

સુષ્મા સ્વરાજઃ હું તો સહેજમાં બચી ગઇ. સોનિયા ગાંધી વડાપ્રધાન બન્યાં હોત તો મારે વાળ ઉતરાવવા પડત. વિચાર તો કરો, વાળ વિના રાજઘાટ પર નૃત્ય કરતી હોઉં એવા મારા ફોટા કેવા લાગત?

જેટલીઃ આપણે હવે વ્યૂહરચનાની વાત કરીએ તો સારું. આપણે વિચારવાનું એ છે કે આપણી ખરાબ હાલતમાં યુપીએની ખરાબ હાલતનો મહત્તમ ફાયદો કેવી રીતે લેવો. માનનીય અઘ્યક્ષશ્રી એ વિશે થોડી ભૂમિકા બાંધી આપે તો...

ગડકરીઃ સૌથી સારી વ્યૂહરચના તો એ લાગે છે કે આપણે- ખાસ કરીને મારે- બોલવું નહીં અને કોંગ્રેસના પ્રવક્તાઓને બોલવા દેવા. આપણો ફાયદો કરવા માટે એટલું પૂરતું છે. પણ એવું બનતું નથી. એ લોકો બોલે એટલે આપણે બોલ્યા વિના રહી શકતા નથી. પછી આપણામાં ને એમનામાં લોકોને કશો ફરક લાગતો નથી.
(ખૂણામાંથી ‘અરરર’નો અવાજ અને ડચકારો સંભળાય છે, પણ એ કોણે કર્યો તેનો ખ્યાલ આવતો નથી.)

જેટલીઃ મને લાગે છે કે આપણે અન્ના હજારે અને બાબા રામદેવની સાથે રહીએ તો કશો વાંધો નહીં આવે. એ લોકો આપણને હોંશેહોંશે ચૂંટણી જીતાડી આપશે. બદલામાં એમની વાયડાઇ થોડો વખત સહી લેવાની. પછી એમના જ નીમેલા જનલોકપાલ દ્વારા આપણે એમના આંદોલનની તપાસ કરાવીશું. છો ને કરતા ફરે ખુલાસા આખા ગામમાં.

સુષ્મા સ્વરાજઃ બરાબર છે. એ સારું રહેશે.

અડવાણીઃ પણ આપણામાં રહેલા કર્ણાટકના યેદીયુરપ્પા અને બીજા રાજ્યોમાં રહેલા યેદીયુરપ્પાના ભાઇઓનું શું કરીશું? અન્ના નહીં તો અરવંિદ ને એ નહીં તો પ્રશાંત ભૂષણ આપણા ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રીઓનાં માથાં માગશે ત્યારે?

જેટલીઃ એની ચિંતા ન કરો. લોકોને આપણે વિકાસની વાતો કરીને સમજાવી દઇશું અને અન્નાની ટીમમાં એટલી ફાટફૂટ પડેલી હશે કે અન્ના તેમની ટીમ સામે ઉપવાસ પર બેસવાનું વિચારતા હશે. ન વિચારતા હોય તો પણ આપણા પ્રચારપુરૂષ મોદીજીને એમનો કેસ સોંપી દઇશું, એમની એજન્સીને ‘ટાઇમ’ મેગેઝીન સાથે સીધો વ્યવહાર લાગે છે. એક વાર ‘ટાઇમ’ના કવર પર પોતાના સાથીદારો સામે ઉપવાસ કરતા અન્નાનો ફોટો આવી જશે. પછી અન્નાને પણ થશે કે સાલું ‘ટાઇમ’વાળા કહેતા હોય તો આપણે ઉપવાસ કરવા જોઇએ.

સુષ્મા સ્વરાજઃ સરસ આઇડીયા છે. જોયું ગડકરીજી? જેટલીજીને હવે ફાવવા માંડ્યું છે. મારો પ્રસ્તાવ છે કે ૨૦૨૯ની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જેટલીજીનું નામ નક્કી કરવામાં આવે.

ગડકરીઃ એક મિનીટ...વડાપ્રધાનપદને લગતી વાત અત્યારે કાઢશો નહીં.  એ જરા સંવેદનશીલ મામલો છે. મોદીજી નારાજ થઇ જશે. એ વિશે કંઇ પણ વાત કરતાં પહેલાં મારે એમને વિશ્વાસમાં લેવા પડે. એવું મેં એમને વચન આપ્યું છે.
(ખૂણેથી ફરી અવાજ આપે છેઃ ‘શાના બદલામાં?’)

અડવાણીઃ અરે પણ એ તો ૨૦૨૯ની વાત કરે છે. ત્યારે હું દાવેદાર હોવાનો નથી. કારણ કે એક સાથે હું રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન કેવી રીતે બની શકું? એટલે તમારે એના માટે મોદીજીને પૂછવાની જરૂર નથી.

ગડકરીઃ એ બધી મને ખબર ન પડે. મોદીજીએ મને ચોખ્ખું કહ્યું છે કે ૨૦૧૪થી ૨૦૪૪ સુધીની ચૂંટણીઓમાં વડાપ્રધાનપદને લગતો કોઇ પણ નિર્ણય એમને પૂછ્‌યા સિવાય કરવો નહીં. જો એવું થશે તો પછી પક્ષે પોતાનું ભંડોળ જાતે જ ઊભું કરવાનું રહેશે.

અડવાણીઃ (રોષમાં આવીને) એટલે તમે કહેવા શું માગો છો? આપણે કોઇને પક્ષ વેચી ખાધો છે? શું આ ધમકી છે?

ગડકરીઃ ના, વાસ્તવિકતા છે. આપણે કોઇને પક્ષ વેચ્યો નથી, પણ આપણા વગર વેચ્યે કોઇએ ખરીદી લીધો હોય તો આપણને ખબર નથી. હું એટલું જ જાણું છું કે અત્યારે વડાપ્રધાનપદની ચર્ચા કરવામાં આપણું હિત નથી.

કેશુભાઇઃ એવું થોડું ચાલે? પક્ષના પ્રમુખ તમે છો કે એ? તમે કેમ નિર્ણય ન લઇ શકો? તમને અમારો બધાનો ટેકો છે. અમે તો કહીએ છીએ કે ૨૦૧૪માં જેટલીજીને કે અડવાણીજીને કે સુષ્માજીને વડાપ્રધાન બનાવો. અરે, તમે વડાપ્રધાન બની જાવ. તમે પણ ક્યાં ઓછા લાયક છો?

ગડકરીઃ (શરમાઇને) તમારી ભાવના હું સમજું છું, પણ મારે હજુ વાર છે. એક વાર મોદીજીનો પ્રોજેક્ટ પૂરો થઇ જવા દો.

અડવાણીઃ પ્રોજેક્ટ એટલે? એમણે તમારી સાથે એમઓયુ કર્યો છે? આ ગુજરાતની જમીનો આપી દેવાની વાત નથી. વડાપ્રધાનપદનો મુદ્દો છે. એમાં કોઇની મનમાની હું નહીં સાંખી લઉં.

ગડકરીઃ તમે નાહકના મારી પર ગરમ થાવ છો. હું તો ચિઠ્‌ઠીનો ચાકર અને પક્ષહિતનો રખેવાળ એવો પક્ષપ્રમુખ છું.

અડવાણીઃ (ઉશ્કેરાઇને) પણ હમણાં તો તમે કહેતા હતા કે આપણા પક્ષમાં વ્યક્તિનું નહીં, પણ આદર્શનું મહત્ત્વ છે. તો પછી એક વ્યક્તિ માટે આટલો મોહ શા માટે?

ગડકરીઃ એ તો હું સંજય જોશીની વાત કરતો હતો. તમે જ કહો, આટલાં વર્ષોની મહેનત પર એક જ વ્યક્તિને કારણે પાણી ફરવા દેવાય? સંજય જોશીને રાખવાની જિદ લઇને પક્ષને વેરવિખેર થવા દેવાય?

એવામાં પોકારો સંભળાય છેઃ ‘દેખો દેખો કૌન આયા, ગુજરાતકા શેર આયા’. એ સાથે જ ગુજરાતના મુખ્ય મંત્રીની એન્ટ્રી થાય છે.

અડવાણીઃ (બાજુમાં બેઠેલા કેશુભાઇના કાનમાં, ધીમેથી) તમે મુખ્ય મંત્રી હતા ત્યારે શેરનો શો ભાવ હતો?

કેશુભાઇઃ મારા રાજમાં એકદમ સોંઘવારી હતી. બઘું શાકભાજી લોકો શેરમાં નહીં, કિલો ને મણમાં જ ખરીદતા હતા.

અડવાણીઃ (માથે હાથ દઇને) હું એની વાત નથી કરતો. આવાં શેર ને ગીદડનાં ભાડૂતી સૂત્રો બોલાવવાનો શો ભાવ ચાલતો હતો?

કેશુભાઇઃ (સહેજ વિચારીને) લાગે છે કે મારે શંકરસંિહને પૂછવું પડશે. એ આવાં સૂત્રો બહુ બોલાવતા હતા.

(બાકીની ચર્ચા ‘દેખો દેખો કૌન આયા’ના ઘોંઘાટમાં ડૂબી જાય છે.)

Tuesday, June 05, 2012

પાઠ્‌યપુસ્તકો વિશેના ‘આઇએમપી’ પ્રશ્નો


ડો.આંબેડકરના કાર્ટૂનવિવાદની એક ઉપજ એ થઇ કે થોડા સમય પૂરતાં પણ પાઠ્‌યપુસ્તકો અને તેની નિર્માણપ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવ્યાં.

શિક્ષણના પતનની, તેના બેફામ ખાનગીકરણ અને વ્યાપારીકરણની તથા ડિગ્રીઓના ફુગાવાની વાત થાય ત્યારે પણ પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તાનો મુદ્દો ભાગ્યે જ છેડાતો હોય છે. વાસ્તવમાં  સારાં પાઠ્‌યપુસ્તકો ભણતર અને ગણતર વચ્ચેનો તફાવત ભૂંસવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. વિદ્યાર્થીઓને જ્ઞાનથી વિમુખ અને ટ્યુશનકેન્દ્રી બનાવવાની દિશામાં પણ તે નિર્ણાયક ધક્કો મારી શકે છે.

પાઠ્‌યપુસ્તકોની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીમાં જ્ઞાનનો પાયો મજબૂત કરવાની અને જિજ્ઞાસા-જ્ઞાનભૂખ જગાડવાની છે. એક સાથે તેણે શામક અને ઉદ્દીપક બન્નેનું કામ કરવાનું છેઃ વિદ્યાર્થી જેટલું વાંચે એનાથી તેના મનમાં વિષયની ગેડ બરાબર બેસવી જોઇએ અને પાઠ્‌યપુસ્તકમાં જે નથી સમાવી શકાયું - પરીક્ષામાં જે પૂછાવાનું નથી- એવું જાણવાની-શોધવાની ઇચ્છા થવી જોઇએ. આદર્શ પાઠ્‌યપુસ્તકની સૌથી લાક્ષણિકતા એ હોય કે શિક્ષક ગમે તેટલો નબળો કેમ ન નીકળે, ફક્ત પાઠ્‌યપુસ્તકની સામગ્રીના જોરે વિદ્યાર્થી એ વિષયમાં દાખલ થઇ શકે અને તેમાં સારો એવો ઊંડો પણ ઉતરી શકે.

કસોટીઃ લખનારની કે વાંચનારની?

સારા પાઠ્‌યપુસ્તક માટે જરૂરી- અને હવે દુર્લભ- ગણાય એવી મુખ્ય બાબતોમાં એક છે સરળ-સુપાચ્ય ભાષા. પાઠ્‌યપુસ્તકો લખવાનું કામ યથાયોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોને જ સોંપવામાં આવે છે, પરંતુ શૈક્ષણિક લાયકાતને આવડતનું આખરી પ્રમાણ ગણી લેવામાં ભૂલ થવાની પૂરી સંભાવના છે. ડિગ્રી પાઠ્‌યપુસ્તક લખવાના કામ માટે આવશ્યકતા હોઇ શકે, પણ પૂરતી નહીં. ફક્ત શૈક્ષણિક લાયકાતથી કે વિદ્વત્તાથી સારાં પાઠ્‌યપુસ્તક શી રીતે લખી શકાય.

બહુ સાદી વાત છેઃ જેમ કોઇ ભાષામાં પીએચ.ડી.ની ડિગ્રી ધરાવતા બધા લોકો સારા લેખક કે સર્જક બની શકે નહીં, એવી જ રીતે વિજ્ઞાન, ગણિત કે રાજ્યશાસ્ત્ર જેવા વિષયોના અઘ્યાપકો એ વિષય પર સરસ લખી શકે એવું જરૂરી નથી. હકીકતમાં, બહુ ઓછા વિષયનિષ્ણાતો પોતાના વિષયની લેખિત અભિવ્યક્તિમાં પાવરધા હોય છે. એમ હોવું જરૂરી નથી. એટલે એમાં તેમનો વાંક કાઢી શકાય નહીં. પણ મહત્ત્વ એ સચ્ચાઇનો સ્વીકાર કરવાનું છે.

એક વાર નીતિનિર્ધારણના તબક્કે એટલું સ્વીકારાય કે પાઠ્‌યપુસ્તકો લખવા માટે કેવળ વિષયનિષ્ણાતો પૂરતા નથી- ભાષાના માણસો પણ જોઇશે, ત્યાર પછી ભાષાના માણસોની વ્યાખ્યા કરવી પડે છે. તેમાં નામી સાહિત્યકાર, સાહિત્યસંસ્થાના હોદ્દેદાર કે સાહિત્યક્ષેત્રના પંડિતનું હોવું આવશ્યક નથી. ભાષના માણસનું કામ વિષયનિષ્ણાતે આપેલી સામગ્રીને, સરળતાથી-પ્રવાહીતાથી છતાં ભૂલ વિના રજૂ કરવાનું છે.  એ માટે વિષયનિષ્ણાત અને ભાષાના જાણકાર બન્નેએ પોતાના અહમ્‌ બાજુએ રાખીને મેળ સાધવો પડે. વિષયનિષ્ણાતે પોતાના લખાણમાં થતા ફેરફાર કબૂલવા પડે અને ભાષાના માણસે સરળતા આણવા જતાં થતી ભૂલો સુધારવાની તૈયારી રાખવી પડે. આ રીતે ચોક્સાઇ અને સરળતાનું સંયોજન થાય તો વિદ્યાર્થી માટે એ ભારે ઉપકારક નીવડે.

આપણાં પાઠ્‌યપુસ્તકોમાં આવું બનતું નથી. એ તેમની દુર્બોધ અને ન સમજાય એવી શૈલી માટે કુખ્યાત છે. દરેક મુદ્દો ટૂંકમાં પતાવવાની લ્હાયમાં યોગ્ય ભૂમિકા, પૂર્વાપર સંબંધો અને જરૂરી વિસ્તાર વિના, અભ્યાસક્રમમાં આવતો મુદ્દો પાઠ્‌યપુસ્તકોમાં ઠઠાડી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓને રસ પડવાનું તો બાજુ પર રહ્યું, તેમને સમજણ પડશે કે નહીં એની પણ પરવા કરવામાં આવતી નથી.  પરિણામે ગુજરાતી ભાષામાં લખાયેલાં વિજ્ઞાનનાં પ્રકરણો કે સમાજશાસ્ત્રના પાઠ ગુજરાતીભાષી વિદ્યાર્થીને સાવ માથા પરથી જાય એવું બને છે.

અઘૂરામાં પૂરું, અસંબદ્ધ રીતે લખાયેલાં પાઠ્‌યપુસ્તકોમાં વિદ્યાર્થીને સમજણ ન પડે તો એ પાઠ્‌યપુસ્તક લખનારની મર્યાદાને બદલે વિદ્યાર્થીનો વાંક ગણાય છે. એવા વિદ્યાર્થી ગાઇડો અને ટ્યુશનોના શરણે પોતાનો શૈક્ષણિક મોક્ષ શોધે છે. ત્યાંથી એમને ટકા લાવવાની તરકીબો મળી શકે છે, પરીક્ષામાં પૂછાનારા આઇએમપી સવાલોની ગોખણપટ્ટી વિશેનું માર્ગદર્શન મળી શકે છે, પણ જ્ઞાન છેટું જ રહી જાય છે.

આગળ જણાવેલી અપેક્ષાઓ વઘુ પડતી કે આદર્શ લાગે તેમણે યાદ રાખવું જોઇએઃ ગુજરાતી ભાષામાં એક સમયે ‘કુમાર’, ‘પ્રકૃતિ’ જેવાં સામયિકોમાં આવતા જ્ઞાનવિજ્ઞાનના લેખો ઊંડાણ અને જ્ઞાનની દૃષ્ટિએ પાઠ્‌યપુસ્તકમાં સ્થાન પામે એવા હતા. છતાં, રસપ્રદ અને સરળ લખાવટના લીધે તે ઘણા નવા વાચકોને આકર્ષી શક્યા. એંસીના દાયકામાં ‘સ્કોપ’ જેવા માતબર વિજ્ઞાનસામયિકમાં અઘરામાં અઘરા વિષયો પર દસ-બાર-પંદર પાનાંના લેખ આવતા હતા. એ વાંચીને કોઇને પરીક્ષા આપવાની ન હતી. છતાં તેના લેખોને કારણે બ્લેકહોલથી માંડીને જનીનશાસ્ત્ર સુધીના કેટકેટલા વિષયોમાં રસ લેનારા વાચકો તૈયાર થયા.

બધા લોકોને દરેક વિષયમાં એકસરખો રસ પડવો જરૂરી નથી. પણ કોઇ પણ વિષયમાં રસ પડી શકે, એટલી ભોંય તૈયાર કરવી પડે કે નહીં? એ કામ પાઠ્‌યપુસ્તકોનું છે અને તેમાં એ મોટા પાયે નિષ્ફળ રહ્યાં છે. તેમની સરખામણીમાં ‘સફારી’થી માંડીને જ્ઞાનવિજ્ઞાનનાં કેટલાંક અંગ્રેજી સામયિકોમાં આવતા લેખ એવી રીતે લખાયેલા હોય છે કે વાંચનાર તેમાં ખૂંપી જાય. આ પ્રકારનું વાચન હાથ લાગે ત્યારે ઘણા લોકોને એવો વાજબી વસવસો થાય છે કે ‘કાશ, આપણાં પાઠ્‌યપુસ્તકો આવી ભાષામાં- આ રીતે લખાયાં હોત.’

ઇરાદા અને પરિણામ


પાઠ્‌યપુસ્તકોની ભાષા જેટલો જ મહત્ત્વનો મુદ્દો તેમની રજૂઆતનો છે. તેમાં ચિત્રો, તસવીરો, ગ્રાફિક્સ અને લે-આઉટનો સમાવેશ થાય છે. એનસીઇઆરટીનાં ચર્ચાસ્પદ પુસ્તકોમાં કાર્ટૂન મૂકવાનો મુખ્ય આશય પુસ્તકને રસાળ અને હળવાશભર્યું બનાવવાનો હતો. આ દૃષ્ટિ અગાઉનાં પાઠ્‌યપુસ્તકો બનાવનારા કરતાં જુદી અને એકદમ આવકારદાયક છે. પરંતુ એ પુસ્તકો- ખાસ કરીને ધોરણ ૧૧નું પોલિટિકલ સાયન્સનું પાઠ્‌યપુસ્તક જોઇ ગયા પછી, તેમનો સારો આશય કેટલી હદે સિદ્ધ થયો હશે એવો વિચાર આવે.

વિવાદાસ્પદ બનેલા એ પુસ્તકમાં એક કિશોર અને એક કિશોરીના કાર્ટૂન ઉપરાંત સ્કેચ અને રાજકીય કાર્ટૂન છૂટથી મૂકવામાં આવ્યાં છે. ઇરાદો, આગળ કહ્યું તેમ, સામગ્રીને રસપ્રદ બનાવવાનો હતો. પરંતુ તેમાં લે-આઉટથી માંડીને પ્રમાણભાન સહિતના ઘણા પ્રશ્નો થાય એવા છે. આદર્શ સ્થિતિ એ હોય કે પાઠ્‌યપુસ્તકના લખાણને આખરી સ્વરૂપ અપાયા પછી, એ સારા ડીઝાઇનરને આપવામાં આવે. તેની સાથે મુકાનારી સામગ્રી અને ડીઝાઇનિંગમાં પણ પૂરતું ઘ્યાન આપવામાં આવે. શક્ય હોય તો, તેને આ ઉંમરનાં બાળકો-કિશોરો જે જાતનાં પુસ્તકો વાંચતા હોય, એવી ઢબમાં તૈયાર કરવાં જોઇએ.

કંઇક જુદું કરવા માગતાં એનસીઇઆરટીના પુસ્તકોમાં જે રીતે લખાણની સાથે ચિત્રો અને કાર્ટૂન મુકાયાં છે, તેમાં લખાણનું એકધારાપણું તૂટે છે, પણ ડીઝાઇનિંગની રીતે એમાં ઘણા સુધારાને અવકાશ રહ્યો છે.   ફક્ત ચિત્રો કે કાર્ટૂન મૂકવાથી પુસ્તક રસાળ બની જાય, એવું માની લેવું પણ ભૂલભરેલું છે. હા, તેની શુષ્કતા થોડી ઘટે, પણ ચિત્ર, કાર્ટૂન અને ગ્રાફિક્સનું એકરસ સંયોજન થાય તો એ વાંચવાની મઝા જુદી જ હોય છે.

ઇન્ટરનેટના જમાનામાં આ પહેલાં કરતાં ઓછું અઘરું બન્યું છે. પરંતુ ‘આટલું પણ કોણ કરે છે’ એવા ભારતીય બ્રહ્મવાક્યથી સંતોષ માની લેવાની વૃત્તિને કારણે, એનસીઇઆરટીની પ્રયોગશીલતાનાં બધાએ વખાણ કર્યાં છે, પણ એ પ્રયોગશીલતાના પરિણામ વિશે ખાસ ચર્ચા થઇ નથી.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને એનસીઈઆરટીની સ્વાયત્તતા એક મુદ્દો છે. તેમાં બેમત ન હોઇ શકે, પરંતુ એ સ્વીકાર્યા પછી પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તા વિશે અને તેની સામગ્રીમાં સુધારાવધારાના અવકાશ વિશે વિચાર ન થવો જોઇએ? અને વિદ્વાન અઘ્યાપકો ઉપરાંત આ પાઠ્‌યપુસ્તકો જેમને ભણાવવાનાં છે તે શિક્ષકો અને જેમને ભણવાનાં છે એ વિદ્યાર્થીઓને પણ કોઇક રીતે આ પ્રક્રિયામાં સામેલ ન કરવાં જોઇએ?

એનસીઇઆરટીનાં અને બીજાં પાઠ્‌યપુસ્તકોમાં દુનિયાભરનું ડહાપણ ડહોળવામાં આવે છે. યુરોપના દેશો, અમેરિકા, બીજા કેટલાક દેશો.. આ બધા વિશે વિગતો આવતી હોય, પણ ભારતનાં રાજ્યો વિશે વિદ્યાર્થીઓને ભાગ્યે જ વિશેષ જાણકારી હોય. પોલેન્ડમાં શું થયું ને બોસ્નિયામાં શું થયું એ શીખવવું જરૂરી હોઇ શકે છે, પણ ભારતનાં રાજ્યોમાં આઝાદી પછી કયાં શું થયું એની ખબર ન હોય એવું શિક્ષણ વિદ્યાર્થીઓને કેટલું કામ લાગવાનું? નકરા જ્ઞાન અને પોતાના રોજબરોજના જીવનવ્યવહાર સાથે, પોતાના રાજ્ય અને દેશ સાથે સંબંધિત માહિતી- આ બન્ને વચ્ચે સંતુલન જળવાય નહીં, તો પાઠ્‌યપુસ્તકો વિદ્યાર્થીને બીજી દુનિયાનાં લાગે છે. તેની સાથે કોઇ પણ પ્રકારનો અનુબંધ કે આત્મીયતા તે અનુભવી શકતો નથી.

ગુજરાતનાં કે ભારતનાં બીજાં પાઠ્‌યપુસ્તકોની સરખામણીમાં એનસીઇઆરટીનાં નવાં (હવે તો પાંચ વર્ષ જૂનાં) પાઠ્‌યપુસ્તકો વધારે પ્રગતિશીલ અને વૈવિઘ્યપૂર્ણ દૃષ્ટિબિંદુ સમાવનારાં છે. પરંતુ આ કહેતી વખતે યાદ રાખવું પડે કે બહુ જરૂરી એવી કામગીરીનો આ પહેલો પ્રયાસ છે. તે સ્વસ્થ ટીકાને અને યથાયોગ્ય પરિવર્તનને પાત્ર હોઇ શકે છે. ઘણા ટીકા કરનારાએ પાઠ્‌યપુસ્તકના સલાહકાર યોગેન્દ્ર યાદવ કે સુહાસ પળશીકરની નિષ્ઠાને પ્રમાણ્યા પછી, ફેરવિચાર કરવાનું સૂચવ્યું છે. એવી જ રીતે, યોગેન્દ્ર યાદવ કે તેમના જેવા બીજા અઘ્યાપકીય વિદ્વાનોએ પણ દરેક ટીકાને માત્ર પોતાના દૃષ્ટિબંિદુથી ચકાસવાને બદલે, ‘વિચારસ્વાતંત્ર્ય પરના આક્રમણ’ તરીકે જોવાને બદલે કે ‘આટલું પણ કોણ કરે છે’ની દલીલથી તેનો અસ્વીકાર કરવાને બદલે, થોડી વધારે ખુલ્લાશ દાખવવી જોઇએ.  છેવટે પાઠ્‌યપુસ્તકો કોણ લખે છે એના કરતાં પણ વધારે કોના માટે લખાય છે એ સૌથી અગત્યનો મુદ્દો છે.

ફોન પર સામા છેડે સંદેશો પહોંચાડવાનો હોય ત્યારે ફોન હીરાજડિત હોય, પણ તેનાથી વાત થઇ ન શકતી હોય, તો ગમે તેટલા ઝળહળતા હીરાને શું કરવાના?

Sunday, June 03, 2012

અવકાશ ક્ષેત્રે બિનસરકારી યુગનો આરંભ : એન્ટર ધ ડ્રેગન

પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે અમેરિકાની ખાનગી કંપનીએ મોકલેલી કેપ્સુલ ‘ડ્રેગન’નું આબાદ જોડાણ થયું. અવકાશયાત્રા ક્ષેત્રે આવો હનુમાનકૂદકો શા માટે જરૂરી હતો? અને તે કેવી રીતે શક્ય બન્યો?

નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પોતાના પહેલા કદમને ‘જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’- માનવજાત માટે હનુમાનકૂદકો- ગણાવ્યું હતું. આશરે પાંચ દાયકા પછી ફરી એક વાર, એ શબ્દપ્રયોગની યાદ  તાજી થઇ. અંતરિક્ષમાં રહીને પૃથ્વીના ચકરાવા લેતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને ગયા સપ્તાહે અવકાશમાં તરતા મુકાયેલા શંકુ આકારના યાનને પોતાની સાથે જોડી દીઘું.
‘ડ્રેગન’ તરફ લંબાયેલો સ્પેસ સ્ટેશનનો યાંત્રિક ‘હાથ’ (સ્પેસ સ્ટેશનમાંથી લેવાયેલી તસવીર) 
‘એમાં શી ધાડ મારી?’ તેનો ખુલાસાવાર જવાબઃ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન/ International Space Station પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં કલાકના ૨૮,૧૬૪ કિલોમીટરની ઝડપે ચકરાવા લે છે. એ ઘ્યાનમાં રાખીને પૃથ્વી પરથી ‘ડ્રેગન’/Dragon યાનને અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું. એ સ્પેસ સ્ટેશનની નજીક પહોંચ્યું  એટલે સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રીએ ૫૮ ફૂટ લાંબો રોબોટિક ‘હાથ’ લંબાવીને ‘ડ્રેગન’ને ખેંચી લીઘું અને તેને સ્પેસ સ્ટેશન સાથે જોડી દીઘું. ‘ડોકિંગ’ તરીકે ઓળખાતી આ પ્રક્રિયા સફળતાથી પાર પડતાં સ્ટેશનના રહીશો ‘ડ્રેગન’માં પ્રવેશીને, પૃથ્વી પરથી તેમના માટે આવેલો ૫૪૪ કિલો સામાન મેળવી શક્યા. તેમાં પાણી, ખોરાક, કપડાં અને સ્પેસ સ્ટેશનમાં રહેતા યાત્રીઓ માટેની બીજી જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

એન્ટર ધ ‘ડ્રેગન’ : યાનમાં સ્પેસ સ્ટેશનના યાત્રીઓનો પ્રવેશ
અવકાશયાત્રા અને ‘ડોકિંગ’ની પ્રક્રિયા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’/NASAનાં યાનોએ અનેક વાર પાર પાડી છે, પણ ‘ડ્રેગન’નું સૌથી મોટું માહત્મ્ય એ હતું કે તે ‘નાસા’એ નહીં, ‘સ્પેસએક્સ’ નામની એક ખાનગી કંપનીએ તૈયાર કરેલું યાન છે. તેને ‘નાસા’ની આર્થિક મદદ અને તેના દાયકાઓના ઇજનેરી અનુભવનો લાભ મળ્યો છે, પણ આ પ્રોજેક્ટની સફળતા-નિષ્ફળતા માટેની તમામ જવાબદારી ‘સ્પેસએક્સ’ કંપનીના માથે છે. એટલે જ, ‘ડ્રેગન’નું સ્પેસ સ્ટેશન સાથે સફળતાપૂર્વક જોડાણ થયું, એ ઘટના અવકાશક્ષેત્રે ખાનગી કંપનીઓના નવા યુગના આરંભ જેવી ગણાઇ છે.

આટલું વાંચ્યા પછી સૌથી પહેલો સવાલ એ થાય કે ‘નાસા’ જેવી નામી સંસ્થા હોવા છતાં, અમેરિકાને અવકાશયાત્રાનું ખાનગીકરણ કરવાની શી જરૂર પડી? સ્પેસ સ્ટેશન સુધી સામાન અને યાત્રીઓ પહોંચાડવા માટે ૧૯૮૧થી ૨૦૧૧ સુધી અમેરિકા સ્પેસ શટલ/ Space Shuttleનો ઉપયોગ કરતું હતું. ત્રણ દાયકા દરમિયાન કુલ પાંચ સ્પેસ શટલે ૧૩૫ ઉડાન ભરી. પરંતુ કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓનો ભોગ લેનારી ‘કોલંબિયા’ સ્પેસ શટલની દુર્ઘટના પછી ઘણા પ્રશ્નો ઊભા થયા. અગાઉ ૧૯૮૬માં ‘ચેલેન્જર’ સ્પેસ શટલ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, પણ ત્યાર પછીનાં વર્ષોમાં બઘું સમુસૂતરું ચાલતાં વિવાદ શમી ગયો. ‘કોલંબિયા’ની દુર્ઘટના વખતે સ્થિતિ જુદી હતીઃ ચારેક અબજ ડોલરનું સ્પેસશટલ, સાત નિષ્ણાતો, તેમણે અવકાશમાં કરેલા પ્રયોગોનાં બહુમુલ્ય પરિણામ- આ બઘું ગણતરીની સેકંડોમાં રાખ થઇ ગયું. તેનાથી પણ વધારે મોટો આઘાત એ હતો કે ત્રણ-ત્રણ દાયકા પછી પણ સ્પેસ શટલની અવકાશયાત્રાઓ સલામત અને ફૂલપ્રૂફ બની ન હતી.

‘કોલંબિયા’ની દુર્ઘટના પછી નીમાયેલી તપાસસમિતિએ ‘નાસા’ને ઘણાં સૂચન કર્યાં, પરંતુ અમેરિકાને અવકાશક્ષેત્રે અઢળક નાણાં ફાળવવાનું પોસાણ ન હતું. તેના સાંસદો પણ વઘુ ને વઘુ પ્રમાણમાં ‘નાસા’ના બજેટ પર કાતર ચલાવવાના મતના થયા હતા. આખરે ૨૦૧૧માં સ્પેસ શટલ ‘એટલાન્ટિસ’ની છેલ્લી ઉડાન પછી અમેરિકાએ સત્તાવાર ઢબે સ્પેસ શટલ પ્રોગ્રામ પર પડદો પાડી દીધો. મતલબ, હવે પછી અમેરિકાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના યાત્રીઓને મોકલવા હોય તો યાત્રીદીઠ ૬.૩ કરોડ ડોલરનું આસમાની ભાડું ચૂકવીને ફરજિયાત રીતે રશિયાના ‘સોયુઝ’ યાનનો ઉપયોગ કરવો પડે.

અવકાશક્ષેત્રે દાયકાઓ સુધી સરસાઇ ભોગવનારા અમેરિકાને આ સ્થિતિ અનેક રીતે અળખામણી લાગે એવી હતીઃ એક તો રશિયાની પરાધીનતા. ઉપરથી ટિંક્ચર ભાડું અને રશિયાના પાંચ દાયકા પુરાણા ‘સોયુઝ’ યાનમાં કશી ગરબડ થાય તો શું? આ કેવળ અમંગળ કલ્પના નથી. થોડા વખત પહેલાં જ એવું બન્યું હતું અને ‘સોયુઝ’ની ઉડાન મોકૂફ રાખવી પડી. આ પરિસ્થિતિમાં ‘નાસા’એ નક્કી કર્યું કે અવકાશ ક્ષેત્રનું ખાનગીકરણ કરવું. ખાનગી કંપનીઓને સારી એવી આર્થિક મદદ અને પોતાના વર્ષોના અનુભવનો લાભ આપવો અને તેમને અવકાશી ઉડાનો માટે તૈયાર કરવી. આ નિર્ણય પણ વિવાદ વગરનો તો નથી જ. ૨૦૧૨ના બજેટમાં ‘કમર્શિયલ ક્રુ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ માટે ‘નાસા’એ ૮૫ કરોડ ડોલર માગ્યા હતા, પણ સંસદે ફક્ત ૪૦ કરોડ ડોલર મંજૂર કર્યા.

ગયા વર્ષે ‘નાસા’એ અવકાશયાન તૈયાર કરવા માટે ચાર કંપનીઓને મસમોટી આર્થિક મદદ કરી હતી. તેમાં બોઇંગ (૯.૨૩ કરોડ ડોલર), સિએરા નેવાદા (૮ કરોડ ડોલર) અને બ્લુ ઓરિજિન (૨.૨ કરોડ ડોલર) ઉપરાંત ‘ડ્રેગન’ બનાવનાર ‘સ્પેસએક્સ’ કંપની (૭.૫ કરોડ ડોલર)નો સમાવેશ થતો હતો. અવકાશયાનના ધંધામાં જંગી મૂડીરોકાણની જરૂર પડતી હોવાથી, ‘નાસા’ મદદ ન કરે તો કદાચ કોઇ કંપની પોતાના ડોલર બાળીને ટેકનોલોજી વિકસાવવાની પળોજણમાં ન પડે. ‘નાસા’ને આશા છે કે આ કંપનીઓ સ્પેસશટલની વિદાય પછી અમેરિકા માટે સર્જાયેલો ખાલીપો પુરશે. તેની આશામાં દમ છે તે ‘સ્પેસએક્સ’ના ‘ડ્રેગન’ યાનની સફળતાએ બતાવી આપ્યું છે. પરંતુ મુસીબત એ છે કે કોઇ કંપની ૨૦૧૫-૨૦૧૭ પહેલાં સમાનવ અવકાશયાત્રા માટે સજ્જ યાન બનાવી શકે એમ નથી. સવાલ ફક્ત ટેકનોલોજીનો નહીં, પણ ફૂલપ્રૂફ સલામતીનો અને સ્પેસશટલની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય એ જોવાનો છે. એ ક્ષમતા કેળવાય ત્યાં સુધી ચાર-પાંચ વર્ષ સુધી રશિયાનું ભાડું ભરવાનું અમેરિકાને વસમું લાગવાનું છે.

અમેરિકાની સંસદની અવકાશવિજ્ઞાનને લગતી સમિતીને લાગે છે કે બહુ બધી કંપનીઓ વચ્ચે ભંડોળ વહેંચવાને બદલે ‘નાસા’એ કોઇ એક કંપની પસંદ કરીને તેને બધી રકમ આપી દેવી જોઇએ. એવું થાય તો આખી પ્રક્રિયા ઝડપી બને. પરંતુ ‘નાસા’ના વહીવટકર્તાઓને આ દલીલ સાથે સંમત નથી. તેમને લાગે છે કે કોઇ એક કંપનીને પસંદ કરી લેવામાં આવે, તો પછી એ કંપની નિરાંતમાં આવી જાય. પરસ્પર હરીફાઇ ન હોય એટલે કંપનીને સંશોધનની કશી ઉતાવળ પણ ન રહે અને તેનો એકાધિકાર થઇ જાય. સરકાર તરફથી નાણાં મળતાં થઇ જાય એટલે એ રીતે પણ કંપની નિશ્ચિંત બને.

આ મુદ્દે ચાલતી ખેંચતાણ હજુ પૂરી થઇ નથી. પરંતુ ‘ડ્રેગન’ની - અને ‘સ્પેસએક્સ’ની સફળતાથી ‘નાસા’ને બળ મળ્યું છે. આ વર્ષે બીજી બે કંપનીઓ પણ પોતાનાં યાનનાં પરીક્ષણ કરવાની છે. આ લેખ તમારા સુધી પહોંચે ત્યાર પહેલાં, ગુરુવાર ૩૧ મેના રોજ ‘ડ્રેગન’ સ્પેસ સ્ટેશનમાંથી ૫૯૦ કિલોનું સંપેતરું લઇને પૃથ્વી પર હેમેખેમ પાછું ફરે, એટલે તેની સફળતા સો ટકા ગણાય.

‘સ્પેસએક્સ’ના સફળ પ્રયોગ પછી પણ સરકાર તરફથી ખાનગી કંપનીઓને મળતી મોટી રકમ અંગેનો કચવાટ રહેવાનો છે. કંપનીઓ માલેતુજારો પાસેથી લાખો ડોલર ખંખેરીને તેમને અવકાશની સફર કરાવે અને ‘સ્પેસ ટુરિઝમ’ થકી પોતાનો ખર્ચો કાઢે- નફો મેળવે, એવું પણ સૂચવાઇ રહ્યું છે. આજે નહીં ને પાંચ-દસ વર્ષે પણ એ શક્ય  બનશે, ત્યારે અવકાશયાત્રાનું ખરા અર્થમાં ખાનગીકરણ થશે. ‘ડ્રેગન’ની યાત્રા ત્યાં સુધી પહોંચવાની દિશામાં પહેલું મોટું કદમ છે.