Wednesday, October 10, 2012

બાઉન્‍સર ચાલે ધમ ધમ, યુનિવર્સિટી ચાલે ઘમ ઘમ


અસલના જમાનામાં -‘ટેલી' સોફ્‌ટવેર શોધાયું ન હતું ત્‍યારે- કહેવત હતીઃ ‘ભણેગણે તે નામું લખે, ના ભણે તે દીવો ધરે.' હવે ગુજરાત યુનિવર્સિટીના સંદર્ભે બદલાયેલી કહેવત છે, ‘વઘુ ભણે તે બાઉન્‍સર રાખે, ઓછું ભણે તે બાઉન્‍સર થાય'.

ગુજરાત યુનિવર્સિટીની કેટલીક ઉજ્‍જવળ પરંપરાઓ ભૂતકાળ બની ગયાનાં રોદણાં ઘણી વાર સાંભળવા મળે છે. જેમ કે ‘ગુ.યુ.ના કુલપતિ તરીકે એક જમાનામાં ડો.પ્ર.ચુ.વૈદ્ય ને ઉમાશંકર જેવા મહાનુભાવો હતા'. આવો કકળાટ લોકોના નેગેટિવ થિંકિંગનું પરિણામ છે. પોઝિટિવ થિંકિંગના પ્રેમીઓ રોદણાં રડવાને બદલે રાજી થાય છે. કારણ કે ગુજરાત યુનિવર્સિટીની બધી ભવ્‍ય પરંપરાઓ હજુ મરી પરવારી નથી. અગાઉના કુલપતિની જેમ, નવા કુલપતિએ પણ પોતાની સુરક્ષા માટે ‘બાઉન્‍સર' રાખ્‍યા છે.

યુનિવર્સિટીના કુલપતિએ હટ્ટાકટ્ટા ‘બાઉન્‍સર' શા માટે રાખવા પડે, એ આખી વાત ઘણા લોકોના માથા પરથી ગઇ છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ સુરક્ષાની બાબતમાં બહુ ચોક્કસ છે. પોતાની ઓફિસની બહાર તેમણે એવી સળીયાદાર જાળી લગાડાવી છે કે હવે કેટલાક અવળચંડા ‘કુલપતિની ઓફિસ ક્‍યાં આવી?' એવું પૂછવાને બદલે, ‘કુલપતિનું પાંજરૂં ક્‍યાં આવ્‍યું?' એવું પૂછે છે. તેમાં વાંક પૂછનારનો, પાંજરાનો કે કુલપતિનો- કોઇનો નથી. ખરો વાંક ઝૂ એટલે કે પ્રાણીબાગના સંચાલકોનો છે. તેમણે શા માટે કુલપતિની ઓફિસની યાદ અપાવે એવાં પાંજરાં રાખવાં જોઇએ?


કુલપતિએ જેમની સેવાઓ લીધી છે, તે બાઉન્‍સર પહેલવાનોને સામાન્‍ય રીતે હુક્કાબાર, (ગુજરાતની બહાર) દારૂના બાર અને ડિસ્‍કોબાર જેવી ‘સંવેદનઉભારક' જગ્‍યાએ રાખવાનો રિવાજ છે. આ સ્‍થળો એવાં છે, જ્‍યાં જનારા સંવેદનામાં વહી જઇને પોતાની જાત પરનો કામૂ ગુમાવી બેસે એવી પૂરી સંભાવના હોય છે. એવું થાય અને ભારતના બંધારણે માન્‍ય કરેલી ભાષામાંથી એકેય ભાષા સમજી શકવાની તેમની માનસિક સ્‍થિતિ ન રહે, ત્‍યારે બાઉન્‍સરો બંધારણને બાજુ પર મૂકીને તેમની સાથે આત્‍મીય સંવાદ સાધે છે. નાગરિકશાસ્‍ત્રના આ મૂઠી ઊંચેરા- કે મુક્કા ઊંચેરા- પ્રકારથી અજ્ઞાન એવા લોકો તેના માટે ‘મારામારી' જેવો શબ્દ વાપરે છે.

હુક્કાબાર-દારૂના બાર-ડિસ્‍કોબાર અને ગુજરાત યુનિવર્સિટી વચ્‍ચે એવું શું સામ્‍ય છે, કે જેથી યુનિવર્સિટીના કુલપતિએ બાઉન્‍સર રાખવા પડે? આ સવાલ યુનિવર્સિટીના સોશ્‍યોલોજીના પેપરમાં પૂછાવાનો નથી. આ આરોપ પણ નથી, વિશુદ્ધ જિજ્ઞાસા છે, જે કોઇના પણ મનમાં પેદા થઇ શકે. નવા કુલપતિ ફક્‍ત ડિગ્રીધારક નહીં, ‘પરમિટ'ધારક પણ છે એવા અહેવાલો પછી, તેમના બાઉન્‍સરોની ભૂમિકા વિશે ઘણી અટકળો થઇ હતી. પરંતુ નજીકના ભવિષ્‍યમાં કુલપતિની ઓફિસમાં સાંજે સાંજે ‘પરમિટરૂમ', હુક્કાબાર કે ડિસ્‍કોથેક ખુલવાનાં હજુ સુધી કોઇ એંધાણ નથી. એટલે બાઉન્‍સરોના ઉપયોગ વિશે અનુમાન જ કરવાનાં રહે છે.

બાઉન્‍સરોના વ્‍યક્‍તિગત આશ્રયદાતા તરીકે ફિલ્‍મી સિતારાઓ વઘુ જાણીતા છે. ઘણાં અભિનેતા-અભિનેત્રીઓ બહાર નીકળે ત્‍યારે પોતાના ચાહકોના પ્રેમથી ગુંગળાઇ ન જાય, એ માટે ઓક્‍સિજન સિલિન્‍ડર-સ્‍વરૂપ બાઉન્‍સરોને સાથે રાખે છે. ફક્‍ત હિંદી જ નહીં, અંગ્રેજી ફિલ્‍મજગતમાં પણ બાઉન્‍સરો રાખવાનો રિવાજ છે. બાઉન્‍સરોનું મુખ્‍ય કામ પોતાને નોકરીએ રાખનાર સિવાય બીજું જે કોઇ સામે મળે તેની સાથે પહેલાં ધક્કામુક્કી અને પછી તરત મારામારી કરવાનું છે. ‘બોસ ઇઝ ઓલ્‍વેઝ રાઇટ' એ સિદ્ધાંતનો અમલ કરવામાં બાઉન્‍સરો જેટલું જોખમ બીજું કોઇ ખેડતું નહીં હોય- ગુજરાતના એન્‍કાઉન્‍ટરબાજ અધિકારીઓ કે તેમના વૈચારિક સાગરિતો પણ નહીં.  બોસે દારૂ પીને કે પીધા વગર જે કંઇ કર્યું હોય તે સારૂં છે કે ખોટું તેના  વિવેચનમાં પડયા વિના, બાઉન્‍સરો સામેના પક્ષ પર હલ્‍લો બોલાવે છે. કારણ કે તેમને પગાર મગજ નહીં, હાથ-પગ ચલાવવાનો  મળે છે.


ફિલ્‍મી દુનિયામાં બાઉન્‍સરો રાખવાનું મુખ્‍ય કારણ સિતારાઓની પ્રચંડ લોકપ્રિયતા હોય છે. એ જ્ઞાનના આધારે એવી મઘુર કલ્‍પના પણ આવે કે ‘ધન્‍ય છે ગુજરાત યુનિવર્સિટી, તને એવા લોકપ્રિય કુલપતિ મળ્‍યા, જેમને ચાહકોથી બચવા બાઉન્‍સર રાખવા પડે.' ગુજરાતની પરંપરા પ્રમાણે, બાઉન્‍સર-શોભિત કુલપતિ વિશે મનમાં ગૌરવની લાગણી પણ જાગે, ‘ભારતમાતાકી જય' પોકારવાનું મન પણ થઇ આવે. ં બાઉન્‍સરો અને સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા કુલપતિ કેટલીક અખબારી તસવીરોમાં ગ્રહમંડળથી વીંટળાયેલા સૂર્ય સમા ભાસતા હતા. તેમની પાસે એકેય બાઉન્‍સર કે સલામતીરક્ષક ન હોત તો? સંભવ છે કે તે કોઇ એકલાઅટૂલા ઘૂમકેતુ જેવા લાગતા હોત. ગુજરાત યુનિવર્સિટીનો કુલપતિ ઘૂમકેતુ જેવો શોભે કે સૂર્ય જેવો? વિચાર ગુજરાતના લોકોએ કરવાનો છે.

બાઉન્‍સરો પાછળ કુલપતિ કેટલો ખર્ચ કરે છે, તેના આંકડા  ટીકાના સૂરમાં જાહેર કરવામાં આવે છે. ખરેખર, આપણા લોકોને શિક્ષણની કદર નથી. હજારો વિદ્યાર્થીઓ ધરાવતી એક યુનિવર્સીટીના કુલપતિ મહિને થોડા લાખ રૂપિયા બાઉન્‍સરો પાછળ ખર્ચે, તેમાં હોબાળો શાનો? એ ખર્ચને યુનિવર્સિટીના કુલ વિદ્યાર્થીઓ વચ્‍ચે વહેંચી કાઢવામાં આવે, તો માથાદીઠ કેટલી મામૂલી રકમ આવે? આખેઆખી રક્ષાશક્‍તિ યુનિવર્સિટી કાઢનાર ગુજરાતને કુલપતિના રક્ષણ માટે - કે મુખ્‍ય મંત્રીની સુરક્ષા માટે- થોડા લાખ-કરોડ રૂપિયા ખર્ચવા પોસાતા નથી, એમ કહેવામાં ગુજરાતનું અપમાન છે. આવા ખર્ચને બગાડ ગણાવવો, એ ગુજરાતવિરોધી ટોળકીની સાજિશ છે. હાલની મોસમ પ્રમાણે કહીએ તો, ગુજરાતના ગાલ પર પડેલો તમાચો છે. (એક આડવાતઃ ગુજરાતમાં  છ કરોડ જનતાના હિતચિંતક મુખ્‍ય મંત્રીનું રાજ હોવા છતાં, આઠ-આઠ વર્ષથી કેન્‍દ્ર સરકાર ગુજરાતને તમાચા મારે અને ગુજરાત સરકાર બીજું કશું કરવાને બદલે, જનતાના પૈસે એ તમાચા ટીવી પર જનતાને જ બતાવે, એ ગુજરાતની અસ્‍મિતાની નવી વ્‍યાખ્‍યા છે.)


ભારતીય શિક્ષણપદ્ધતિ સારા નાગરિકો નહીં, પણ કારકુનો પેદા કરે છે એવી જૂની ફરિયાદ છે. આપણી શિક્ષણપ્રણાલિમાં શરીરશ્રમ અને તંદુરસ્‍તીનું મહત્ત્વ અંકાયું નથી. પી.ટી. કે પી.ઇ.ના પિરીયડ  મોટે ભાગે ઔપચારિક બની ગયા છે. ફાસ્‍ટ ફૂડ ખાઇને આપણી નવી પેઢી માયકાંગલી બની રહી હોવાની ચિંતા સતત સેવવામાં આવે છે. એ સમયે કુલપતિ કેવળ ભાષણો ફાડીને નહીં, પણ ગાંધીચીંઘ્‍યા માર્ગે, પોતાના જ ઉદાહરણથી શરીરબળનો મહિમા કરી રહ્યા હોય, ત્‍યારે તેમની ટીકા કરવાનું કેટલું યોગ્‍ય છે? આજે કુલપતિએ બાઉન્‍સર રોક્‍યા છે, પરંતુ  શરીરબળની આ પરંપરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્‍સાહિત કરવામાં આવે, તો ભવિષ્‍યમાં બાઉન્‍સરો જ કુલપતિ બને અથવા કુલપતિ બનવા માટે બાઉન્‍સર તરીકેનો અનુભવ ફરજિયાત ગણવામાં આવે, એવી ઉજળી સંભાવના રહે છે.

એનો અર્થ એવો નહીં કે બાઉન્‍સરો રોકવાની કુલપતિની ચેષ્ટા બિલકુલ નિર્વિવાદ છે. આ પગલા સાથે ગુજરાતહિતના કેટલાક મહત્ત્વના સવાલ સંકળાયેલા છે. એ સવાલો પૂછવાને બદલે, આખી વાતને નૈતિકતાના ખાનામાં લઇ જઇને, કુલપતિની ટીકા કરવાનું વલણ આત્‍મઘાતી છે. ગુજરાતના હિતમાં પૂછવા જેવા સવાલ છેઃ  કુલપતિએ રોકેલા બાઉન્‍સર ગુજરાતીભાષી છે કે કેમ, જો નથી, તો એ ગુજરાતને અન્‍યાય ન ગણાય? બાઉન્‍સરો ગુજરાત યુનિવર્સિટીના જ વિદ્યાર્થી છે કે કેમ, આ કામગીરીમાં પસંદગી માટે ગુજરાત યુનિવર્સિટીના બેકારોને પ્રાથમિકતા આપવામાં આવે છે કે નહીં, યુનિવર્સિટીઓ ખોલવાની શોખીન ગુજરાત સરકાર નજીકના ભવિષ્‍યમાં ‘બાઉન્‍સર યુનિવર્સિટી' ખોલવા વિચારે છે કે કેમ, ગુજરાતની બીજી યુનિવર્સિટીઓ આ બાબતમાં ગુજરાત યુનિવર્સિટીને ક્‍યારે અનુસરશે?

અને છેલ્‍લો સવાલઃ કુલપતિની જેમ શિક્ષણના સ્‍તરના રક્ષણ માટે કોઇ પણ સ્‍વરૂપના બાઉન્‍સર ઉપલમ્‍ધ છે?



19 comments:

  1. કઈ વ્યક્તિએ શું કરવું એ ગેરબંધારણીય ન હોય તો તેમાં બોલવાનો હક કોઇને પણ નથી. જે વ્યક્તિ પરમીટ લઈને મદિરાપાન કરતો હોય,છતા પણ તેને "બાટલીબોય હાય હાય" કેહતા NSUI ના કાર્યકરો તો પોતાના રાજકીય સ્વાર્થ માટે હુરિયો બોલવે છે, પણ પોતને Rational માનતા આપની જેવા પત્રકારો વાણી સ્વાતંત્ર ના નામે બીજાના વ્યક્તિ સ્વાતંત્ર પર તરાપ મારી રહ્યા છો. કોઈની Personal Life ની પંચાત કરવાની કુટેવને પત્રકારત્વ ગણતા હો તો Page 3 ની Column લખવાનું ચાલુ કરવું હિતાવહ છે.

    ReplyDelete
  2. @Taksh: કુલપતિ યુનિવર્સિટીની ઓફિસમાં જે કરે - જાળીઓ નંખાવે ને બાઉન્સરો રાખે- તેને તમે પર્સનલ લાઇફ ગણો છો? આ લેખ કુલપતિના બાઉન્સર રાખવા વિશેનો છે. તેમની દારૂ પીવાની પરમિટ વિશેનો નથી. કુલપતિનો બચાવ કરવાના ઉત્સાહમાં તમને આટલી સાદી વાત ન સમજાઇ?
    આવી વાતમાં તમારા જેવા બંધારણને લઇ આવે ને વ્યક્તિસ્વાતંત્ર્યની દુહાઇઓ આપે ત્યારે ખડખડાટ હસવું આવે છે

    ReplyDelete
    Replies
    1. ઉર્વિશભાઈ, હમણાં જ થોડા સમય પેહલા જ ડિગ્રી માટેનું ફોર્મ ભરતી વખતે મેં માત્ર અને માત્ર NSUIના ટોળા દ્વારા જ કુલપતિનો થયેલો હુરિયો પ્રત્યક્ષ જોયો.જેની પાછળ સમાચારમાં પ્રસિધ્ધ અટકળ પ્રમાણે આ વ્યક્તિ કોંગ્રેસી રાજ્યપાલની વિરુધ્ધ હોવાથી નરેંદ્ર મોદીના દ્વારા એમને ઉતર ગુજરાતથી ગુજરાત યુનિવર્સિટીનું કુલપતિપદ મળ્યું છે.
      મારા મતે કોંગ્રેસ અને માત્ર કોંગ્રેસ જ એમનો વિરોધ કરે છે, વિદ્યાર્થીઓ નહિ.જ્યારે લડાઈ કોગ્રેંસના ભાડૂતિ ગુંડા સામે હોય ત્યારે સુરક્ષા માટે જાળીઓ નંખાવે ને બાઉન્સર રાખવા એ મારી દ્રષ્ટિએ યોગ્ય પગલું છે.હું આદર્શવાદને બદલે વ્યવહારીક વિચારતો હોવાથી
      મને "કોઇ પણ સ્વમાની માણસ બાઉન્સરો રાખીને કુલપતિનો હોદ્દો ભોગવવા કરતાં રાજીનામું આપી દેવાનું વધારે પસંદ કરે" એ મને મુર્ખામીભર્યું લાગે છે.

      Delete
    2. મને એમ કે તમે અગાઉ કરેલી દલીલોના મેં આપેલા જવાબ વિશે પણ કંઇક કહેશો...બીજાના વ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ etc.

      તમને પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસીઓ કુલપતિનો વિરોધ કરે છે...તમારો પ્રોબ્લેમ એ છે કે કુલપતિનો બીજા કોઇ કારણથી- જેમ કે બાઉન્સરના મુદ્દે- વિરોધ કરનારા પણ તમારાથી સહન થઇ શકતા નથી. એવો વિરોધ કરનારા વિશે તમે બેફામ લખી શકો છો...બેફામ સલાહો આપી શકો છો..

      બીજું તો શું કહું? તમારા કુલપતિપ્રેમનો જય હો.

      Delete
  3. કુલપતિની ઓફિસમાં છાસવારે ઘુસી જઇ તોડફોડ મચાવતા 'વિદ્યાર્થીનેતા'ઓથી બચવા શું કરવું જોઇએ? Please answer

    ReplyDelete
  4. tamaru stand clear cut janva na malyu

    ReplyDelete
  5. @tapan: વ્યંગલેખમાં 'ક્લીઅરકટ સ્ટેન્ડ' જુદી રીતે વ્યક્ત થાય...

    @Krutesh: બાઉન્સર ન રાખવા જોઇએ. એટલું મને સમજાય છે. કોઇ પણ સ્વમાની માણસ બાઉન્સરો રાખીને કુલપતિનો હોદ્દો ભોગવવા કરતાં રાજીનામું આપી દેવાનું વધારે પસંદ કરે.
    શું કરવું જોઇએ એ દરેકની વહીવટી ક્ષમતાનો પ્રશ્ન છે. મારામાં એ ક્ષમતા નથી. એટલે હું કુલપતિ બનવાનો નથીઃ-) પણ શું ન થાય એ સામાન્ય સમજણનો સવાલ છે. એ મને સમજાય છે.

    આટલા દેખીતા વાહિયાત પગલાને તમે કોઇ પણ રીતે વાજબી ઠરાવવા ઇચ્છતા હો કે 'બિચારા આવું ન કરે તો બીજું શું કરે?' એવું માનતા હો, તો એ 'ચર્ચા'માં મને રસ નથી.

    ReplyDelete
    Replies
    1. e to maney khabar chhe,12 ma ma gujarati ma mare 82 mark hata,pan addhu vyang ane addhu normal hoy tyare samjvu mushkel bane

      Delete
  6. ગિરિરાજ11:27:00 AM

    તમારે આવી ટીકા કરવાને બદલે ખરેખર તો કુલપતિનો આભાર માનવો જોઇએ કે ગુ.યુ.ના વિદ્યાર્થીઓએ બાઉન્સરોને જોવા માટે મુંબઇના ડાન્સબારની મુલાકાત લેવા લાંબુ નહિ થવું પડે. કેમ્પસમાં જ બાઉન્સરો જોવા મળી જશે અને એ રીતે વિદ્યાર્થીઓ ડાન્સબારના દુષણમાંથી બચી શકશે. જય હો!
    @ તક્ષઃ- મિત્ર, ગુ.યુ.ના કુલપતિપદે બેસનાર વ્યક્તિ જાહેર સ્થાન શોભાવે છે એટલે એમાં પર્સનલ લાઇફ જાહેર થશે એમ ગણીને જ પદ સ્વીકારવું પડે. અને જે બાટલી પીવે તેને 'બાટલીબોય' જ કહેવાય! એમાં આટલા મરચાં શાને લાગ્યા??

    ReplyDelete
    Replies
    1. @ ગિરિરાજ, જે ખોટું લાગતું હોય તેને વિરોધ કરવા માટે સબળ મુદ્દા પણ હોવા જોઈએ, પણ માત્ર વિરોધી હોવાના કારણે જ જ્યારે ગમે તેવા મુદ્દા કાઢીને વ્યક્તિને ભીડવવાનો પ્રયાસ હોય ત્યાં આવી ઉતરતી કક્ષાની જ ટીપ્પણીઓથી જ કામ ચાલે છે.જ્યાં વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા મિડિયા હાજર જ હોય છે. બસ આ વસ્તુ મને યોગ્ય ન લાગતી હોવાથી વિરોધ કરુ છું.મને આપની માફક મરચા લાગતા નથી. :D

      Delete
    2. ગિરિરાજ12:20:00 PM

      @ તક્ષ - પહેલાં તો તમે ટીપ્પણીની કક્ષા કેવી રીતે નક્કી કરો છો તે સમજાવો. તમને બેઝિક 'સેન્સ ઓફ હ્યુમર' કેળવવાની ઘણી જરૂર લાગે છે ભાઇ.
      બીજું - 'શૈક્ષણિક સંસ્થામાં બાઉન્સર' - આ મુદ્દો સબળ ન લાગતો હોય તો આપની સમજણને ધન્ય છે. આગળ વધો.

      Delete
  7. વિશ્વામિત્ર પોતાના યજ્ઞની રક્ષા માટે રામને લઇ ગયા હતા.તો આપના મત મુજબ આવા ઉછીના રક્ષકો રાખવાને બદલે વિશ્વામિત્રએ પણ પોતાના આશ્રમને બંધ કરી દેવો જોઇએને?

    શૈક્ષણીક સંસ્થાઓમાં કુલપતિ અને વિદ્યાર્થીઓના રક્ષણ માટે સૈન્ય મદદ લેવી કોઇ નવી વાત નથી. તેને સ્વમાનનો પ્રશ્ન બનાવવો ખુબ જ હાસ્યાસ્પદ છે. દરેક વ્યક્તિમાં બધી ક્ષમતા ના પન હોય. બૌધિકબળ હોય, પણ શારીરિક બળ ના પણ હોય. તો શારિરિક રક્ષણ મેળવે તેમાં શું ખોટું છે?

    તમારા મતે આ વાહીયાત પગલું હશે, પણ બાઉન્સરો દ્વારા કુલપતિ ગુંડાતત્વો સામે રક્ષણ મેળવે તેમાં શું ખોટું છે?? કુલપતિ તેનો દુરુપયોગ કરે તો ટીકા કરાય, પણ ગુંડાઓ સામે બચાવ કરવાને બદલે તમે તેમને તાબે થઇ જવાનું પસંદ કરશો?

    ReplyDelete
    Replies
    1. if you don't want to understand the difference between guards at an organisation & bouncers- and think Ram was bouncer to Vishwamitra, i'm helpless.

      Delete
    2. Oh Please explain difference then

      Delete
    3. ha..ha.. i should have anticipated the futility of this 'discussion'.
      anyway, use dictionary to understand the difference and no further comments pls.

      Delete
  8. બીરેન કોઠારી2:04:00 AM

    બહુ ઉછળ્યા આ બાઉન્‍સરો! તેની ટપ્પી જ પડતી નથી. 'શોલે'નું ગાંધીયુગ સંદર્ભે નવેસરથી અર્થઘટન કર્યું હતું, એમ હવે ઘણા ધર્મગ્રંથોનું નવેસરથી અર્થઘટન કરવું રહ્યું.
    રામ -વિશ્વામિત્રના બાઉન્‍સર, હનુમાન- રામના બાઉન્‍સર, સુગ્રીવ- હનુમાનના બાઉન્‍સર,અંગદ- સુગ્રીવનો બાઉન્‍સર, અન્ય વાનરસેના- અંગદના બાઉન્‍સર. અને આ વાનરસેનાના બાઉન્‍સર - રામ.
    ટૂંકમાં, બાઉન્‍સર પ્રથા રામાયણકાળ જેટલી પુરાણી છે અને કુલપતિ તેને જ અનુસરી રહ્યા છે.

    ReplyDelete
  9. એક ઑવરમાં એક જ બાઉન્સર નાખવાની છૂટ હોય છે.

    ReplyDelete
  10. Anonymous4:42:00 AM

    Urvishbhai ,
    As a pysician in USA , I had called many times Sherif dept to my clinic ,and Security Guards in Hospital for some patients before I enetr in room. I am not physically strong ,and law here says " Physician assulted even in cc camara " ,I have luxury here,I do not see any thing wrong for VC of Gujarat University call the bouncers. Hope you understand the situation,as you put one status for one professor at "Pilwai ,Kalol" were he got assulted by NSUI ,and you openly said waiting for comments from Shakti Sinh AND Arjun Moghwadiya. Please dear friend,try to understand.

    ReplyDelete
  11. dear friend
    there are two important differences which should be kept in mind.
    1. you're a private practitioner - and not a VC of a university.
    2. it's nobody's case that VC should tolerate hooliganism which has become order of the day of late. the issue is even after getting security guards for protection, why a vc should bring bouncers along with him?
    mind well, security guards are very much there. if vc finds them inefficient, they can be replaced. but VC employing- not calling- bouncers remains an absurd situation for many like me.

    ReplyDelete