Thursday, August 30, 2012

વાયદાનો વાયદો, ફાયદાનો ફાયદો

સામાન્‍ય રીતે ક્‍લોરોફોર્મમાં રહેવા માટે જાણીતી ગુજરાત કોંગ્રેસ અત્‍યારે ‘ફોર્મ'માં છે, એવું કહી શકાય. ‘ઘરનું ઘર' યોજનાનાં કોંગ્રેસે તૈયાર કરેલાં ફોર્મ લાખોની સંખ્‍યામાં વહેંચાતાં, ગુજરાતમાં ચૂંટણીચોમાસાનો માહોલ જામ્‍યો છે. હવે ડિસેમ્‍બર સુધી નિવેદનબાજીનો ગડગડાટ, સામસામે આરોપબાજીની વીજળી અને વાયદાનો વરસાદ ચાલશે. કોંગ્રેસની ફોર્મલીલા જોઇને લાલ થયેલા મુખ્‍ય મંત્રી પણ આ બાબતમાં પાછા પડે એમ નથી. મતલબ, ‘ઘરનું ઘર'થી શરૂ થયેલો સિલસિલો આવનારા દિવસોમાં ક્‍યાં જઇને અટકશે, એ કહેવું અઘરૂં છે.

રાજકારણીઓની કલ્‍પનાશીલતા કોઇ પણ હાસ્‍ય-વ્‍યંગકારને ટક્કર મારે એવી હોય છે. હાસ્‍યલેખકોની સારામાં સારી- એટલે કે ખરાબમાં ખરાબ- કલ્‍પનાઓ સાચી પાડવા માટે નેતાઓ નામીચા છે. એટલે તેમની ફળદ્રુપ કલ્‍પનાશીલતા સામે આગોતરો પરાજય સ્‍વીકારીને કેટલાક ભાવિ વાયદાની કલ્‍પના કરી જોઇએ. આ કલ્‍પનાઓ પર કોપીરાઇટ એક જ શરતે જતો કરવામાં આવે છેઃ તેને વાસ્‍તવિકતામાં ફેરવવાનો પ્રયાસ કોઇ પક્ષે કે નેતાએ ન કરવો.

રોડનો રોડ

‘ઘરનું ઘર' હોઇ શકે, તો ‘રોડનો રોડ' કેમ નહીં? ગુજરાતમાં બધાને રોડ બહુ ગમે છે. એટલા ગમે છે કે એકલા રોડ હોય ને ઘર ન હોય તો પણ લોકો રાજ્‍યના વિકાસથી પ્રભાવિત થઇ જાય. લોકોનો રોડપ્રેમ ઘ્‍યાનમાં રાખીને વિકાસપ્રેમી સરકાર એવા રોડ બનાવે છે કે જેથી દર વર્ષે રોડ નવા કરવા પડે. નવા લાગતા રોડનું એક-બે સારા વરસાદ પછી, યુપીએ સરકારની આબરૂ જેવું કે ગુજરાત ભાજપની આંતરિક લોકશાહી જેવું, સંપૂર્ણ ધોવાણ થઇ જાય છે. ઝીણી ઝીણી કાંકરીઓથી આચ્‍છાદિત અને વચ્‍ચે વચ્‍ચે ભૂવા-ખાડાથી શોભંતો રસ્‍તો જોઇને કોઇને કલ્‍પના ન આવે કે અહીં કોઇ કાળે કદી સળંગ, સપાટ રોડ વિદ્યમાન હશે.

વાંકદેખાઓ એના માટે સરકારને અને સરકારી ખાતાંના ભ્રષ્ટાચારને દોષ દે છે. ગુજરાતની પ્રગતિ ખમાતી ન હોય એવા ગુજરાતવિરોધીઓ કહે છે, ‘એવા તે કેવા રોડ બને છે કે દર વર્ષે તેમની પાછળ નવેસરથી ખર્ચ કરવો પડે?' પરંતુ તેમના આ પ્રચારથી ભરમાવા જેવું નથી. હકીકત એ છે કે દર વર્ષે નવા રોડ બને અને ગુજરાતનું (એટલે કે ગુજરાતના મુખ્‍ય મંત્રીનું) સારૂં દેખાય, એ તેમનાથી ખમાતું નથી. બાકી, ગુજરાત કંઇ ભીખારી રાજ્‍ય છે કે તેને દર વર્ષે રોડના સરફેસિંગ પેટે ખર્ચાતા થોડા કરોડ રૂપિયાના પરચૂરણ હિસાબો ગણવા પડે? દર બે વર્ષે અમુક હજાર કરોડના રોકાણના એમઓયુ જ્‍યાં થતા હોય, ત્‍યાં આટલી રકમ બચાવવાનો વિચાર કરવો, એ પણ ગુજરાતદ્રોહ છે.

ગુજરાતના રોડકેન્‍દ્રી વિકાસની ઉજ્‍જવળ પરંપરા ઘ્‍યાનમાં રાખીને કોઇ નેતા એવું વચન આપી શકે છે કે અમારો પક્ષ સત્તામાં આવશે તો અમે દર મહિને કે મહિનામાં બે વાર નવા રોડ બનાવીશું. તેના માટેના બધા બધા કોન્‍ટ્રાક્‍ટ નેતાઓના સગાંવહાલાંને વહેંચી દેવાને બદલે, થોડા ગામના છોકરાઓ માટે રાખવામાં આવશે. તેનાથી  બેકાર યુવાનોને ધંધારોજગારની તક પણ મળશે. આ યોજનાનું નામ ‘રોડનો રોડ, રોજગારીની રોજગારી' રાખી શકાય.

નોકરીની નોકરી

ગુજરાતમાં ધારો કે દુનિયાની બધી કારકંપનીઓ આવી જાય તો પણ, મળી મળીને કેટલા ગુજરાતીઓને નોકરીઓ મળવાની? અને કશા દેખીતા ફાયદા વિના, ફક્‍ત કાર ફેક્‍ટરીઓની સ્‍થાપનાથી રાજ્‍યના લોકો ક્‍યાં સુધી ‘ફીલગુડ વિકાસ' અનુભવ્‍યા કરશે? તેમની આંખ ખુલે, એ પહેલાં બેકારો માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી રહી. તેમને નોકરી આપવી રહી.

કાયમી નોકરી આપવાનું સરકારને પોસાતું નથી. ગુજરાત બહુ સમૃદ્ધ રાજ્‍ય છે, પણ એનો અર્થ એવો થોડો કે લોકોને આપવાના પગારોમાં રૂપિયા વેડફી મારવાના? મરાઠા નગારે, મોગલો તગારે ને અંગ્રેજો પગારે ગયા, એવી કહેણી યાદ રાખીને સરકાર સમસ્‍યાના મૂળ સુધી પહોંચવા ઇચ્‍છે છે. કાયમી પગારદારો જ ઓછા હોય, એટલે (વધારે) પગારને લીધે સરકાર જવાનો પ્રશ્ન જ ન રહે. (ઓછા પગારને લીધે સરકાર જાય કે કેમ, એ અલગ ચર્ચાનો વિષય છે.)

સરકારે વિવિધ હોદ્દા માટે સહાયકો નીમ્‍યા છે.  ફિલ્‍મલાઇનમાં જેમ ડાયરેક્‍ટર સિવાયના બધા આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર હોય છે, એવું ગુજરાતમાં સહાયકોનું છે. પરંતુ હજુ ઘણાં ક્ષેત્રો એવાં છે, જ્‍યાં સહાયકો નીમવાની અને એ રીતે ગુજરાતની બેરોજગારીની સમસ્‍યા હળવી કરવાની ઉજળી તકો છે. ‘વાઇબ્રન્‍ટ ગુજરાત'ના કાર્યક્રમોમાં દર બે વર્ષે હજારો કરોડો રૂપિયાના એમઓયુ થાય છે. અમે ચૂંટણી જીત્‍યા પછી મંત્રીમંડળમાં એક નવું ખાતાનો ઉમેરો કરીશું : વાઇબ્રન્‍ટ ખાતું. તેમાં દર એક કરોડના એમઓયુ દીઠ એક એમઓયુ-સહાયક નીમવાનું અમે વચન આપીએ છીએ. આ પગલાથી એમઓયુ પ્રમાણે રોકાણ નહીં આવતાં હોવાની ફરિયાદ કરતી ગુજરાતદ્વેષી ટોળકીનાં મોં બંધ થઇ જશે. કારણ કે રોકાણ આવે કે ન આવે, ગુજરાતી યુવાનોને વાઇબ્રન્‍ટ ખાતામાં નોકરીઓ તો મળશે. વાઇબ્રન્‍ટ ખાતાના નિભાવ માટે ગુજરાતમાં સસ્‍તા ભાવની જમીનો અને અઢળક ફાયદા લઇ ગયેલા ઉદ્યોગપતિઓ સાથે, સામાન્‍ય રીતે થાય એવા ગુપ્‍ત નહીં પણ જાહેર એમઓયુ કરવામાં આવશે.  ‘દુનિયાની કોઇ તાકાત ગુજરાતના યુવાનને સહાયક બનતાં રોકી નહીં શકે' એ અમારૂં પ્રેરણાદાયી ચૂંટણીસૂત્ર છે.

આ યોજનાને ખાનગીમાં ‘નોકરીની નોકરી, શોષણનું શોષણ' પણ કહી શકાય.

આરામનો આરામ, આવકની આવક

ચૂંટણીવચનોની હરીફાઇમાં છેલ્‍લા તબક્કે ઉતરવાનું આ પત્તું છે, પણ વાત કરવા બેઠા જ છીએ તો કહી દેવામાં વાંધો નથી. અમે ચૂંટણી જીતીશું તો ગુજરાતના તમામ બેકારોને બેકારીભથ્‍થું આપીશું. બેકારીભથ્‍થું આપવાની વાત લાગે છે એટલી ક્રાંતિકારી નથી. વર્તમાન સરકારમાં મુખ્‍ય મંત્રીએ ઘણા મંત્રીઓનાં ખાતાંમાં પોતાનો હાથ રાખીને તેમને ભાવાર્થમાં બેકાર બનાવી દીધા છે. છતાં તેમનાં પગારભથ્‍થાં ચાલુ છે અને એમાં કોઇને કશું અજુગતું લાગતું નથી. ચૂંટણી જીત્‍યા પછી સામાન્‍ય બેકારોને પણ આ યોજના અંતર્ગત આવરી લેવાશે.

ગુજરાતની તનાવપૂર્ણ રાજકીય હરીફાઇમાં પરસ્‍પર આદર અને મીઠાશ જળવાઇ રહે એ માટે ફક્‍ત રાજકીય કારકિર્દી ધરાવતા લોકોમાંથી જે ચૂંટણીમાં હારી જાય તેમને પક્ષાપક્ષીના ભેદ વિના બેકારીભથ્‍થાને પાત્ર ગણવામાં આવશે. પેન્‍શન મેળવનારે જેમ દર મહિને જીવતા હોવાનો પુરાવો આપવો પડે છે તેમ બેકારે દર મહિને ભથ્‍થું મેળવવા માટે પોતાના બેકાર હોવાનો પુરાવો રજૂ કરવો પડશે. હારેલા ધારાસભ્‍યોએ અલગથી પુરાવો રજૂ કરવાની જરૂર રહેશે નહીં.

મહિને કેટલા રૂપિયા બેકારીભથ્‍થા પેટે આપવા તેનો નિર્ણય પરિણામો આવ્‍યા પછી જ લેવાશે. તેમાં અમે એ ઘ્‍યાન પણ રાખીશું કે બેકારીભથ્‍થું વિવિધ પ્રકારના સહાયકોના પગાર કરતાં વધી ન જાય. બેકારીભથ્‍થા માટેનું ભંડોળ મેળવવા માટે અમે કેન્‍દ્ર સરકાર પર દબાણ કરીને નવી યોજના અમલમાં મૂકાવીશું. તેનું નામ હશે ‘મરેગા'. આ કોઇ અંગ્રેજી શમ્‍દોનું ટૂંકું રૂપ નહીં હોય, પણ યોજનાનાં ભાવિ પરિણામોને ઘ્‍યાનમાં રાખીને પડાયેલું તેનું વાસ્‍તવિક નામ હશે. અમે તો દરેક મતદારને સોનાનાં બિસ્‍કિટ આપવા માગીએ છીએ, પણ પાંચ વર્ષ પછી ફરી ચૂંટણી આવવાની છે, એ યાદ રાખીને થોડાં વચન ભવિષ્‍ય માટે રાખી મુકવાં જરૂરી છે.

1 comment: