Tuesday, April 24, 2012

સિયાચીન : શાણપણ અને સત્તાનો સંઘર્ષ

એપ્રિલ ૭ના રોજ પાકિસ્તાનના ગયારી વિસ્તારમાં બરફનું તોફાન આવ્યું. તેમાં આશરે સવા સો પાકિસ્તાની સૈનિકોએ જીવ ખોયા.  ગયારીમાં જે બન્યું તે પ્રકારની દૃષ્ટિએ નખશીખ કુદરતી દુર્ઘટના હતી, પરંતુ તેના કારણે થયેલી જાનહાનિ સંપૂર્ણપણે માનવસર્જિત હતી. આશરે ૧૩ હજાર ફીટ ઊંચાઇ પર આવેલા ગયારી સેક્ટરમાં બરફનું તોફાન આવે એ સમજાય,પણ ત્યાં આટલી મોટી સંખ્યામાં સૈનિકો શું કરતા હતા?

એક જ લીટીમાં તેનો જવાબઃ ગયારી સેક્ટર ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી સિયાચીન ગ્લેશિયર/ Siachen Glacier(હિમનદી) પાસે આવેલું છે. આશરે ૭૫ કિલોમીટર લાંબી સિયાચીન હિમનદીના પ્રદેશ પર માલિકી પુરવાર કરવા માટે ચારેક દાયકાથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સાઠમારી ચાલે છે. તેમાં અત્યાર લગી ભારતનું પલ્લું ભારે રહ્યું છે અને પાકિસ્તાનના ભાગે નિષ્ફળતા આવી છે. પરંતુ સવાલ એ થાય કે સિયાચીન જેવી દુર્ગમ અને લગભગ નકામી કહી શકાય એવી જગ્યા માટે બન્ને દેશો શું કામ ખુવાર થતા હશે? જેમાં સરવાળે બન્ને પક્ષોને કશો ફાયદો થવાનો ન હોય, એવી ખેંચતાણ અને તેના પગલે થતી જાનમાલની ખુવારી ટાળી ન શકાય?

પાકિસ્તાની સેનાપતિ જનરલ કિયાનીએ સવાસોથી પણ વઘુ સૈનિકો ગુમાવ્યા પછી ‘સિયાચીનની સમસ્યા ઉકલે અને બન્ને દેશોને તેની કિંમત ચૂકવવી ન પડે’ એવી આશા વ્યક્ત કરી છે. તેમની પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝશરીફે ગયારીની મુલાકાતે ગયા પછી બન્ને દેશો પોતપોતાની સૈનિકટુકડીઓ ત્યાંથી પાછી ખેંચી લે એવી  લાગણી જાહેર કરી અને કહ્યું કે આ બાબતમાં ભારત પહેલ ન કરે, તો પાકિસ્તાને પહેલું પગલું ભરવું જોઇએ.

જ્યાં મોટા ભાગના સૈનિકો આપસી લડાઇમાં નહીં, પણ બર્ફીલા હવામાન સામે હારીને મોતને ભેટે છે અને જ્યાં શૂન્યથી ત્રીસ-ચાળીસ અંશ સેલ્સીયસ તાપમાનમાં સૈનિકટુકડીઓને નિભાવવા માટે રોજનો પાંચ-છ કરોડ રૂપિયા ખર્ચ થાય છે, એ સિયાચીન દુનિયાનું સૌથી ઊંચું રણમેદાન ક્યારે અને કેવી રીતે બન્યું?

વ્યૂહાત્મક વિજય


સ્થાનિક ભાષામાં ‘સિયા’ એટલે ગુલાબ અને ‘ચીન’ એટલે -ની જગ્યા. આ નામ સાર્થક કરતા સિયાચીનની ખીણોમાં પુષ્કળ ગુલાબ ઉગે છે, પણ ૧૯૮૪થી સિયાચીનનો વાસ્તવિક અર્થ છેઃ પૃથ્વી પરનું સૌથી ઊંચું - સૌથી વિષમ યુદ્ધમેદાન. તેની માલિકી વિશે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ભારતના વિજય સુધી કોઇ વિવાદ ન હતો.  સિયાચીન જેવા ઉજ્જડ બર્ફીસ્તાનમાં વાવટા ખોડવાનો કોઇને અભરખો પણ ન હતો. એટલે જ, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા- લાઇન ઓફ કન્ટ્રોલ- એનજે ૯૮૪૨ નામના પોઇન્ટ પર આવીને અટકી જતી હતી. ત્યાંથી આગળના પ્રદેશની દુર્ગમતા જોઇને, ત્યાં સરહદ આંકવાની જરૂર બન્ને દેશોને લાગી નહીં. એનજે ૯૮૪૨થી અંકુશરેખા ‘ઉત્તરે આગળ ગ્લેશિયર તરફ’ રહેશે એવું ઠરાવવામાં આવ્યું.



૧૯૭૧ના યુદ્ધમાં પરાજિત થયેલા પાકિસ્તાને ૧૯૭૨થી જ સિયાચીનના મુદ્દે અવળચંડાઇ શરૂ કરી દીધી. સિયાચીનને પાકિસ્તાનના નકશામાં દર્શાવવાથી માંડીને, ત્યાં પર્વતારોહણ માટે પરવાનગીઓ આપવાનો સિલસિલો શરૂ થયો. વિદેશી પર્વતારોહકો પાકિસ્તાની  સરકારની મંજૂરીથી સિયાચીનમાં પર્વતારોહણ કરે, એટલે જાણે એ પ્રદેશ પર પાકિસ્તાનની માલિકી આપોઆપ સિદ્ધ થઇ જાય. દરમિયાન ભારત તરફથી પણ પર્વતારોહકો, પાકિસ્તાનની પરવાનગીની જરૂર જોયા વિના, સિયાચીન જતા હતા.

દેખીતી રીતે નકામા સિયાચીન પર કબજો જમાવવા પાછળ પાકિસ્તાનના બે મુખ્ય હેતુઃ ૧) એ વિસ્તારના મહત્ત્વના ઘાટ જીતી લેવાય તો કારાકોરમ ઘાટ થઇને ચીન સાથે સીધો સંપર્ક સ્થાપીત કરી શકાય, જે વ્યૂહાત્મક રીતે ભારતને ભારે અડચણરૂપ નીવડી શકે. ૨) ભારત સામે યુદ્ધમાં કારમા પરાજય પછી, સિયાચીન ‘જીતીને’- એટલે કે રેઢું પડેલું સિયાચીન પચાવી પાડીને- પ્રજાને પાનો ચઢાવી શકાય.

સિયાચીન ગ્લેશિયરની પશ્ચિમે આવેલા ત્રણ મહત્ત્વના ઘાટ- સિઆ લા, બિલાફોન્ડ લા અને ગ્યોન્ગ લા- પર ભારતીય સૈનિકોનું આધિપત્ય હતું, પરંતુ શિયાળામાં ભયંકર આબોહવાથી બચવા માટે તે ઓછી ઊંચાઇ પરની ચોકીમાં આવી જતા હતા. ૧૯૮૪માં ભારતીય સૈનિકોએ ઘાટની ઊંચાઇ છોડી, તેનો ગેરલાભ લઇને પાકિસ્તાની સૈનિકોએ ત્રણે ઘાટ પર અડીંગો જમાવી દીધો. (પંદર વર્ષ પછી કારગીલમાં પણ પાકિસ્તાને આ જ પદ્ધતિ અજમાવીને ઊંચાઇ પરની ચોકીઓ પચાવી પાડી.)

ભારત માટે આ ત્રણે ઘાટ ફરી જીતી લેવાનું જરૂરી બન્યું. ઠંડાગાર વાતાવરણમાં, આકરા ઢોળાવ ચઢીને ઊંચાઇ પર આવેલી ચોકી જીતી લેવાનું કામ અત્યંત કઠણ હતું. એ માટે ‘ઓપરેશન મેઘદૂત’ જેવું સાંકેતિક નામ ધરાવતી લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. એપ્રિલ ૧૩, ૧૯૮૪ના રોજ શરૂ થયેલા ઓપરેશનમાં ભારતીય સૈન્યની કુમાઉ બટાલિયનના સૈનિકોને જ્વલંત સફળતા મળી. નિવૃત્ત લેફ્‌ટ.કર્નલ દલજિતસિંઘના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના આશરે ૨૦૦ અને ભારતના ૩૬ સૈનિકો ‘ઓપરેશન વિજય’માં મૃત્યુ પામ્યા.

ભારતે મહત્ત્વના ત્રણે ઘાટ પર ફતેહ મેળવી લીધી, પરંતુ એ દિવસથી રોપાયેલાં અવિશ્વાસનાં બી વધીને વટવૃક્ષ બની ગયાં છે. પાકિસ્તાને ત્યાર પછી ભારતને ભરોસો પડે એવી એક પણ ચેષ્ટા કરી નથી. ઉલટું, ૧૯૮૭માં ફરી એક વાર ભારતીય સૈનિકોએ શિયાળામાં એક પોઇન્ટ ખાલી કર્યો ત્યારે પાકિસ્તાની સૈનિકોએ રાબેતા મુજબ ત્યાં અડ્ડો જમાવી દીધો અને એ જગ્યાને કાઇદ-એ-આઝમ ઝીણાના નામ પરથી ‘કાઇદ પોસ્ટ’નું નામ આપી દીઘું. આશરે ૨૧ હજાર ફીટની ઊંચાઇ પર આવેલા આ પોઇન્ટ પર નીચેથી ચઢાઇ કરીને કબજો મેળવવાનો વિચાર સુદ્ધાં અશક્ય લાગે,
પણ નાયબ સુબેદાર બાનાસિંઘ/ Bana Singhની આગેવાની હેઠળ આઠમી જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયનના ચુનંદા જવાનોએ, બરફવર્ષાની વચ્ચે એક જ દિવસમાં એ ચોકી કબજે કરી. આ પરાક્રમ બદલ બાનાસિંઘ જીવતેજીવ ‘પરમવીર ચક્ર’થી સન્માનિત થયા અને એ ચોકીનું નામ ‘કાઇદ પોસ્ટ’માંથી બદલીને ‘બાના પોસ્ટ’/ Bana Post કરી દેવાયું.

૧૯૮૪ અને ૧૯૮૭ની સિયાચીન ધૂસણખોરી પછી ૧૯૯૯માં કારગીલમાં એ જ પદ્ધતિએ ઊંચાઇ પરની ચોકીઓ પડાવી લેવાની પાકિસ્તાની કાર્યવાહી પછી તેની પર ભરોસો મૂકવાનું ભારત માટે કપરું છે. એક નહીં, ત્રણ-ત્રણ વાર છેતરાઇ ચૂક્યા પછી સિયાચીનના મુદ્દે ભારત સાવધાનીથી વર્તે અને પાકિસ્તાનના ઇરાદા પ્રત્યે શંકા રાખે એ બિલકુલ વાજબી છે. સાથોસાથ, સિયાચીન નિમિત્તે થતા અઢળક ખર્ચ અને નિરર્થક જાનહાનિ અટકે એ પણ સમયનો તકાદો લાગે છે. સિયાચીનના પર્યાવરણની ચિંતા કરનારા પ્રકૃતિપ્રેમીઓ અને યુદ્ધવિરોધી શાંતિપ્રેમીઓ જ નહીં, સિયાચીનની લડાઇનું પ્રતીક બની ચૂકેલા બાનાસિંઘ જેવા લોકો પણ ઇચ્છે છે કે બન્ને દેશો સિયાચીનને પૂર્વવત્‌- રેઢું મૂકી દે અને સિયાચીનના સંઘર્ષનો અંત આણે
.
આશાવાદ અને વાસ્તવિકતા

પર્યાવરણપ્રેમીઓ, શાંતિપ્રેમીઓ અને અભ્યાસીઓ ઘણા વખતથી સિયાચીન-સંઘર્ષની કારમી અસલીયત જાહેરમાં મૂકી રહ્યા છે. એક અભ્યાસીએ આ મુદ્દે ભારત-પાકિસ્તાનની ખેંચતાણને ‘બે ટાલિયા વચ્ચે કાંસકા માટેનું યુદ્ધ’ ગણાવી છે. સિયાચીનમાં સૈનિકોને વેઠવી પડતી મુશ્કેલી અને તેની સામે નહીંવત્‌ ઉપલબ્ધિ જોતાં, આ સરખામણી સચોટ લાગે.

પાકિસ્તાનને હઠાવીને ભારતે ઊંચાઇ પરની ચોકીઓ જીતી લીધી, એ લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ તેની જીત છે. પરંતુ એ જ બાબત  ખર્ચાનો ખાડો અને સૈનિકોના જીવનું જોખમ પણ બની છે. ભારતને સિયાચીનની ચોકીઓ સુધી માલસામાન પહોંચાડવા માટે ૧૭-૧૮ હજાર ફીટ ઊંચાઇ પર ઉડી શકે એવાં હેલિકોપ્ટર પર આધાર રાખવો પડે છે. પ્રમાણમાં નીચા સ્તરે ચોકી ધરાવતા પાકિસ્તાન માટે સડકરસ્તે સૈનિકોને સામગ્રી પહોંચાડવાનું શક્ય છે.

કાતિલ ઊંચાઇ પર ફરજ બજાવતા સૈનિકોની હાડમારીનો પાર નથી. સદા શૂન્યથી નીચે તાપમાનમાં જીવન ટકાવી રાખવા માટે પાણી કરતાં પણ કેરોસીનનું મહત્ત્વ વધારે છે. કારણ કે ચોતરફ થીજેલા બરફમાંથી પાણી બનાવવું હોય તો કેરોસીનની જરૂર પડે છે. કેરોસીનનો પુરવઠો મોકલવા માટે હેલિકોપ્ટરની સેવાઓ લેવી ન પડે એ માટે, બાર વર્ષ પહેલાં ૧૨૧ કિલોમીટર લાંબી કેરોસીન-ઓઇલ પાઇપલાઇન કાર્યરત બની છે. પ્રતિ કિલોમીટર ચાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં ૨૪ પમ્પિંગ સ્ટેશન ઉભાં કરાયાં છે, જે ભારતીય સૈન્યનાં હેલિકોપ્ટરની ખેપનો ખર્ચ બચાવી લે છે. તેમ છતાં, રોજિંદા વપરાશની દરેકેદરેક ચીજવસ્તુઓ હેલિકોપ્ટર મારફત લાવવી પડતી હોય ત્યારે થતા ભારે ખર્ચનો અંદાજ માંડી શકાય છે.

સૈનિકો માટે જરૂરી ચીજવસ્તુઓ કરતાં પણ વધારે મોટો પ્રશ્ન અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો છે. ‘અહીં ઓક્સિજન ૩૦ ટકા ઓછો, પણ ૧૦૦ ટકા શુદ્ધ મળશે’ એવું બેઝકેમ્પના હવાઇમથક પાસેનું પાટિયું કારમી પરિસ્થિતિનો હળવાશથી ખ્યાલ આપે છે. ડગલે ને પગલે હિમડંખ, બરફાચ્છાદિત સપાટી પરનાં ખતરનાક પોલાણ (બર્ફીલા ભૂવા) સૈનિકો માટે યમદૂત બનીને ઝળુંબતા હોય છે. સહેજ ગાફેલિયતનું સીઘું પરિણામ મોત અને ટકી ગયેલા સૈનિકોને સિયાચીન-નિવાસની શારીરિક-માનસિક અસરો વેઠવાની રહે છે.

આ બઘું ઘ્યાનમાં રાખતાં, જનરલ કિયાની અને નવાઝ શરીફે વ્યક્ત કરેલા આશાવાદમાં સૂર પુરાવવાનું મન થાય, પરંતુ પાકિસ્તાનનું સત્તાવાર વલણ આ મામલે સાવ જુદું રહ્યું છે. સિયાચીન મુદ્દે કોઇ પણ પ્રકારની વાટાઘાટો કરતાં પહેલાં પાકિસ્તાને અત્યારની પરિસ્થિતિ- એક્ચુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન- માન્ય રાખવી અને તેનું ઉલ્લંઘન નહીં થાય તેની બાંહેધરી આપવી, એવી ભારતની પ્રાથમિક શરત છે. પાકિસ્તાનને એ મંજૂર નથી. તેના દ્વારા સૂચિત ચાર તબક્કા છેઃ સૌથી પહેલાં સૈન્યો પાછાં ખેંચવા- એટલે કે ૧૯૮૪ની સ્થિતિમાં આવી જવું, પછી નવેસરથી અંકુશરેખા દોરવી અને તેને અધિકૃત બનાવવી. મહામહેનતે સિયાચીન હાંસલ કરનાર અને ભારે કિંમત આપીને તેની પરનો કબજો ટકાવી રાખનાર ભારત આ શરત સ્વીકારી શકે તેમ નથી.  એટલે બર્ફીલાં તોફાનો અને મોટી દુર્ઘટનાઓ સિવાય સામાન્ય સંજોગોમાં, પાકિસ્તાની નેતાગીરીમાં શાણપણ પ્રગટે એવી આશા રહેતી હોવા છતાં, તેની ખાસ સંભાવનાઓ દેખાતી નથી. 

3 comments:

  1. સાવ સાચી વાત છે...બરોબર યાદ નથી પણ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે પણ ચીનના યુધ્ધ સમયે(તે પહેલા કે પછી) એકવાર સંસદમાં આવા જ વિસ્તારની ચર્ચા ચાલતી હતી અને નહેરુ ઉવાચઃ- "વો બંજર ઝમીંન મે સે ક્યા મિલને વાલા હૈ?વો કિસી કામ કી નહીં હૈ" ત્યારે જ કોઈ ટાલિયા સાંસદે ટોપી(પોતાની જ) ઉતારીને પોતાની ટાલ દેખાડતા નહેરુને જવાબ આપેલોઃ-"વૈસે તો યે ભી બંજર હૈ; તો ક્યા વો કામ કી નહીં?"...આવુ જ છે...અમાં પણ; બે ટાલિયા એક કાંસકા માટે ઝગડે છે...

    ReplyDelete
  2. મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેટલા વિવાદ છે તેમાં સિયાચીનના વિવાદનો ઉકેલ સૌથી સહેલો અને સૌથી વધારે તાકીદનો છે.

    દેશભક્તિ સાચી, પણ સૈનિકો આપણા અહંને કારણે મરતા હોય છે. એમન જાનના જોખમે આપણે દેશભક્તિ દેખાડવી ન જોઈએ. કઈંક ઉકેલ શોધી કાઢવામાં દેશભક્તિ કેમ ન મનાય? કહે છે કે સિયાચીનમાં બન્ને પક્ષે યુદ્ધને કારણે જેટલી જાનહાનિ થઈ છે તેના કરતાં વધારે તો હવામાનને કારણે થઈ છે.

    શ્રી પરીક્ષિતભાઇએ જે પ્રસંગ કહ્યો છે તે ખરેખર થોડો જુદો છે. એ સંસદસભ્ય મહાવીર ત્યાગી હતા અને એમનો સંકેત નહેરુની ટાલ તરફ હતો. સંસદમાં ઓજસ્વી ભાષણો, તર્ક, વ્યંગ અને વિનોદની શાલીન પરંપરાનો એ જમાનો હતો.

    ReplyDelete
  3. Politicians of both countries are partners of psychowarefare game initiated by Britain/USA. Instead, they are expected to excel their wisdom and political acumenship. Siachen a one of the core issue, in the process of war & misinformation both countries & people experience for a certain period war-period, all of sudden both the countries decide for Confidence Building Measure. This show lack of Chanakyaniti. Both countries use their religious/political zealots organization & murder humanity, use media, conspired with some time outside intelligence and take approach of distance. Instead a confidence building approach would nullify underwater characters for a future 2 healthy nations, which will stand before US/British/China. Ex-PM Mr. Morarji Desai gave an excellent experience on Confidence Building Measure in terms of our neighbours. An excellent approach which is commendable from Times Group is Aman Ki Asha, which would definitely mould, economy, politics, social, cultural, sports would benefit in reshaping religious ideology/ies, lead to plural co-existance for a healthy plural society.

    ReplyDelete