Monday, January 30, 2012

‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’ : તોલ્સ્તોયની વાર્તા, ગાંધીજીનો અનુવાદઃ ૧૦૦ વર્ષ પછી

વિજ્ઞાનકથાઓ-સાયન્સ ફિક્શનમાં લખાયેલી કલ્પના વર્ષો પછી સાકાર થાય ત્યારે કેવો રોમાંચ થાય? ભવિષ્યના આગોતરા વિશ્વદર્શનની એવી લાગણી, જરા જુદી રીતે, તોલ્સ્તોયે લખેલી ‘ધ સ્ટોરી ઓફ ઇવાન ધ ફૂલ’/ The Story Of Ivan The Fool માં થઇ શકે છે. ઘડતરકાળમાંથી પસાર થઇ રહેલા ગાંધીજીને તે એટલી પસંદ-અનુકૂળ પડી કે તેમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો. નામ આપ્યું:‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ઓક્ટોબર ૭, ૧૯૧૧ના અંકમાં ગાંધીજીની પ્રસ્તાવના સાથે એ કથાનો પહેલો હપ્તો છપાયો અને છેલ્લો, તેરમો હપ્તો ૩૦ ડિસેમ્બર, ૧૯૧૧ના ‘ઓપિનિયન’માં.

ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં ‘તોલ્સ્તોય આશ્રમ’ સ્થાપી ચૂક્યા હતા. તોલ્સ્તોય/ Leo Tolstoy જેના લેખક તરીકે જગમશહૂર બન્યા તે ‘વોર એન્ડ પીસ’ અને ‘અન્ના કેરેનીના’ જેવી નવલકથાઓ વાંચવાની ત્યારે ગાંધીજીની વૃત્તિ ન હતી. તેમને તોલ્સ્તોયના ધર્મચિંતન અને સમાજચિંતનમાં ઊંડો રસ પડ્યો. સવિનય કાનૂનભંગ, સત્યાગ્રહ, સર્વોદય અને શરીરશ્રમ-મહેનતનો રોટલો (બ્રેડલેબર) જેવા વિચારો અંગે તેમના મનમાં નવો ઉઘાડ થયો હતો. અમલના અખતરા ચાલુ હતા. ‘મૂરખરાજ’ એ જ દિશા ચીંધતી અને એ આદર્શોને ઉજાગર કરતી કથા હતી. તેના પહેલા પ્રકરણ સાથે આપેલી ‘પ્રસ્તાવના’માં ગાંધીજીએ ખુલાસો કર્યો હતો કે ‘અમે વાતનો શબ્દાર્થ તરજુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે.’

તોલ્સ્તોયે આ કથા ઇ.સ.૧૮૮૫માં લખી ત્યારે વિશ્વયુદ્ધ થયાં ન હતાં. અમેરિકા સુપરપાવર બન્યું ન હતું. કોર્પોરેટ કલ્ચરનો અને ઉપભોક્તાવાદનો સકંજો ભીડાયો ન હતો. મોટા ભાગના દેશો માટે લોકશાહી બહુ દૂરની વાત હતી. પરંતુ તોલ્સ્તોયે સાહિત્યની દૃષ્ટિએ જોતાં જાડી-ઉપદેશાત્મક લાગે એવી આ વાર્તામાં કેટલાંક એવાં પ્રતીક-રૂપક-પ્રસંગ મૂક્યાં, જે સવા સદી પછી પણ લાગુ પાડી શકાય. બલ્કે, વાંચતી વખતે એવું લાગે કે ‘આવું બનવાનું છે એની તોલ્સ્તોયને શી રીતે ખબર પડી?’

વાતના કેન્દ્રમાં ત્રણ ભાઇઓ ને એક બહેન છેઃ ઇવાન ધ ફૂલ, સાઇમન ધ સોલ્જર, તારાસ ધ સ્ટાઉટ અને મૂંગી બહેન માર્થા. ગુજરાતી અનુવાદમાં ‘રશિયન નામઠામ વાંચતાં વાતનો રસ ઘટે એમ ધારી’ હિંદી નામ રાખવામાં આવ્યાંઃ મૂરખરાજ, સમશેરબહાદુર, ધન્વંતરિ અને બહેન મોંઘી. સમશેરબહાદુર રાજાઓની નોકરી કરતો યુદ્ધપ્રિય સિપાઇ, ધન્વંતરિ વેપારી અને મૂરખરાજ ખેતરમાં મહેનતમજૂરી કરીને વૃદ્ધ માતા-પિતા અને બહેનનું ઘ્યાન રાખનારો.
ચારે ભાઇબહેન વચ્ચે બાપીકી મિલકતના ભાગ પડ્યા ત્યારે બે ભાઇઓ બઘું લઇ ગયા ને મૂરખરાજના ભાગે એક ઘરડી ઘોડી સિવાય કંઇ ન આવ્યું. ત્યાંથી કથાની શરૂઆત થાય છે. બાઇબલની પરંપરા પ્રમાણે, કથામાં એક શેતાન અને તેના ત્રણ વેંતિયા-પૂંછડીયા ગુલામ વિલન છે. મિલકતની અસમાન વહેંચણી વખતે મૂરખરાજ વાંધો લેતો નથી, એટલે ત્રણે ભાઇઓ વચ્ચે ઝઘડો થતો નથી. તેનાથી દુઃખી થઇને સેતાન ત્રણે ગુલામોને એક-એક ભાઇ પાસે મોકલી આપે છેઃ તેમને અવળા રસ્તે દોરીને પાયમાલ કરવા.

બાકીના બે ભાઇઓમાં સેતાન સફળ થાય છે, પણ મૂરખરાજ કોઇ પણ સંજોગોમાં, ગમે તેટલું કઠણ કામ,હિંમત હાર્યા વિના કરવામાં માને છે. કોઇ પોતાનું કામ બગાડે તો પણ ચિઢાયા વગર, એ કામ આગળ વધારે છે- બમણી મહેનત કરે છે. એટલે દુનિયાદારીની રીતે એ ‘મૂરખ’ છે, પણ કાવતરાબાજ સેતાનના ગુલામો તેની ‘મૂર્ખામી’ સામે થાકીને હારી જાય છે.

ત્રણે ગુલામો મૂરખરાજને એક-એક વરદાન આપીને પોતાનો જીવ બચાવે છે. એક વરદાન છેઃ ‘તમે ચાહો તેમાંથી સિપાઇ પેદા કરી શકો.’ બીજું વરદાન છેઃ વૃક્ષનાં પાંદડાં હાથમાં ચોળતાં સોનું બની જશે.

મૂરખરાજને હડઘૂત કરતા બન્ને ભાઇઓ વરદાન વિશે જાણીને ફરી તેની પાસે આવે છે. સમશેરબહાદુર સિપાઇઓનું લશ્કર લઇને રાજ્ય જીતવા ને ધન્વંતરિ સોનું લઇને વેપાર કરવા ઉપડી જાય છે, પણ મૂરખરાજ ખેતરનું કામ-શ્રમનું જીવન-અંગમહેનત-બ્રેડલેબર ચાલુ રાખે છે. ત્રીજા વરદાનથી તે માંદાને સાજા કરવાની શક્તિ ધરાવે છે. તેનાથી રાજકુમારીને સાજી કરી દેતાં રાજા મૂરખને પોતાની કુંવરી સાથે પરણાવે છે. રાજાના મૃત્યુ પછી તે રાજા-મૂરખરાજ - બને છે, પણ ખેતીનું કામ ચાલુ રાખે છે. લોકો કહે છે ‘રાજાથી કામ ન થાય.’ ત્યારે મૂરખરાજ પૂછે છે,‘શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?’ જે ખાય તે સૌ શરીરશ્રમનું કામ કરે એવી પ્રતીતિ ધરાવતા ગાંધીજીને મૂરખરાજ સાથે કેવી એકાત્મતા લાગી હશે એ ધારી શકાય.

સિપાઇઓના અને સોનાના જોરે સુખી થયેલા સમશેરબહાદુર -ધન્વંતરિ પાસે ખુદ સેતાન વેશ બદલીને પહોંચે છે. પહેલાં તે સમશેરબહાદુરનો સેનાપતિ બનીને તેને યુદ્ધના અને વઘુ સંહારક શસ્ત્રોના માર્ગે ચઢાવે છે. તેનું જોઇને બીજા રાજાઓ પણ વિનાશક શસ્ત્રોની હરીફાઇમાં ઉતરે છે. વિમાન શોધાયાં ન હતાં ત્યારે તોલ્સ્તોયે આ કથામાં ‘સેતાની કારનામા’ તરીકે શત્રુઓ પર દારૂગોળો વરસાવી શકે એવાં હવાઇ જહાજોની કલ્પના કરી હતી. વીસમી સદીની મહાસત્તાઓનું અને ‘પ્રગતિશીલ’ કહેવાતા દેશોનું આ પ્રમુખ લક્ષણ રહ્યું છેઃ જેની પાસે વિનાશકારી શસ્ત્રોનો ખજાનો મોટો, તેનો મોભો વધારે મોટો.

રૂપિયાના જોરે રાજ ચલાવતા ધન્વંતરિ પાસે સેતાન, મસમોટી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિની યાદ અપાવે એવો વેપારી બનીને, પહોંચે છે. બજારભાવ કરતાં ઊંચા ભાવે એ બધો માલ ખરીદે. એટલે લોકો એને ત્યાં માલ વેચે ને રાજ્યમાં કર ભરે. રાજ્યમાં થતી આવકથી ધન્વંતરિ હરખાય અને વેપારીથી પોતાને કેટલો ફાયદો થાય છે તેની ગણતરીમાં રાચે. પણ વખત જતાં રાજ્યમાં કામ કરનારા બધા સેતાનના નોકર થઇ જાય છે. રાજ્યનો રાજા ભલે ધન્વંતરિ હોય, પણ અસલી રાજ સેતાનનું ચાલે છે. માણસ કે કે ચીજવસ્તુ જોઇતી હોય તો રાજાને પણ સેતાનની દયા પર નભવું પડે છે. (આ વાંચીને મોટી કંપનીઓ અને રાજનેતાઓ વચ્ચેના સંબંધો યાદ ન આવે તો જ નવાઇ.)

બે ભાઇઓ પાસે સફળ થયેલો સેતાન મૂરખરાજ પાસે ફાવતો નથી. મૂરખરાજનો સેનાપતિ બનીને તે લોકોને લશ્કરમાં ફરજિયાત ભરતી થવાનું કહે છે, પણ લોકો ઇન્કાર કરે છે. મૂરખરાજ સમક્ષ તે ફરિયાદ કરવા જાય છે ત્યારે મૂરખરાજ તેમને કહી દે છે કે ‘સેનાપતિનું બોલવું હું પોતે સમજતો નથી. એટલે તમારે સૈન્યમાં દાખલ ન થવું હોય તો ન થજો.’ સવિનય અવજ્ઞાનો- પોતાને અનૈતિક લાગે એવા આદેશની પૂરા આદર સાથે અવગણના કરવાનો- આ બોધપાઠ છે, જે એકાદ દાયકા પછી ગાંધીજી ભારતની પ્રજાને આપવાના છે.

સેતાન પાડોશી રાજાને ઉશ્કેરીને મૂરખરાજના રાજ્ય પર ચડાઇ કરાવે છે. સિપાઇઓ લૂંટફાટ કરે છે ત્યારે મૂરખરાજની પ્રજા સામે થવાને બદલે તેમને કહે છે, ‘તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઇ જાવ. તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને જ વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ નહીં પડે.’ ભારતમાં થયેલા સત્યાગ્રહો અને ચળવળોમાં ગાંધીજીએ આ પ્રકારનું મનોબળ પ્રજામાં કેળવાય એવું ઇચ્છ્‌યું હતું. તેમને એવો વિશ્વાસ હતો કે એમ કરવાથી વહેલામોડા સામેના માણસનું હૃદયપરિવર્તન થયા વિના ન રહે.

‘મૂરખરાજ’ વાર્તામાં પોતે લડવા આવ્યા છે ને કોઇ લડનાર નથી તે જાણીને સિપાઇઓ નિરાશ થાય છે. રાજાના હુકમથી તે ઘર અને દાણા બાળવા જાય છે તો ખરા, પણ ‘જોઇએ તો લઇ જાવ. નકામું નુકસાન શા માટે કરો છો?’ એવી લોકોની દલીલ સામે તે પીગળી જાય છે અને રાજાની નોકરી છોડી દે છે. એ વાંચતી વખતે, સત્યાગ્રહ વખતે અંગ્રેજ સરકારની નોકરીમાંથી રાજીનામાં આપનારા તલાટી-મુખીઓ-બીજા હોદ્દેદારોની યાદ તાજી થાય છે.

ઘૂંધવાયેલો સેતાન મૂરખરાજની પ્રજાને ‘તમે ઢોરની માફક રહેતા જણાઓ છો. માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું.’ એમ કહીને ઉપભોક્તાવાદના રવાડે ચડાવવા પ્રયાસ કરે છે. તેના માટે પોતે, ઉદાર શરતે લોન કે ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડની જેમ, મહેનતાણામાં સોનામહોરોની લાલચ આપે છે. પણ મૂરખરાજના રાજ્યમાં નાણાંનું ચલણ નથી. લોકો એકબીજાની જરૂરિયાતની ચીજવસ્તુઓનું સાટું કરીને જીવન વીતાવે છે.

મૂરખરાજને ઘેર સેતાન સહિત સૌ કોઇ માટે મફત ભોજનની વ્યવસ્થા છે, પણ બહેન મોંઘીનો નિયમ છેઃ જેના હાથ પર કોદાળીનાં આંટણ પડ્યાં હોય તેમને પહેલાં જમવાનું આપવાનું અને આંટણ ન હોય એવા આળસુઓને પછી. ત્યાં સેતાન એવી દલીલ કરે છે કે ‘અક્કલવાન માણસોએ મજૂરી કરવાની ન હોય.’ મૂરખરાજને તે કહે છે કે ‘હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઇ જાય છે.’ મૂરખરાજ ભોળપણથી કહે છે, ‘સારું. હાથપગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરીશું. અમને મગજથી કામ કરતાં શીખવ.

મૂરખરાજ સેતાનને ગામના ઊંચા મિનારા પર મોકલે છે, જ્યાંથી તે પોતાની વાત સમજાવી શકે. સેતાનને લાગે છે કે તેને પોતાનો પ્રચાર કરવાની તક મળી. તે બુદ્ધિનો મહિમા કરતી ભાષણબાજી ચાલુ કરી, પણ લોકોને તેમાં રસ નથી. કારણ કે તેમાં કશું ‘કામ’ દેખાતું નથી. બૂમો પાડીને સેતાન થાકે છે. મિનારાની ટોચે ખાવા-પીવાની પણ વ્યવસ્થા નથી. કારણ કે ફક્ત મગજથી કામ કરી જાણતો સેતાન મગજના જોરે ખાવાનો બંદોબસ્ત કરી લેશે એવું માની લેવાય છે.આખરે સેતાન હારે છે ને નાસી જાય છે.

વાર્તાના અંતમાં તોલ્સ્તોય લખે છેઃ ‘ઇવાન હજુ જીવે છે. તેના રાજ્યમાં લોકો ઉમટે છે. તેના ભાઇઓ પણ આવ્યા છે. એમને તે જમાડે છે. જે લોકો ભોજન માગતા આવે એ સૌને ઇવાન આવકારીને કહે છે, અમારી પાસે બધાને થાય એટલું છે.’ અલબત્ત, એક નિયમ તેના રાજમાં અફર છેઃ જેના હાથમાં મહેનતને કારણે આંટણ પડ્યાં હોય એવા લોકોને ભોજનના ટેબલ પર બેસાડવામાં આવે છે અને જેમની હથેળી સુંવાળી હોય તેમને વધેલાઘટેલા ભોજનથી ચલાવી લેવું પડે છે.

ગાંધીજી પોતાની રીતે વાર્તાનો અંત કરતાં લખે છેઃ ‘મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઇ તેને શરણ આવ્યા. તેઓ મૂરખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ એવી સાદાઇ પકડી. તે સહુ નીતિધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગમહેનત કરી, સુખેથી કાળ ગુજારવા લાગ્યા.’

પહેલી વાર ૧૯૬૪માં ‘નવજીવન’ દ્વારા પ્રકાશિત થયેલી આ બાળવાર્તા જેવી લાગતી પુસ્તિકા બે વર્ષ પહેલાં પુનઃમુદ્રિત થઇને ઉપલબ્ધ બની છે. તે વાંચવી-સમજવી એ પણ ગાંધીજીને યાદ કરવાની-તેમને અંજલિ આપવાની એક રીત છે.

3 comments:

  1. ઉત્કંઠા10:51:00 PM

    આવી વાતોમાંથી ડહાપણ ને શાણપણ શીખી શકાય છે. જો સમજાય તો..

    ReplyDelete
  2. Anonymous2:07:00 PM

    from where i can get this book?

    ReplyDelete
  3. Navjivan Publication, Ashram Road, Ahmedabad

    ReplyDelete