Friday, July 22, 2011

ઓગણીસમી સદીનું ખેડાઃ તમાકુ, ભૂંડ, પૂર અને અંગ્રેજોની સૃષ્ટિ

(Kaira/Kheda Map 1879)

અંગ્રેજી શાસનની શરૂઆત પહેલાં ખેડામાં મરાઠા યુગ ચાલતો હતો. ભારે અંધાધૂંધી, લૂંટફાટ અને અવ્યવસ્થા ફેલાયેલાં હતાં. ઓગણીસમી સદીની આરંભના ખેડાને એક અભ્યાસીએ રોમના પતન પછીના મધ્ય યુરોપ સાથે સરખાવ્યું છે. ખેડામાં મરાઠા વહીવટદારોએ મહેસૂલ ઉઘરાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. તેના ભાગ રૂપે દેસાઇ, અમીન, મજુમદાર અને પટેલ જેવા હોદ્દાસૂચક શબ્દો મોભા સાથે સંકળાયા અને વખત જતાં હોદ્દામાંથી અટક બની ગયા.

શરૂઆતમાં (1805માં) ખેડાના કલેક્ટર બનેલા અંગ્રેજ અફસર ડીગલે અને તેમના જેવા બીજા કલેક્ટરો મરાઠા પરંપરા પ્રમાણે ગામડાંમાંથી વાર્ષિક મહેસૂલ ઉઘરાવવા માટે સૈન્ય રાખતા હતા અને જરૂર પડ્યે તેનો વિના સંકોચે ઉપયોગ કરતા હતા. ગામ આગળ દાદાગીરી કરીને મનમાની રકમ વસૂલતા માથાભારે ગરાસીયા જમીનદારો તથા ઉઘરાણું કરીને મહીના કોતરોમાં સંતાઇ જતા (મુખ્યત્વે બારૈયા) ડાકુઓ સાથે અંગ્રેજોએ સોદો પાડ્યોઃ જે લોકો સારું વર્તન કરે અને ગામમાંથી ઉઘરાણું બંધ કરે, તેમને વળતર તરીકે અંગ્રેજ સરકાર વાર્ષિક ચૂકવણું કરે. એ સિવાય ગામ પર તેમનો બીજો કોઇ હક નહીં.

જમીનદારીને બદલે નોકરશાહી

અંગ્રેજ વહીવટદારોના આ પગલાની સામાજિક માળખા પર કેવી અસર પડી, તે વિશે અંગ્રેજ અફસર લેલીએ નોંધ્યું છે, ‘1814થી માલિકો અને ગણોતીયા વચ્ચેના સંબંધ મોટા પાયે બદલાઇ ગયા. એક ગરાસીયો બહુ કડવાશથી તેનો મોભો જતો રહ્યો એની ફરિયાદ કરતો હતો...અગાઉ કોઇ કણબી કે વાણિયો સુદ્ધાં રજપૂતી સ્ટાઇલમાં થોભિયા રખાવે કે રજપૂતી સાફો પહેરે તો...એનાં કપડાં ફાડી નાખવામાં આવે અને માર પડે તે અલગ. હવે વાઘરીને કણબીથી કે કણબીને સિપાઇથી જુદા પાડવા અઘરા છે. ઢેડ પણ મૂછે વળ ચડાવીને ગરાસીયાની તલવાર લઇને ઘૂમી શકે છે.’ (આ અવતરણમાં ઐતિહાસિક સંદર્ભ પૂરતા મૂળ જ્ઞાતિસૂચક શબ્દો બદલ્યા નથી. તેમને માત્ર 19મી સદીના ઐતિહાસિક સંદર્ભમાં જોવા-વાંચવા વિનંતી)

માથાભારે ગરાસીયા પછી અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવનાર દેસાઇ, મજુમદાર અને પટેલોનો વારો કાઢ્યો. અંગ્રેજ ગવર્નર નેપીઅને જાહેર કર્યું કે હવેથી ગામમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ દેસાઇ-મજુમદાર-પટેલ નહીં, પણ અંગ્રેજોના પગારદાર તલાટીઓ કરશે. માલિકીની અને પડતર એવી તમામ જમીનોની નોંધણી પણ નેપીઅને ફરજિયાત બનાવી. આ જાહેરાત ભલે ગવર્નરે કરી, પણ તેનો મુસદ્દો 1912માં ખેડાના કલેક્ટર બાયરોમ રોવેલ્સે તૈયાર કર્યો હતો. તેના લીધે મહેસૂલ ઉઘરાવનારા સમુદાયની સત્તા પર સીધી તરાપ વાગી. થોડો સળવળાટ થયો, પણ અંગ્રેજોએ કડક હાથે તે દાબી દીધો.

પાટીદારી દહેજનાં પરિણામ

ખેડા જિલ્લાનો પહેલો સર્વે અંગ્રેજોએ 1820-26 દરમિયાન કર્યો. તેમાં નવેસરથી આકારણી કરવામાં આવી. નવા માળખામાં મરાઠા યુગના દેસાઇ- પટેલ ગયા અને પાટીદારોની બોલબાલા થઇ. પાટીદારોમાં કુલીયા (કુલીન) અને અકુલીયા એવા બે પ્રકાર હતા. કુલીયા પાટીદારના પુત્ર સાથે દીકરી પરણાવીને પોતાનો સામાજિક મોભો ઊંચો લઇ જવાની દોડ 1857ની આસપાસ શરૂ થઇ ચૂકી હતી, એવું 1950ના દાયકામાં ખેડા જિલ્લાનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરનાર ડેવિડ પોકોકે નોંધ્યું છે. એ જમાનામાં રૂ. 1800થી રૂ.3000 જેટલી રકમ દહેજમાં ચૂકવાતી હતી. જોકે, પોતાની પુત્રી ‘ઊંચા’ પાટીદારને ઘેર જાય, એટલે એ કુટુંબના પુત્રોનો ‘ભાવ’ પણ વધી જતો હતો અને છેવટે હિસાબ સરભર કરી શકાતો હતો. ‘દીકરી સાપનો ભારો’ જેવી કહેવતો આ પરિસ્થિતિમાંથી પેદા થઇ હશે.

કુટુંબોને બરબાદ કરતી આકરી દહેજપ્રથાનું એક પરિણામ એ આવ્યું કે નડિયાદ તાલુકામાં 1865માં દર સો પુરૂષો સામે સ્ત્રીઓની સંખ્યા લગભગ 70ની હતી. સૌથી પ્રતિષ્ઠિત પાટીદારી ગામોમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું હતું. 1870ના દાયકામાં બોરસદ તાલુકામાં 6 થી 12 વર્ષના વયજૂથમાં દર 100 છોકરાઓ સામે છોકરીઓ ફક્ત 57 હતી.

ખેડા જિલ્લામાં સામાજિક પરિવર્તનનો અભ્યાસ કરનાર ‘યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ’ના ક્રિસ્પિન બેટ્સ નોંધે છે કે કણબીઓમાં જ્ઞાતિ કરતાં મોભાનું મહત્ત્વ વધારે હતું. પરંપરાગત વર્ણવ્યવસ્થામાં કણબીઓનું સ્થાન નક્કી ન હતું. તેમણે અનુકરણથી પોતાનો દરજ્જો નક્કી કર્યો. એ લોકો વાણીયાઓનું અનુકરણ કરતા હતા ને જમીનમાલિકી તેમનો મોભો હતો. ચરોતરની જમીનમાં તમાકુના રોકડિયા પાકની ખેતી પાટીદારમાં 1850ની આસપાસ ચાલુ થઇ. 1853માં ચરોતરનાં 77 પાટીદારી ગામડાંએ વર્ષે 2,44,600 રૂપિયાની તમાકુ પેદા કરી હતી. 1860ના દાયકામાં ઘણા સમૃદ્ધ પાટીદારોએ જાતે ખેતી કરવાનું બંધ કરીને મજૂરો દ્વારા કામ કરાવવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક તેમની જમીન પાંચ-દસ વર્ષના ભાડાપટ્ટે પણ આપતા હતા. તેમની જમીનમાં કામ કરનારા માણસોમાં સ્થાનિક ઉપરાંત ઠેઠ કાઠિયાવાડથી મજૂરો આવતા હતા. આ રીતે પાટીદાર જમીનમાલિકો સમાજના ઉજળીયાત વર્ગમાં ગણાતા થયા.

તમાકુની તેજી

તમાકુની ખેતી માટે ફાયદાકારક નીવડેલું એક પરિબળ હતું મુંબઇ-અમદાવાદ વચ્ચે 1863માં બંધાયેલી રેલવે લાઇન. તેના પ્રતાપે નડિયાદથી ટ્રેનમાં ફક્ત તેર કલાકમાં મુંબઇ અને દોઢ કલાકમાં અમદાવાદ પહોંચવાનું શક્ય બન્યું. 1864માં ગોધરા લાઇન અને 1891માં વાયા પેટલાદ ખંભાત રેલવે લાઇન પણ તૈયાર થઇ. તેને કારણે તમાકુને વધુ મોટું બજાર મળ્યું અને ખેડા જિલ્લામાં વધુ ને વધુ પ્રમાણમાં તમાકુનું વાવેતર થવા લાગ્યું. ગોરાડુ જમીનમાં તમાકુની ખેતી કરવાનું કામ આર્થિક રીતે સદ્ધર પાટીદારોને જ પોસાય એવું હતુ અને તેમાં મળતર પણ તગડું હોવાથી પાટીદાર સમૃદ્ધ પાટીદારો વધુ સમૃદ્ધ બનવા લાગ્યા. 1865માં નડિયાદ તાલુકાનો રીપોર્ટ આપનાર કેપ્ટન પ્રેસ્કોટે નોંધ્યું છે કે તમાકુના પાકમાં એકર દીઠ રૂ.300નો ચોખ્ખો નફો થતો હતો, જે એકર દીઠ ભરવી પડતી જમીન મહેસૂલ કરતાં વીસથી ત્રીસ ગણો વધારે હતો. ખંભાતથી દરિયાઇ માર્ગે અરબસ્તાન અને તુર્કી સુધી ચરોતરની તમાકુ જતી હતી. તમાકુની આવકની જાહોજલાલી એવી થઇ કે ‘દુનિયામાં નડિયાદથી વધારે સમૃદ્ધ જિલ્લો બીજો એકેય નહીં હોય’ એવું અતિશયોક્તિપૂર્ણ ઉત્સાહથી કહેવાતું હતું.

આ સમૃદ્ધિ જોકે સમાજના ઉપલા વર્ગો અને તેમાં પાછળથી દાખલ થયેલા સમૃદ્ધ પાટીદારો પૂરતી મર્યાદિત રહી. પ્રજાના મોટા વર્ગની હાલતમાં તેનાથી ફરક પડ્યો નહીં. 1872ની વસ્તી ગણતરી પ્રમાણે, કુલ આઠેક લાખની વસ્તીમાંથી માંડ 0.67 ટકા લોકો સરકારી કે મ્યુનિસિપાલિટીની નોકરીમાં હતા. ‘પ્રોફેશનલ’ કહેવાય એવા લોકોની ટકાવારી 0.89 ટકા હતી અને લગભગ 22 ટકા લોકો ખેતી કે ઢોરઢાંખરના કામકાજમાં સંકળાયેલા હતા. એક તો ગરીબી અને એમાં કુદરતી આફતો દુષ્કાળમાં અધિક માસ કે અતિવૃષ્ટિ સાથે વાવાઝોડાની જેમ આવતી રહી.

પૂરનો પ્રલય

સરેરાશ વરસાદ માંડ ત્રીસેક ઇંચ હોવા છતાં અંગ્રેજી શાસનના આરંભથી ખેડામાં પૂરની સમસ્યા વ્યાપક પ્રમાણમાં રહી. 1814થી 1822નાં વર્ષો દરમિયાન પૂરથી મોટા પાયે વિનાશ થયો. 1819માં પૂર આવ્યું ત્યારે ખેડાનાં વસો સહિતનાં અનેક ગામડાં આખેઆખાં પાણીમાં ડૂબી ગયાં હતાં. વસો ગાયકવાડી સ્ટેટનું ગામ હતું અને અંગ્રેજોના હિસાબે તેની વાર્ષિક (મહેસૂલી) આવક રૂ.40 હજારની હતી. પૂરનું પાણી નદીમાં વહી જાય એ માટેની ડ્રેનેજ લાઇન માટે ખેડાના કલેક્ટરે આયોજન કર્યું હતું, પણ તેમની નોંધ પ્રમાણે ગાયકવાડી રાજ અને ખંભાતના રાજ તરફથી યોગ્ય સહકાર મળતો ન હતો.

પૂરનાં પાણીની વિનાશક અસરો નિવારવા માટે અવનવાં પગલાં લેવાતાં અને સંઘર્ષ પણ થતા હતા. 1829માં ભારે વરસાદને પરિણામે કરમસદ અને બાકરોલ જળબંબોળ થઇ ગયાં હતાં. વલાસણના લોકોએ ઊંચો પાળો બનાવેલો હોવાથી પૂરના પાણીનો નિકાલ થતો ન હતો. તેમનો પાળો તોડવા કરમસદ-બાકરોલથી 500 જણની ફોજ ઉપડી. વલાસણના લોકોએ તેમનો પ્રતિકાર કર્યો. સરકારી અહેવાલ પ્રમાણે ત્રણ દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષમાં 12-15 લોકોએ જીવ ખોયા. ત્યાર પછી પાળો તોડવામાં સફળતા મળી.

પૂરથી થતું નુકસાન નિવારવા અંગ્રેજ અધિકારી જોર્ડને વિગતવાર સર્વેક્ષણ કર્યું અને 1831માં રજૂઆત કરી કે ‘સરકાર (ડ્રેનેજ પાછળ) રૂ.12,120 ખર્ચે તો ખેડાની 4304 વીઘાં જમીન પૂરમાંથી ઉગરી શકે એમ છે.’ જોર્ડનની દરખાસ્ત મંજૂર થઇ. એક દાયકા પછી (1842માં) રૂ. 40,000ના ખર્ચે ડ્રેનેજનું કામ પૂરું કરવામાં આવ્યું, ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં 1 પાઉન્ડ બરાબર 10 રૂપિયાનો ભાવ ચાલતો હતો. યોગ્ય સારસંભાળના અભાવે જો કે થોડાં વર્ષ પછી ફરી ડ્રેનેજની સ્થિતિ ઠેરની ઠેર આવી ગઇ.

ગાય-ભેંસ, માખણ અને સાપની છત

મુંબઇ પ્રેસિડેન્સીના ઇલાકાઓની સરખામણીએ ખેડા જિલ્લામાં જંગલોનો અભાવ હતો. છતાં આખા રાજ્યના સૌથી હરિયાળા ઇલાકાઓમાં ખેડાની ગણના થતી હતી. સરકારી ગેઝેટીયરની નોંધ પ્રમાણે, રાયણ અને સીતાફળ એટલાં છૂટથી થતાં હતાં કે એ વેચાતાં નહીં, પણ વહેંચાતાં હતાં. માખણના ધંધામાં ખેડા એ વખતથી આગળ પડતું ગણાતું હતું. 1867-68ની ગણતરી પ્રમાણે ખેડા જિલ્લામાં 49,264 ગાયો અને 1,80,223 ભેંસો હતી. તેમના દૂધમાંથી માખણ બનાવીને દર અઠવાડિયે માખણ બજારમાં વેચવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલતી હતી.

ખેડા જિલ્લામાં એક સમયે ભૂંડનો જબરો ઉપદ્રવ હતો. રખડતાં ફરતાં ભૂંડ ઉભો પાક ખાઇને ભારે તબાહી મચાવતાં હતાં. સરકારી નોંધ પ્રમાણે, 1830માં ઉમરેઠમાં છ-સાત હજાર ભૂંડ હતાં, જે તમાકુ સિવાયના બધા પાક ખાઇ જતાં હતાં. તેમનો ત્રાસ એટલો વધી ગયો કે સમૃદ્ધ લોકોએ દેવીપૂજક સમુદાયના લોકોને રોક્યા. એ લોકો ભૂંડને ગાડામાં ભરીને ગામથી દૂર મૂકી આવતા હતા. જિલ્લામાં કોબ્રા અને ફુર્સા પ્રકારના ઝેરી સાપની મોટી વસ્તી હતી. (અંગ્રેજ બચ્ચાઓએ સાપની વસ્તી ગણતરી કરી નથી. બાકી એમનું ભલું પૂછવું)

ઝેરી સાપની સંખ્યાને અંકુશમાં લેવા માટે પહેલી વાર 1856માં સાપ મારનારને સરકાર તરફથી ઇનામ આપવાનું ઠરાવવામાં આવ્યું. પહેલાં કોબ્રાને મારવાના બાર આના અને સાદા સાપને મારવાના આઠ આના અપાતા હતા. પછીનાં વર્ષોમાં ઇનામ વધવાને બદલે ઘટતું ગયું- કોબ્રાના બારમાંથી સીધા ચાર આના અને બીજા સાપના બે આના. ઝેરી સાપના દંશથી વર્ષે ચાળીસ-પચાસ માણસો મૃત્યુ પામતા હતા. 1876માં એ સંખ્યા ઘટીને 25 અને 1877માં 19 થઇ. સામે, માણસોએ 1876માં 259 સાપ મારી નાખ્યા હોવાનું નોંધાયું છે.

ધર્મ પ્રમાણે વસ્તીઃ ખ્રિસ્તી ધર્મપ્રચારનો આરંભ

1846ની વસ્તી ગણતરી પ્રમાણે ખેડાની કુલ વસ્તી 5.66 લાખ હતી. તેમાં 5.14 લાખ (90 ટકા) હિંદુ અને 51,938 (9.16 ટકા) મુસ્લિમ. 10 ખ્રિસ્તી અને 7 પારસીની પણ વસ્તીમાં નોંધ છે. 1872ની ગણતરી વખતે કુલ વસ્તી વધીને 7.82 લાખ થઇ, પણ હિંદુ-મુસ્લિમ પ્રમાણમાં કશો ફરક ન પડ્યો. હિંદુઓ 7.11 લાખ (90 ટકા) અને મુસ્લિમો 70,741 (9.04 ટકા). ખ્રિસ્તીઓ અને પારસીઓની સંખ્યા વધીને અનુક્રમે 305 અને 68 થઇ. ખેડામાં અંગ્રેજો સિવાયની ખ્રિસ્તી વસ્તી માટે બે કલાલ જવાબદાર હોવાનું સરકારી ગેઝેટીયરમાં નોંધાયું છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ‘બે કલાલોએ સુરતના ખ્રિસ્તી મિશનરીઓને કહ્યું કે મહીકાંઠાના ઘણા લોકો ખ્રિસ્તી બનવા તૈયાર છે. એ જાણીને સુરતથી બે મિશનરીઓ પહેલાં વડોદરામાં આવ્યા, પણ ત્યાં વિરોધ થતાં એ ગાયકવાડી વડોદરા છોડીને બ્રિટિશ ખેડામાં આવી ગયા. દેહવાણમાં એ ફાવ્યા નહીં, પણ બોરસદમાં રેવરન્ડ જે.વી.એસ.ટેલર 28 વર્ષ સુધી રહ્યા. તેમની નિષ્ઠાથી બોરસદમાં અને આણંદનાં ગામડાંમાં ખ્રિસ્તી ધર્મીઓની સંખ્યામાં વધારો થયો. આયરીશ પ્રેસ્બીટેરીયન મિશનના 1878ના અહેવાલમાં ટાંકેલા આંકડા પ્રમાણે, મિશનની 1878ની વસ્તી ગણતરીમાં ગુજરાત અને કાઠિયાવાડમાં 1,740 ખ્રિસ્તી હતા. તેમાંથી 67 ટકા (1,166) ફક્ત ખેડા જિલ્લામાં હતા.

હિંદુઓમાં વૈષ્ણવોનું પ્રમાણ 70 ટકા હતું. મુસ્લિમોમાં 96 ટકા સુન્ની હતા. સ્ત્રી-પુરૂષ ગુણોત્તરની વાત કરીએ તો, આખા જિલ્લામાં હિંદુઓમાં 100 પુરૂષ દીઠ 86 સ્ત્રીઓનું અને મુસ્લિમોમાં 92 સ્ત્રીઓનું પ્રમાણ હતું. આ અરસામાં ઘર અને ગાડાંની સંખ્યામાં પણ વધારો થયો. દોઢ લાખ ઘરમાંથી 2.18 લાખ ઘર થયાં અને ગાડાં 20,894માંથી 29,110 થયાં.

વીસમી સદીના અંત સુધીમાં પરદેશ જવાના ઉધામા અને એન.આર.આઇ. પ્રજા માટે જાણીતું ખેડા બસો વર્ષ પહેલાં એવી રીતે ઓળખાતું હતું કે 'અહીંના લોકો ગમે તેવી સારી તક મળે તો પણ પોતાનો જિલ્લો છોડીને જવા તૈયાર નથી.' આ માહિતી ખેડાના કલેક્ટરે કલેક્ટરે 1855માં મુંબઇ પ્રાંતની સરકારને ફરિયાદ તરીકે જણાવી હતી. હવેના કોઇ કલેક્ટરને રીપોર્ટ કરવો હોય તો એ કદાચ કહી શકે, 'અહીં ગમે તેવી સમૃદ્ધિ કે સારી તક હોય તો પણ અહીંના લોકો પોતાના જિલ્લામાં રહેવા તૈયાર નથી.'

9 comments:

  1. વાહ ઉર્વિશાઈ..એક શ્વાસે આખો લેખ વાંચી નાખ્યો..!

    ReplyDelete
  2. Bharat.zala12:32:00 PM

    Very innovative article.! It gives good information about kheda district's history.tion about kheda district's history.

    ReplyDelete
  3. who is copying ?? you or this - http://www.neepra.com/tag/kheda/

    ReplyDelete
  4. @pratham: there's no issue of copying. Neepra is Gujarati blog aggregator & it has clearly mentioned my blog as original source of the piece. A word in good faith: It's always advisable to read carefully before jumping to conclusion /alleging.

    ReplyDelete
  5. Nilesh Patel, Mahemdavad2:15:00 PM

    Bhai Urvish... Bhare Lekh...Yar Maza padi gayi....Nadiyad vishe Jani....

    Nilesh, Mahemdavad.

    ReplyDelete
  6. Anonymous10:22:00 PM

    NRI Syndrome is like an epidemic, which forces society for migration.

    IT has great impact on individual, society & region.

    When economic graph is elevated or reduced, experience of psychological & social equilibirium, become a great issue.

    An Hyderabadi Psychiatrist who surveyed all NRI's of AP, opined about all NRI irrespective of guest-country, carrying notion & abnormality of Dubai Syndrome. His concluding remark in his paper is remarkable:

    "Inspite of earning lot of money, NRI feel insecure".

    ReplyDelete
  7. Anonymous6:02:00 AM

    Nice article very informative and entertaining.
    For more information on Nadiad's history for earlier 20th century I suggest you ( if you are not aware Of)to read Late Pravinkaka( Pravinbhai.M.Shah)'s book " Nadiad ni Rastriya Asmita" . It covers most of the part of freedom movement and Gandhji's visit to nadiad. Late Shantilal Thaker has also written one good book about Nadiad's history( Sorry I don't recall the title).

    Once again thank you for publishing superb article .

    Rajan Shah ( Vancouver ,Canada)

    ReplyDelete
  8. બહુ જ રસપ્રદ અને માહિતીસભર લેખ ... તમને ખ્યાલ જ હશે પણ એક બીજું પુસ્તક પણ છે જે વાંચી ને ખેડા જીલ્લા વિષે જાણી શકાય ... જો તમને મળે તો વાંચજો... પુસ્તક આમતો આઝાદી ચળવળ ની આજુબાજુ છે... પણ ઘણી બધી બીજી માહિતી પણ મળી શકે એમ છે...

    Peasant nationalists of Gujarat: Kheda District, 1917-1934 - by David Hardiman

    ReplyDelete