Monday, May 31, 2010

‘કૃત્રિમ કોષ’નું સર્જનઃ હલ્લાગુલ્લા અને હકીકત

કોઇ કહે છે, ડો. ક્રેગ વેન્ટરની ટીમે કૃત્રિમ કોષનું સર્જન કર્યું, તો કેટલાક ઉત્સાહીઓ દાવાના પતંગમાં વધારે ઢીલ મૂકતાં કહે છે કે ડો.વેન્ટરે કૃત્રિમ જીવનનું સર્જન કરીને માણસને ભગવાનની હરોળમાં મૂકી દીધો છે.

બેશક, જીવવિજ્ઞાનની તવારીખમાં ડો.વેન્ટરની ટીમની સિદ્ધિ નોંધપાત્ર અને ઐતિહાસિક છે. પરંતુ તેની મહત્તા અને મર્યાદાનો, ભાવિ સંભાવનાઓ અને પરિણામો-દુષ્પરિણામોનો ખ્યાલ મેળવવા માટે પ્રચારવાયુના ઘુમાડાથી દૂર જવું જરૂરી છે.

જનીનવિજ્ઞાનમાં ડો.વેન્ટરનું નામ અને કામ સિદ્ધિની સાથોસાથ વિવાદનો પણ પર્યાય ગણાય છે. પોતાનાં સંશોધનો માટે નાણાં ઉભાં કરવામાં અને દરેક નવી શોધનો પ્રચાર કરવામાં વેન્ટર પાવરધા છે. પરંતુ તેમની સિદ્ધિઓ પણ અવગણી શકાય એવી નથી. હ્યુમન જેનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા માનવશરીરમાં રહેલા ડીએનએના તમામ છ અબજ ઘટકો ઉકેલવાનું કામ સરકારી રાહે ચાલતું હતું, ત્યારે વેન્ટરની કંપની સેલેરા જિનોમિક્સે એવો સપાટો બોલાવ્યો કે સરવાળે આખું કામ નિયત મુદત કરતાં વહેલું પૂરૂં થયું. એટલું જ નહીં, સરકારી ભંડોળથી કામ કરતી વૈજ્ઞાનિકોની ટુકડીની સાથે વેન્ટરને પણ સરખા ભાગનો જશ આપવામાં આવ્યો હતો.

વેન્ટરની સામાન્ય છાપ હોલિવુડની ફિલ્મોમાં દર્શાવાતા, જિનીયસ પણ સારા-ખોટાનો ભેદ ન રાખતા વૈજ્ઞાનિક જેવી છે. આ જ કારણથી કેટલાક તેમને હિટલરના રોકેટ વૈજ્ઞાનિક વર્નર બ્રાઉન સાથે સરખાવે છે. (બ્રાઉન માટે કહેવાતું હતું કે તેમનો રસ કેવળ રોકેટને ઉપર મોકલવામાં હતો. પછી એ રોકેટ નીચે ક્યાં, કોની પર પડે છે એની સાથે તેમને કશી નિસબત ન હતી.) વેન્ટરની ઝડપ, તેમની ભંડોળ એકઠું કરવાની ક્ષમતા અને પ્રચારપટુતાથી તેમના વિશેની છાપ વખતોવખત દૃઢ બની છે. (એક અહેવાલ પ્રમાણે તેમણે પોતાના લેટેસ્ટ સંશોધન- કૃત્રિમ ડીએનએના પેટન્ટ હકો માટે અરજી કરી દીધી છે.) પરંતુ તેમની સિદ્ધિઓ એવી નક્કર હોય છે કે તેના મહત્ત્વની ટકાવારી વિશે મતભેદ હોઇ શકે, પણ તેને અવગણી શકાતી નથી.

એટલે જ, વેન્ટરની ટીમે ‘કૃત્રિમ કોષ’ બનાવ્યાની જાહેરાતથી દુનિયાભરનાં પ્રસાર માઘ્યમોમાં ઉત્તેજના ફેલાઇ છે. અગાઉ વેન્ટરની ટીમ કૃત્રિમ જિનોમ બનાવી ચૂકી છે અને એક બેક્ટેરિયમના આખા જિનોમનું બીજા બેક્ટેરિયમના ડીએનએમાં પ્રત્યારોપણ પણ કરી ચૂકી છે. (‘બેક્ટેરિયા’ બહુવચન છે. એટલે એક બેક્ટેરિયા માટેનો શબ્દ છેઃ બેક્ટેરિયમ) આ વખતે વેન્ટરની મંડળીએ ‘કૃત્રિમ કોષ’માં કેવીક ધાડ મારી છે, એ જાણતાં પહેલાં કેટલીક પાયાની બાબતો પર ઉડતી નજર કરી લઇએઃ

કોષ રચનાની દૃષ્ટિએ સજીવોના બે પ્રકાર હોય છેઃ કોષકેન્દ્ર સહિતની બીજી અટપટી રચનાઓ ધરાવતા/યુકેરિઅટિક અને કોષકેન્દ્ર વગરના, ફક્ત સાઇટોપ્લાઝ્મ તરીકે ઓળખાતું પ્રવાહી ધરાવતા/ પ્રોકેરિઓટિક. પહેલા પ્રકારમાં મનુષ્ય-પશુપંખીઓ-વનસ્પતિ સૃષ્ટિ અને ફુગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બીજા પ્રકારની રચના મુખ્યત્વે એકકોષી જીવોમાં જોવા મળે છે. એ ઉપરાંત કેટલાક બહુકોષી બેક્ટેરિયા પણ આ પ્રકારમાં આવે છે.

કોઇ પણ સજીવના શરીરની કામગીરી તેના કોષો થકી થાય છે અને દરેક કોષનું સંચાલન તેમાં રહેલું ડીએનએ કરે છે. એ દૃષ્ટિએ ડીએનએને એક ‘ઓફિસ મેન્યુઅલ’ જેવું કલ્પી લો, જે ઓફિસમાં દરેકે દરેક ટેબલ પર હોય અને તેમાં ઓફિસની દરેકેદરેક વ્યક્તિની કામગીરીની સૂચના લખેલી હોય. એવું ડીએનએ ગુંચળા સ્વરૂપે દરેક કોષમાં મોજૂદ હોય છે- સજીવ કોષકેન્દ્ર ધરાવતો હોય તો તેના કોષકેન્દ્રમાં અને કોષકેન્દ્ર ન હોય એવા સજીવોના કોષમાં આવેલા પ્રવાહી સાઇટોપ્લાઝ્મમાં.

ડીએનએના ગુંચળામાં એ, ટી, સી અને જીના ટૂંકા નામે ઓળખાતા ચાર બેઝ હજારો-લાખોની સંખ્યામાં હારબંધ ગોઠવાયેલા હોય છે. (મનુષ્યના ડીએનએમાં આ ચાર મૂળભૂત ઘટકોનો કુલ આંકડો ૬ અબજનો છે.) કમ્પ્યુટરમાં સઘળો ડેટા જેમ ૦ અને ૧ની જુદી જુદી ગોઠવણો દ્વારા સંઘરાયેલો હોય છે, એવી જ રીતે, ડીએનએમાં પહેલી નજરે અવળસવળ છતાં વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલા ચારે બેઝથી અર્થપૂર્ણ ‘સૂચનાઓ’ સર્જાય છે. એ સૂચનાઓ સમજીને દરેક કોષ પોતપોતાનું કામ કરે છે. આખા ડીએનએમાં બેઝની ગોઠવણીનો વિગતવાર નકશો ‘જિનોમ’ તરીકે ઓળખાય છે. જિનોમમાં દેખાતા બેઝની સાંકેતિક લિપિ ઉકેલી શકાય તો સજીવના શરીરનું નિયમન કરતું મેન્યુઅલ વાંચી શકાય.

જિનોમમાં કેટલોક હિસ્સો ચોક્કસ પ્રકારની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલો હોય છે, જ્યારે ‘જન્ક’ તરીકે ઓળખાતો બહુ મોટો હિસ્સો કોઇ દેખીતી કામગીરી (જેમ કે અમુક પ્રોટિનના ઉત્પાદન) સાથે સંબંધ ધરાવતો નથી.

હવે ક્રેગ વેન્ટરની ટીમે શું કર્યું તે જોઇએ. વેન્ટરની ટીમે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે કોષકેન્દ્ર વગરના એક બેક્ટેરિયમ (નામે માઇકોપ્લાઝ્મા માઇકોઇડ્સ)નું ડીએનએ બનાવ્યું. તેને નામ આપ્યું ‘સિન્થીઆ’. અગાઉ પણ તે સફળતાપૂર્વક કૃત્રિમ ડીએનએ બનાવી ચૂક્યા હતા. નવું કામ તેમણે એ કર્યું કે કૃત્રિમ રીતે તૈયાર કરેલા ડીએનએ- સિન્થીઆને બીજા જીવંત (અને કુદરતી) કોષમાં દાખલ કર્યું. બેક્ટેરિયમનો એ કોષ એવો હતો, જેમાં પ્રવાહી (સાઇટોપ્લાઝ્મ) સહિતનું બઘું કુદરતી હતું, પણ ડીએનએ દૂર કરી નાખવામાં આવ્યું હતું. તેના સ્થાને પ્રયોગશાળામાં બનેલું કૃત્રિમ ડીએનએ દાખલ કરવામાં આવ્યું- જાણે કમ્પ્યુટરની ખાલીખમ હાર્ડ ડિસ્કમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરી. વેન્ટર એન્ડ કંપનીની સિદ્ધિ એ છે કે કુદરતી રીતે બનેલા કોષે કૃત્રિમ રીતે બનેલા ડીએનએનો સ્વીકાર કર્યો અને તેની સૂચનાઓનું પાલન કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, એ કોષનું વિભાજન થતાં જે નવા કોષ બન્યા, તેનું ડીએનએ પણ કૃત્રિમ ડીએનએની ઝેરોક્સ કોપી જેવું હતું.

ઉપરનું વર્ણન શાંતિથી વાંચતાં સમજાશે કે વેન્ટરની ટીમે નવો કોષ બનાવ્યો નથી. બલ્કે કૃત્રિમ ડીએનએને કુદરતી કોષમાં સ્થાપિત કરીને, તેને સફળતાપૂર્વક કામ કરતું બનાવી દીઘું છે. બીજા શબ્દોમાં કહીએ તો, કુદરતી કોષને કૃત્રિમ સૂચનાઓ પ્રમાણે વર્તતો કરવામાં અથવા કુદરતી કોષ પાસે કૃત્રિમ રીતે, ધાર્યું કરાવવામાં સફળતા મેળવી છે. તેને ‘કૃત્રિમ જિંદગી’ તો ઠીક, ‘કૃત્રિમ કોષ’નું સર્જન પણ ન કહી શકાય.

છતાં, કૃત્રિમ ડીએનએની મદદથી કુદરતી કોષ પાસે ધાર્યું કરાવવાની સિદ્ધિ જેવીતેવી નથી. સજીવોના સ્વભાવ, વિશિષ્ટતાઓ, લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ- એ બધાની ચાવી ડીએનએ પાસે હોય છે. જેમ ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગીતાનો અને તેમાં જોવા મળતા વૈવિઘ્યનો પાર નથી, એવું જ કૃત્રિમ ડીએનએની બાબતમાં પણ કહી શકાય. ચોક્કસ પ્રકારનું ડીએનએ બનાવીને તેને બેક્ટેરિયાનાં ‘ખોખાં’માં ભરવાથી એવા સજીવ બનાવી શકાય છે, જેમનું અત્યાર લગી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સર્જન થઇ શક્યું નથી. જેમ કે, વાયુપ્રદૂષણ કરતા કાર્બન ડાયોક્સાઇડને બળતણમાં ફેરવી નાખે એવા બેક્ટેરિયા અથવા સમુદ્રમાં ઢોળાયેલા ક્રુડ ઓઇલનું
બિનહાનિકારક પદાર્થોમાં વિઘટન કરી નાખે એવા બેક્ટેરિયા.

આ શક્યતાઓને હવાઇ તુક્કા ગણવાની જરૂર નથી. એક્ઝોન મોબિલ જેવી જાયન્ટ ઓઇલ કંપની એક પ્રકારની શેવાળના ડીએનએમાં ફેરફાર કરીને બાયોફ્યુઅલ બનાવવાના કરાર અને નોવાર્તિસ જેવી ફાર્માસ્યુટિકલ કંપની રસી બનાવવાના કરાર ડો.વેન્ટરની કંપની સાથે કરી ચૂકી છે. તેમણે વેન્ટરના સંશોધનમાં નાણાં પણ રોક્યાં છે. પર્યાવરણ અને બળતણની બાબતમાં અમેરિકાની સરકારને પણ રસ હોવાથી, તેમણે વેન્ટરના સાહસમાં અંશતઃ રોકાણ કર્યું છે. બેક્ટેરિયાના કે બીજા સૂક્ષ્મ જીવોના કોષનું ડીએનએ બદલીને તેને રસી કે બળતણના ઉત્પાદન જેવા ‘સત્કાર્ય’માં લગાડવાથી અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે.

કુદરતી કોષમાં કામ કરતા કૃત્રિમ ડીએનએના ફાયદાની સામે ભયસ્થાનો પણ ઘણાં છે. બેક્ટેરિયા માટે કૃત્રિમ ડીએનએ બનાવતાં કંઇક ભૂલ રહી જાય અથવા ઓડનું ચોડ વેતરાઇ જાય તો બેક્ટેરિયા ઉપયોગી બનવાને બદલે જોખમી બની શકે અને એવા બેક્ટેરિયા પ્રયોગશાળાની બહાર પગ કરી જાય તો તેમનો ઉપદ્રવ કાબૂમાં લેવાનું અઘરૂં પડે.

પરંતુ એક વાત નક્કી છેઃ ડો. વેન્ટર અને તેમના જેવા વૈજ્ઞાનિકોએ પાડેલા આ ચીલાનો કેવળ વિરોધ કરવામાં શાણપણ નથી. તે ઇચ્છનીય નથી અને હવે શક્ય પણ નથી. કૃત્રિમ કોષના સર્જનની દિશામાં આ પહેલું છતાં મહત્ત્વનું પગથીયું છે. કોષકેન્દ્ર ધરાવતા કોષમાં હજુ કૃત્રિમ ડીએનએનો અખતરો બાકી છે. ત્યાર પછી કૃત્રિમ કોષના અને કૃત્રિમ જીવનના સર્જનનો તબક્કો આવે ત્યારે ખરો. પણ અત્યારે કૃત્રિમ ડીએનએને કુદરતી કોષમાં મૂકવાના પ્રયોગો અંગે યોગ્ય નીતિ કરવામાં આવે અને વ્યાપારીકરણનાં અનિષ્ટો અને મોનોપોલીની શક્યતાઓ નિવારવામાં આવે એ જરૂરી છે. એટલી સાવચેતી સાથે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે, તો માનવજાતની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળવાની- અને કેટલીક નવી સમસ્યાઓ ઉભી થવાની- શક્યતા ઉજળી છે.

5 comments:

  1. thank you for explaining the genome research done by Dr Vector and his team so lucidly.

    but even though you acknowledge the importance of the successful experiment by writing that કૃત્રિમ ડીએનએની મદદથી કુદરતી કોષ પાસે ધાર્યું કરાવવાની સિદ્ધિ જેવીતેવી નથી, it appears your habitual sarcasm persists as your second nature when you write 'આ વખતે વેન્ટરની મંડળીએ ‘કૃત્રિમ કોષ’માં કેવીક ધાડ મારી છે'

    Dr Ventor's experiment, as you yourself suggest, has tremendous possibilities : 'ચોક્કસ પ્રકારનું ડીએનએ બનાવીને તેને બેક્ટેરિયાનાં ‘ખોખાં’માં ભરવાથી એવા સજીવ બનાવી શકાય છે, જેમનું અત્યાર લગી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સર્જન થઇ શક્યું નથી.'

    any scientific discovery or invention per se must remain with neutral value judgment, it is the application of that knowledge that poses challenge. are we going to use it for human welfare and progress in a creative and constructive manner or monopolizing it for money and power to rule by destruction?

    these experiments have but one lesson to learn and one challenge to meet : we should be ready to enhance the idea of fraternity to welcome new life forms that might come in unfamiliar shapes and sizes, colours and gender, race and descent. let us prepare ourselves to shed all our prejudices and discriminatory practices.

    a very good post indeed and many congrats.

    ahmedabad,
    may 31, 2010

    ReplyDelete
  2. oh sorry, i have to enter into the box again.

    it was by chance i got to watch your DRISHTIKON programme on TV. you should have announced it in your blog, for it was worth it.

    the panel of shri prakash shah and prof gaurang jani was quite competent in giving justice to the hot topic of caste in census. i found it informative and educative. i was much impressed by the sociology professor when he asserted that all socio-economic parameters that define Indians must find place in census. for only then our planners, policy makers, legislators would engineer strategies to tackle many a social evil that plague our society.

    ahmedabad,
    may 31, 2010

    ReplyDelete
  3. Narendra6:48:00 AM

    Urvish,
    First kudos for the nice explanation for the topic.Science is such a deep ocean of knowledge, understanding, impression that, sometimes it takes time to find out its ill or good effect on society.
    We can be judgemental on Hitler or his team for many things but due to his ill-will too (I do not support his thinkings) we today are able to see many things which could have been taken centuries to be invented or who knows, might not have been invented also, only GOD knows better.
    Mr Neerav has rightly pointed out in his view about the real use by the people.
    Best example for this Laser.

    ReplyDelete
  4. અખબારોએ જીવન સર્જાયું એવું ખોટું અર્થઘટન કરી સમાચાર છાપી નાખ્યા અને ચારે બાજુ વાહવાહ પણ થઇ. તમે હકીકત સમજાવી એ સારું કામ કર્યું. વધુમાં એકદમ જટિલ વિષય એકદમ સરળ રીતે સમજાવ્યો એ વધુ કમાલની વાત છે.

    ReplyDelete
  5. Anonymous9:54:00 PM

    simply superb, man! sab se tez.. is baar safari se bhi..!
    - Dhaivat

    ReplyDelete