Wednesday, March 10, 2010

અમદાવાદઃ અજાણી દંતકથાઓ, સંભવિત ઇતિહાસ

જૂના વખતમાં, અહમદશાહ બાદશાહના જમાનામાં, છાપાં, ન્યૂઝચેનલો કે માહિતીખાતું ન હતાં. એટલે જૂઠાણાં, અફવાઓ કે ‘બત્તી’ (પ્લાન્ટેડ સ્ટોરી) સમાચાર તરીકે નહીં, પણ ઉડતી વાતો તરીકે પ્રસિદ્ધ થતાં અને દંતકથા તરીકે યાદ રહેતાં. એવી એક જાણીતી દંતકથા મુજબ અહમદશાહ કૂતરો લઇને ઘોડા પર બેસીને (સીધી વાત છેઃ કૂતરા પર બેસીને ઘોડો લઇને તો ન જ નીકળ્યા હોય) શિકાર કરવા નીકળ્યા, ત્યારે એક સસલાએ તેમના કૂતરાને દાટી મારી.

અહમદશાહ બાદશાહને બદલે કોર્પોરેટ મેનેજર હોત તો તેમણે કોસ્ટકટિંગના ભાગરૂપે કૂતરાને સસલાનું કામ સોંપીને તેનો પગાર અડધો કરી નાખ્યો હોત. એ અહમદશાહને બદલે અહમદભાઇ પટેલ હોત તો હાઇકમાન્ડના ઇશારે કૂતરાની રાતોરાત નાગાલેન્ડ કે મણિપુરમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા માટે બદલી થઇ ગઇ હોત અને સસલાને મહારાષ્ટ્રનું પ્રભારી બનાવી દેવાયું હોત. પણ બાદશાહ સીધોસાદો બાદશાહ હતોઃ ‘રાજા, વાજાં ને વાંદરાં’ ટાઇપનો. એણે સસલાનું અને કૂતરાનું શું કર્યું એ જાણવા મળતું નથી, પણ સસલાના જીગરથી પ્રભાવિત થઇને તેણે અમદાવાદ શહેર વસાવ્યું એવી દંતકથા છે.

શક્ય છે કે ઉપરની કથાની સસલાને, કૂતરાને કે ખુદ અહમદશાહને પણ ખબર ન હોય. અહમદશાહના કે ત્યાર પછીના કોઇ બાદશાહના માહિતીખાતાએ પોતે મફતનો પગાર નથી લેતા એવું સાબીત કરવાના ઉત્સાહથી કૂતરા-સસલાની વાર્તા ઘડી કાઢી હોય માહિતી ખાતાનું કર્તવ્ય જ એ હોય છે કે જ્યાં કશું ન હોય ત્યાં કાલ્પનિક સંઘર્ષ ઉભો કરીને, તેમાં સામેના પક્ષને સબળો ચીતરવો અને છતાં એ સંઘર્ષમાં પોતાના સાહેબનો વિજય જાહેર કરવો. આવું કંઇ થાય નહીં તો ભાવિ પેઢી માટે ઇતિહાસ કેવી રીતે સર્જાય?

એકનો એક ઇતિહાસ લખી-વાંચીને કંટાળેલા નવીનતાપ્રેમી લોકોના અને ભાવિ પેઢીના લાભાર્થે અમદાવાદનાં 600 વર્ષ નિમિત્તે કેટલીક નવી દંતકથાઓ શોધી કાઢવામાં આવી છે. તેનો પ્રચાર-પ્રસાર કરવાથી આપણા ઐતિહાસિક સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરો થઇ શકે છે.

માણેકચોકમાં મુગલે આઝમઃ
અકબર દિલ્હીથી વીજળીક વેગે અમદાવાદ પર ચડી આવ્યો અને અમદાવાદ લીધું એ ઘટના ઇતિહાસમાં નોંધાયેલી છે, પણ અકબરે આવું શા માટે કર્યું એ સમજાતું ન હતું. જેમણે ફક્ત ઇતિહાસનો સ્વાદ ચાખ્યો હોય અને માણેકચોકના ખાણીપીણી બજારનો સ્વાદ ન લીધો હોય તેમને એ કદી સમજાશે પણ નહીં.

અકબરને પાણીપુરી-ભેળપુરી જેવા પદાર્થો બહુ ભાવતા હતા અને માણેકચોકનું ખાણીપીણી બજાર એ વખતથી વખણાતું હતું. (દંતકથાઓમાં ‘હશે’ને બદલે ‘હતું’ લખવાનો રિવાજ છે.) એક દિવસ જોધાબાઇએ મહાબલીની થાળીમાં તુરિયાં-ગલકાંનું શાક મૂક્યું, એટલે મુગલે આઝમ ભડક્યા. જોધાબાઇએ રાબેતા મુજબ દલીલ કરી કે ‘શાક બનાવતાં પહેલાં તમને પૂછાવડાવ્યું હતું.’

જહાંપનાહે જવાબ આપ્યો કે ‘માણસ મને પૂછવા આવ્યો ત્યારે નવ રત્નો સાથે મારી મિટિંગ ચાલતી હતી. નવ રત્નોનું ધીમે ધીમે મારે ડીસઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું છે- તેમની પાસેથી ગપ્પાં મારવા ઉપરાંતનું પણ બીજું કંઇક નક્કર કામ લેવું છે. એ બધી ચર્ચામાં શાકનો કકળાટ ક્યાંથી સંભળાય? પણ હવે બહુ થયું. આજે ફેંસલો થઇ જાય. કાં તુરિયાં-ગલકાં નહીં કાં હું નહીં.’

જોધાબાઇ ડઘાઇ ગયાં. ‘હું નહીં’ એ તો જાણે સમજ્યા, પણ તુરિયાં-ગલકાં નહીં તો શું?
અકબરે માણેકચોકના ખાણીપીણી બજાર વિશે સાંભળ્યું હતું. તેમણે તત્કાળ ચુનંદા સૈનિકોને ભેગા કર્યા અને પોતે તેમની આગેવાની લઇને મારતે ઘોડે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદનો મરાઠી સૂબો એ વખતે માણેકચોકમાં પાણીપુરી ખાતો હતો. અકબરને જોઇને તે છેલ્લી એક મોળી પુરી ખાવા પણ ન રહ્યો અને ભાગ્યો. તેની પરથી કહેવત પડી કે ‘પાણીપુરી ખાતાં ગુજરાત ખોઇ.’ પણ આ કહેવત ઇતિહાસને શોભે એવી ન લાગતાં, ‘હવેલી લેતાં ગુજરાત ખોઇ’ એવી કહેણી બનાવવામાં આવી.

કાંકરિયા અને જહાંગીરઃ
ઇતિહાસમાં જહાંગીર ન્યાયપ્રિય રાજા તરીકે જાણીતો છે. પોતાના દરબારમાં તેણે સોનાનો ઘંટ લટકાવ્યો હતો, જે એ જમાનામાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ)ની ગરજ સારતો હતો. જહાંગીર ‘એનઆરઆઇ’ ન હતો. છતાં તેને અમદાવાદની ‘ડસ્ટની એલર્જી’ હતી. તેણે અમદાવાદને ‘ગર્દાબાદ’ તરીકે ઓળખાવ્યું હતું. અમદાવાદના લોકોને એની ખબર હતી, પણ જહાંગીર જ્યાં સુધી ‘ધૂળવેરો’ ન નાખે ત્યાં સુધી એમને કશો વાંધો ન હતો. કદાચ ઓછી ધૂળ ઉડે એટલે જ જહાંગીર અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે પડાવ નાખતો અને રાત્રે આતશબાજી કરાવતો. કાંકરિયાની આતશબાજી અત્યારે થાય છે એ રીતે, પ્રજાના પૈસે જ થતી. ફરક એટલો કે એ વખતે રાજાશાહી હતી.

કાંકરિયાના કિનારે બેસીને જહાંગીરે અંગ્રેજ પ્રતિૉનિધિ ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી એ જાણીતો ઇતિહાસ છે, પણ અજાણી દંતકથા એ છે કે ટોમસ રોએ બાદશાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ભેટસોગાદો ઉપરાંત કાયમી કમાણીનો એક આઇડીયા બાદશાહને આપ્યોઃ તળાવની આજુબાજુ દીવાલ ચણો, જૂના કિલ્લાના દરવાજા પડ્યા હોય તો એ લગાડી દો, દરવાજે પહેરેદારો ગોઠવી દો અને અંદર જવા માટે ફી વસૂલ કરો. દંતકથા પ્રમાણે, ટોમસ રોનો આઇડીયા સાંભળીને જહાંગીર હસી પડ્યો હતો અને કહ્યું હતું કે ‘તમારો આઇડીયા રાજકર્તાને નહીં, પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારીવૃત્તિને છાજે એવો છે,’

આશ્રમરોડ અને ગાંધીજીઃ
ગાંધીજી નજીકના ઇતિહાસની ઘટના છે. છતાં તેમના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. આઝાદીના આંદોલન માટે તે અમદાવાદમાં સ્થાયી તો થયા, પણ પછી તેમની પર આઝાદી લઇ આવવાનું કેટલું દબાણ હશે કે તેમને કહેવું પડ્યું, ‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં આવું.’

અંગ્રેજો બહુ હોંશિયાર છતાં કેટલીક બાબતમાં કાચા પડ્યા. એ વખતે તેમણે રીવરફ્રન્ટ બનાવી દીધો હોત અને વાઇસરોયને બોલાવીને રીવરફ્રન્ટમાં લાગલગાટ ઉત્સવો ચાલુ કરી દીધા હોત તો દાંડીકૂચનો સવાલ જ ન રહેત. રીવરફ્રન્ટ પરના સરકારી સમારંભો વખતે આશ્રમ રોડ પર જે રીતે ટ્રાફિક ખોરવાય છે અને સામાન્ય પ્રજાને જે હેરાનગતિ પહોંચે છે, એ જોતાં ગાંધીજી અને એમના પદયાત્રીઓ સુરક્ષા વ્યવસ્થામાં અટવાઇને સાબરમતી નદી પાર જ ન કરી શક્યા હોત અને ખિસ્સામાંથી મીઠું કાઢીને, તેને રીવરફ્રન્ટમાં પકવેલું જાહેર કરીને સંતોષ માની લેવો પડ્યો હોત. વધારે સંભવ તો એ છે કે તેમણે મીઠાનો મુદ્દો બાજુ પર મૂકીને વીઆઇપીઓને લીધે પ્રજાને પડતી અગવડના મુદ્દે સત્યાગ્રહ છેડ્યો હોત.

3 comments:

  1. Mara Mitro,

    Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.

    Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.

    Tamaro Mitr

    Tushar & Sima Patel

    ReplyDelete
  2. This is hilarious.. Navratno nu disinvestment..!! Hu nahi e to baraabar pan turiya-galka nahi to shu..??!!!! HA HA HA HA HA HA.. :D

    ReplyDelete
  3. hello sir,

    my self kaushal parekh.

    હુ આપનો પ્રોગામ દૃષ્ટિકોણ છે. જે સારો છે ને મને બહુ જ ગમે છે.


    મારી એક ગુજરાતી સાહીત્ય પર ની વેબસાઈટ બની છે.

    જેમાં કવિતા, ગઝલગુજૅરી, ઇતિહાસ વિશે ની માહીતી, હેરીટેજ ફોટા તેમજ આપના કોઇ અનુભવ ની ગાથા રજુ કરી છે.

    www.vinelamoti.com

    ReplyDelete