Wednesday, October 14, 2009

ફાધર વાલેસઃ થોડી બીજી વાતો

ફાધર વાલેસ/ Father Valesની ત્રણ-ચાર દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ભાગ્યે જ કોઇ ગુજરાતી લેખકને મળે એવું મીડિયા કવરેજ તેમને મળ્યું એ આનંદની વાત હતી. રમેશ તન્નાએ દૂરદર્શન માટે તેમનો ઇન્ટરવ્યુ પણ કર્યો. ‘ગુજરાત સમાચાર’ માટે મારે ફાધરનો ઇન્ટરવ્યુ કરવાનો હતો. એ પહેલાં વિદ્યાપીઠના ફંક્શનમાં ફાધરનું પ્રવચન સાંભળ્યું હતું. અડધા કલાકના પ્રવચનને અખબારી અહેવાલોમાં બે-ચાર ફકરા ફકરીમાં સમાવવાનું હોય એટલે કેટલીક મુદ્દાની વાતો બાકી રહી જાય.
એ દિવસોમાં નવરાત્રિ ચાલતી હતી. ફાધરે પ્રવચનમાં કહ્યું હતું કે ‘નવરાત્રિના દિવસોમાં મારા ક્લાસમાં ઝોકાં ખાતી છોકરીને જગાડવાનું પાપ મેં કદી કર્યું નથી.’ એટલે સ્વાભાવિક રીતે જ આ વાત સૌથી વધારે ચમકાવવામાં આવી.
પ્રવચનમાં ફાધરે એક અગત્યની અને પ્રમાણમાં ઓછી જાણીતી વાત એ કરી કે ગુજરાતમાં તેમનું આગમન બરાબર ૧ મે, ૧૯૬૦ના રોજ, ગુજરાતના સ્થાપના દિવસે જ થયું. ફાધર દક્ષિણ ભારતના કોઇ સ્થળેથી (મદ્રાસથી?) મુંબઇ આવ્યા. ત્યાંથી અમદાવાદ આવવાની તેમની ટિકીટની વ્યવસ્થા થઇ ગઇ હોવાનું કોઇ માણસે તેમને કહ્યું હતું, પણ છેલ્લી ઘડીએ એ માણસ સ્ટેશન પર દેખાયો નહીં. ૧લીની સવાર હતી. અમદાવાદ આવવાની ટ્રેનમાં ભીડનો પાર નહીં. ટિકીટ બીજા પાસેથી મળશે એવી આશાએ ફાધર આવી ગયા હતા ને પછી ટિકીટ લેવા જવાય એવો સમય નહીં હોય. ટ્રેનમાં પણ તે માંડ દાખલ થઇ શક્યા. શાલીન સેન્સ ઓફ હ્યુમરનો પરચો આપતાં ફાધરે કહ્યું હતું કે ‘આમ તો મને ટ્રેનમાં સૂતો હોઊં તો પણ ઊંઘ આવતી નથી. તે દિવસે મને ઉભાં ઉભાં ઊંઘ આવી ગઇ. કારણ કે ભીડ એટલી હતી કે હું પડી જઊં એવી કોઇ શક્યતા જ ન હતી.’ ફાધરે કહ્યું, ‘ગુજરાતમાં-અમદાવાદમાં મારો પ્રવેશ તેની સ્થાપનાના પહેલા દિવસે અને વગર ટિકીટે થયો.’ આ આખો કિસ્સો ફાધરે તેમની સ્પેનિશ છાંટ ધરાવતા ઉચ્ચારો સાથે કહ્યો, ત્યારે ઓડિયન્સમાં જબરી હસાહસ થઇ હતી.
ફાધરના ગુજરાતી ઉચ્ચારો સ્પેનિશ, પણ એક કિસ્સો વર્ણવતાં ફાધરે કરસનદાસ માણેકની એક કવિતા લલકારી, ત્યારે કવિતામાં આવતા શબ્દોના તેમના ઉચ્ચાર બહુ સ્પષ્ટ હતા. (એ વખતે મને ‘કમીને’નો સીન યાદ આવ્યો, જેમાં ખચકાઇને બોલતો શાહીદ કપૂર ગાતી વખતે બિલકુલ ખચકાતો નથી. એટલે પોલીસ ઉલટતપાસના જવાબો ગાઇને શાહીદને આપવાનું કહે છે.)
ફાધરનું વલણ ધાર્મિક-આઘ્યાત્મિક. ઝેવિયર્સમાં તે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જ રહેતા હતા. સાંજે વિદ્યાર્થીઓ સાથે ભજન કરાવતા હતા. તેમનાંનો જ એક વિદ્યાર્થી વર્ષો પછી ફાધરને રીલીફ રોડ પર મળી ગયો, ત્યારે બન્ને જણે એકબીજા સાથે કોઇ જાતની વાત કે વિનયવ્યવહાર કરવાને બદલે, સામેવાળાએ કરસનદાસ માણેકના ભજનની એક પંક્તિ ગાઇ. ફાધરે સામે બીજી પંક્તિ ગાઇ.એમ કરતાં બન્ને જણે સામસામે કડીઓ ગાવા લાગ્યા. આખું ભજન પૂરૂં થયું, એટલે પેલા માણસે બીજી કોઇ પણ વાત કર્યા વિના ચાલતી પકડી. ફાધરનો મુદ્દો એ હતો કે વિદ્યાર્થી અવસ્થામાં પડેલા સંસ્કાર વિદ્યાર્થીકાળ પૂરો થયા પછી પણ ટકી રહે છે.
તહેવારોની વાત નીકળતાં તેમાં છૂપાયેલા ગુઢાર્થોને પણ ફાધરે ઉકેલી બતાવ્યા. જેમ કે, દશેરાને તેમણે ‘સીમોલ્લંઘનના પર્વ’ તરીકે ઓળખાવ્યું.- પોતાની સીમાઓનો વિસ્તાર કરવાનું પર્વ. ગણેશોત્સવ અને ગણેશવિસર્જન વિશે ફાધરે કહ્યું કે દરેક વર્ષે ભગવાન વિશેની આપણી જૂની માન્યતાઓનું વિસર્જન કરવું અને તે નવીનતમ કરતા રહેવું, એ મૂળ ધ્વનિ છે.
ફાધરનો સન્માન કાર્યક્રમ હતો. બીજા દિવસે સવારે મેં ઝેવિયર્સના રેકોર્ડંિગ સ્ટુડિયોમાં તેમનું કામ પૂરૂં થયા પછી તેમનો ઇન્ટરવ્યુ કર્યો. માંડ અડધો કલાક વાતચીત થઇ હશે. સમય બહુ ઓછો પડ્યો. બાકી ફાધરને ઘણું પૂછવાનું હતું. ફાધરની કેટલીક માન્યતાઓ અને તેમાં રહેલી હકારાત્મક આત્યંતિકતા મને પૂરેપૂરી સ્વીકાર્ય લાગતી ન હતી. ફાધરની મંગલમય અથવા ‘મંગલ, મંગલ’ વાતો પછી મારે એમને જ્ઞાતિપ્રથા, કોમી ધ્રુવીકરણ અને કહેવાતા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વિશે ઘણું પૂછવાનું હતું. છતાં, એ બધી ચર્ચા માટે જે પ્રકારનો માહોલ ઉભો થવો જોઇએ, એવો માહોલ ઉભો થયો ને ફાધરની સાથે આવેલા તેમના સંરક્ષક-સ્નેહી દેવેન્દ્રભાઇ પીરે ઇન્ટરવ્યુ પૂરો જાહેર કરી દીધો. તહેવારોના ગૂઢાર્થ વિશે મેં એમને પૂછ્યું પણ ખરૂં કે ‘તમે જે અર્થ કાઢી બતાવ્યા એ બહુ સરસ છે. બહુ ગમે એવા છે. પણ લોકો અત્યારે જે રીતે તહેવારો ઉજવે છે, તેમાં આ ભાવના ક્યાંય પ્રતિબિંબિત થતી નથી. તો આવા ગૂઢાર્થથી ખરેખર કશો ફરક પડે ખરો?’
ફાધરે મનોવૈજ્ઞાનિકોને ટાંકીને કહ્યું કે ‘જે ચીજ સભાનતાપૂર્વક કરવામાં આવે તેની અસર તો પડે જ, પણ જે અભાનતાપૂર્વક કરવામાં આવે તેની છાપ વધારે પડે.’ તેમનું કહેવાનું હતું કે આ રીતે તો આ રીતે, પણ ઉત્સવો ઉજવાય એટલે તેના હાર્દની અભાનપણે લોકો પર અસર પડે. આ વાત મને બહુ ગળે ન ઉતરી. પણ સમયનો સખત અભાવ હતો.
ઇન્ટરવ્યુ દરમિયાન અને ત્યાર પછી પણ તસવીરકાર મિત્ર સંજય વૈદ્ય તસવીરો લેતા હતા. ઇન્ટરવ્યુ પૂરો થયા પછી કુદરતી પ્રકાશમાં ફાધરની થોડી તસવીરો પાડવાની તક મને પણ મળી. આગલા દિવસે ફાધર ધાર્મિક પોશાકમાં હતા, પણ રવિવારે ફાધરે સરસ રંગીન શર્ટ પહેર્યું હતું. એ તસવીરો આ પોસ્ટના આરંભે મૂકી છે.
ફાધરના પ્રેમીઓ તેમની વેબસાઇટ http://www.carlosvalles.com/ પર જઇને તેમનો સંપર્ક સાધી શકે છે. વિદ્યાપીઠના પ્રવચનમાં કરેલી બીજી કેટલીક વાતો ફાધરે તેમના નવા પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’માંથી જ કહી હતી. વઘુ રસ ધરાવતા મિત્રોને એ પુસ્તક વાંચી જવા ભલામણ.
***
બીજાનું અપનાવવા માટે પોતાનું છોડી દેવાની જરૂર નથીઃ ફાધર વાલેસ
૮૪ વર્ષના સ્પેનિશ ફાધર કાર્લોસ જી.વાલેસને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓ ફાધર વાલેસના નામે ઓળખે છે અને ચાહે છે. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ફાધર વાલેસે અઢી-ત્રણ દાયકા સુધી લખેલી કટાર ‘નવી પેઢીને’ ગુજરાતના સાહિત્ય અને સમાજજીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષા પર એકસરખી હથોટી ધરાવતા ફાધર વાલેસ તેમના અંગ્રેજી પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’ ના પ્રકાશન અને છ ગુજરાતી પુસ્તકોના પુનઃપ્રકાશન નિમિત્તે અમદાવાદ આવ્યા છે. ઊંમરની અને ખાસ તો ગરમીની અસરથી ત્રસ્ત ફાધર સ્વસ્થ થયા પછી મુલાકાતની શરૂઆત જ ‘ગુજરાત સમાચાર’ સાથેના તેમના સંબંધની વાતથી કરે છે.
‘ગુજરાતમાં આવ્યાનાં પાંચેક વર્ષ પછી મેં ‘કુમાર’ સામયિકમાં લખવાનું શરૂ કર્યું. મારાં લખાણો લોકપ્રિય થયાં, એટલે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિભાઇએ મને રવિવારની પૂર્તિમાં લખવાનું આમંત્રણ આપ્યું. મને મહિને એક વાર લખવાની ટેવ હતી. અઠવાડિક રીતે હું લખી શકીશ કે નહીં, એ જાણતો ન હતો. મેં વચન આપ્યું ન હતું. છતાં શાંતિભાઇના આગ્રહથી ‘નવી પેઢીને’ કોલમ શરૂ કરી અને ગુજરાત છોડ્યું ત્યાં સુધી એ કોલમ લખી.’
‘નવી પેઢીને’ કોલમ એવી એવી વંચાતી અને ચર્ચાતી હતી કે ફાધરના એક મિત્રએ તેમને ગમ્મતમાં કહ્યું હતું,‘તમે ગુજરાત સમાચારમાં લખવાનું બંધ કરશો, ત્યારે મારા ઘરમાં શાંતિ થશે. દર રવિવારે પેપર આવે એટલે મારા પહેલાં મારી પત્ની તમારી કોલમ વાંચી જાય છે અને પછી મને બતાવીને કહે છે,‘લો, વાંચો. ફાધરે આ તમારા માટે લખ્યું છે.’
સ્પેનિશ અને અંગ્રેજીમાંથી ‘સવાયા ગુજરાતી’ બનેલા ફાધરના ગુજરાતી લેખન પર બે મહાનુભાવનો પ્રભાવ છેઃ કાકાસાહેબ કાલેલકર અને... બીજું નામ બોલતાં પહેલાં ફાધર સહેજ અટકીને ગ્લાનિના ભાવ સાથે કહે છે,‘દુઃખની વાત છે કે એ નામ હવે ભૂલાઇ ગયું છેઃ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા.’ કાકાસાહેબ કાલેલકરના ‘સ્મરણયાત્રા’ પુસ્તકની લેખનશૈલી અને કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’ના ચિંતનનો ફાધર પર ઊંડો પ્રભાવ પડ્યો.
‘કાકાસાહેબનું લખાણ મારી શૈલીને બહુ મળતું. સરળ. સ્પષ્ટ. શરૂઆતમાં હું લગભગ તેમનું અનુકરણ- અનુકરણ નહીં, પણ એમનું લખાણ સામે રાખીને એ જાતની સરળતા, સ્પષ્ટતા માટે પ્રયાસ કરતો. એ શૈલી મારામાં આવી. ત્યાર પછી પ્રિય તો બધા થયા, પણ લેખક તરીકે મારી પર અસર કાકાસાહેબ અને કિશોરલાલની. એ બેનો હાથ પકડીને હું ચાલ્યો. પછી કાકાસાહેબ સાથે તો મિત્રતા થઇ, પણ કિશોરલાલને કદી મળવાનું ન થયું.’
પરદેશમાં જ નહીં, ગુજરાતમાં પણ અંગ્રેજીના આક્રમણને ગુજરાતી ભાષાની સ્થિતિ કફોડી બની છે. એ વિશે તાજો દાખલો આપતાં ફાધરે કહ્યું,‘કાલે મને એક ભાઇએ એક સારા પ્રતિષ્ઠિત ગણાતા માસિકનો અંક આપ્યો. એના એક શીર્ષકમાં જો પાંચ શબ્દો હતા, તો તેમાંથી ચાર શબ્દો અંગ્રેજી અને એક ગુજરાતી! હું તો આભો થઇ ગયો. માની શકતો ન હતો. કારણ કે પેલા અંગ્રેજી શબ્દો માટે પૂરેપૂરા અને વધારે સારા ગુજરાતી શબ્દો હતા.’
ફાધર કહે છે,‘મુખ્ય વાત છે સમન્વય. બીજાનું અપનાવો, પણ પોતાનું શા માટે છોડી દો છો? અંગ્રેજી શીખો, પણ ગુજરાતી છોડીને નહીં. તમારી પાસે એક મોટર હોય તો સારૂં, પણ બે મોટર હોય તો વધારે સારૂં છે ને! બીજી મોટર તમે છોડી દો છો? ગુજરાતમાં આવીને મેં સ્પેનિશ કે અંગ્રેજી ભાષાનો ત્યાગ કર્યો નથી, પણ ગુજરાતીનો સ્વીકાર કર્યો. તેની ઉપરથી તમે જુઓ કે મારૂં જીવન કેવું સમૃદ્ધ બન્યું છે.’
ગુજરાતમાં સંસ્કૃતિ અને અસ્મિતના વાતો બહુ થાય છે, પણ ગુજરાતી ભાષાની વાત બહુ થતી નથી. ફાધર કહે છે,‘મારા એક પુસ્તક ‘પરદેશ’માં એક પ્રકરણનું મથાળું હતું ભાષા જાય તો સંસ્કૃતિ જાય.’ સામાન્ય રીતે મૃદુ, સૌમ્ય અને મંગલ વલણ ધરાવતા ફાધર ભાષાને મામલે એકથી વધારે વાર, સ્પષ્ટ રીતે કહે છે,‘તમે અંગ્રેજી બોલો તો અંગ્રેજ બની જશો- તમારા વિચારમાં ને વર્તનમાં. કોઇ એમ કહેતું હોય કે ‘હું અંગ્રેજીમાં બોલીશ, પણ દિલ ગુજરાતી હશે’ તો એ શક્ય નથી.
અંગ્રેજી બોલો એટલે અંગ્રેજી સંસ્કાર આવે. એ ખોટા છે એમ નથી કહેતો, પણ એ જુદા છે. તમે અંગ્રેજી સંસ્કાર જરૂર અપનાવો, પણ ગુજરાતી ભૂલશો નહીં. બન્ને અપનાવો તો તમારૂં જીવન સમૃદ્ધ થશે ને એક માટે બીજાને છોડી દેશો તો કંગાળ બની જશો.’
પોતાના વતન સ્પેનમાં ‘ઇન્ડિયન’ તરીકે ઓળખાતા ફાધર વાલેસ કહે છે,‘હું પચાસ ટકા સ્પેનિશ ને પચાસ ટકા ગુજરાતી એ પ્રકારની ઓળખમાં માનતો નથી. અહીં હું સો ટકા ગુજરાતી છું ને સ્પેનમાં સો ટકા સ્પેનિશ.’ હીરાનો દાખલો આપતાં ફાધર કહે છે,‘હીરાના અનેક પાસા હોય છે, પણ એક સમયે હીરાનું એક જ પાસું આપણી સામે હોય છે. જેટલા પાસા વધારે, એટલો હીરો વધારે કિમતી.’
(interview for GS)

8 comments:

  1. ફાધરની સાથે આવેલા 'સ્નેહી-સંરક્ષક' મી.પીરનો આવો જ કંઇક અનુભવ વિદ્યાપીઠના કાર્યક્રમ વખતે પણ થયેલો. પરંતુ ત્યારે અમે એવું માની લીધેલું કે ફાધર પોતે લાંબા કાર્યક્રમ પછી કંટાળ્યા છે અને મી.પીર તે જાણે છે તેથી કદાચ લોકો સાથે ભળવા દેતા નથી. એ કાર્યક્રમ પછી ફાધરની ઈચ્છા લોકોને મળવાની હશે કે નહિ તે કોને ખબર? અંગત રીતે આપણને મી.પીરનો કોઈ અનુભવ નથી અને ફાધરના કાર્યક્રમને સ્પોન્સર કરવા માટે અને ફાધરને આપણા સૌ સુધી પહોચાડવા માટે એમનો આભાર પરંતુ ફાધરનું ધ્યાન રાખવું અને ફાધરની આસપાસ સુરક્ષા ચક્ર બનવવામાં ફરક તો ખરો જ. પરિણામે આમારા જેવા 'મુગ્ધ' વાચકોને ફાધરના પુસ્તક પર એમના હસ્તાક્ષર ના મળે. ઇન્ટરવ્યુ વખતે પણ આવો અનુભવ થાય છે તે જરા વધારે પડતું છે.

    ReplyDelete
  2. Anonymous5:36:00 AM

    It was really refreshing to read this article in the middle of a busy day. I've a special respect for father Valles in my heart. He's one of those few ppl who have mastery in Maths as well as languages.

    ReplyDelete
  3. SALIL DALAL7:20:00 PM

    આભાર ઉર્વીશ.
    ફાધર વિષે વિગતે વાંચીને આનંદ થયો.
    તેમના ગુજરાતી પ્રેમ સામે વળતા વહેવાર તરીકે આપણે શું કરી શકીએ? રોજ અહી ઠેર ઠેર 'સ્પેનીશ શીખો' એવી જાહેરાતો વાંચીને એમ થાય છે કે સ્પેનીશ શીખું !
    કદાચ ખરેખર શીખું પણ.

    ReplyDelete
  4. Wonderful-frank tribute to Father-I congratulated to him via E mail-and he replied-We had a nice one to one meeting in Philadelphia in Devendrabhai's function-Wish him a long healthy life,
    Thanks.

    ReplyDelete
  5. Anonymous2:25:00 AM

    Very happy to read about Father.
    Father Valles was and is my Contact since,1960.
    You have taken him as is in the pictures too.

    Rajendra Trivedi,M.D.
    www.bpaindia.org

    ReplyDelete
  6. ધર્મેન1:15:00 PM

    પાર્ટી! જેની તલાશ હતી એ તમારા બ્લોગ પરથી મળ્યું!ફાધર વાલેસની વેબ-પ્રેઝન્સ વિષે કોઇ માહિતી છાપાઓમા ના મળી, પણ અહીંયા મળી. એટ લાસ્ટ! અલબત્ત,એમની ઇ-મે ઇલ આઇ-ડી તો અહીં પણ નથી. હર્નિશ૫ એ અહીં કોમેન્ટમાં લખ્યુ છે કે તેઓ ઇ-મેઇલ થી ફાધરના સંપર્કમાં રહે છે. એમેને વિનંતી કે ફાધરની આઇ-ડી અહીં આપે.
    ફાધર વિષે દિવ્યભાસ્કરે આપેલો લેખ નાનો પણચોટદાર હતો.
    ભાષા જાય તો સંસ્કૃતિ પણ જાય એ વાત એમા ચોટદાર રીતે પ્રગટ થૈ હતી. એ લેખ f4ag એ-મેઇલ ગૃપમા પણ વાંચવા મળ્યો હતો.

    ReplyDelete
  7. His id is carlos@carlosvalles.com
    and the best thing is, he replies...!!!

    You can read my experience on my site.
    http://webmehfil.com/?p=2053

    ReplyDelete
  8. Mahesh H. Patel5:35:00 PM

    I was his student in St. Xaviers College, Amadavad ( 1962- 1964).Father valles taught us Mathematics.We reveared him and were impressed by his writtings for young generation.Today when I saw his photo in blue shirt in this blog Iwas overjoyed to see angelic smile on his face.God give him long life to fufil his mission to serve humanity. = Mahesh H. Patel

    ReplyDelete