Thursday, May 28, 2009

...અને એક પત્ર જીતેલા ઉમેદવારોને

માનનીય સંસદસભ્યશ્રી,

તમારી આ જ તકલીફ છે.
તમે હાર્યા હોત તો તમને સહેલાઇથી ‘પ્રિય ભાઇ/બહેન’ના સંબોધનથી પત્ર લખી શકાયો હોત, પણ એક વાર તમે જીતો એટલે આગળ-પાછળ-ઉપર-નીચે ‘શ્રી’નો એવો ખડકલો થઇ જાય છે કે એમાં તમને શોધવાનું અઘરૂં થઇ પડે છે. આશા છે કે તમે પોતે તમારી જાતને- તમારા ‘આત્મા’ને એ ઢગલામાંથી ક્યારેક શોધી શકતા હશો.

ટ્યૂબના ખોખામાંથી બહાર નીકળેલી પેસ્ટ પાછી ટ્યૂબમાં નાખવાનું પ્રમાણમાં સહેલું છે, પણ જીતેલા માણસને સલાહ-શીખામણ આપવાનું અઘરૂં છે. આ સચ્ચાઇનો ખ્યાલ હોવાથી આ પત્ર તમને ઉપદેશ કે શીખામણ આપવા લખ્યો નથી. ફક્ત કેટલીક બાબતો યાદ કરાવવા લખ્યો છે.

વક્રતા તો જુઓ! વૈકલ્પિક રોજગારની જરૂર ચૂંટણી હારનાર ઉમેદવારને પડે, પણ એવી તકો જીતેલા લોકોને મળે છેઃ જીત પછી ફૂલનો એટલો ઢગ ખડકાય છે કે ફૂલની દુકાન શરૂ કરી શકાય. અભિનંદનનો એટલો વરસાદ થાય છે કે કૃત્રિમ વર્ષાના બીજા કોઇ પ્રયોગને આટલી સફળતા નહીં મળતી હોય. તમને હરાવવામાં નિષ્ફળ જનારા ઘણાખરા લોકો ખેલદિલીના નામે તમારી સાથે તૂટી ગયેલો પૂલ એમની તરફથી ફરી ઉભો કરવાનો પ્રયાસ કરે છે.

સીધાંસાદાં લગ્ન નહીં, પણ નાસીને લગ્ન કરનાર ધારેલા સ્થળે પહોંચ્યા પછી દુનિયા તરફ નજર નાખતાં જેવો વિજેતાભાવ અનુભવે (‘જખ મારે છે દુનિયા! મારી સામે પડનારાએ શું ઉખાડી લીઘું?’) કંઇક એ જ પ્રકારની લાગણી અત્યારે તમને થતી હશે એ કલ્પી શકાય છે. છતાં એક બાબતે મારી સહાનુભૂતિ તમારામાંથી ઘણા બધાની સાથે છે.

આ ચૂંટણી પહેલાં કેટકેટલાં અરમાન તમે સેવ્યાં હતાં! ઘણા ઉમેદવારોને એવાં સ્વપ્ન આવતાં હતાં કે એ ચૂંટણી જીતી ગયા પછીના દિવસોમાં માણસ મટીને ઘોડો બની ગયા છે! ત્રિશંકુ પરિણામોની અપેક્ષા હતી અને સરકાર બનાવવા માટે એકેએક જીતેલા ઉમેદવારની કિંમત ઉપજવાની હતી. ત્યાર પછીનું ‘હોર્સટ્રેડિંગ’ ચાલતું હોવાનાં મઘુર સ્વપ્નાં ઘણાને રોજ વહેલા પરોઢિયે આવવાં શરૂ થઇ ગયાં હતાં. એ સ્વપ્નમાં એવું પણ આવતું હતું કે જે ‘ઘોડો’ ન બને તે ‘ગધેડો’ ઠરે. આખી ચૂંટણીપ્રક્રિયામાં ન ખર્ચાઇ હોય એટલી રકમ હોર્સટ્રેડિંગના બે-ચાર દિવસમાં વિજેતાઓને મળવાની હતી. વિજેતાઓ આખરે હતા તો ભારતના જ. એટલે બીજી રીતે જોઇએ તો, સ્વિસ બેન્કમાંથી અને બીજી બેન્કોમાં સંઘરાયેલું ભારતીય નેતાઓનું અઢળક નાણું સ્વદેશ પાછું ઠલવાવાનું હતું. દિવાળી સિવાય આવી પડનારી આ ધનતેરસ ઉજવવા સૌ તલપાપડ હતા. પણ ભારતીય લોકશાહીનાં એવાં નસીબ ક્યાં કે નેતાઓએ આપેલા વાયદા આટલા ઝડપથી પૂરા થાય!

સાર એટલો કે જીતીને હારી જવાનું કે હારીને જીતી જવાનું ફક્ત સાહિત્યમાં નથી આવતું. આ ચૂંટણીમાં પણ ઘણા જીતેલા હાર્યા છે. કારણ કે એ લોકો સાંસદ તરીકે અમુક હજાર રૂપૈડીનો પગાર કે મફત ટિકીટોના આકર્ષણથી લડ્યા ન હતા. લૂંટારૂ મનોવૃત્તિ ધરાવતા સૈનિકો હારી ગયેલા દુશ્મનના શરીર પરથી ઘરેણાં ઉતારવાનું ઘ્યેય રાખે છે, પણ એવા સૈનિકો કદી રાજા નથી બની શકતા. રાજા બનવા ઇચ્છનારા પરાજિતોનાં ઘરેણાં પર નહીં, સામ્રાજ્ય પર નજર બગાડે છે. મહત્ત્વાકાંક્ષી ઉમેદવારો સાંસદ તરીકેનાં ભાડાંભથ્થાં-પગારથી કદી ઇતિશ્રી માનતા નથી. ‘સંતોષી નર સદા સુખી’ એ કહેવત રાજકારણના ધંધામાં કામની નથી.

ચૂંટણીયુદ્ધમાં જીતવાની સંભાવના ધરાવતા લોકોએ આ વખતે બહુ ઉંચાં નિશાન તાક્યાં હતાં. તેમાંથી જે હારી ગયા એમનો કોઇ સવાલ રહેતો નથી. કેમ કે તે હારી ગયા છે. પણ ખરી અફસોસજનક સ્થિતિ તમારામાંથી- જીતેલા ઉમેદવારોમાંથી- ઘણાબધાની થઇ છે. જીત પછી ઘણા ઉમેદવારો ઘોડાને બદલે બકરીમાં ફેરવાઇ ગયા હોય એવાં સ્વપ્ન હવે તેમને આવે છેઃ હોર્સટ્રેડિંગની- ખુલ્લેઆમ ખરીદવેચાણની સ્થિતિ પેદા થવાને બદલે જાણે બકરીઓ ડબ્બામાં આવી ગઇ.

લોકશાહી મૂલ્યવાન છે એ સૌ જાણે છે, પણ તેનું મૂલ્ય ખરેખર કેટલું છે એ હોર્સટ્રેડિંગની પ્રક્રિયા વખતે જ ખબર પડે છે. અઘ્યાત્મવાદી ભારતીયો લોકશાહીનું મૂલ્ય રૂપિયાપૈસામાં અંકાય તેની સામે નાકનું ટીચકું ચડાવે છે, પણ પાશ્ચાત્ય દેશોમાં ફૂટબોલ ખેલાડીઓના પગથી માંડીને ગાયકોના ગળાની અને હીરોઇનના દેખાવની કિંમત કરોડો ડોલરમાં અંકાય છે. એ પરંપરા મુજબ દર પાંચ વર્ષ એક વાર પ્રજાને લોકશાહીની કિંમત રૂપિયાપૈસામાં, ભલે હોર્સટ્રેડિંગ થકી, જાણવા મળે એમાં ખોટું શું છે? માણસની ગરીબી અને તેના સુખ જેવી ભાવવાચક ચીજોના આંક કાઢી શકાતા હોય તો લોકશાહીના આંક જેવા હોર્સટ્રેડિંગ સામે વિરોધ શા માટે?

હોર્સટ્રેડિંગનો કિમતી અને મૂલ્યવાન અનુભવ ગુમાવનારા હે વિજેતા સાંસદો! નિરાશ થશો નહીં. આ ચૂંટણીમાં નહીં તો આવતી, આવતી નહીં તો તેની પછીની ચૂંટણીમાં, ત્રિશંકુ પરિણામો જરૂર આવશે. આશા અમર છે અને હોર્સટ્રેડિંગ પણ એટલી ઝડપથી મરે એમ લાગતું નથી.

નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ઘણાને સંસદમાં જઇને ખરેખર શું કરવાનું છે એ વિશે ચોક્કસ ખ્યાલ હોતો નથી. સમાચારો વાંચીને અને ટીવી પર જોઇને સંસદમાં જનારા લોકો પોતાનો અવાજ બરાબર ખુલે એ માટે મીઠાના પાણીના કોગળા કરવાથી વિશેષ કોઇ તૈયારી કરતા નથી. સંસદનું જીવંત પ્રસારણ જોઇ ચૂકેલા કેટલાક ઉમેદવારો પહેલી વાર પ્રસ્થાન કરતાં પહેલાં થોડા દિવસ જિમ્નેશ્યમમાં જઇને બાવડાં મજબૂત કરવા પ્રેરાય તો પણ નવાઇ નહીં.

ઘણા નવોદિતોને માત્ર એટલો ખ્યાલ હોય છે કે સંસદમાં ફક્ત આપણા (સાંસદોના) પગારવધારા પર ચર્ચા કરવાનું અને તેનો ખરડો પસાર કરવાનું કામ થાય છે. તો કેટલાકને એવું હોય છે કે સંસદમાં જવાથી આપણા નામનાં બસસ્ટેન્ડ અને બાંકડા મુકાવી શકાય છે. સંસદભવનમાં આવેલા ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલય વિશે ઘણા સભ્યો અનેક મુદતો પછી પણ સાવ કોરાધાકોર હોય છે. એ બધાની સમજણને દાદ આપવી પડેઃ શહેરમાં લાયબ્રેરી ઓછી છે તે દિલ્હીમાં જઇને લાયબ્રેરીમાં જવું? અને એથી પણ વધારે અગત્યનો મુદ્દોઃ થોથાંમાં રસ પડતો હોત તો રાજકારણમાં શું કામ આવત?

છેલ્લે તમને સૌને એટલું જ કહેવાનું કે રાજકારણમાં હાર કાયમી નથી, એમ જીત પણ કાયમી નથી. અહીં અમરત્વની કોઇ યોજના નથી. બસસ્ટેન્ડનાં પાટિયાં કે બાંકડા પર પોતાનું નામ વાંચીને એવો ભ્રમ ન સેવતા કે અશોકના શિલાલેખોની જેમ સદીઓ પછીના સંશોધકો આ બાંકડા ને આ બસસ્ટેન્ડ ખોળી કાઢશે અને તેની પરનાં નામ વાંચીને કહેશે,‘ઓહોહો! ભારતવર્ષમાં કેવા પ્રજાવત્સલ રાજવીઓ થઇ ગયા!’

દિલ્હી જઇને તબિયત સાચવજો. ગરમી બહુ પડે છે. ક્યાંક માથે ન ચડી જાય.
તમારો શુભેચ્છક

No comments:

Post a Comment