Friday, March 20, 2009

આણંદનાં ડૉ.નયના પટેલની ‘સરોગેટ ક્રાંતિ’ પુસ્તક સ્વરૂપે

વર્ષો પહેલાં મુંબઇના અખબારમાં ‘ગર્ભાશય નવ મહિના માટે આપવાનું (કે લેવાનું) છે’ એ મતલબની ટચૂકડી જાહેરખબર ખળભળાટ મચાવતી હતી. ‘ચિત્રલેખા’માં તેની લાંબીપહોળી સ્ટોરી થઇ હતી. પણ છેલ્લાં બે-ચાર વર્ષમાં આણંદનાં ડૉ.નયના પટેલના પ્રતાપે ‘સરોગેટ મધર’ લગભગ ગુજરાતી શબ્દ બની ગયો છે. ડૉ.પટેલની મુલાકાત પછી તેમની પ્રવૃત્તિનાં વિવિધ પાસાં વિશેનું વિગતવાર લખાણ બ્લોગ પર અગાઉ મૂક્યું છે.


http://urvishkothari-gujarati.blogspot.com/search/label/surrogate%20mother

બે-એક વર્ષ પહેલાં ડૉ.પટેલને ઇન્ટરવ્યુ માટે મળ્યો, ત્યારે મનમાં ઘણાં સવાલો-શંકા-કુશંકાઓ કૂદકા મારતાં હતાં. અમુક માહિતી એમને કેવી રીતે પૂછવી – તેમની પાસેથી કેવી રીતે કઢાવવી- પ્રશ્નો કેવી રીતે પૂછવા, જેથી તે સીધો નહીં તો ઊંધો કાન પકડે, રૂપિયા-પૈસાની બાબત કેવી રીતે પૂછવી અને પૂછ્યા પછી પણ તે જવાબ ઉડાડી દે તો કેવી રીતે ક્રોસ કરવાં...આવી માનસિક તૈયારી અને સવાલોની લાંબી યાદી સાથે હું ગયો. પણ ડૉ.પટેલે મને નિરાશ કર્યોઃ-)

મારા દરેક સવાલના જવાબ તેમણે મનોમન ગોઠવ્યા વિના, તેમનું નામ કહેતાં હોય એટલી સહજતાથી આપ્યા. દરેકેદરેક માહિતી ઉલટભેર પૂરી પાડી. રૂપિયા-પૈસાની લેવડદેવડ કેટલી અને કેવી રીતે થાય છે તેની વિગતો આપી. દર્દીઓની કેટલીક ફાઇલ નમૂનારૂપે બતાવી. સરોગેટ મધર- દંપતિ વચ્ચે થતા કરારનું ફોર્મેટ આપ્યું...અંગત જીવન વિશે ખુલાસીને વાતો કરી. એમ પણ કહ્યું કે હું નિઃસંતાન હોઉં તો સરોગેટ મધરનો વિકલ્પ પસંદ ન કરું.

ઓપ્રા વિન્ફ્રે શૉથી માંડીને બીબીસી, સીએનએન, નેશનલ જ્યોગ્રોફિક જેવાં વિદેશી પ્રસાર માધ્યમો અને દેશનાં લગભગ બધાં જ છાપાં-સામયિક-ચેનલો ડૉ.પટેલનું વિગતવાર કવરેજ કરી ચૂક્યાં હોવા છતાં એ તેમના દિમાગ પર સવાર થયું હોય એવું જરાય ન લાગ્યું. નૈતિકતાને લગતા સવાલોના પણ તેમણે પ્રામાણિક અને સંતોષ થાય એવા જવાબ આપ્યા. એસએમએસ અને ઇ-મેઇલ પર તેમને સંદેશો મોકલીએ એટલે ત્વરિત વળતો જવાબ આવે જ. પત્રકારસહજ શંકાથી આ બધું ‘મજબૂત પીઆર’નો ભાગ લાગે, પણ એમની સાથેની રૂબરૂ વાતચીતમાં તેમની સરળતા માટે એક જ વિશેષણ વાપરી શકાયઃ ડીસ્આર્મિંગ.

આ બધી જૂની વાતો કરશન ભાદરકાએ આપેલું પુસ્તક ‘આશાનું અંતિમ કિરણ’ જોઇને યાદ આવી. ‘પ્રેરકઃ ડૉ.નયના પટેલ, લેખકઃ કરશન ભાદરકા’ એવી ક્રેડિટ ધરાવતા આ પુસ્તકમાં સરોગેટ મધરના ખ્યાલ વિશે ટૂંકાં પ્રકરણોમાં સરળ ભાષામાં સમજૂતિ આપવામાં આવી છે. કરશનભાઇનાં પત્ની હર્ષા ભાદરકા ડૉ. પટેલ સાથે એમ્બ્રિયોલોજિસ્ટ તરીકે સંકળાયેલાં છે. કરશનભાઇએ સાઠથી પણ વધુ સરોગેટ મધર (પુસ્તકમાં પ્રયોજાયેલો શબ્દઃ કૂખદાત્રી) ની મુલાકાત લઇને કેટલીક વિગતો આપી છે. એક નિખાલસ પ્રકરણ સરોગટ મધરની યુગલ પાસેની અપેક્ષાઓ વિશેનું પણ છે, જેમાં લેખક નોંધે છે કે ’80 ટકા સરોગેટ મધરો ઇચ્છે કે તેમને મળતું નાણું તેમનાં કાર્યની સરખામણીમાં ઓછું છે.’ અને તેની પાછળના માનવસહજ કારણની સમજૂતિ આપવા પ્રયાસ કર્યો છે. ‘સરોગેટ મધરની નજરે સમાજ’ અને ‘સમાજની નજરે સરોગેટ મધર’ પણ અમુક અંશે વિશિષ્ટ પ્રકરણો છે. કેમ કે, તેમાં સરોગેટ મધર બનતી સ્ત્રીઓ પાસેથી કેટલીક વાતો જાણવા મળે છે. જેમ કે, ‘ગર્ભધારણના સમયમાં તો સરોગેટ મધરને સમાજ એક ડરામણો સમૂહ લાગે છે.’ ’90 ટકા સરોગેટ મધર’ કહે છે કે ‘અમે સરોગેટ મધર સમાજ માટે જ બનીએ છીએ અને એ જ સમાજ અમારી સેવાનો લાભ લેતો હોવા છતાં અમારા કાર્યને ન સ્વીકારે તો તે સમાજને માન આપવામાં અમને રસ નથી.’

સરોગટ મધરની થીમ પરથી નૌશિલ મહેતાએ લખેલું વિપુલ મહેતા દિગ્દર્શીત એક નાટક મહિલા દિન (8 માર્ચ) નિમિત્તે મુંબઇમાં રજૂ થયું. તેની પરથી ફિલ્મ બનાવવાની પણ યોજના છે. આ વિષય એટલો ફળદ્રુપ છે કે તેમાં લેનાર કેટલું લઇ શકે છે એ જ જોવાનું.

આર્ટિસ્ટ ફોટોગ્રાફર મિત્ર સુનિલ અદેસરાની સૂચક (સજેસ્ટીવ) તસવીરો પુસ્તકને શોભાવે છે. પુસ્તકનિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલા વ્યાવસાયિક તરીકે પુસ્તકની કેટલીક મર્યાદાઓ પણ દેખાય એવી છે. તેમાં ફોન્ટની પસંદગી મુખ્ય છે. આખા પુસ્તકમાં ‘વંધ્યત્વ’ને બદલે (ખોટો શબ્દ) ‘વ્યંધ્યત્વ’ શબ્દ વપરાયો છે એ પણ આંખને ખટકે એવું છે.

પુસ્તકના અંતે આપેલા આંકડા પ્રમાણે ડૉ.પટેલે મે, 2003માં સરોગસીની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં 132 સરોગેટ મધર દ્વારા 175 યુગલોને સંતાનપ્રાપ્તિ કરાવી છે. પોતાના નિવેદનમાં તેમણે લખ્યું છે,’અપૂર્ણ માહિતીને કારણે જ્યારે અન્ય દ્વારા મારા આ સેવાયજ્ઞ માટે અયોગ્ય ઉચ્ચારણો કરવામાં આવે છે ત્યારે થોડો વિવાદ જન્મે છે. આવો વિવાદ તદ્દન અયોગ્ય ગણું છું. છતાં તેને લઇને ઘણી રાત્રીઓ મેં ખુલ્લી આંખે વિચારવામાં પસાર કરી છે. ‘સરોગસી’ બંધ જ કરી દઉં, એવા ક્ષણિક વિચારનો પણ ક્યારેક ભોગ બનું છું. પણ ફરીથી ભૂતકાળની સફળતા, સરોગેટ મધરના જીવનનો આનંદ, યુગલોનો સંતોષ મને પ્રેરે છે...’

આ કાર્ય ભલે ‘સેવાયજ્ઞ’ ન હોય, પણ ‘તબીબી સેવા’ તો છે જ- અને ડૉ.પટેલની મુલાકાત, તેમના કૌટુંબિક બેકગ્રાઉન્ડ અને વાતચીતના અંદાજ પરથી એટલું કહી શકું કે ‘ખુલ્લી આંખે વિચારવાની’ ક્ષમતા તેમનામાં હજુ બચી છે- અને એ અભિનંદનને પાત્ર છે.

2 comments:

  1. Anonymous3:16:00 AM

    પ્રિય ઉર્વીશ,

    આજે ફરી એકવાર ડો. નયનાબેન વિશે લખીને (તને અભિનંદન ાઆપવાનું ચૂકી ગયાની ગયા વખતની) મારી ભૂલ સુધારવાની તક ાઆપવા બદલ ાઆભાર.

    તેમના વિશે મિડીયામાં એટલું પ્રસિધ્ધ થતું કે બેલેન્સ લેખ શોધવો તે સમયે મુશ્કેલ હતો. એટલે તારી પાસેથી જેવા લેખની ાઅપેક્ષા હોય એવો એ સમતોલ હતો. માટે ાઆભાર !

    વધારે તો એટલા માટે કે નયનાબેન ાઅમારા ાઆણંદનાં છે, મારી પત્ની હર્ષાનાં ગાયનેક છે ાઅને તેં યોગ્ય રીતે જ
    નોંધ્યું છે એમ એક ાઅત્યન્ત સરળ તથા સૌમ્ય સ્વભાવનાં વ્યક્તિ છે.

    તેમના કાર્ય વિશેનું પુસ્તક થાય એ તેમના ાઅમારા જેવા ાઅનેક દંપતિ પ્રશંસકો માટે ાઆનંદનો જ નહીં સંતોષનો પણ વિષય છે. એક ચોખવટ: નયનાબેનના મોટાભાગના પેશન્ટની માફક હર્ષા પણ એક નોર્મલ દર્દી જ હતી. સરોગેટ મધરવાળી તેમની કોઇ સેવાની ાઅમારે જરૂર નહતી પડી.

    પુસ્તકના ાઅવલોકનમાં ફોટોગ્રાફર મિત્ર સુનિલ ાઅદેસરાનો ફાળો હોવાની નોંધ જોઇને ાઆનંદ ૂઓર વધી ગયો. સુનિલ વિદ્યાનગર જેવા નાના નગરમાં બેઠેલો પણ બહુ ૂઊંચા ગજાનો, મારી દ્રષ્ટિએ તો ીઇન્ટરનેશનલ લેવલનો, ફોટોગ્રાફર છે. તેના વિવિધ વિષયના ફોટોગ્રાફ્સનાં પ્રદર્શન જોનાર કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિ મારી સાથે સંમત થશે. એ સાહિત્યનો પણ એટલો જ રસિક જીવ છે.

    મારા દીકરા સ્વપ્નિલના લગ્ન સમારંભમાં તેણે વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા,ાઅશોક દવે, ૂઉર્વીશ કોઠારી, પ્રણવ ાઅધ્યારૂ વગેરેના લીધેલા 'હટકે' ફોટા હજી મિત્રો ભૂલ્યા નથી.

    કોઇને ાઆ વાંચીને એમ લાગતું હોય કે હું સુનિલની કે નયનાબેનની પબ્લિસિટી કરી રહ્યો છું તો એમ સહી..... ધે ડીઝર્વ ૂઓલ ધી પબ્લીસીટી ીઇન ધી વર્લ્ડ !!

    કેનેડામાં બેઠા બેઠા વતનમાં રહેતા સજ્જન મિત્રો - સ્નેહીઓ વિષે બે સારાં વ્યાજબી વેણ ના લખી શકીએ ?

    ાઆ તો મિત્ર (ૂઉર્વીશ)નો ાઅંગત બ્લોગ છે ...... છાપાંમાં લખવાની કોલમ થોડી છે કે કોઇને પબ્લીસીટી મળી જશે તો ઠપકો મળશે એવી બીક રાખીએ?

    ફરીથી એકવાર તમામ મિત્રોને ાઆઘે રહીને પણ ાઆગવા ાઅભિનંદન...જય હો !!!

    -સલિલ દલાલ -ટોરન્ટો

    ReplyDelete
  2. Too good... Bravo.. post and comment both !

    ReplyDelete