Monday, February 23, 2009

મધુ રાય પર મુકદ્દમોઃ બામશક્કત લેખનની સજાને પાત્ર મુજરિમ બાઇજ્જત બરી







(photoline : 1. drishti patel, prakash n.shah, labhshankar thakar, sitanshu maheta, himmat kapasi. 2. chinu modi, harshad trivedi 3. madhu rye 4. with avinash parekh 5. with suvarnaben 6. with suvarnaben and brother arun thakar
All photos : Binit Modi

(શનિવાર, તા.21 ફેબ્રુઆરીની સાંજે પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં મધુ રાયની પંચાયત યોજાઇ હતી. રમેશ તન્ના (‘ગુજરાત ટાઇમ્સ’) અને બીજી કેટલીક સંસ્થાઓના સહયોગથી થયેલા આ કાર્યક્રમ વખતે હું બહારગામ હતો, પણ બિનીત મોદી, પ્રણવ અધ્યારુ અને બીરેન કોઠારી તેમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા. તેમની સાથેની વાતચીત અને બિનીતે લખેલા અહેવાલ પરથી આ નોંધ મુકી છે.)

‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ જેવી કૃતિઓમાં આવતું કેશવ ઠાકરનું પાત્ર જેમનો ઓલ્ટર ઇગો હોવાનો ભાસ થાય, એવા લેખક મધુ રાય ઉર્ફે ગગનવાલા જૂના અને સંગીન અપરાધી છે. ઓછું લેખન તેમનો મુખ્ય ગુનો છે. (‘ભાસ્કર’ની કોલમમાં આવે છે એવું ડાબા હાથનું લેખન બીજો ગુનોઃ-)

અંગત રીતે નાજુક મિજાજના માણસ તરીકે જાણીતા ગગનવાલા સામે ખુલી-ખેલીને મુકદ્દમો ચલાવવાનું કામ સહેલું નથી. એટલે જ, ચિનુ મોદી જેવા ‘આકંઠ’ મિત્ર ફરિયાદી પક્ષના વકીલ અને સાક્ષીઓમાં લાભશંકર ઠાકર, ઇન્દુ પુવાર, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક જેવાં મિત્રો હોવા છતાં, કાર્યક્રમમાં આરોપ-પ્રતિઆરોપોની ફટકાબાજી ન થાય એ સમજાય એવું હતું.

અગાઉ અશ્વિની ભટ્ટને પોતાની નવલકથા ધરાર પાસે બેસાડીને સંભળાવી ચૂકેલા અને ત્યાર પછી પંદરસો પાનાંની નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇ ક્યાંક બદલો ન લે એ બીકે તેમનાથી દૂર ભાગતા રહેલા મધુભાઇની પંચાયતમાં સૌથી વધુ મઝા અશ્વિનીભાઇએ કરાવી. તેમણે મધુ રાયનો બચાવ કર્યો હતો.
કોર્ટમાં, ઓ.કે.- પંચાયતમાં, સાક્ષીઓનો ક્રમઃ વિનાયક રાવલ, ચંદ્રકાંત શેઠ, પ્રીતિ સેનગુપ્તા, ઇન્દુ પુવાર, ઠાકોરભાઇ પટેલ, અશ્વિની ભટ્ટ, હર્ષદ ત્રિવેદી અને પન્ના નાયક. ગુજરાતની સાહિત્ય અકાદમીના મહામાત્ર (છતાં) સાહિત્યકાર-સાહિત્યપ્રેમી તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કિરીટ દૂધાત, દામિની મહેતા, મૃણાલિની સારાભાઇ અને લલિત લાડ હાજર રહી શક્યાં ન હતાં.

આરોપીના પિંજરા જેવી ગોઠવણમાં ખુરશી પર બેઠેલા મધુ રાય સાક્ષીઓના આરોપોનો એક જ જવાબ આપતા રહ્યાઃ ‘નો કમેન્ટ્સ’. પણ બચાવ પક્ષના વકીલ અને ‘અભિયાન’ના ભૂતપૂર્વ માલિક-બિલ્ડર અવિનાશ પારેખને તે સતત કાનમાં બચાવમંત્રો ફૂંકતા હતા.
મંચ પર બેઠેલા પંચ તરીકે લાભશંકર ઠાકર, હિંમત કપાસી, સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશ ન. શાહ અને દૃષ્ટિ પટેલ હતાં. ‘ગુજરાત ટાઇમ્સ’ના ઠાકોરભાઇ પટેલે અખબારનો આરંભકાળ અને મધુ રાયની તેમાં ભૂમિકાને યાદ કરીને કહ્યું કે ‘આ ખટલો ત્રીસ વર્ષ પહેલાં મંડાવો જોઇતો હતો. મધુ રાયને તંત્રી બનાવ્યા પછી મારા ઉજાગરા ઘટવાને બદલે વધી ગયા હતા. કારણ કે એ લીટીએ લીટીએ પ્રૂફની-ભાષાની-વાક્યરચનાની-જોડણીની ભૂલો કાઢતા હતા.’ પ્રીતિ સેનગુપ્તાએ કહ્યું કે ‘મધુ રાયે મિસ્ટર યોગીને પરણાવી દીધો, પણ તેની અમેરિકન ગર્લફ્રેન્ડ હજુ હડસન નદીના કિનારે રાહ જુએ છે, તેનું યોગ્ય ઠેકાણું લેખક શોધી શકતા નથી.’ મધુ રાય ક્યાંય ટકતા નથી એવા એક આરોપના જવાબમાં તેમની સાથે અમેરિકામાં કામ કરી ચૂકેલાં એક ‘પંચ’ દૃષ્ટિ પટેલે કહ્યું કે’છેલ્લા પંદર વર્ષથી તે ન્યૂ જર્સીમાં સ્થાયી છે.’ પંચ ‘થોડું મવાળવાદી અને આરોપીતરફી’ હોવાની કબૂલાત સિતાંશુભાઇએ કરીને વાતાવરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.

છેલ્લે સ્વબચાવમાં મધુ રાયે કહ્યું,’આ બધું ભેટવાને બદલે ધબ્બો મારવા જેવું છે. અહીંથી પરદેશ ગયો, તો દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટને બદલે ટેકનિકલરમાં જોવા મળી. ભરત જેવો ભાઇ (અરૂણ ઠાકર) અને હર્ષદ ત્રિવેદી જેવા મિત્ર મળ્યા એટલો હું નસીબદાર છું- અને જેવું છું એવો, મારા વિશે બે કલાક ચર્ચા થઇ શકે એટલો તો સૌભાગ્યશાળી છું ને’.

સજા સંભળાવતાં દૃષ્ટિ પટેલે કહ્યું,’જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જાવ.’ (મધુ રાયઃ જવાનો જ છું.) સિતાંશુભાઇએ ગગનવાલાના ઘણા પ્રેમીઓની લાગણીને વાચા આપતાં કહ્યું,’મધુ, તમે અમેરિકા ગયા અને અમે એક સર્જક ગુમાવ્યો એનોય વાંધો નથી. વાંધો એ છે કે અમારો શાલિગ્રામ ત્યાં ચટણી વાટવા માટે વપરાય છે.’ લાભશંકર ઠાકરે કહ્યું,’મધુ ઉત્તમ અભિનેતા છે. હૃદયપૂર્વક ઇચ્છીએ કે તે પાછો અમદાવાદ-ગુજરાત આવે. જો કે એ જ્યાં પણ રહેશે, ગમે તેટલું લખશે, લખશે તો ગુજરાતીમાં જ.’

***
પંચાયત પૂરી થતાં રમેશ તન્નાએ મધુ રાયનાં બા સહિત બીજા કુટુંબીજનોનું શાલથી સન્માન કર્યું. સન્માનના પ્રત્યુત્તરમાં મધુ રાયે કહ્યું,’અહીં એક વ્યક્તિ એવી છે જેનું મારા જીવનમાં એક ચોક્કસ સમયગાળા માટે વિશેષ સ્થાન રહ્યું છે. મને મળેલું સન્માન હું તેને અર્પણ કરું છું.’ એમ કહીને તે બીજી હરોળમાં બેઠેલાં સુવર્ણાબહેન (ભૂતપૂર્વ સુવર્ણા રાય) તરફ આગળ વધ્યા. સુવર્ણાબહેન ઊભાં થઇને આગળ આવ્યાં, મધુ રાયને મળ્યાં, બા અને બીજાં કુટુંબીજનોનાં ખબરઅંતર પૂછ્યાં. બન્નેએ સાથે બેસીને હેવમોરનો ‘લોનાવલી’ આઇસક્રીમ ખાધો. વિશિષ્ટ તસવીરો માટે જાણીતા બિનીતે એક ‘કપલ ફોટો’ માટે વિનંતી કરી એટલે મધુભાઇ કહે,’કેમ નહીં. કહો તો એકબીજાને ચમચી-ચમચી આઇસક્રીમ પણ ખવડાવીએ.’ પણ એવું થાય તે પહેલાં હરિયાની ઉર્ફે અર્ચન ત્રિવેદીની ‘કાન’ નાટકનો અંશ ભજવવા સ્ટેજ પર એન્ટ્રી થઇ.

કાર્યક્રમના અંતે ‘અરૂણોદય પ્રકાશન’ દ્વારા મધુ રાયનાં લખેલાં ત્રણ પુસ્તકો ‘યાર અને દિલદાર’, ‘કાન્તા કહે’ અને ‘સુરા, સુરા, સુરા’નું વિમોચન થયું. શરૂઆતમાં તેમની મધુ રાયની જૂની તસવીરો અને તેમની કૃતિઓ પરથી ટેલીફિલ્મ-નાટક-સિરીયલ બનાવનાર કેતન મહેતાનો ટૂંકો ઇન્ટરવ્યુ રજૂ થયાં.
મુકદ્દમાની નોંધ નિમિત્તે એટલું જણાવવાનું કે કોઇ પણ વાચકમિત્રો પાસે મધુ રાયનાં લખેલાં – અને પુસ્તક તરીકે પ્રગટ ન થયેલાં- નાટકોની સ્ક્રીપ્ટ, સંવાદો, ઓડિયો રેકોર્ડિંગ, પ્રચારસામગ્રી કે બીજું કંઇ પણ મટીરિયલ હોય તો જણાવવા વિનંતી. તેના થકી મધુ રાયના લેખનને લગતી ઘણી ખૂટતી દસ્તાવેજી કડીઓ જોડી શકાશે.

1 comment:

  1. ફોટાઓ જોયા-એક વાત નોંધી-કોઇના મોંઢા પર હાસ્ય નથી.
    અરે! મધુરાય તો હાસ્યના બાદશાહ છે.ગુજરાતમાં મોટા ભાગના,લોકો દરેક વાતને સિરીયશ બનાવી દે છે.
    સાહિત્ય હોય કે નાટકો હોય બધે પૈસો બોલે છે.એટલે જો ચટણીથી પૈસો મળતો હોય તો શાલિગ્રામે પણ ચટણી વાટવી પડે.
    સરસ કાર્યક્રમ માટે રમેશ તન્નાને અભિનંદન.

    ReplyDelete