Thursday, October 02, 2008

(હજુ બાકી હોય તો) જોવા જેવી ફિલ્મઃ મુંબઇ મેરી જાન

ત્રાસવાદી હુમલા અને તેની સામે આમજનતાની લાચારી દર્શાવતી ફિલ્મ ‘એ વેનસડે’ જોઇ ત્યારે મનમાં ‘આવું ન હોય!’ (ન હોવું જોઇએ!) એવી ચચરાટી થઇ હતી. એ જ વિષય પર, એ જ ‘આમજનતા’નો પ્રતિભાવ ‘મુંબઇ મેરી જાન’માં જોઇને ‘આવું જ હોય! આવું જ હોવું જોઇએ!’ની લાગણી થઇ અને પેલી ચચરાટી શમી ગઇ.
ચાર-પાંચ પાત્રોનાં સમાંતર કથાનક અને મુંબઇના ટ્રેન બોમ્બબ્લાસ્ટ પછી તેમની જિંદગીમાં આવતાં પરિવર્તન- એ ફિલ્મનો મુખ્ય પ્લોટ છે. બોમ્બબ્લાસ્ટ પછી દરેક મુસ્લિમ પર વહેમાતો અને પોતાના વહેમને વાજબી ઠરાવવા ન હોય ત્યાંથી ‘પુરાવા’ ઘડી કાઢતો બેકાર હિંદુ યુવાન કલ્પના નહીં, પણ વાસ્તવિકતા બની ચૂક્યો છે. મુસ્લિમ મહોલ્લામાં મહંમદ રફીનું ગીત વાગતું હોય ત્યારે ‘આ લોકો કદી કિશોરકુમારનાં ગીત નહીં સાંભળે’ એવી ટીપ્પણી ભલે અતિશયોક્તિ લાગે, પણ યાદ છે? ઋતિક રોશનને ‘મુસ્લિમ સુપરસ્ટાર્સની મોનોપોલી તોડનાર હિંદુ હીરો’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.
‘આમજનતા’ દરેક વાતમાં પોલીસને ‘જાવ પહેલાં પેલા આતંકવાદીઓને પકડીને લાવો’ એવું કહેતી થઇ જાય, ત્યારે આ ફિલ્મમાં પોલીસ બનતા પરેશ રાવલે આપેલો જવાબ યાદગાર છે. એ આતંકવાદીઓેને પકડવાની વાત કરનારને બોચું પકડીને પોલીસવાનમાં ધકેલે છે. પેલો શિયાંવિયાં થઇ જાય, એટલે પોલીસ કહે છે,‘ગુનેગાર મળવો તો જોઇએ ને! કે પછી ગમે તેને પકડીને અંદર કરી દઇએ?’ (યોગ્ય તપાસ કે પુરાવા વગરની એન્કાઉન્ટર-સંસ્કૃતિનો મહિમા કરતું ‘વેનસડે’ યાદ આવે છે?) ધક્કાનો જવાબ ધક્કાથી ન આપવાની પરેશ રાવલની ફિલસૂફી ‘આદર્શ’ લાગે, પણ તે એટલી છેટી નથી. વર્ષો સુધી તે આપણા દેશમાં અમલી રહી છે. હવેના આક્રમક પ્રચારમાં એવું વાતાવરણ ઊભું થયું છે કે તે સાવ ‘આદર્શ’ લાગવા માંડે.

ફિલ્મનો એક કલાકાર બોમ્બબ્લાસ્ટ પછી એટલો રોષે ભરાય છે કે તે પોતે પોતાની લાયકાત વિશે વિચાર્યા વિના ફક્ત હિંદુ હોવાની રૂએ, દરેક મુસ્લિમનો ન્યાયાધીશ બની જાય છેઃ રસ્તે ચાલતા પાંઉના ફેરિયાને તે હેરાન કરે છે (ખાતરી માટે પાંઉનું બટકું ભર્યા પછી પણ એ પૂછે છે,‘અંદર જાકે ફટેગા તો નહીં?’), રેસ્ટોરાંમાં બેસતા ‘શંકાસ્પદ’ મુસ્લિમ છોકરા વિશે શંકા કરીને તેની તપાસ કરવા છેક ઘર સુધી જાય છે અને તેનો પીછો કરવા માટે કોઇનું મોટરસાયકલ મારી લેતાં પણ અચકાતો નથી. આ દૃશ્યો જોઇને ૨૦૦૨ની ઘટનાઓ અને દ્વેષયુક્ત માનસિકતાની દુઃખદ યાદો તાજી થઇ, જ્યારે ગોધરાકાંડ સાથે કશી લેવાદેવા ન હોય એવા સ્થાનિક મુસ્લિમો પર તમામ પ્રકારની શંકાઓ કરીને, શંકાઓના આધારે તેમને હેરાન કરવાની અને પછી ‘એ લોકો શાંત નહીં બેસી રહે’ એવી આશંકાઓ કરીને વળતા પ્રહારની તૈયારીઓની પ્રવૃત્તિ પૂરબહારમાં ખીલી હતી.

ફિલ્મમાં ન્યૂઝચેનલોની અત્યંત ક્રૂરતાપૂર્વક રીલ ઉતારવામાં આવી છે, પણ ગમે ત્યારે ‘બાઇટ’ માગતા અને ગમે તેને ‘સ્ટોરી’માં ફેરવી દેતા ચેનલવાળા એને જ લાયક છે.
ફિલ્મમાં બોમ્બબ્લાસ્ટ અને તેને લગતાં દ્રશ્યો ઘણાં તકલીફદાયક છે. એટલું બઘું લોહી દર્શકોને બતાવ્યું ન હોત, તો પણ ફિલ્મનો પંચ જરાય ઓછો ન થયો હોત.

4 comments:

  1. Anonymous5:09:00 PM

    વાહ. હું તો મોહમ્મદ રફી વિશે જ કહીશ. જ્યાં સુધી સંસાર અને સંગીત છે ત્યાં સુધી એમની કક્ષાનો ગાયક આવવાનો નથી. રહી વાત કિશોરકુમારની. તો કૉલેજોમાં થતી ઇવેન્ટમાં ઘણા છોકરાઓ કિશોરકુમારની યાદ અપાવી જાય છે!

    રફીસાહેબ, નૌશાદ અને શકીલ બદાયુનીની જોડી જેવી જોડી આજે તો શક્ય જ નથી. આજે તો શાહરૂખખાનોએ અને કરણ જોહરોએ ફિલ્મ અને સંગીતની મજા જ મારી નાખી છે.
    - જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)

    ReplyDelete
  2. I went to see this film with collegues. After watching this film we all had feeling "Paisa Padi gaya". But Paresh Rawal's acting and dialogues are quite sensible.

    After thinking about this film for few days, I started having a feeling that its really nice movie, esp. the camera work.

    Its like old wine, takes a while to get on you!

    Regards,
    Roshan
    Ahmedabad

    ReplyDelete
  3. Anonymous7:10:00 AM

    તમે પણ સીક્કાની એક જ બાજુ રજુ કરો છો? હીન્દુઓમાં આવી મનોવૃત્તી આવી કેમ? માત્ર પ્રચારથી ભોળવાઈને?

    ReplyDelete
  4. Anonymous2:01:00 PM

    The main reason is the fear created by these terrorists.
    Wednesday film has a very good dialogue:
    "These are not bomb-blasts rather they are questions asked in different language to us. We (Terrorists) will kill you in this manner, what will you do?"
    Better study what Israel has done to fight terrorism and then give your opinion.
    And do write what India should do to fight terrorism other than killing terrorists.
    That would be more than welcome.

    ReplyDelete