Friday, September 19, 2008

ડો. રતન માર્શલ, ૯૮: ‘પ્રેમ કરવાની મઝા તો ચોમાસામાં’

ડો. રતન રૂસ્તમ માર્શલ. આ નામ સાંભળીને ગુજરાતી પત્રકારત્વ ભણી ચૂકેલા કોઇ પણ વિદ્યાર્થીની આંખ ચમકી ઉઠશે: ‘ઓહો. માર્શલસાહેબ! ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ વિશેનું તેમનું પુસ્તક અમારે ટેક્સ્ટબુક તરીકે આવતું હતું.’ જેમનાં પુસ્તકો ટેક્સ્ટબુક તરીકે આવતાં હોય તે સામાન્ય રીતે સદ્ગત હોય, એવી વિદ્યાર્થીઓની કોઇ પણ જાતના દુર્ભાવ વગરની સામાન્ય ધારણા હોય છે. એટલે જ, ૯૮ વર્ષે માર્શલસાહેબ એકંદરે તંદુરસ્ત અને આનંદમાં છે એ જાણીને સૌને આનંદ થાય છે.

પારસી તિથી પ્રમાણે આજે માર્શલસાહેબની ૯૮મી વર્ષગાંઠ છે. (અંગ્રેજી તારીખ પ્રમાણે, ૧૪-૧૦-૧૯૧૧) પુત્ર રૂસ્તમ માર્શલ અને તેમના પરિવાર સાથે અમદાવાદના ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતા માર્શલસાહેબને વર્ષગાંઠની પૂર્વસંઘ્યાએ એક અનોખી ભેટ મળી. એ ભેટ એટલે તેમની વાર્તાઓનું પુસ્તકઃ ‘પારસી સંસારી પ્રેમકથાઓ’ જેની પહેલી વાર્તાનું શીર્ષક છેઃ ‘પ્રેમ કરવાની મઝા તો ચોમાસામાં’.

દોઢેક વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ માટે મેં તેમનો આખા પાનાનો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે માર્શલસાહેબે આ પુસ્તક પ્રગટ કરાવવાની તેમની તાલાવેલી વ્યક્ત કરી હતી. વિશે વાત કરી હતી. પરંતુ પુસ્તક પ્રકાશન સમયસંજોગોને આધીન હોય છે. છેવટે, ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા એ પુસ્તક તૈયાર થઇ ગયું અને ‘ગુર્જર’ના મનુભાઇ શાહ તથા રોહિતભાઇ કોઠારી પૂરેપૂરી ગરીમા સાથે ગઇ કાલે સાંજે માર્શલસાહેબના ઘરે જઇને આ પુસ્તક આપી આવ્યા. સાથે, માર્શલસાહેબના સંપર્કમાં રહેતો, ‘ગુર્જર’ સાથે સંકળાયેલો અને અમારા ગુ્પમાં વિલક્ષણ સેન્સ ઓફ હ્યુમર તથા અપરંપાર સંપર્કો માટે ‘નામચીન’ પરમ મિત્ર બિનીત મોદી પણ હતો. તેની પાસેથી આ વિશિષ્ટ પ્રસંગ વિશેની જાણકારી અને તસવીરો મળી શકી છે.
વારે-તહેવારે કે એ સિવાય પણ માર્શલસાહેબને મળતા રહેતા બિનીતના જણાવ્યા પ્રમાણે, એ રોજનાં પાંચેક અખબારો વાંચે છે. પાંચેક વર્ષ પહેલાં સુધી તે સુરતમાં રહેતા હતા એટલે હવે સુરત-મુંબઇનાં અખબારો મંગાવીને એ રીતે સંપર્કમાં રહે છે. થોડા સમય પહેલાં ‘અભિયાન’માં હપ્તાવાર આવતી મિત્ર શિશિર રામાવતની નવલકથા ‘વિક્રાંત’ માર્શલસાહેબે રસથી વાંચી હતી.
બિનીત કહે છે કે ૯૭ વર્ષે પણ માર્શલસાહેબ જમવામાં નિયમિતપણે મીઠાઇ લે છે. કાજુકતરી એમને પ્રિય છે. જોકે, તેમનાં ૯૮ વર્ષનું રહસ્ય જમવાની નહીં, પણ સ્વભાવની મીઠાશ છે.
ફોટોલાઇનઃ ૧) ડાબેથી મનુભાઇ શાહ, ડો. રતન માર્શલ અને રોહિતભાઇ કોઠારી ૨) ડાબેથી મનુભાઇ શાહ, ડો.માર્શલ અને અમારો ‘નંબર ૧’ બિનીત મોદી
નોંધ: પુસ્તકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર માર્શલસાહેબનાં પુત્રવઘુ નિશ્મિન માર્શલે કર્યું છે. તેમના પતિ અને માર્શલસાહેબના પુત્ર રૂસ્તમ માર્શલ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે.

4 comments:

  1. Anonymous7:20:00 PM

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. Anonymous7:25:00 PM

    Dear Urvish,
    It was so thoughtful of you to have put Marshal saaheb's news with photographs.
    He is truly a Legend. I join with his scores of fans and say.... Aap jiyo hazaro saal, saal ke din ho pachas hazar!
    Sitting here in Canada I can visulise dear Binit doing all the leg work silently. I salute him for such noble work and Gurjar's Manubhai and his team for taking up this project.
    Keep up the good work, guys !
    -SALIL

    ReplyDelete
  3. Wah! MarshalShaheb in Ahmedabad!? Suratma rahe che evi khabar hati, pan have ahi rehava avi gaya che e jani ne romanch thayo. Tame to sathe thoduk sarnamu pan api didhu che etle have emna darshan karava javama saral raheshe. Thanks for the information.
    Me pelo Ratan marshalno akha panano interview pan sachvi rakhyo che! tyare hu student hato!

    Lalt Khambhayta

    ReplyDelete