Wednesday, June 25, 2008

રાજકીય અંધકારમાં ટમટમતી જ્યોતઃ પશ્ચિમ બંગાળના ગુજરાતી રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી


(ફ્લેશબેક, વર્ષ ૧૯૪૭)
રાતે ગોપુ આવ્યો હતો તેની સાથે થોડીક મિનિટ બાપુજી રમ્યા. મેં કાકીને કહ્યું કે, ગોપુને રોજ અહીં લાવવો અથવા મોકલવો. બાપુજી દસ જ મિનિટ તેની સાથે ગાળે છે અને ૧૦ કલાકના થાકની તાજગી મેળવે છે. (૧૯-૬-૪૭)
ગોપુ પણ થોડી વાર બાપુજી સાથે રમી ગયો. બાપુજી મૌનમાં ગોપુ સાથે ઇશારાથી વાતો કરતા હતા, તો ગોપુ પણ બાપુજીના ચાળા પાડી ઇશારાથી વાતો કરવા લાગ્યો. અને છેવટે ભાષણની નકલ કરતાં એકદમ જોરથી બોલી ઉઠ્યોઃ ‘ભાઇઓ ઔર બહેનો, આપ શાંત હો જાઇયે.’...સહુ ખડખડાટ હસી પડ્યાં. (૮-૬-૪૭)

આજે તો ગોપુ અને બાપુ બંને જણા સાતતાળી રમ્યા. ૩ વર્ષનો ગોપુ અને ૭૫ વર્ષના બાપુ. (૨૨-૬-૪૭)

દેવદાસકાકા, લક્ષ્મીકાકી, તારા વગેરે આવ્યાં. ગોપુ પણ હતો જ. બાપુજી પાંચ સાત મિનિટ તેની સાથે રમ્યા. સફરજન સહેજ કડક હતું એટલે બાપુજીએ ચાવવા માટે દાંતનું ચોકઠું પહેર્યું. ગોપુને આ જોઇને ખૂબ નવાઇ લાગી. બાપુજીએ તેને કહ્યું‘દેખો, તુમ અપના દાંત નિકાલો.’ બિચારો ગોપુ પોતાના દાંત ખેંચવા માટે તાણવા લાગ્યો. પણ ૩ વર્ષના ગોપુના મજબૂત દાંત શાના હલે પણ? અને આ પાંચ મિનિટમાં બાપુજીએ તો બે ત્રણ વખત દાંત કાઢ્યા અને પહેર્યા. અમે સહુ ખૂબ હસતાં હતાં, પણ ગોપુ એટલો જ ગંભીર હતો કે દાદાજીના દાંત નીકળે અને મારા કેમ નહીં? (૨૮-૫-૪૭)
(મનુબહેન ગાંધી લિખિત પુસ્તક ‘બિહાર પછી દિલ્હી’માંથી )
***
(ફાસ્ટ ફોરવર્ડ, વર્ષ ૨૦૦૮)
ગાંધીજીના પૌત્ર ‘ગોપુ’ ઉર્ફે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ‘દાંત’ હજુ ઉખડ્યા કે હાલ્યા નથી! કમ સે કમ, પશ્ચિમ બંગાળના ડાબેરીઓને એવું લાગે છે. રાજ્યપાલ તરીકે ગોપાલકૃષ્ણની ધારનો વઘુ એક અનુભવ તેમને થયો. કલકત્તા અને બંગાળમાં વીજઅછતની સ્થિતિ છે. તેના કારણે અગવડ વેઠતી પ્રજા પ્રત્યે સમાનુભૂતિ વ્યક્ત કરવા રાજ્યપાલ મહોદયે ૭ મેના દિવસે બે કલાક માટે આલિશાન રાજ્યપાલભવનની બત્તીઓ બંધ રખાવી. બપોરે અને સાંજે એક-એક કલાક સંપૂર્ણ અંધારપટ. http://www.thehindu.com/2008/05/08/stories/2008050855391200.htm
તેમની આ ચેષ્ટામાં પ્રજા પ્રત્યેની લાગણી કરતાં સરકારની ટીકા જોનારા સત્તાધારી સામ્યવાદીઓને મરચાં લાગ્યાં. ચોમેરથી સામ્યવાદી નેતાઓ રાજ્યપાલ પર શાબ્દિક રીતે તૂટી પડ્યા. પ્રજાની બહુ પરવા હોય તો ગોપાલકૃષ્ણ ગાંધીએ બીજું શું શું કરવું જોઇએ, તેની એમણે લાંબી યાદી પણ આપી. સામે પક્ષે ગોપાલકૃષ્ણ ગાંધી શાંત અને મૌન રહ્યા. ટીકાની ઝડીના જવાબમાં તેમને કશું જ કહેવાનું ન હતું. જે કહેવા જેવું લાગ્યું, એ એમણે રાજભવનની બત્તીઓ બે કલાક માટે બુઝાવીને કહી દીઘું હતું. અગાઉ નંદીગ્રામમાં સરકારની મીઠી નજર તળે હિંસા થઇ, ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધીએ ખોંખારીને એ હિંસાનો વિરોધ કરીને ડાબેરીઓની નારાજગી વહોરી લીધી હતી.
સામાન્ય રીતે સત્તાની વાસના કે લાલસા બાકી હોય એવા ઊંમરલાયક નેતાઓને, તેમની જિંદગીના પાછળના દિવસો સુખેથી પસાર થાય એ માટે અથવા એ બીજે ક્યાંય નડે નહીં એ માટે રાજ્યપાલપદું અપાતું હોય છે. એટલે જ, રાજ્યપાલો પ્રજાહિતના મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરતું વલણ ભાગ્યે જ અપનાવે છે. કેન્દ્રમાં એક પક્ષની સરકાર હોય અને રાજ્યમાં બીજા પક્ષની ત્યારે, રાજકીય વિરોધ છતાં રાજ્યપાલો અને મુખ્ય મંત્રીઓ વચ્ચે આર્થિક સમજૂતી થઇ હોય, એવી અફવાઓ પણ સાંભળવા મળે છે. બીજું જે હોય તે, પણ રાજ્યપાલો રાજકીય ગણતરી વિના, પ્રજાકીય પ્રશ્નો અંગે સરકારની સામે પડવા માટે જાણીતા નથી. એ પરંપરામાં ગોપાલકૃષ્ણ ગાંધી મોટો અને સુખદ અપવાદ છે.
ગુજરાતના દુષ્કાળ વખતે મજૂરીનો જાત-અનુભવ
ગોપાલકૃષ્ણ ગાંધીની આ જ પદ્ધતિ છે. હો હા કે દેખાડાબાજી વગર કે દાદાના નામે ચરી ખાધા વિના, પોતાનું કામ કરતા રહેવું. એટલે જ, આઠ વર્ષ પહેલાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે ગુજરાતની મુલાકાત લેવાનું વિચાર્યું. એ વખતે તેમનો સત્તાવાર હોદ્દો રાષ્ટ્રપતિના સચિવનો હતો. ધાર્યું હોત તો બત્તીવાળું લાવલશ્કર લઇને ધામઘૂમથી દુષ્કાળ અને રાહતકાર્યો જોવા આવી શક્યા હોત. એને બદલે તેમણે ગુજરાતમાં ચુનીભાઇ વૈદ્યનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ છુપાવીને રાહતકામ માટે થોડા દિવસ આવવાની ઇચ્છા વ્યક્ત કરી. ચુનીકાકાએ ગોપાલકૃષ્ણનો હવાલો બનાસકાંઠામાં કાર્યરત સર્વોદયી અગ્રણી હસમુખ પટેલને આપ્યો. ત્યાર પછીની વાત હસમુખ પટેલના મોઢે સાંભળાતાં બહુ જૂના જમાનાની કોઇ વાર્તા સાંભળતા હોઇએ એવું લાગે.
‘મે, ૨૦૦૦ના બળબળતા દિવસે ગોપાલકૃષ્ણ ગાંધીને લેવા હું આબુ રોડ સ્ટેશને ગયો હતો. ત્યાંથી, દર દસ કિલોમીટરે જેના રેડિયેટરમાં પાણી ભરવું પડે એવી મારી ઠાઠીયા જીપમાં હું તેમને લગભગ ૧૮૦ કિ.મી. દૂર, પાકિસ્તાન સરહદે આવેલા છેવાડાના ગામ કુંડાળીયા લઇ ગયો. એ ગામમાં અમારી સંસ્થાનું કામ ચાલતું હતું. ગામલોકો ઓળખતા હતા. એમને મેં કહ્યું કે ‘આ અમારા મિત્ર છે. અહીં રહીને કામનો અનુભવ લેવા માગે છે.’ ફક્ત સરપંચને મેં બાજુ પર બોલાવીને કહ્યું કે ‘આ બહુ મોટા માણસ છે. કોણ છે, એ પછી કહીશ. આટલું પણ એટલા માટે કહું છું કે એ માંદા-સાજા થાય તો બરાબર ઘ્યાન રાખજો.’
હસમુખ પટેલ વાતચીત કરતા હતા, એ દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધીએ વરખડાના એક ઝાડ નીચે ખાટલો પાથરી દીધો. બસ, એ જ તેમનો ઉતારો. ત્યાર પછીના ત્રણ-ચાર દિવસ એ કોઇના ઘરે ન રહ્યા. ઝાડ નીચે પાથરેલો ખાટલો જ તેમનું નિવાસસ્થાન બન્યો. એ વિસ્તારમાં ચોકડીઓ ખોદવાનું રાહતકામ ચાલતું હતું. એટલે ગોપાલકૃષ્ણ ગાંધી પણ રોજ સવારે માથે ફાળીયું અને ખભે ત્રિકમ નાખીને બહેનો સાથે ચોકડીઓ ખોદવા જાય. આખો દિવસ મહેનત કરે. સાંજે પાછા આવ્યા પછી હસમુખ પટેલના મિત્ર તરીકે ગામમાંથી કે આજુબાજુના વિસ્તારોમાંથી ચા-પાણીનાં આમંત્રણ મળતાં હોય. ગુજરાતી બોલી-વાંચી શકતા ગાંધી આજુબાજુનાં ગામોમાં ફરે, લોકો સાથે વાતચીત કરે અને સ્થિતિનો તાગ મેળવે.
ત્રણ-ચાર દિવસ સુધી આ રીતે કામ કર્યા પછી તેમણે વરખડાના ઝાડ તળેનો પોતાનો નિવાસ સંકેલ્યો, મજૂરી કરીને મેળવેલી કમાણી સાથે કામ કરનારાં બહેનોને આપી દીધી અને અમદાવાદ આવ્યા. રાહતકામ વિશે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અમદાવાદમાં થોડા લોકોને મળ્યા પણ હતા. એ બનાવ પછી, ગયા વર્ષે હસમુખ પટેલ કુંડાળીયા ગામે ગયા, ત્યારે તેમને અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ગામના એક ઘરમાં પૂજાના કબાટમાં તસવીરો સમક્ષ અગરબત્તી થઇ રહી હતી. તેમાં બીજી તસવીરોની વચ્ચે અલગ તરી આવતી એક તસવીર પર તેમની નજર પડી અને ચોંટી ગઇ. એ તસવીર માથે ફાળીયું બાંધેલા ગોપાલકૃષ્ણ ગાંધીની હતી.
સાહિત્ય, સિવિલ સર્વિસ અને રાજકારણનો સમન્વય
પિતૃપક્ષે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી અને માતૃપક્ષે સી.રાજગોપાલાચારીનાં દીકરી લક્ષ્મી- તેમનું સંતાન એવા ગોપાલકૃષ્ણ ગાંધી આરંભથી જ પોતાના મહાન દાદાઓનું નામ વટાવવાથી અળગા રહ્યા છે. સી.રાજગોપાલાચારીના સૂચનથી તેમણે સિવિલ સર્વિસમાં જવાનું વિચાર્યું અને ૧૯૬૮માં તામિલનાડુ કેડરના આઇ.એ.એસ. થયા. સનદી સેવાઓમાંથી ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી તેમની રાજદ્વારી કારકિર્દીનો પ્રારંભ થયો. લંડનના નેહરૂ સેન્ટરના ડાયરેક્ટર અને દક્ષિણ આફ્રિકા તથા શ્રીલંકા જેવા દેશોમાં ભારતના હાઇ કમિશનર તરીકે તેમણે ફરજ બજાવી. નોર્વેમાં તે ભારતના એલચી તરીકે પણ જઇ આવ્યા. ત્યાર પછી બબ્બે રાષ્ટ્રપતિઓ- વેંકટરામન અને કે.આર.નારાયણન્ના તે સચિવ બન્યા. કારકિર્દીની આ સફર દરમિયાન, અંગ્રેજી સાથે એમ.એ. થયેલા ગાંધીની શબ્દ સાથેની સંગત ખોરવાઇ ન હતી. વિક્રમ શેઠની પ્રખ્યાત નવલકથા ‘એ સુટેબલ બોય’નો તેમણે હિંદીમાં અનુવાદ કર્યો, જે ૧૯૯૮માં પ્રસિદ્ધ થયો. આવા સાહિત્યપ્રેમી છતાં વાસ્તવની નક્કર ધરતી પર પગ રાખનારા, સૌમ્ય છતાં મક્કમ, સજ્જન છતાં નમાલા નહીં એવા માણસ તરીકે ગાંધી વર્તમાન રાજકારણમાં જુદા તરી આવે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક થઇ ત્યારે તેમની ઊંમર માંડ ૫૯ વર્ષની હતી. થોડા સમય પહેલાં એક લેખમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ જ્યોર્જ ઓરવેલને ટાંકીને લખ્યું હતું,‘પોતાના સુખી દાંપત્યનું જાહેર પ્રદર્શન કરતાં દંપતિ પોતાનાં (મેલાં નહીં તો) ઉજળાં લુગડાં જાહેરમાં ઘુએ છે એવું કહેવાય.’ ગોપાલકૃષ્ણ ગાંધી પણ પોતાનાં ઉજળાં લુગડાં જાહેરમાં ધોતા નથી. સાથોસાથ, બીજાની ટીકાની ફિકર કર્યા વગર કે ‘આત્માના અવાજ’ને ટાંક્યા વિના પોતાના રસ્તે મક્કમ ગતિએ આગળ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં તેમનું નામ રાષ્ટ્રપતિપદ માટે પણ ચર્ચાતું હતું. રાજ્યપાલ તરીકે તેમનું સ્પષ્ટ અને નિષ્પક્ષ વલણ જોતાં ભવિષ્યમાં રાષ્ટ્રપિતાના આ પૌત્ર પોતાની લાયકાતથી દેશના રાષ્ટ્રપતિ બનશે, તો દેશના રાજકારણ માટે સુખદ અને આવકાર્ય યોગાનુયોગ બની રહેશે- અને તેમાં ગાંધીજીના પૌત્ર હોવાની ‘લાયકાત’નો જરાસરખો પણ હિસ્સો નહીં હોય.

No comments:

Post a Comment