Sunday, April 14, 2024
પરસંગ આયો ને (નર્મદ-મેઘાણીનાં) ગીતો ગવાયાં...
રાહતદરના ક્લિનિકના આરંભપ્રસંગે ગીત ગાતા ડો. દુર્ગેશ મોદી, સાથે નર્મદ-મેઘાણી પુસ્તકાલય (મીઠાખળી)ના જયેશ પટેલ |
સંજય ભાવે દ્વારા મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન, સાથે ડો. દુર્ગેશ મોદી |
ડો. દુર્ગેશ મોદીએ પ્રસંગે હાજર રહેલાં તેમનાં ગુજરાતી શિક્ષિકા હેતલબહેનને અને સાહિત્યપ્રેમ જગાડવામાં તેમની ભૂમિકાને ભાવપૂર્વક યાદ કર્યાં હતાં. (ફોટોઃ બિનીત મોદી) |
ગઈ કાલે સવારે, 'કમઠાણ'ના ગીતના અંદાજમાં કહું તો, એક 'પરસંગ' હતો. મિત્ર ડો. દુર્ગેશ મોદીનું નર્મદ-મેઘાણી ક્લિનિક હાલના નર્મદ-મેઘાણી પુસ્તકાલયથી ખસેડાઈને વધુ મોકળાશવા અને સુવિધાભર્યા ઠેકાણે શરૂ થયું.
એક સ્પષ્ટતાઃ ડો. દુર્ગેશ મોદી મજબૂત સાહિત્યપ્રેમી અને સરસ લેખક હોવા છતાં, તેમનું નર્મદ-મેઘાણી ક્લિનિક ગુજરાતી કૃતિઓની સાહિત્યિકતા તપાસવા માટેનું ક્લિનિક નથી. (કાશ, એવું કોઈ પ્રમાણભૂત ક્લિનિક હોત.) તે રાહત દરે તબીબી નિદાન માટેનું ઠેકાણું છે.
'સાર્થક જલસો'ના વાંચનારા ડો. દુર્ગેશ મોદીને તેમના લેખોથી ઓળખતા હશે. એમ.ડી. થયેલા દુર્ગેશ માટેનો પ્રેમ પહેલાં તેમના લખાણથી થયો હતો. ચંદુભાઈ મહેરિયા અને હું કોરોનાકાળમાં રોજેરોજ 'ડિજિટલ નિરક્ષક' કાઢતા હતા, તેમાં એક વાર દુર્ગેશનો લેખ આવ્યો. ત્યારે તે દિલ્હી એમ.ડી. કરતા હતા અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં કાર્યરત હતા. તેમની ભાષા વાંચીને મને થયું કે આ વળી કઈ મૂર્તિ છે, જે આ વયજૂથમાં અને આ જમાનામાં આટલી સરસ રીતે લખી શકે છે? એટલે પ્રકાશ ન. શાહ પાસેથી નંબર મેળવીને તેમને ફોન કર્યો. ત્યારથી શરૂ થયેલી દોસ્તીને હવે તો ઘણાં પડ ચડ્યાં છે.
નર્મદ-મેઘાણી પુસ્તકાલય સાથે સંકળાયેલા દુર્ગેશમાં સાચી નિસબત અને સાહિત્ય-કળા-વિદ્યાવ્યાસંગ ભરપૂર છલકે છે, જેનો પરચો તેમની સાથેના વ્યવહારમાં સાહજિકતાથી મળતો રહે છે. પરંતુ, આ બધાની ઉપર, એક ડોક્ટર તરીકેની તેમની સજ્જતા સુખદ આશ્ચર્ય ઉપજાવે એવી છે.
દુર્ગેશને ડોક્ટર તરીકે મળીએ ત્યારે તે--
- આપણી વાત નિરાંતે સાંભળે છે. (એનો અર્થ એવો નહીં કે બધી વાર્તાઓ કરવી. પણ સામેવાળાને મુદ્દાસર જેટલું કહેવું હોય તે સાંભળવાની ધીરજ દુર્ગેશમાં છે)
- આપણા સંબંધિત સવાલોના જવાબ તે ખુલાસાવાર અને વૈજ્ઞાનિક ઢબે છતાં શુદ્ધ ગુજરાતીમાં સમજાય એવી રીતે આપે છે.
- ન સમજાય તો ફરી પણ પૂછી શકાય છે.
- પોતાની કામગીરીના ક્ષેત્રમાં લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એની ખબર અને તેનો અભ્યાસ રાખે છે.
- અત્યંત શાસ્ત્રીય ઢબે, છતાં જરા પણ માસ્તરીયા નહીં, એવી રીતે સચોટ નિદાન પર આવે છે. (તેનો અત્યંત સુખદ અનુભવ રજનીકુમાર પંડ્યાની માંદગી વખતે થયો.)
- અને આ કશાનો ભાર લઈને ફરતા નથી.
પૂર્ણસમય તો તે એક વરિષ્ઠ ડોક્ટર સાથે કામ કરે છે, પણ અઠવાડિયામાં એક દિવસ, શનિવારે, અઢી-ત્રણ કલાક તે અત્યંત રાહત દરે, દર્દીઓને તપાસે છે. બે વર્ષ પહેલાં આ ઉપક્રમની શરૂઆત આંબેડકરજયંતિના દિવસે થઈ હતી. ગઈ કાલથી હવે સ્થળ બદલાયું.
નવા સ્થળે, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ અને બીજા ઘણા સ્ને્હી-મિત્રો-વડીલોની હાજરીમાં, ક્લિનિકની શરૂઆત નર્મદ અને મેઘાણીનાં ગીતો ગાવાથી થઈ. દુર્ગેશે અને નર્મદ-મેઘાણી પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે મીઠાખળીની પોતાની જગ્યા આપનાર મિત્ર જયેશભાઈએ સરસ રીતે ગાયું. દુર્ગેશે નર્મદ અને મેઘાણી વિશે પોતે લખેલી એક અંગ્રેજી કવિતા વાંચી અને Sanjay Bhaveએ મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન કર્યું. એમ એક વિશિષ્ટ ઉપક્રમનો અનોખો આરંભ થયો.
નવું સરનામું :
નર્મદ - મેઘાણી ક્લિનિક આશિમા હાઉસ - બેઝમેન્ટ, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી)ની બાજુના ખાંચામાં, મેટ્રોના બ્રિજની સમાંતરે, એલિસબ્રિજ, અમદાવાદ
સમય : દર શનિવારે : સવારે ૧૦ થી ૧૨:૩૦
Saturday, April 06, 2024
સાર્થક પ્રકાશનઃ બારમા વર્ષે
https://saarthakprakashan.com/
6 એપ્રિલ, 2013ના રોજ ગુરુજનો, મિત્રો અને સ્નેહીઓની હાજરીમાં, યાદગાર કાર્યક્રમ સાથે શરૂ થયેલું 'સાર્થક પ્રકાશન' આજે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. 11 વર્ષ એક લાંબો સમયગાળો છે. દરમિયાન આપણી આસપાસ ઘણું બધું બદલાયું છે. પરંતુ જે ધ્યેય સાથે 'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું હતું, તે બદલાયું નથી અને તેનો બહુ આનંદ છે, સંતોષ છે. તે માટે અમને આર્થિક, નૈતિક કે બીજી કોઈ પણ રીતનું બળ પૂરું પાડનાર સૌ સ્નેહીઓ-મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
પુસ્તકસંખ્યાની દૃષ્ટિએ 'સાર્થક' નાનું અને અમારી વ્યસ્તતાઓનો ભોગ બનતું આવ્યું છે. તેના કારણે 11 વર્ષમાં પુસ્તકસંખ્યા પચાસનો આંકડો પાર કરી શકી છે. વધુ પુસ્તક થયાં હોત તો અમને ગમ્યું હોત, પણ નથી થયાં તેનો રંજ કે વસવસો નથી. બીજાં અનેક કામ વચ્ચે સમય મળ્યો, અનુકૂળતાઓ થઈ તેમ પુસ્તકો આવતાં રહ્યાં છે.
'કટિબંધ' સિવાયની અશ્વિની ભટ્ટની બધી નવલકથાઓ 'સાર્થક'માં પ્રગટ થઈ ચૂકી છે. 'કટિબંધ' આ મહિને છપાવા જાય એમ લાગે છે. ત્યાર પછી પણ અશ્વિનીભાઈનાં-તેમનાં વિશેનાં બે-ત્રણ પુસ્તકોની સામગ્રી છે. તેમાં અમારી અનુકૂળતા ઉપરાંત તેમના અમેરિકાસ્થિત પુત્ર નીલની અનુકૂળતા પ્રમાણે આગળ વધવાનું છે. એટલે તેના સમયગાળા વિશે અંદાજ બાંધી શકાતો નથી. છતાં આ વર્ષે તે આવી જાય એવો અમારો પૂરો પ્રયાસ રહેશે.
એવી જ રીતે, વર્ષોથી અમારા નામે બાકી બોલતો રામચંદ્ર ગુહાના અત્યંત અગત્યના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નો અનુવાદ આખરે તૈયાર છે. તેનું પ્રૂફ પણ થઈ ગયું છે. હવે ફાઇનલ ચેકિંગ ચાલે છે. તે બે ભાગમાં, આશરે હજારથી પણ વધુ પાનાંમાં, પ્રગટ થશે. તે પણ આ વર્ષે, બને તો બે-ત્રણ મહિનામાં, પ્રગટ કરવાનું આયોજન છે.
આ ઉપરાંત, આ વર્ષે પ્રકાશન માટે તૈયાર એવાં પુસ્તકોની યાદીઃ
(1) ઝવેરચંદ મેઘાણીના 'સમરાંગણ'નો અશોક મેઘાણીએ કરેલો અંગ્રેજી અનુવાદ
(2) પ્રકાશ ન. શાહના 'દિવ્ય ભાસ્કર'ની બુધવાર પૂર્તિમાં આવતા સાંસ્કૃતિક લેખોનો સંગ્રહ (જે તેમના લેખોનું પહેલું પુસ્તક હશે)
(3) બિનીત મોદીએ તૈયાર કરેલું, છેક મુંબઈ રાજ્યથી લઈને 2024 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સભ્યોની પૂરી વિગત આપતું સંદર્ભપુસ્તક
(4) ધૈવત ત્રિવેદીના 'વિસ્મય'ના વધુ બે ભાગ
આટલું તો એકદમ તૈયાર છે. તે સિવાય
બીજાં કેટલાંક પુસ્તક પણ આ વર્ષે પ્રગટ કરવાની તૈયારી ચાલે છે. તેની વિગતો યથાસમય.
*
'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું ત્યારે સામયિક શરૂ કરવાનો જરાય ખ્યાલ ન હતો. છતાં, ઓક્ટોબર 2013થી છ માસિક તરીકે 'સાર્થક જલસો' શરૂ થયું. તેના 19 અંક પ્રગટ થઈ ચૂક્યા છે અને મે, 2024ની મધ્યમાં તેનો અંક નં. 20 પ્રગટ થશે. કોઈ પણ પ્રકારના ચોકઠામાં ન સમાય એવા આ વિશિષ્ટ સામયિકના 20 અંક થાય, તેનો અમારે મન બહુ મહિમા છે.
યોગ્ય પ્રચારપ્રસારના અભાવે હજુ ઘણા પ્રેમી વાચકો 'સાર્થક જલસો' વિશે ન જાણતા હોય એવું બને. જે મિત્રોને 'સાર્થક જલસો'ની વાચનસામગ્રી ગમે છે, તેમને વિનંતી કે તે અમને તેમના એવા એક-બે વાચનરસિક મિત્રોનાં નામ-ફોનનંબર-સરનામાં મોકલાવે, જેમને 'સાર્થક જલસો' વિશે ખ્યાલ ન હોય અને જેમને આ પ્રકારની સામગ્રીમાં રસ પડે એમ હોય. (સરનામાં 98252 90796- કાર્તિક શાહ પર મોકલવાં) જે મિત્રોને 'સાર્થક'નાં નવાં આવતાં પુસ્તકો વિશે કે 'સાર્થક જલસો'નો નવો અંક પ્રગટ થાય તેની માહિતી મેળવવાની ઇચ્છા હોય તે પણ આગળ જણાવેલા નંબર પર તેમનું નામ વોટ્સએપથી મોકલી આપે.
*
અમદાવાદમાં એકાદ વાર સૌ મિત્રો-વાચકો
સાથે મળી શકાય, એવા કાર્યક્રમનું આયોજન પણ આ વર્ષે
ગણતરીમાં છે. તે સિવાય પોતાના શહેરમાં બીજા વાચકો સાથે મળીને આવો કાર્યક્રમ યોજવા
ઇચ્છુક મિત્રો કાર્તિકભાઈનો સંપર્ક કરી શકે છે. પરસ્પર અનુકૂળ હશે તો એવી રીતે
અમદાવાદ સિવાય બીજે પણ મિત્રોને મળવાનું બની શકે છે.
મળીએ. રૂબરૂ કે પછી શબ્દો થકી.
*
પછીથી સંપર્કમાં આવેલા મિત્રો 'સાર્થક પ્રકાશન'ના આરંભના યાદગાર સમારંભ વિશે જોવા-જાણવા ઇચ્છતા હોય તો તેના અહેવાલોની લિન્કઃ એક, બે, ત્રણ, ચાર, પાંચ
Thursday, March 28, 2024
(શાકા)હાર અને જીત
પોતાને બાકીનાથી ચડિયાતી માનતી એક જ્ઞાતિ વિશે એક રમૂજ હતીઃ
‘કોઈ માણસ (આગળ જણાવેલી) જ્ઞાતિનો છે એવી ખબર પડતાં કેટલી વાર લાગે?’‘બે મિનીટ.’
‘એમ? શી રીતે?’
‘એ માણસ જાતે જ કહી દે. એનાથી રહેવાય જ નહીં.’
આ રમૂજ તમામ પ્રકારના ઓળખના અભિમાન માટે સાચી છે, પછી તે અભિમાન શાકાહારી તરીકેનું હોય કે માંસાહારી તરીકેનું.
શાકાહારી-માંસાહારીની ખેંચતાણ નવી નથી. દાયકાઓથી માંસાહારીઓ શાકાહારીઓનો ‘દાળભાતખાઉ’ તરીકે અને શાકાહારીઓ માંસાહારીઓનો ‘માંસમચ્છીખાઉ’ તરીકે એકડો કાઢતા રહ્યા છે. શાકાહાર સારો કે માંસાહાર કે બંને સારા કે બંને ખરાબ—એ માહિતીલેખનો વિષય છે, પણ બંને બાજુમાંથી જે ઝનૂનીઓ હોય તેમની માનસિકતા હાસ્યલેખનો વિષય છે.
ભારતીયોને બીજું કશું સ્પર્શે કે ન સ્પર્શે, સ્પર્શ બહુ સ્પર્શે છે. એટલે જ, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ-પરંપરામાં નથી એવી અસ્પૃશ્યતા ભારતમાં અમુક હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને પરંપરાવાદીઓને તો તે વળી ગૌરવવંતો પણ લાગે છે. પરંપરામાં, ખાસ કરીને કોઈ પણ ધર્મની પરંપરામાં, તર્ક થોપી બેસાડવાનું સૌથી સહેલું અને સાચો તર્ક શોધવાનું બહુ અઘરું હોય છે. અસ્પૃશ્યતા ધર્મ સાથે સંકળાયેલી છે કે નહીં, તે નક્કી કરવાનું કામ ધર્મના એવા જાણકારોનું છે, જેમને નરેન્દ્ર મોદીની આંગળી પકડીને ચાલતા રામના ચિત્ર સામે સરખો વાંધો પડતો હોય, જેમને ખબર હોય કે વૈદિક ગણિતને વેદ સાથે કશી લેવાદેવા નથી અને પુષ્પક વિમાન એ વિજ્ઞાનકથા નહીં, સાદી કથા છે. ટૂંકમાં, જેમને ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાનપરંપરાનો સાચો અભ્યાસ હોય.
અસ્પૃશ્યતા ધર્મમાં હોય કે ન હોય, પણ તે સદીઓથી ચાલતી રહી છે ધર્મના નામે અને તેનો ઇન્કાર થઈ એમ નથી. આમ કહ્યા પછી યાદ આવે છે કે આજકાલ તો ગમે તેવા સ્થાપિત સત્યનો પણ ઇન્કાર થઈ શકે છે અને ઇન્કાર કરનારને સરકાર તરફથી ને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવે એવું પણ બને છે. છતાં, મુદ્દો એ નથી.
મુદ્દો એ છે કે ધર્મના નામે આચરાતી ઘણી ક્રૂરતાઓ હાસ્યાસ્પદ તર્ક ધરાવતી હોય છે. અસ્પૃશ્યતા પણ એવી જ એક હાસ્યાસ્પદ ક્રૂરતા છે. અત્યાર લગી તેનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે હતો. ચોક્કસ જ્ઞાતિના લોકોને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય, એવું મનાતું હતું. નવા જમાનામાં એટલે કે ન્યૂ ઇન્ડિયામાં કેટલાક શાકાહારીઓ હવે તેમના મનમાં ધરબી રાખેલી માંસાહારીઓ પ્રત્યેની અસ્પૃશ્યતા ગૌરવપૂર્વક જાહેર કરી રહ્યા છે. ‘અમે તો માંસાહારમાં વપરાયેલી અને ધોવાઈને સ્વચ્છ થયેલી ચમચી પણ શાકાહારી ભોજન માટે ન વાપરીએ. કારણ કે અમે શુદ્ધ શાકાહારી છીએ.’—એવી દલીલથી માંડીને ‘શાકાહારી ભોજનની ડિલીવરી કરવા માટે અમે ફક્ત શાકાહારી માણસોને જ પસંદ કરીશું’—એવી બાહેંધરીઓ ઉત્તમતાના ભાવ સાથે જાહેર કરવામાં આવે છે.
રેસ્તોરાંમાંથી ભોજન લોકોના ઘરે પહોંચાડતી એક જાણીતી ફૂડ ડીલીવરી કંપનીના એક ભાઈએ તો એટલી હદ સુધી જાહેરાત કરી દીધી કે શાકાહારી ભોજનની ડીલીવરી કરનારા સ્ટાફનો યુનિફોર્મ પણ અલગ રાખવામાં આવશે.
તેમની જાહેરાતની આકરી ટીકા થયા પછી તેમણે અલગ યુનિફોર્મનો નિર્ણય માંડવાળ રાખ્યો છે, પણ અલાયદા શાકાહારી સ્ટાફ માટેની તેમની બાંહેધરી ચાલુ છે.
ઘણા શાકાહારીઓને માંસાહારનાં દર્શન, સુગંધ કે ઉલ્લેખમાત્રથી સુગ ચડી શકે છે. તેનાથી દૂર રહેવું એ તેમનો અધિકાર છે. પરંતુ માંસાહાર કરનારા લોકો ઉતરતી કોટીના, નીચલી જાતિઓના, અપવિત્ર, વિધર્મી કે ધર્મભ્રષ્ટ છે—એવી માન્યતા વ્યક્ત કરવી એ કોઈનો કે કોઈના પિતાશ્રીનો અધિકાર નથી. એટલે જ, માંસાહાર કરનાર શાકાહારને સ્પર્શે તો શાકાહાર અપવિત્ર થઈ જાય, એમ માનવું પૂર્વગ્રહ અને અમુક કિસ્સામાં જ્ઞાતિવાદ કે ધાર્મિક દ્વેષ પણ હોઈ શકે છે.
આ એવી તાર્કિક વાત છે, જે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીને અસ્પૃશ્ય ગણનારી પ્રજાને સમજાવવી અઘરી છે. કેમ કે, ભારતીય પરંપરામાં અપવિત્રતાને ઇલેક્ટ્રિસિટીની જેમ સ્પર્શથી પ્રસરનારી ગણવામાં આવે છે. કહેવાતા અપવિત્ર માણસને સ્પર્શનાર અપવિત્ર થઈ જાય અને તેને અડનાર ત્રીજો માણસ પણ અભડાઈ જાય. તે બધાએ સ્વચ્છ થવું પડે. આટલું કડક ધોરણ એ પ્રજા રાખે છે, જે અન્યથા ગંદકીમાં રાચે છે અને ગંદકી કરતાં જરાય ખચકાતી નથી. કેમ કે, પવિત્ર લોકોને ગંદકી કરવાનો અધિકાર છે અનેં તેમણે કરેલી ગંદકી સાફ કરનારને સ્પર્શવાથી અપવિત્ર થઈ જવાય, એવું સમીકરણ છે.
રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના એક કટાક્ષલેખમાં એ મતલબનો સવાલ હતો કે અસ્પૃશ્યને ઘીની લાકડીથી મારવામાં આવે તો મારનાર અભડાય કે નહીં? ન્યૂ ઇન્ડિયામાં, માંસાહાર અને તે કરનારા સામે નવેસરથી જાગેલા ઓળખ-અભિમાનમાં પાઠકસાહેબનો સવાલ જુદી રીતે પ્રસ્તુત બને છે. માંસાહાર કરનાર શાકાહારીના ભોજનના પેકેટ પર પાણીની છાંટ નાખીને તેની ડીલીવરી કરે, તો અભડાયેલો ખોરાક પાછો પવિત્ર થઈ જાય? શાકાહારી ખોરાક ડિલીવરી કરનાર શાકાહારનું પડીકું લઈને માંસાહારી હોટેલની બહારથી પસાર થાય અને તેના રસોડામાંથી બહાર નીકળતી હવા તેને અડે, તો શાકાહારી કે તેની પાસે રહેલો ખોરાક કે બંને અપવિત્ર બને? શાકાહારી ડીલીવરી કરનાર જે વાહન ચલાવતો હોય તેનાં સ્પેરપાર્ટમાં કોઈ પ્રાણીજ પદાર્થનો અંશ હોય તો તેની પાસે રહેલો શાકાહારી ખોરાક અખાદ્ય બને?
એક દેશ તરીકે આટલા મહત્ત્વના અને સળગતા સવાલ આપણી સમક્ષ ઊભા હોય ત્યારે બંધારણ અને લોકશાહીના હાર્દનો ઘડોલાડવો કરવાનાં સતત ચાલતાં કાવતરાં વિશે ચિંતા કરનારને દેશદ્રોહી નહીં તો બીજું શું કહીએ?
Sunday, March 17, 2024
ટેલેન્ટ શોના માળખાનું ‘સજ્જડબંબ પાંજરું પહોળું થયું’
આજે મહિલા દિવસ ન હતો. કોઈ સરકારી બેટી/કન્યાલક્ષી ઉજવણું પણ ન હતું. આમ જુઓ તો હતો નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો ટેલેન્ટ શો. પણ તેનું વિચારબીજ, તે બીજને કેન્દ્રમાં રાખીને થયેલું આયોજન અને આજે સવારે થયેલો તેનો અમલ જોયા પછી થયું કે એક કોલેજ-એક વિદ્યાસંસ્થા ધારે તો શું કરી શકે—અને એ વાત આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલી હદે ભૂંસાઈ ગઈ છે.
મહિલા
આર્ટ્સ કોલેજ અને ખાસ તો તેની એક વિશિષ્ટ પ્રવૃત્તિ ‘વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સ’ સાથે સંકળાયેલા હોવાનો નાતો અને
કોલેજના આચાર્ય-પરમ મિત્ર હસિત મહેતા સાથે લગભગ ત્રણ દાયકાની ગાઢ દોસ્તી –આ બંને
પરિબળો બાજુ પર રાખ્યા પછી પણ કહેવું પડે કે આવો અસાધારણ, સંવેદનસભર છતાં
સાત્ત્વિક રંજકતાથી ભરપૂર કાર્યક્રમ કદી જોયો નથી.
હસિત મહેતાને ઓળખતા લોકો જાણે છે કે તેમને અવનવા મૌલિક વિચાર આવે છે અને તેને સાકાર કરવા માટે પોતાનાં અને સાથીદારોનાં રાતદિવસ એક કરી-કરાવીને જ જંપે છે. એવો જ એક વિચાર હતોઃ કોલેજના ટેલેન્ટ શો નિમિત્તે કંઈક જુદું કરવાનો. જુદું એટલે એવું કશું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ અને તેમની સફળતા ઉજાગર થાય. થોડા મહિના પહેલાં આવેલા આ વિચાર પછી ધીમે ધીમે કાર્યક્રમનું સ્વરૂપ ઘડાતું ગયું અને કેટલાક પાયાના નિયમ નક્કી થતા ગયા. જેમ કે,
- આ કાર્યક્રમનો આશય કોલેજના પ્રચારનો કે કોલેજ કેટલી મહાન છે, તે દર્શાવવાનો નથી. તેનું સઘળું લક્ષ્ય કોલેજમાં ભણતી છોકરીઓની આવડત પર હોવું જોઈએ.
- ટેલેન્ટ શોમાં સામાન્ય રીતે હોબીમાં સ્થાન પામતી કળા/આવડતો પ્રદર્શિત થતી હોય છે. આપણા ટેલેન્ટ શોમાં તે સિવાય જીવનલક્ષી કસબો-વ્યવસાયોને પણ સ્થાન મળવું જોઈએ.
- ફક્ત એવી જ વિદ્યાર્થિનીઓને શો માટે પસંદ કરવી, જે તેમના કસબ કે કળામાંથી કમાતી હોય. કેમ કે, મોટા ભાગના કિસ્સામાં એવી કમાણી તેમના ઘર માટે ઉપયોગી અને ટેકારૂપ હોવાની.
- કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો પણ શોમાં સમાવેશ કરવો.
- કાર્યક્રમ રૂઢ અર્થમાં ટેલેન્ટ શો નથી. એટલે તેના આમંત્રણમાં ક્યાંય તે શબ્દનો ઉલ્લેખ ન કરવો.
હવે સામાન્ય લાગે એવી આટલી સ્પષ્ટતાઓ સુધી પહોંચવામાં ઘણો સમય નીકળ્યો. પછી શરૂ થઈ વૈવિધ્યપૂર્ણ આવડત ધરાવતી વિદ્યાર્થિનીઓની તલાશ. મહિલા આર્ટ્સ કોલેજમાં નડિયાદ અને તેની આજુબાજુનાં આશરે 200 ગામમાંથી છોકરીઓ ભણવા આવે છે. મોટા ભાગની છોકરીઓ સામાન્ય, સંઘર્ષરત પરિવારોની હોય છે. દલિત-મુસ્લિમ-પછાત છોકરીઓનું પ્રમાણ બહુ મોટું હોય છે. ધીમે ધીમે વિવિધ આવડતવાળી છોકરીઓની યાદી બનાવવાનું કામ શરૂ થયું. અધ્યાપકો પ્રમાણે જવાબદારીઓ વહેંચવામાં આવી. કોઈ પણ છોકરીનું નામ આવે, એટલે તેના કસબની વિડીયો અધ્યાપકો મેળવે અને તે હસિતભાઈને બતાવે. તેના આધારે છોકરીને સામેલ કરવી કે નહીં, તે નક્કી થાય. આ તબક્કો લાંબો ચાલ્યો.
અગાઉ આ પ્રકારના
કોઈ કાર્યક્રમનો આધાર ન હોવાથી, દરેકેદરેક બાબત નવેસરથી નક્કી કરવાની હતી. એટલે
સવાલ આવ્યો કે ગાય-ભેંસ દોહીને ડેરીમાં દૂધ ભરીને કમાણી કરનાર અને ખેતરમાં પાણી
વાળવાનું અને બીજું કામ કરીને રૂપિયા કમાનાર વિદ્યાર્થિનીઓનો આ કાર્યક્રમમાં સમાવેશ
થાય? તે માટે ઝાઝો વિચાર કરવો ન પડ્યો.
તરત નિર્ણય થયોઃ કેમ નહીં? ચોક્કસ.
થવો જ જોઈએ. એવી રીતે ગીત, અભિનય અને નૃત્ય જેવી પરંપરાગત શોની આવડતો ઉપરાંત, મેક
અપ, રંગોળી, મહેંદી, સીવણ અને રાંધણ જેવી, સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો
અને સ્વરક્ષણ, પશુપાલન, ખેતમજૂરી, પતંગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી
અનોખી અને અભૂતપૂર્વ આઇટેમો પણ કાર્યક્રમનો હિસ્સો બની.
યાદીમાં એક પછી એક ચીજો ઉમેરાતી ગઈ, તેમ આશ્ચર્ય સાથે આનંદ અને ઉત્સાહ વધતાં ગયાં. કોઈ છોકરીને તેની આવડત વિશે શીખવવાનું ન હતું, પણ મંચ પરથી નિશ્ચિત સમયમાં તેની પ્રસ્તુતિ શી રીતે થાય તે માટે ભરપૂર તૈયારી કરાવવામાં આવી. અગાઉ જણાવ્યું તેમ, કાર્યક્રમના કેન્દ્રસ્થાને કોલેજ નહીં, વિદ્યાર્થિનીઓ હતી. એટલે, હસિતભાઈનાં સક્ષમ સહાયક પારુલ પટેલે બીજી અનેક કામગીરી ઉપરાંત ભાગ લેનારી તમામ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરીને તેમના વિશેની વિગત મેળવી, જેને કાર્યક્રમની સ્ક્રીપ્ટમાં વણી શકાય.
કાર્યક્રમનું નામ હસિતભાઈના મનમાં ચોંટી ગયું હતુઃ સો દા’ડા સાસુના, એક દા’ડો વહુનો. તેમના મનમાં એવો ખ્યાલ હતો કે કોલેજ, શિક્ષકો અને આખો સમાજ ઘણાખરા કિસ્સામાં જૂના જમાનાની ફિલ્મી સાસુઓ જેવું વર્તન રાખતો હોવા છતાં, છોકરીઓ સંઘર્ષથી અને પોતાની આવડત વડે રસ્તો કાઢે છે. તેમને બિરદાવવા માટેનો આ ‘એક દિવસ’ છે. આ એક દિવસ અંત નહીં, પણ શરૂઆત છે—એવી ભાવના પણ તેમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે.
તે બાબતને કેન્દ્રમાં રાખીને નિમંત્રણ તૈયાર કરવામાં આવ્યું અને કાર્યક્રમની સ્ક્રીપ્ટ પણ બીરેન કોઠારીએ અને મેં હસિતભાઈને સાથે રાખીને લખી. ત્યારથી લઇને ગઈ કાલે નડીયાદના ઇપ્કોવાલા ટાઉન હોલમાં થયેલા ગ્રાન્ડ રીહર્સલ અને આજે થયેલા કાર્યક્રમનો વિગતવાર અહેવાલ લખવાને બદલે, તેના રેકોર્ડિંગની લિન્ક જ અહીં આપું છું.
કાર્યક્રમ વિશે એટલું જ કહેવાનું કે આખી ટીમે અત્યાર સુધી કરેલી દૃષ્ટિપૂર્વકની મહેનત ફળી, કાર્યક્રમમાં અનેક વિવિધતા હોવા છતાં અને સ્ટેજ પર અનેક પ્રકારની વસ્તુઓ થોડા થોડા સમય માટે લાવવાની હોવા છતાં, ક્યાંક ગરબડગોટાળા કે વિલંબ ન થયા. કાર્યક્રમ એટલી ચુસ્તીથી પૂરો થયો કે ઘણાને તે ટૂંકો લાગ્યો. વચ્ચે થોડી મિનીટ માટે હોલની લાઇટ ગઈ ત્યારે પણ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને બીજા મહેમાનોથી ભરેલા આખા હોલમાં ક્યાંય અશાંતિ ન સર્જાઈ. અંગ્રેજીમાં જેને 'ટીઅરજર્કર' કહેવામાં આવે છે એવી, લોકોને પકડી પકડીને રડાવે એવી કોઈ વાત કે સૂચન ન હોવા છતાં, છોકરીઓના સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું, તે જોઈને કેટલાયની આંખો ભીની થઈ. પત્રકારત્વમાં જેને 'હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી' કહેવામાં આવે છે એવી કથાઓ મહિલા આર્ટ્સ કોલેજમાં લગભગ દરેક વિદ્યાર્થિની પાસે હોય છે. પરંતુ કોઈ વાત છાપામાં કે સોશિયલ મિડીયા પર ચડે ત્યાર પછી જ તેની મહત્તા સમજવાની આદત પડી ગઈ છે. આ કાર્યક્રમ સંવેદનશીલતા પર ચડેલી આદતની-વ્યવહારની ધૂળને ખંખેરીને, અસલી સંવેદન અનુભવવાનું નિમિત્ત બની રહ્યો.
વધુ તો આ લિન્ક જોઈને ખાતરી કરજો. સળંગ સમય ન હોય તો ટુકડે ટુકડે કરીને જોશો તો પણ તેનું અનોખાપણું અને તેની સંવેદનપ્રેરક તાકાત તમે અનુભવી શકશો.
કાર્યક્રમ પહેલાં, બંધ પરદાની પાછળ, ભાગ લેનાર વિદ્યાર્થિનીઓ સામે 'પ્રોફેસર'નો ક્લાસઃ છેલ્લી સૂચનાઓ આપતા હસિત મહેતા |
કાર્યક્રમ શરૂ થતાં પહેલાં, પરદા પાછળ, ભાગ લનેાર વિદ્યાર્થિનીઓ અને સ્ટાફની સર્વધર્મપ્રાર્થના |
હોલમાં અચાનક લાઇટો ગઈ એટલે મોબાઈલ ઝગમગી ઉઠ્યા, પણ હોલની શાંતિ જરાય ખોરવાઈ નહીં |
છેલ્લે, મંચ પર આખા સ્ટાફ સાથે, કોલેજની એનસીસી કેડેટોની હાજરીમાં જનગણમન... |
સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ અને વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સનો આખો સ્ટાફ |
Monday, March 04, 2024
ગુસ્સો આવે ત્યારે...
હાસ્ય માણસ અને બીજાં પ્રાણીઓને જુદાં પાડનારું પરિબળ છે એવું કહેવાય છે. પ્રચલિત અને વૈજ્ઞાનિક રીતે ખોટી માન્યતા પ્રમાણે, બીજાં પ્રાણીઓ હસી શકતાં નથી, જ્યારે મનુષ્યપ્રાણી હસી શકે છે. તેનાથી સાવ જુદા પાટે એમ પણ કહી શકાય કે, ગુસ્સો માણસ અને બીજાં પ્રાણીઓને એકરૂપ કરનારું, એક હરોળમાં બેસાડનારું લક્ષણ છે. કેટલાક તો આગળ વધીને એમ પણ કહે છે કે ગુસ્સો માણસનું પ્રાણીમાં—વધુ ચોક્સાઈથી કહીએ તો, અસામાજિક પ્રાણીમાં--રૂપાંતર કરી નાખે છે. કેટલાક માણસોનો ગુસ્સો જોઈને એવો વિચાર પણ આવે કે તેમના તે સ્વરૂપને પાશવી-પશુ જેવું ગણાવવામાં પશુઓને અન્યાય થવા સંભવ છે.
પ્રાણીઓ વિના કારણે ગુસ્સે થતાં નથી. તે ચા પીતાં ન હોવાથી, તેમને ખરાબ ચાના કારણે ગુસ્સો આવવાનો સવાલ રહેતો નથી. તે ઓફિસમાં કામ કરતાં નથી. એટલે તેમને કર્મચારીઓ પર ગુસ્સો આવવાની સંભાવના પણ નીકળી જાય છે. તે (સરકસ સિવાય) વાહન ચલાવતાં નથી. એટલે તેમને ‘રોડ રેજ’ પ્રકારનો, વાહનચાલકસહજ ગુસ્સો ચડતો નથી. તેમનામાં લગ્નસંસ્થા નથી, જમણવારો નથી, કપડાં નથી, હાઉસિંગ સોસાયટી અને ફ્લેટની મિટિંગો નથી, રમતગમત નથી, રાજકારણ નથી, ... ટૂંકમાં, ગુસ્સો પ્રેરનારાં પરિબળોમાંથી ઘણાંખરાં પ્રાણીસૃષ્ટિમાં ગેરહાજર હોય છે. છેલ્લા થોડા સમયના ગુજરાતના પ્રવાહો ધ્યાનમાં રાખતાં એ પણ ઉમેરવું જોઈએ કે પ્રાણીઓ ફિલ્મો બનાવતાં નથી. એટલે તેમની ફિલ્મો જોઈને બીજાં પ્રાણીઓને કે ફિલ્મ જોનાર પ્રાણીઓની ટીકાથી ફિલ્મ બનાવનારાં પ્રાણીઓને ગુસ્સો આવે, એવી શક્યતા નથી.
સામાન્ય માણસોને ગુસ્સે થવા માટે કારણ જોઈએ છે, જ્યારે મહાજનો એવી રીતે વિચારતા નથી. તે પહેલાં ગુસ્સે થઈ જાય છે અને પછી તેનું કોઈ ને કોઈ કારણ શોધી કાઢે છે. કોઈ કારણ ન જડે તો, બસ યું હી, પોતાના હોવાની રૂએ અથવા દિવસનો ક્વોટા પૂરો કરવા માટે પણ તે ગુસ્સે થઈ શકે છે. અલબત્ત, એવો ગુસ્સો મુખ્યત્વે સુખીસંપન્ન માણસોને વધારે આવે છે. મોટી માછલી નાની માછલીને ખાય, એવો માત્સ્યન્યાય સૃષ્ટિનો ક્રમ ગણાય છે. તેમાં ઉમેરો કરતાં કહી શકાય કે દરેક સાહેબ તેની નીચેના કર્મચારી પર ગુસ્સો ઠાલવે, એ પણ સૃષ્ટિનો નિયમ છે. જેમની નીચે કોઈ કર્મચારી નથી, એવા કર્મચારીઓ ઓફિસમાંથી પેકેજમાં છેવટે ગુસ્સો મળે છે. ફક્ત અમુક કંપનીના કે તમુક સ્ટોરમાં જ વાપરી શકાય એવા ગીફ્ટ વાઉચરની જેમ, એવો ગુસ્સો ઘરે જ ચાલી શકે એવો હોય છે. એવા લોકોનાં પરિવારજનોને તેનો ભરપૂર લાભ મળે છે.
કોઈની પર અકારણ પ્રેમ ઢોળવાનું કહેવામાં આવે તો તે અજૂગતું લાગી શકે, પણ કોઈની પર અકારણ ગુસ્સે થવાની વાત એટલી વિચિત્ર નથી લાગતી. આ વાતનાં ઉદાહરણ તરીકે ભાડૂતી ટ્રોલથી માંડીને સાહેબલોકો સુધીના અનેક નમૂના સાંભરી આવશે. પીનેવાલોંકો પીનેકા બહાના ચાહિએ—એવી જ રીતે, ગુસ્સે થનારાને ગુસ્સે થવા માટે ઘણી વાર કારણ નહીં, ફક્ત બહાનું જ જોઈતું હોય છે. તે કોઈના બોલવા પર કે મૌન પર, ચાલવા પર કે ઊભા રહેવા બદલ, હસવા બદલ કે ન હસવા બદલ—ઇચ્છે તે બાબત પર ગુસ્સે ભરાઈ શકે છે.
કહેવાય છે કે માણસ ગુસ્સામાં ભાન ભૂલે છે. એમ તો, પ્રેમમાં પણ તે ભાન ક્યાં નથી ભૂલતો? ફક્ત એટલી હકીકતથી ગુસ્સાને પાશવી કે આસુરી ઠેરવવાનું યોગ્ય નથી. વ્યવહારમાં ઘણા લોકો ચહેરા પર એટલાં મહોરાં ચડાવીને રાખતા હોય છે કે તેમનું સાચું સ્વરૂપ તેમની ભાન ભૂલાયેલી અવસ્થામાં જ જોવા મળે છે. તે દારૂના નશામાં ચકચૂર જણની જેમ લથડિયાં નથી ખાતાં એટલું જ. તેમના વ્યક્તિત્વની, તેમના શિષ્ટાચાર અને સભ્યતાની ખરી કસોટી તે ગુસ્સામાં હોય ત્યારે થાય છે. ગુસ્સે ભરાયા પછી તે ઉશ્કેરાઈને (ઘોડા-ગધેડા જેવાં) કયાં પ્રાણીઓનું આવાહન કરે છે કે સામેવાળાનાં કયાં મહિલા કુટુંબીજનોનું સ્મરણ કરે છે, તેની પરથી તેના ગુસ્સાનું અને વ્યક્તિત્વના એક અંશનું પણ માપ નીકળી જાય છે. ગાળ એ ગુસ્સાની મસિયાઈ બહેન છે, એવું આ ચિંતનલેખ હોત તો જરૂર લખ્યું હોત. ઘણા ચિંતનલેખો હાસ્યલેખ જ હોય છે, પણ આ ખરેખર હાસ્યલેખ છે. એટલે એવી સરખામણી ટાળીને કહેવું જોઈએ કે ગાળ એ ગુસ્સાની આડપેદાશ નહીં, સીધી જ પેદાશ છે.
ગુસ્સો ‘આવે છે’ એમ કહેવાથી એવો સવાલ પણ થાય કે બજેટના રૂપિયાની જેમ ગુસ્સો
ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? ગુસ્સો પેદા મગજમાં થાય એ તો જાણે
સમજ્યા, પણ ત્યાર પછી તે કોઈની આંખોમાં, કોઈના નાક પર, કોઈની જીભ પર, તો કોઈના આખા
ચહેરા પર તે આવે છે. ગુસ્સાના કારણે કોઈની આંખમાંથી અંગારા વરસે છે (જે સગડી
સળગાવવા કે શક્કરિયાં શેકવા જેવા કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી), કોઈના નાકનું ટેરવું
વગર લિફ્ટે ઉપર ચડી જાય છે, તો કોઈની આખો ચહેરો તેની પર કોઈએ વઘાર કર્યો હોય એવો
તમતમી જાય છે. ઘણાના શરીરમાં ગુસ્સાનું સૌથી પહેલું સ્થાપન જ હાથ કે પગમાં થાય છે.
અલબત્ત, હાથ-પગમાં સ્થપાતો ગુસ્સો ચેપી નીવડે અને તેનો ચેપ સામેવાળાને લાગે એવી
પૂરી સંભાવના રહે છે. એવું થાય ત્યારે માણસને એટલું અર્ધસત્ય ચોક્કસ સમજાય છે કે
ગુસ્સો ખરાબ તો છે—ખાસ કરીને સામેના માણસને આવે ત્યારે.
Thursday, February 29, 2024
ડબલ સીઝનનું દુઃખ
ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે?
ના. આવી રહેલી ચૂંટણીની કે રામના
નામે ચાલેલા રાજકારણની ઋતુની અહીં વાત નથી. બીજા પક્ષોમાંથી પક્ષપલટો કરીને, ‘પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’ એવા ભાજપમાં જોડાઈ જવાની મોસમ તો હવે કાયમી બની ચૂકી છે. તેની અસરો ગ્લોબલ
વોર્મિંગની જેમ જ ગંભીર છે, છતાં ગ્લોબલ વોર્મિંગની જેમ તેની ગંભીરતા કોઈને
સ્પર્શતી નથી. બધા તેને નજરઅંદાજ કરીને જાણે કશું બનતું જ નથી, તેમ હંકાર્યે રાખે
છે. ચૂંટણી આવે ત્યારે એ પ્રવૃત્તિ વધુ જોર પકડે છે. તેના માટે (અલ નીનો જેવું) ‘અલ નમો’ પરિબળ કારણભૂત મનાય છે. અલ નીનોની જેમ અલ નમોની અવળી
અસરો સુવિદિત છે, પણ તેને લગભગ કુદરતી જેવી ગણીને, તેને રોકવા-અટકાવવા માટે નક્કર
વિચાર કે કાર્યવાહી થતાં હોય એવું જણાતું નથી.
ઉન્માદની ઋતુ ચાલે છે, એમ કહેવું સાચું નહીં ગણાય. કારણ કે, ઋતુઓ તો થોડા થોડા સમય પછી બદલાય પણ છે. વિષુવવૃત્તના પ્રદેશોમાં રોજ વરસાદ પડે, એવું ભૂગોળમાં આવતું હતું. આપણો દેશ વિષુવવૃત્ત પર નથી. છતાં, અહીં દરરોજ વોટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર જૂઠાણાંનો અને ટીવી ચેનલો પર દુષ્પ્રચારનો અનરાધાર વરસાદ વરસે છે. તેના લીધે અનેક સામાજિક-માનસિક રોગો ફેલાય છે, પરંતુ કોરોનાની જેમ તેમને કોઈ મહામારી તરીકે જાહેર કરતું નથી.
એ બધું ઘડીભર ભૂલીને ફક્ત કુદરતી ઋતુની વાત કરીએ તો, ગુજરાતમાં ડબલ સીઝન ચાલે છેઃ સવારે શિયાળા જેવી ઠંડી અને બપોરે ઉનાળા જેવો તાપ. આ વાત સાચી, પણ બહુ જાહેર છે. છતાં, અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે, એવું કહેનાર ઘણાખરા લોકોને લાગે છે કે તેમણે કેટલી અદભૂત, અભ્યાસપૂર્ણ, મહત્ત્વની અને મૌલિક વાત કરી દીધી. એટલું જ નહીં, તેમણે આ નિદાન ન કર્યું હોત તો ગુજરાતના લાખો લોકો મોસમના બેવડા સ્વભાવ વિશે અંધારામાં જ રહી જાત. કેટલાકને પોતે લખતાં પહેલાં કેટલી મહેનત કરે છે એની ટચૂકડી જાહેરખબર મોટા પાયે કરવાનો શોખ હોય છે. તેમનો ઇરાદો નેક હોય છેઃ વાચકને લેખ વાંચવાથી નહીં તો કમ સે કમ લેખકની સ્વઘોષણાથી ખબર તો પડે કે લેખક કાયમ વેઠ જ ઉતારે છે એવું નથી. તે ક્યારેક મહેનત પણ કરે છે અને મહેનત કરે ત્યારે જાણ કરવાનું ચૂકતો નથી. આ પ્રકારની માનસિકતા ધરાવનારા કહી શકે છે કે તે દુનિયાભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં આ વિષય પર થયેલાં સંશોધનોની એડિબલ (ખાઈ શકાય એવા કાગળ પર કાઢેલી) પ્રિન્ટના ટુકડા તપેલીમાં મુકીને, તેને ખાંડના પાણીમાં ઓગાળીને પી ગયા હતા. આમ વિષયને શબ્દાર્થમાં પી જવાને કારણે તેમણે તો ક્યારનું કહી દીધું હતું કે દુનિયામાં ડબલ સીઝન ચાલે છે.
ડબલ સીઝનને હજુ કોઈએ ‘સ્યુડો-શિયાળો’ કે ‘સ્યુડો-ઉનાળો’ કહી નથી. કારણ કે, તે હજુ રાજકીય મુદ્દો બની નથી અને તેના થકી લોકોને ઉશ્કેરીને પોતાના ભણી વાળી શકાય, એવી જરૂર ઊભી થઈ નથી. ડબલ સીઝન જાહેર ચર્ચાઓ અને પ્રસાર માધ્યમોના પત્રકારો માટે ઘણી ઉપયોગી નીવડે છે. કૂતરું માણસને નહીં, માણસ કુતરાને કરડે તે સમાચાર છે—એવી વ્યાખ્યાની રૂએ, શિયાળામાં ઠંડી પડે કે ઉનાળામાં ગરમી પડે તે નહીં, શિયાળામાં ગરમી (કે ઉનાળામાં ઠંડી) પડે તે સમાચાર છે. એટલે, કોઈ મોટા સમાચાર ન હોય—એટલે કે, ઉપરથી કોઈ ખરેખર મોટા કે નાનામાંથી મોટા કરવાના સમાચાર આવ્યા ન હોય અથવા ખરા અર્થમાં મોટા સમાચાર હોય તેમને મોટા બનાવવાના ન હોય--ત્યારે ડબલ સીઝન અને તેની આડઅસરો તે જગ્યા પૂરે છે. ડબલ સીઝન અને તેમાં ફેલાતી બિમારીના સમાચાર વાંચીને દરેક વાચકને લાગે છે કે ‘ઓહો, મને પણ આવું જ લાગે છે.’
જૂના ભારતમાં ‘ડબલ’ સાથે ‘ટ્રબલ’ સંકળાયેલી હતી. નવા ભારતમાં ‘ડબલ’ સાથે ‘એન્જિન’ સંકળાયેલું છે. એ જુદી વાત છે કે ઘણાને એ બંનેના અર્થ સરખા જ લાગે છે, ડબલ સીઝન ડબલ ટ્રબલ છે કે ડબલ એન્જિન, તેનો આધાર માણસના આરોગ્યની મજબૂતી પર રહે છે, પણ આસપાસ જોતાં અને અહેવાલો પરથી સાબીત થાય છે કે તબીબી વ્યવસાય માટે ડબલ સીઝન ડબલ એન્જિન પુરવાર થાય છે. તેમાં તાવ-શરદી-ખાંસી વગેરે જૂઠાણાં-ધીક્કાર અને ભ્રષ્ટાચારની જેમ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે.
અત્યાર લગી ફક્ત ડબલ સીઝનના મામલે ‘સરકાર બિચારી શું કરે?’—એવી લાગણી વ્યાપેલી હતી. હવે તે લાગણી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી માંડીને ધિક્કાર અને જૂઠાણાંના ફેલાવાની ચર્ચામાં પણ વપરાય છે. પંદર-વીસ વર્ષ પહેલાં પેટ્રોલના ભાવથી માંડીને સરેરાશ મોંઘવારી-ભ્રષ્ટાચારના વિરોધમાં સરકારની (વાજબી) ટીકા કરનારા અને તેની સામે મોરચા કાઢનારા હવે માસુમિયતથી કહી દે છે, ‘પણ એમાં સરકાર શું કરે?’ સરકારની નિષ્ફળતાઓ બદલ તેની આકરી ટીકા કરવાના મુદ્દે દેશમાં ઘણાં વર્ષથી ડબલ સીઝન ચાલે છે. પરંતુ આ તમામની યાદીમાં સૌથી ચિંતાજનક ડબલ સીઝન છે લોકશાહી અને આપખુદશાહીની. તેમાં વિચારધારા અને વિચારવિહીનતા—એમ બે ઘાતક પ્રકારના તાવની બીમારી એટલી પ્રસરે છે કે તે બીમારી ગણાતી બંધ થઈ જાય છે અને તંદુરસ્તીનું, દેશભક્તિનું, ધાર્મિકતાનું પ્રતીક ગણાવા લાગે છે.
Wednesday, February 28, 2024
મહેફિલ-કથા અને અનોખી મહેફિલ હેમંતકુમાર-વી. બલસારાની
(ફેસબુક પર દિવાળી 2022 વખતે લખેલી પોસ્ટ)
Monday, February 26, 2024
કૃષ્ણ, સુદામા અને તાંદુલ
વડા પ્રધાને ગયા સપ્તાહે તેમના એક ભાષણમાં એ મતલબનું કહ્યું કે કૃષ્ણ-સુદામાના જમાનામાં અત્યારની ટેકનોલોજી હોત તો કોઈએ કૃષ્ણને તાંદુલ આપતા સુદામાની વિડીયો લઈને સોશિયલ મિડીયા પર ચડાવી દીધી હોત અને કૃષ્ણ પર લાંચ લેવાના આરોપ મુકાયા હોત.
સામાન્ય રીતે રામનો ઉપયોગ કરવા માટે જાણીતા વડાપ્રધાનને ચેન્જ ખાતર કૃષ્ણ સાંભર્યા, તેની પાછળ સર્વોચ્ચ પ્રેરણા કામ કરતી હશે, એવું ધારી શકાય. અલબત્ત, સર્વોચ્ચ પ્રેરણા દર વખતે આધ્યાત્મિક હોય તે જરૂરી નથી. તે દુન્યવી અને કાયદાકીય—એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી પેદા થયેલી પણ હોઈ શકે. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનની આગેવાની હેઠળનો શાસક પક્ષ વર્ષોથી જેના મુખ્ય લાભાર્થી રહ્યો છે તેવા ઇલેક્ટોરલ બોન્ડ (દાતાના નામ વિના નાણાંભંડોળ ઉઘરાવવાના બોન્ડ) ગેરબંધારણીય જાહેર કર્યા.
ઘણા સમયથી દેશમાં બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની દશા જોતાં, આ સમાચારથી ઘણાને નવાઈ કે આંચકો ન લાગ્યાં. આમ પણ, વોટ્સએપ પર મળતા રેડીમેડ અને ટેલર-મેડ નીરણના બંધાણને કારણે જાતે વિચારવાની આદત રહી ન હોય. એટલે, બીજા અનેક સમાચારોની જેમ તે સમાચાર પણ આવ્યા ને જતા રહ્યા.
એક સમય હતો, જ્યારે ભારતમાં કોઈ ચીજ ગેરબંધારણીય જાહેર થાય તો જાહેર જીવન ખળભળી ઉઠતું, પ્રસાર માધ્યમોમાં વાજબી કાગારોળ મચતી અને લોકો પણ આંદોલિત થઈ ઉઠતા. તે સમય સો કે હજાર નહીં, દસ વર્ષ પહેલાં જ હતો, એવું પણ ઘણાને યાદ આવતું નથી. ઠંડા કલેજે નિયમિતપણે બોલાતાં જૂઠાણાં અને ગરમ કોઠે નિયમિતપણે ચાલતી ધિક્કારસભર આપખુદશાહી—આ બંનેના મિશ્રણની લોકોની યાદશક્તિ પર વધારે ખરાબ અસર થઈ છે કે લોકોની સમજ પર, એ નક્કી કરવું કપરું બને એમ છે. છતાં, કેટલાક લોકો એવા હતા, જેમને લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના ઇલેક્ટોરલ બોન્ડ વિશેના ચુકાદા અને વડા પ્રધાનને યાદ આવેલા સુદામાના તાંદુલ વચ્ચે સીધો સંબંધ હશે.
વડા પ્રધાને પોતાની ઓળખ ભલે ફકીર તરીકે આપતા હોય અને કહેતા હોય કે મૈં તો ઝોલા ઉઠાકર ચલા જાઉંગા. પણ અત્યાર લગીની તેમની ભપકાબાજીને ધ્યાનમાં રાખતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પોતાની જાતને સુદામા તરીકે ન જોતા હોય, એ તો સ્પષ્ટ છે. પોતાના માથાડૂબ પ્રેમમાં પડેલો માણસ પોતાની જાતને ભગવાન-સમકક્ષ માનતો હોય અને આજુબાજુનું મંડળ પોતાના સ્વાર્થની પૂર્તિ ખાતર તેનો એવો ભ્રમ પોષતું હોય, તો એ પણ સ્વાભાવિક ગણાય.
વડા પ્રધાનનો કિસ્સો વિલક્ષણ એવી રીતે પણ છે કે તે પોતે અથવા બીજું કોઈ તેમને રામ કે કૃષ્ણ સમકક્ષ ગણાવે તો કશું ન થાય. પોતાની ધાર્મિક લાગણી દુભવવા માટે સદા ઉત્સુક અને તેમાંથી જ પોતાની ગુંડાગીરી-કમ-નેતાગીરીની કારકિર્દી બનાવવા ઝંખતા લોકોને પણ તેનાથી વાંધો ન પડે. ‘ન્યૂ ઇન્ડિયા’માં એવો આખો એક સમુદાય પેદા થઈ ચૂક્યો છે, જે વડા પ્રધાનને ભગવાન સાથે સરખાવા માટે આતુર ન હોય તો પણ, તે બાબતે વડા પ્રધાનનું ઉપરાણું લઈને લડવા ઉતરી શકે. આ નકરી કલ્પના નથી. અયોધ્યાના કાર્યક્રમ પહેલાં બાળસ્વરૂપ શ્રી રામ વડા પ્રધાનની આંગળી પકડીને અયોધ્યાના નવા બનેલા મંદિરે જતા હોય, એવાં પોસ્ટર સોશિયલ મિડીયા પર બહુ ફરતાં હતાં. ‘જય શ્રી રામ’ના નારા લગાડતા અને રાજકારણનો હાથો બનવા તલપાપડ કોઈને તે પોસ્ટર સામે વાંધો પડ્યો હોય, વડા પ્રધાને તે પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરીને પોસ્ટર બનાવનાર અને વહેતું કરનાર સામે પગલાં લેવાની વાત કરી હોય, અને ચાર ઠેકાણે કોર્ટ કેસ થયા હોય—એવું કશું જાણવા મળ્યું નથી.
કૃષ્ણ-સુદામાના વડા પ્રધાને આપેલા રૂપકમાં સુદામા કોણ હોઈ શકે, એની અટકળો ઘણાએ વહેતી મુકી. ઘણાને થયું કે તેમાં ધારવા જેવું શું છે? જવાબ સાવ ઉઘાડો નથી? બદલાયેલા સમયની માગને ધ્યાનમાં રાખતાં સુદામા કોઈ એક જ હોય, એવું પણ શા માટે ધારી લેવું? ઇલેક્ટોરલ બોન્ડના તાંદુલ આપનાર સુદામાઓ તો સેંકડોની સંખ્યામાં છે. નવા જમાનામાં સુદામા જ કૃષ્ણને ત્યાં જાય, એવું પણ જરૂરી નથી. કૃષ્ણની વર્તમાન આવૃત્તિ પોતે સુદામાના ભવ્ય મહાલય કે અંગત વિમાનમાં મુસાફરી કરીને બિચારા સુદામાનો ધક્કો બચાવી લે તો તેમાં ખોટું શું છે?
આધુનિક સુદામાઓને પણ ખબર છે કે તાંદુલના જમાના હવે ગયા. હવે કૃષ્ણ તેમને વિસરે નહીં જાય અને સુદામાએ કામ પડે ત્યારે તેમને સંભારવા પણ ન પડે--એવું થવું જોઈએ. બાળપણના સ્નેહથી પણ અદકેરી એવી આ ગાંઠ ટકા વિના ટકાવી શકાય નહીં. આવા અંતરંગ સંબંધોમાં આશ્ચર્યનું તત્ત્વ નુકસાનકારક નીવડી શકે. આધુનિક કૃષ્ણ આધુનિક સુદામા પાસેથી હક કરીને તાંદુલ લઈ લે, પણ સુદામાને સરપ્રાઇઝ આપવા માટે, પોતે તેમને શું આપ્યું છે, તે ખાનગી રાખે તો મુશ્કેલી થાય. ‘એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા’—એવી પ્રેમાનંદ-પંક્તિ પ્રમાણે વિચારીને આધુનિક સુદામા ક્યાંક નવા કૃષ્ણ શોધી લે તો?
આ બધા કલ્પનાના પતંગ વચ્ચે, બીજો વિચાર પણ આવે છેઃ વડા પ્રધાન પ્રજાના મોટા સમુદાયને જુમલાબાજીના તાંદુલ આપીને, બદલામાં સત્તારૂપે તેનું અનેકાનેક ગણું વળતર ખાટી લે છે, એ જોતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પણ સુદામા હોઈ શકે?
Saturday, January 27, 2024
દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય
દિલીપ ગોહિલ |
દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.
Tuesday, January 23, 2024
રામરાજ્યનું સપનું
વાત જાણે એમ છે કે એક દિવસ રાવણને લંકામાં રામરાજ્ય સ્થાપવાનું મન થયું. રામરાજ્ય વસ્તુ જ એવી છે કે બધાને તે સ્થાપવાનું તો નહીં, પણ સ્થાપ્યાનો જશ લેવાનું મન ચોક્કસ થાય. લોકોને થાય કે રામરાજ્ય સ્થાપવાનો જશ લેવાથી પોતે પણ રામ સમકક્ષ કહેવાશે.
મન થયા પછી રાવણને તો સપનાં આવવાં લાગ્યાં. સપનામાં તેને દેખાય લંકા અને તેનાં મંદિરો, પણ અંદર ભગવાનની મૂર્તિને બદલે તેને પોતાની મૂર્તિ દેખાય. મંદિરની બહાર દર્શનાતુર એવાં લંકાનાં પ્રજાજનોની લાંબી લાઇન પડી ગઈ હોય. એક પછી એક બધાં અંદર જાય, પણ બહાર આવે ત્યારે તેમના ચહેરા પર થોડી આઘાતની લાગણી હોય. (કેમ કે, અંદર રામને બદલે રાવણનાં દર્શન થયાં હોય) છતાં, કોની મગદૂર છે કે હરફ સરખો પણ ઉચ્ચારે? બહાર રાવણની બિનસત્તાવાર સેનાના સભ્યો ઉભેલા જ હોય. તે બહાર નીકળનારાને પૂછે પણ ખરા,‘બરાબર દર્શન થયાં ને?’
દર્શન તો થયાં જ હોય, પણ રાવણનાં. એટલે, દર્શનકર્તાથી સરખી ‘હા’ પણ ન પડાય અને હેમખેમ ઘરે પહોંચવાનું હોય, એટલે ખોંખારીને ‘ના’ પણ ન પડાય. ઘણા દર્શનાર્થીઓ એવા શાણા કે પોતે આશ્વાસન લે અને રાવણની મૂર્તિ જોઈને દુઃખી થયેલા લોકોને પોરસ ચઢાવે,‘એમ કહો ને કે મંદિરમાં રાવણની જ મૂર્તિ હતી. વાલીની કે સુગ્રીવ કે જાંબુવંતની મૂર્તિ હોત તો શું થાત? લંકાપતિ તેમનાં દર્શન કરવા બદલ તમને જેલમાં નાખત અને લંકા(પતિ)ના ન્યાયાધીશો તમારો કેસ ચલાવત જ નહીં.’
જોકે, રાવણને સપનામાં આ બધું એડિટ થઈને દેખાયું. તેને ખાતરી થઈ કે લંકામાં રામરાજ્યનું સ્થાપન હાથવેંતમાં છે અને રામના નવા અવતાર તરીકે તેનું નામ ગણાતું થઈ જશે. પરંતુ લંકાની ન્યૂસ(ન્સ) ચેનલોવાળા રાવણને સમજાવવા લાગ્યા કે સાહેબ, રામરાજ્ય લાવવાનું કામ અધૂરું રહ્યું હોય કે શરૂ પણ ન થયું હોય તો ભલે, પણ રામ તરીકે સ્થાપિત થવાના પ્રયત્નો કાચા કે અધૂરા ન રખાય.
તેમની સલાહથી પ્રેરિત અને ઉત્સાહિત થયેલા રાવણને વળી કેટલાંક સપનાં આવ્યાઃ એકમાં તે શ્રી રામના સૈન્યે લંકા સુધી પહોંચવા માટે બાંધેલા પુલ પર તે એકલો એકલો સ્લો મોશનમાં ચાલી રહ્યો હતો અને હાથ હલાવીને દરિયાનાં મોજાંનું અભિવાદન ઝીલી રહ્યો હતો. બીજા સપનામાં તે (અ)ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેની તપસ્યામાં કમી રહી જાય એટલા માટે કેટલાક વિરોધીઓ લંકાની વાસ્તવિક પરિસ્થિતિનાં અને ગરીબ જનતાની સ્થિતિનાં આંકડાસ્ત્રો છોડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે રાવણ રામ સમકક્ષ બની જશે તો પછી લંકા રામભરોસે થઈ જશે. પણ તે રાવણને કશું નુકસાન પહોંચાડી શકતા ન હતા. કારણ કે આજુબાજુ તેની વાનરસેના ઢાલ બનીને ઊભી હતી.
હા, રાવણની પોતીકી વાનરસેના હતી, જે જન્મે નહીં, પણ કર્મે એ ઓળખ પામેલી હતી. લંકામાં રામરાજ્ય સ્થાપવા માટે વાનરસેના જરૂરી છે, એવો રાવણનો અને તેના ભાઈ કુંભકર્ણનો દૃઢ મત હતો. કુંભકર્ણની ભારપૂર્વકની સલાહ હતી કે રામરાજ્ય સ્થપાતાં પહેલાં વાનરરાજ સ્થપાવું જોઈએ. એવું થઈ જાય, તો પછી રામરાજ ક્યારથી શરૂ થશે તેની મુદતો પાડતા રહેવાનું. રાવણને એ દલીલ ગળે ઉતરી હતી ને તેની વાનરસેના લોકોને સમજાવવા લાગી હતી કે વાનરરાજ એ રામરાજ્યનું જ એક અંગ છે.
રાવણ જે કહે તે સાચું માની લેનારા લંકામાં ઘણા હતા. રાવણે તેમને ઠસાવી દીધું હતું કે તેનું રાજ આવ્યું તે પહેલાં લંકામાં ડાયનોસોર ફરતાં હતાં. તેમાંથી માંસાહારી ડાયનોસોરોનો નાશ કરીને, શાકાહારી ડાયનોસોરોને બળદની જગ્યાએ જોતરીને ખેતી કરીને તેણે લંકાને સોનાની બનાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ડાયનોસોર અને માણસ આ પૃથ્વી પર કદી સાથે રહ્યાં નથી, એવું જૂઠાણું લંકાવિરોધીઓનું કાવતરું હતું, જે અત્યાર સુધી ચાલી ગયું, પમ હવે રાવણના રામરાજ્યમાં તેમની ખેર નથી.
રાવણરાજ્યને રામરાજ્ય તરીકે સ્વીકારવાની અને તેનો જયજયકાર કરવાની ના પાડતા લોકોને ખાતરી હતી કે રામરાજ્યની તો ખાલી વાતો હતી. અસલમાં રાવણે એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી કે તે ફક્ત પોતાનાં સપનાંની મોટી મોટી વાતો કરે અને ફુલફટાક થઈને પુષ્પક વિમાનમાં ફર્યા કરે. ટીકાકારોને જવાબ આપવા માટે આખી વાનરસેના દિવસરાત તૈયાર રહેતી હતી. ટીકાકારો કહે કે રામરાજ્યમાં તો મર્યાદાનો મહિમા હતો. રામ મર્યાદાપુરુષોત્તમ હતા, તો રાવણની વાનરસેના કહેતી, ‘રાવણ પણ મર્યાદાપુરુષોત્તમ જ છે. તેમણે પોતાના સિવાય બીજા બધા પર કેટલી બધી મર્યાદાઓ નાખી છે? થાય છે કોઈ આઘાપાછા?’
ટીકાકારો કહે કે રામ પ્રજાવત્સલ રાજા હતા. ધોબીની ટીકા પણ ગંભીરતાથી સાંભળતા હતા, જ્યારે રાવણ તો સવાલોના જવાબ આપતો જ નથી. ત્યારે રાવણની વાનરસેના કહેતી, ‘રામાયણના સેંકડો પાઠ છે. તેમાં ક્યાંય તમે એવું વાંચ્યું કે શ્રી રામે પ્રશ્નો પૂછનારાને એક જગ્યાએ ભેગા કરીને, તેમના પ્રશ્નો સાંભળ્યા અને વારાફરતી તેમના જવાબ આપ્યા? રામરાજ્યમાં એવું કશું થયું નથી. એનો અર્થ એ કે એવું કશું ન થાય, તે રામરાજ્ય હોવાની જ સાબિતી છે.‘
ગમે તે હોય, પણ રાવણને રામરાજ્ય સ્થાપવાની બહુ ઉતાવળ હતી. એટલે, એક દિવસ સપનામાં તેણે લંકાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું.
--અને તેની આંખ ખુલી ગઈ.
સપનાંનું આ સુખ હોય છે. આંખ કદીક ખુલે તો ખરી.